Categories
વાચન સમૃદ્ધિ

દેવું ચૂકવી દીધું

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન સામાન્ય માનવીની વાસ્તવિક સ્થિતિને બરાબર પારખતા હતા. તેઓ સ્વયં એક નિરક્ષર અને ગરીબ છોકરામાંથી આપબળે આગળ વધીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. વળી એક વાર નહીં, પણ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમનું જીવન નિરંતર યુદ્ધ જેવું પસાર થયું. એ સમયે અમેરિકામાં ચાર ચાર વર્ષ સુધી દક્ષિણ અને ઉત્તરનાં લશ્કરો વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યો અને એ સમયે પ્રમુખ અબ્રાહમ લિંકનને આ કાંટાળો તાજ પોતાના શિરે ધારણ કરવો પડ્યો. એક વાર સૈન્યનું નિરીક્ષણ કરવા આવેલા અબ્રાહમ લિંકન સમક્ષ વિલિયન સ્કોટ નામના યુવાનને હાજર કરવામાં આવ્યો. એના પર એવો આરોપ હતો કે એ ચોકી કરવાને સ્થળે ઊંઘી ગયો હતો અને તેથી તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. લિંકનના કરુણાભર્યા હૃદયને આવું ક્યાંથી પસંદ પડે ? એટલે એમણે એ યુવાનને કહ્યું, ‘તું મારું બિલ ચૂકવી આપીશ, તો તને ઠાર કરવામાં નહીં આવે.’ આ વાત સાંભળીને સૈનિક વિલિયમ સ્કોટ વિચારમાં પડી ગયો. એણે કહ્યું, ‘હું મારી સઘળી મિલકત ગિરવે મૂકીને આપને વધારેમાં વધારે છસો ડૉલર આપી શકું તેમ છું.’ ત્યારે લિંકને હસીને કહ્યું, ‘ના, તારે તારું દેવું સૈનિક તરીકેની તારી ફરજ બજાવીને ચૂકવવું પડશે.’ આ વાતને છ મહિના વીતી ગયા અને એક ખૂંખાર લડાઈમાં લિંકનના સૈનિકો નદી ઓળંગતા હતા, ત્યારે ઘણા સૈનિકોને તરતાં આવડતું નહોતું. વિલિયમ સ્કોટ તરવાનું જાણતો હતો, તેથી એણે જાનના જોખમે છ સૈનિકોને નદીની પાર ઉતાર્યા. એ સાતમા સૈનિકને તરતો તરતો નદીપાર લાવતો હતો, ત્યાં દુશ્મનની ગોળી એના માથા પર વાગી અને એણે જળસમાધિ લીધી. લિંકન પાસેથી મૃત્યુદંડમાંથી ક્ષમા પામેલા વિલિયમ સ્કોટે પોતાનું બલિદાન આપીને પ્રમુખનું દેવું ચૂકવ્યું !

Categories
વાચન સમૃદ્ધિ

દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !

કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ બને તેમ તેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે. આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત’ લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ. જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત્ કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ?

Categories
વાચન સમૃદ્ધિ

જીવનશિલ્પનું સર્જન

અંગ્રેજ સર્જક જૉસેફ એડિસન (જ. ઈ. 1672થી અ. ઈ. 1719) શાંતિથી પોતાનું લેખન કાર્ય કરતા હતા, ત્યારે એકાએક એમનો ભત્રીજો ધસી આવ્યો. એણે આવીને ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે ઉતાવળમાં કરેલું કામ તદ્દન બગડી ગયું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ કરવાનો બહુ અર્થ નથી. ત્યારે ભત્રીજાએ કહ્યું, ‘કાકા, મને ઠંડું, ઢીલું કે ધીમું કામ પસંદ નથી. ઠંડા અને ઢીલા લોકો પણ સહેજે ગમતા નથી. આખો જમાનો ઝડપથી દોડી રહ્યો છે, ત્યારે ધીમે ચાલનાર જમાનાથી પાછળ પડી જાય છે. વળી ઉતાવળે કામ કરવાથી શરીર પણ ચેતનવંતું રહે છે. સમજ્યા ?’ એડિસને કહ્યું, ‘આ તારી ભ્રમણા છે. હું તને ઢીલાશથી, વિલંબથી કે બિનજરૂરી રીતે ધીમે ધીમે કામ કરવાનું કહેતો નથી, પરંતુ હું તને એટલું જરૂર કહેવા માગું છું કે જે કામમાં જેટલી ઝડપ થઈ શકે તેમ હોય, એટલી જ ઝડપ કરવી. એનાથી વધુ ઝડપ ઘણી વાર કામને બગાડી નાખે છે. જમવું જરૂરી છે, પણ કોઈ એકસાથે ઝપાટાબંધ આખા દિવસનું ભેગું જમવા લાગે, તો અંતે જતાં એના પેટને નુકસાન થશે.’ ભત્રીજો બચાવ કરતાં બોલ્યો, ‘આપણી તો મેલ ટ્રેન. બાળપણથી ઝડપી કામની આદત, હવે એમાં સુધારો શક્ય નથી.’ એડિસને કહ્યું, ‘જો બીજી વ્યક્તિઓ પોતાના જીવનમાં પરિવર્તન કરી શકતી હોય તો તું કેમ ન કરી શકે ? પેલા વયોવૃદ્ધ વિશે તારી ધારણા હતી કે આટલી મોટી ઉંમરે એ પરીક્ષા આપીને શું ઉકાળશે, પણ તેં જોયું કે એમણે મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો.’’ ‘હા, એ વૃદ્ધ વિશેની મારી ધારણા ખોટી ઠરી. એની મહેનતનું એ પરિણામ છે.’ ‘તો તું પણ તારે વિશેની ધારણા ખોટી પાડી શકે ને ? કલાકૃતિ કંડારતા શિલ્પી તરફ નજર કર. એ શિલ્પીઓએ અખૂટ ધીરજથી તૈયાર થયેલી કલાકૃતિઓ માત્ર ઇમારત નથી રહી, પરંતુ સંસ્કૃતિનું યશોગાન કરતી પ્રેરણા બની છે.’