Categories
વાચન સમૃદ્ધિ

મણિભાઈ ભીમભાઈ દેસાઈ

જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હેમવતી નંદન બહુગુણા

જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.