Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર શંકર ધર્માધિકારી

જ. 20 નવેમ્બર, 1927 અ. 3 જાન્યુઆરી, 2019

સ્વાતંત્ર્યસેનાની, વકીલ, ન્યાયાધીશ અને લેખક ચંદ્રશેખર શંકર ધર્માધિકારીનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં. પિતા દાદા ધર્માધિકારી અને માતા દમયંતી. માતાપિતાએ આઝાદીનાં આંદોલનોમાં ભાગ લીધો હતો અને જેલમાં ગયાં હતાં. ચંદ્રશેખર શંકરે પણ ચૌદ વર્ષની ઉંમરે 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાગપુરની અને વર્ધાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ નવભારત વિદ્યાલય, વર્ધામાં મેળવ્યું. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1954થી 1972 સુધી વકીલાત કરી. 1972માં બૉમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2014માં તેમના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ મહારાષ્ટ્ર સરકારને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાર ગર્લ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી જેથી મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ ઘટી શકે. તેમણે મહિલાઓના અધિકારો, આદિવાસી અને જેલના કેદીઓના કલ્યાણ માટે શકવર્તી ચુકાદાઓ આપ્યા હતા. તેઓ ગાંધીમૂલ્યોના સમર્થક હતા. સત્ય અને અહિંસાના આગ્રહી હતા. તેમણે અનેક સંસ્થાઓમાં વિવિધ પદ પર રહીને સમાજસેવા કરી હતી. તેઓ મહારાષ્ટ્ર વહીવટી ટ્રિબ્યૂનલ, રાષ્ટ્રીય મહિલા આયોગ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશન, ગ્લોબલ સ્કૂલ્સ ફાઉન્ડેશન, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન, કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન જેવી  અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં 24 જેટલાં પુસ્તકો લખ્યાં છે; જેમાં ‘શોધ ગાંધીંચા’, ‘ચંદ્રોદય’, ‘અંતરયાત્રા’, ‘સહપ્રવાસ’, ‘લોકતંત્ર પરહેજ ઔર પાબંદિયાં’, ‘રિફલેક્શન્સ ઑન ઇન્ડિયા કૉન્સ્ટિટ્યૂશન–રિલિજિયન ઍન્ડ રુલ ઑફ રુલ’ મુખ્ય છે. તેમના પુસ્તક ‘ભારતીય સંવિધાનચે અધિષ્ઠાન’ને મહારાષ્ટ્ર સરકારનો સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે પુરસ્કાર, ગાંધીજન પુરસ્કાર, ગોસેવા રત્ન પુરસ્કાર, રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2003માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દારાસિંહ

જ. 19 નવેમ્બર, 1928 અ. 12 જુલાઈ, 2012

પ્રખ્યાત પહેલવાન અને અભિનેતા તરીકે જાણીતા દારાસિંહનો જન્મ પંજાબના અમૃતસર પાસે ધરમૂચક નામના ગામમાં થયો હતો. તેમનું આખું નામ દીદારસિંહ રંધાવા હતું. તેમના પિતાનું નામ સૂરતસિંહ અને માતાનું નામ બલવંત કૌર હતું. મજબૂત કદકાઠી ધરાવતા હોવાથી નાનપણથી જ કુસ્તીનો શોખ જાગ્યો હોવાથી તેમણે અખાડામાં જવાનું શરૂ કર્યું હતું. અખાડામાં કુસ્તીના દાવપેચ શીખી પહેલાં મેળા અને અન્ય સમારંભોમાં યોજાતી કુસ્તી હરીફાઈમાં તેઓ ભાગ લેવા લાગ્યા. ધીરે ધીરે તેમની પહેલવાનીને લોકોની માન્યતા મળવા લાગી અને તેઓ ભારતમાં કુશળ પહેલવાન તરીકે જાણીતા થયા. 1947માં દારાસિંહ સિંગાપુર ગયા હતા, ત્યાં તેમણે ભારતીય શૈલીની કુસ્તીમાં ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. એ પછી તેમણે પહેલવાન તરીકે અનેક દેશોમાં પોતાની ધાક જમાવી દીધી હતી. 1952માં તેઓ ભારત પાછા ફર્યા અને 1954માં ભારતીય ચૅમ્પિયન બન્યા. ત્યારબાદ તેમણે બધા રાષ્ટ્રમંડળ દેશોની મુલાકાત લીધી અને ઓરિએન્ટલ ચૅમ્પિયન કિંગકાંગને હરાવી દીધો. દારાસિંહના નામનો દેશ અને દુનિયામાં ડંકો વાગવાને કારણે કૅનેડા અને ન્યૂઝીલૅન્ડના પહેલવાનો દ્વારા તેમને કુસ્તી લડવાની ચુનૌતી મળી. કૉલકાતામાં આયોજિત રાષ્ટ્રમંડળ-કુસ્તી ચૅમ્પિયનશિપમાં કૅનેડાના ચૅમ્પિયન જ્યોર્જ ગાડીયાંકા અને ન્યૂઝીલૅન્ડના ચૅમ્પિયન જોન ડિસિલ્વા તથા અન્ય કુસ્તીબાજોને હરાવીને 1959માં તેમણે ચૅમ્પિયનશિપ પોતાના નામે કરી 1968માં અમેરિકાના વિશ્વચૅમ્પિયન લાઉ થેજને હરાવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીના વિશ્વચૅમ્પિયન બની ગયા અને તેમણે વિશ્વવિજેતાનો તાજ ભારતને અપાવ્યો. 1983માં તેમણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, એ સમયે તેમને અપરાજય ચૅમ્પિયનના ખિતાબથી નવાજવામાં આવ્યા. 500થી વધુ કુસ્તીજંગમાં તેમણે ભાગ લીધો હતો અને ક્યાંય પણ તેમનો પરાજય થયો ન હતો. એક નિર્માતાના આગ્રહને લીધે તેમણે ફિલ્મોમાં ઝંપલાવ્યું. મુમતાઝ સાથે 16 ફિલ્મોમાં અભિનય ઉપરાંત દારાસિંહે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. રામાયણ અને મહાભારતમાં તેમની હનુમાનની ભૂમિકા આજે પણ વખણાય છે. તેઓ 60થી 70ના દાયકામાં બોલિવુડના ઍક્શનકિંગ રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝુબીન ગર્ગ

જ. 18 નવેમ્બર, 1972 અ. 19 સપ્ટેમ્બર, 2025

ભારતીય સંગીતકાર, ગાયક, ગીતકાર, વાદ્યવાદક, કવિ, અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મનિર્માતા તરીકે જાણીતા ઝુબીન ગર્ગ મુખ્યત્વે અસમીઝ, બંગાળી અને હિન્દી ફિલ્મ અને સંગીતક્ષેત્રે કામ કરતા હતા. તેમણે 40 અન્ય ભાષા અને બોલીઓમાં પણ ગીત ગાયાં હતાં. ગર્ગે ત્રણ વર્ષની વયથી ગાવાનું શરૂ કર્યું હતું. તેમનાં પ્રથમ ગુરુ તેમની માતા હતાં. તેમણે પંડિત રોબિન બેનર્જી પાસેથી 11 વર્ષ સુધી તબલાં વગાડવાની તાલીમ પ્રાપ્ત કરી હતી. ગુરુ રમણી રાયે તેમને અસમીઝ લોકસંગીતનો પરિચય કરાવ્યો હતો. શાળાના દિવસોથી જ તેમણે ગીતો લખવાનું શરૂ કર્યું હતું. ઝુબીન ગર્ગે 1992માં અસમીઝ સોલો આલબમ ‘અનામિકા’ સાથે એમ. કે. પ્રોડક્શનના બૅનર હેઠળ પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમણે યુવા મહોત્સવમાં તેમના વેસ્ટર્ન સોલો પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1995માં તેમનું પ્રથમ બિહુ આલબમ ‘ઉજાન પિરિતી’ રિલીઝ થયું હતું જે વ્યાપારિક રીતે સફળ રહ્યું હતું. 1990ના મધ્યમાં તેઓ મુંબઈ બોલિવુડના સંગીતઉદ્યોગમાં કામ કરવા ગયા, જ્યાં તેમનું પ્રથમ ઇન્ડિપોપ સોલો આલબમ ‘ચાંદની’ રિલીઝ થયું હતું અને ત્યારબાદ તેમણે હિન્દી આલબમ અને રિમિક્સ જેવાં કે ‘ચંદા’ (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-1 (1996), ‘શ્રદ્ધાંજલિ’ વૉલ્યુમ-2 અને 3 (1997), ‘જલવા’ (1998), ‘યૂં હી કભી’ (1998), ‘જાદુ’ (1999) અને ‘સ્પર્શ’ (2000) અને અન્ય આલબમ રેકૉર્ડ કર્યાં હતાં. ઝુબીન ગર્ગને બોલિવુડમાં તેમની સૌથી મોટી સફળતા મૂવી ‘ગેંગસ્ટર’માંથી મળી હતી જ્યાં તેમણે ‘યા અલી’ ગીત ગાયું હતું. ગર્ગનું સંગીત આત્માથી ભરેલું અને તેમનું કાર્ય લોકથી પોપ સુધી વિસ્તરેલું હતું. તેમના સંગીતમાં રોમૅન્ટિક અને ભક્તિમયથી માંડી બિહુ અને આધુનિક ગીતો સુધીની વિવિધતા જોવા મળે છે. સંગીત ઉપરાંત તેમણે અનેક અસમીઝ ફિલ્મ લખી, નિર્દેશિત અને અભિનીત કરી હતી. પરંપરાગત ગીત અને નૃત્ય વાર્તાઓને બદલે તેમણે વાસ્તવિક અને રાજકીય થીમ્સ વધુ પસંદ કરી હતી. આ ઉપરાંત તેઓ તેમનાં બોલ્ડ અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા હતા. ઝુબીન ગર્ગને 1996માં તેમના આલબમ ‘ચાંદની રાત’ માટે ચૅનલ વી મ્યુઝિક ઍવૉર્ડથી અને 2011માં અસમ કન્વેન્શન ઑફ બુક, ઇલિનિયોસ, યુ.એસ. દ્વારા વર્ષના મહેમાન કલાકાર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 27 મે, 2024ના રોજ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી, મેઘાલય દ્વારા માનદ ડૉક્ટર ઑફ લિટરેચર ડી.લિટ્.ની ડિગ્રી આપવામાં આવી હતી.

અશ્વિન આણદાણી