Categories
વાચન સમૃદ્ધિ

હેમંત દેસાઈ

જ. 27 માર્ચ, 1934 અ. 2 ઑક્ટોબર, 2011

ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંત દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ મંજુલાબહેન. 1957માં બી.એ.; 1959માં એમ.એ. અને 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાર્ડા કૉલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉશનસ્ ના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયંત પાઠકનું સાન્નિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકિન ઠાકોર વગેરે કવિ-વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા, વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. ડી. આર્ટસ કૉલેજ અને સાબરમતી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવાનિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ‘ઇંગિત’, ‘મ્હેંક નજરોની ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’, ‘વરદાન ફૂલનું’ અને ‘સહજતયા’ એમના કાવ્યસંગ્રહો છે. ‘ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘કવિતાની સમજ’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’, ‘કાવ્યસંગતિ’, ‘કલાપી’, તેમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. ‘કૂણાં સમણાંની જૂની ડાળ’ (શિશિરઋતુનાં કાવ્યોનો સંચય), ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે પીયૂષ પંડ્યાના કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય) અને ‘ગુજરાતી કવિતાચયન’ તેમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્યસર્જનને વિવિધ ચંદ્રકો પણ મળ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી ઍવૉર્ડ, ‘કવિતાની સમજ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

ધીરેન્દ્ર ગાંગુલી

જ. 26 માર્ચ, 1893 અ. 18 નવેમ્બર, 1978

એક સફળ ઉદ્યોગપતિ, હિન્દી તથા બંગાળી સિનેજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા-નિર્દેશક તથા લેખક. જેમણે અનેક ફિલ્મનિર્માણ કંપનીઓની સ્થાપના કરી. વિશેષ કરીને એ સમયમાં રમૂજી અભિનય તથા ફિલ્મો માટે એમને ઓળખવામાં આવતા હતા. તેમણે કૉલકાતામાં શાંતિનિકેતનના વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદ રાજ્ય કલા શાળાના મુખ્ય અધ્યાપક બન્યા અને શિક્ષણજગતમાં કારકિર્દી શરૂ કરી. દરમિયાન તેમણે ‘ભાવ કી અભિવ્યક્તિ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં મેકઅપની કમાલથી પોતાનાં વિવિધ સ્વરૂપનાં ચિત્રો એમાં પ્રકાશિત કર્યાં હતાં. પોતાની આ કલા એમણે બ્રિટિશ ભારત તથા આઝાદ ભારતના સી.આઈ.ડી. અધિકારીઓને શિખવાડી. ત્યારબાદ એમનું આ પુસ્તક નિર્માતા જે. એફ. મદનના ધ્યાનમાં આવ્યું અને ફિલ્મજગતમાં યોગદાન આપવા માટે એમને તક મળી. 1918માં ઇન્ડો-બ્રિટિશ કંપની શરૂ કરી. અહીં હૈદરાબાદના નિઝામની મદદથી એમણે ફિલ્મ સ્ટુડિયો તથા સિનેમાઘર પણ શરૂ કર્યાં. ત્યારબાદ ધીરેન્દ્ર ગાંગુલીના નિર્માણ અને નિર્દેશનમાં ફિલ્મ ‘રઝિયા બેગમ’ પ્રકાશિત થઈ. જેમાં મુસલમાન રાણીને પરજાતિના ગુલામ સાથે પ્રેમ થતો બતાડવાના ગુના બદલ નિઝામે એમને હૈદરાબાદની બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ કૉલકાતા પાછા ફરીને લોટસ ફિલ્મ કંપની શરૂ કરી, ન્યૂ થિયેટર્સ સાથે પણ ઘણું કામ કર્યું. પોતાની ફિલ્મી કારકિર્દીમાં એમણે અનેક ફિલ્મોનું નિર્માણ, નિર્દેશન, લેખન કર્યું અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મજગતમાં એમણે સિનેજગતનાં શરૂઆતનાં વર્ષોમાં પાયાનું કામ કર્યું.  ફિલ્મજગત એમને ધીરેન ગાંગુલીના હુલામણા નામથી જાણતું હતું. હિન્દી સિનેમાના એમના યોગદાન બદલ ભારત સરકારે 1974માં એમને પદ્મભૂષણ અને 1975માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એ. એમ. અહમદી

જ. 25 માર્ચ, 1932 અ. 2 માર્ચ, 2023

ભારતની સર્વોચ્ચ અદાલતના 26મા પૂર્વમુખ્યન્યાયમૂર્તિ એ. એમ. અહમદીનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા અવિભક્ત મુંબઈ રાજ્યમાં સિનિયર ડિવિઝનમાં સિવિલ જજ હોવાથી તેમની અવારનવાર બદલીઓ થતી. આથી અહમદીએ મુંબઈ રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર આર્ટસની પરીક્ષા પસાર કર્યા બાદ અમદાવાદની સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી અને સૂરતની સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. જૂન, 1954માં અમદાવાદની જિલ્લા અદાલતમાં વકીલાત શરૂ કરી. 1961માં અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્થાપના થતાં તે કોર્ટમાં સરકારી વકીલ નિમાયા. 1964માં ન્યાયાધીશ તરીકે નિમાયા. જૂન 1974થી ડિસેમ્બર 1975 સુધી કાયદા વિભાગના સચિવ તરીકે કાર્ય કર્યું. 1976માં ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા. તેઓ કાયદાના ઊંડા અભ્યાસી હતા. બંધારણ, કરવેરા, આબકારી અને કસ્ટમ, ઉદ્યોગો અને નોકરી અંગેના કેસોમાં તેમના કેટલાક શકવર્તી ચુકાદા જાણીતા થયા છે. વિદેશી મુદ્રા સંરક્ષણ તેમજ તસ્કરી નિવારણ અધિનિયમ અને ગુજરાત રાજ્ય તૃતીય વેતન આયોગ જેવા અનેક સલાહકાર બોર્ડના તેઓ સદસ્ય હતા. તેમણે દાણચોરો તથા કાળાબજાર કરનારાની અટકાયત અંગેના સલાહકાર મંડળોમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. તેમણે રાવી-બિયાસ જલવિવાદ પંચના સભ્ય તરીકે પણ કામ કર્યું. 14 ડિસેમ્બર, 1988ના રોજ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિમાયા. 1989માં સુપ્રીમ કોર્ટ લીગલ એઇડ કમિટીના અધ્યક્ષ બન્યા. 25 ઑક્ટોબર, 1994ના રોજ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા. ભારતમાં કાનૂની સહાયતા યોજનાઓના તેઓ પ્રમુખ સંરક્ષક હતા. અદાલતોમાં ઝડપી ન્યાયવિતરણ માટે કમ્પ્યૂટરયુગ લાવનાર ન્યાયમૂર્તિ તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેમને દેશ-વિદેશમાંથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં. જેમાં મુખ્યત્વે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય, મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતક, કાનપુર વિશ્વવિદ્યાલય વગેરે દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી.