Categories
વાચન સમૃદ્ધિ

ઇરાવતી કર્વે

જ. 15 ડિસેમ્બર, 1905 અ. 11 ઑગસ્ટ, 1970

ઇરાવતીનો જન્મ બ્રહ્મદેશમાં પિતા શ્રી. જી. એસ. કરમાકરને ત્યાં થયો હતો. મૂળ મહારાષ્ટ્રના પણ બ્રહ્મદેશમાં પિતા એન્જિનિયર તરીકે કામ કરતા હતા. બ્રહ્મદેશમાં આવેલ નદીના નામ પરથી દીકરીનું નામ ઇરાવતી પાડ્યું હતું. ઇરાવતીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રહ્મદેશમાં લીધું, ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિષય સાથે 1926માં સ્નાતકની ઉપાધિ મેળવી. તે સમયે ઉચ્ચશિક્ષણ લેતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. ઇરાવતીને ભણવાની લગન ખૂબ હોવાથી તેઓ અભ્યાસમાં આગળ વધતાં ગયાં. ઈ. સ. 1928માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. 1930માં તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી માનવશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ભારત પાછાં આવ્યાં. પુણેની ફર્ગ્યુસન કૉલેજના એ સમયના આચાર્ય દિનકર કર્વે સાથે તેમનાં લગ્ન થયાં. પુણેની ડેક્કન કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં તેઓ પ્રાધ્યાપિકા હતાં. લગ્ન પછી તેમણે અધ્યાપનનું કાર્ય ચાલુ રાખ્યું. તેમને સ્ત્રીકેળવણીમાં ખૂબ જ રસ હતો. દેશમાં વધારે સ્ત્રીઓ અભ્યાસ, અધ્યાપન અને સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે તેવું તે ઇચ્છતાં હતાં. તેઓએ ‘મહાભારત’નો અભ્યાસ કરી તેના ઉપર એક શોધપૂર્ણ ગ્રંથ ‘યુગાન્ત’ લખ્યો, જેને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેઓએ ‘ધ ચિતપાવન બ્રાધિનસ્ – એન એથનિક સ્ટડી’ વિષય પર થીસિસ લખ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી તથા સંશોધનના કાર્યની સાથે તેમણે પત્ની, ગૃહિણી અને માતાની ભૂમિકા પણ સારી રીતે નિભાવી હતી. ઇરાવતીએ અંગ્રેજીમાં ‘કિનશિપ ઑર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા’ તથા ‘હિન્દુ સોસાયટી એન ઇન્ટરપ્રિટેશન’ તથા મરાઠીમાં ‘પરિપૂર્તિ’, ‘ભોવરા’, ‘આમસી સંસ્કૃતિ’, ‘ગંગાજલ’ જેવી રચનાઓ કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

રાજ કપૂર

જ. 14 ડિસેમ્બર, 1924 અ. 2 જૂન, 1988

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરનું આખું નામ રણવીરરાજ પૃથ્વીરાજ કપૂર હતું. અભિનય પિતા તરફથી વારસામાં મળ્યો હતો. મૅટ્રિકમાં નાપાસ થયા પછી તેઓ ચલચિત્ર-ક્ષેત્રે આવી ગયા હતા. રણજિત સ્ટુડિયોમાં દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. તે પછી બૉમ્બે ટૉકીઝમાં અમિય ચક્રવર્તી સાથે અને ફિલ્મિસ્તાનમાં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. તે સાથે પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ તેમણે મદદનીશ તરીકે ફરજ બજાવી  હતી. રાજ કપૂરે 1935માં ન્યૂ થિયેટર્સના ‘ઇન્કિલાબ’ નામના ચલચિત્રમાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. નાયક (હીરો) તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી તો ચલચિત્રમાં તેમને કેદાર શર્માની ફિલ્મ ‘નીલકમલ’માં તક મળી હતી. ફિલ્મ ‘આગ’માં તેમણે પહેલી વાર નરગિસ સાથે કામ કર્યું અને આ ફિલ્મથી જ નરગિસ સાથેની તેમની જોડીએ એક પછી એક  સફળ ચલચિત્રો આપ્યાં. ‘આગ’ ફિલ્મ પોતાની ચિત્રનિર્માણ સંસ્થા ‘આર. કે. ફિલ્મ્સ’ દ્વારા નિર્માણ પામી હતી. જેનું દિગ્દર્શન પણ રાજ કપૂરે જ કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘બરસાત’ની સફળતાએ તેમને નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા તરીકે પ્રથમ હરોળમાં મૂકી દીધા હતા. અર્થપૂર્ણ ગીતો અને કર્ણપ્રિય સંગીત એમનાં ચલચિત્રોનું એક આગવું પાસું રહ્યાં છે. તેમનું ‘બૂટપોલિશ’ ચલચિત્ર અમેરિકામાં રજૂ થયું ત્યારે ખ્યાતનામ ‘ટાઇમ’ સાપ્તાહિકે તેને એક ઉત્તમ કલાકૃતિ ગણાવી હતી. ‘મેરા નામ જોકર’ તેમનું આત્મકથાત્મક અને સફળ ચલચિત્ર છે. ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘બોબી’, ‘સંગમ’, ‘તીસરી કસમ’, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘છલિયા’, ‘પ્રેમરોગ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી અનેક યાદગાર ફિલ્મ આપણને તેમની પાસેથી મળી છે. 1988માં તેમનું નિધન થયું તેના એક મહિના પહેલાં તેમને ફિલ્મજગતના શ્રેષ્ઠ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ફિલિપ વૉરન ઍન્ડરસન

જ. 13 ડિસેમ્બર, 1923 અ. 29 માર્ચ, 2020

અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ફિલિપ ઍન્ડરસનનો જન્મ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.માં થયો હતો. તેમના પિતા હેરી વૉરન ઍન્ડરસન ઇલિનૉય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. 1940માં અર્બાનાની શાળામાં અભ્યાસ કર્યો. માઇલ્સ હાર્ટલે નામના ગણિતશિક્ષકના પ્રોત્સાહનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ છાત્રવૃત્તિ અંતર્ગત અધ્યયન માટે પ્રવેશ મેળવ્યો. 1943માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સુધી નૌસેના અનુસંધાન પ્રયોગશાળામાં ઍન્ટેના બનાવવાની કામગીરી કરી. યુદ્ધ બાદ ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે હાર્વર્ડ આવી ગયા. 1947માં એમ.એ. અને 1949માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં જ તેઓ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં જોડાયા. 1975થી બેલ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં અનેક સંશોધનો કર્યાં છે. ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી(advanced electronic circuitry)માં તેમણે અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમનાં લખાણોમાં કેટલાક યાદૃચ્છિક જાલિકા(random lattices)માં પ્રસરણ(diffusion)નો અભાવ (1985) અને ઘન વિશેના ખ્યાલ(concepts of solids)નો સમાવેશ થાય છે. તેઓ જાપાની સંસ્કૃતિમાં પણ રુચિ ધરાવતા હતા. જાપાની બોર્ડ ગેઇમ ‘ગો’ના તેઓ નિષ્ણાત હતા. કમ્પ્યૂટરમાં બિનખર્ચાળ ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ અને સ્મૃતિતંત્ર(memory)નાં સાધનોના વિકાસને શક્ય બનાવતા ઘનઅવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં તેમના સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1977માં આ નોબેલ પારિતોષિક તેમને જ્હૉન વાન વ્લેક અને સર નેવિલ એફ મોટ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.