Categories
વાચન સમૃદ્ધિ

તથ્યને સત્ય માનીને અનિષ્ટો સર્જ્યાં !

તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિઓ સર્જાઈ છે ! વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલા તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવા તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટો સર્જાયાં છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદા જુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજો સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.

Categories
વાચન સમૃદ્ધિ

જીવતા દેહને સતત સળગાવનારી ચિતા

તમે રાત-દિવસ ચિંતાથી ઘેરાયેલા રહો છો ? તમારું મન આ પ્રકારની કે તે પ્રકારની ચિંતાથી વિહવળ રહ્યા કરે છે ? ભૂતકાળની ચિંતા, ભવિષ્યની ફિકર અને વર્તમાનની અકળામણ તમારા મનને સતત પરેશાન કરે છે. જાણે જીવનનો પર્યાય જ છે ચિંતા ! સવાલ એ જાગે કે આ ચિંતા કેમ કેડો જ છોડતી નથી ! પરંતુ તમારી આ ચિંતાઓમાં કેટલીક ચિંતા એવી છે કે જે વ્યર્થ અને અર્થહીન છે. અમુક પરિસ્થિતિને તમે બદલી શકો તેમ નથી, છતાં તેને માટે ચિંતા કર્યે જાવ છો. માણસની પ્રકૃતિને તમે ફેરવી શકો તેમ નથી, છતાં એની કોશિશમાં ડૂબેલા છો. સમાજની તરાહ કે દેશનાં દૂષણોની ફિકર કરીને કરીશું શું ? આમ ચિંતા કરીને સમય અને જીવનને વ્યર્થ બરબાદ કરશો નહીં. ચિતા માનવીના મૃતદેહને જલાવે છે, પણ એ પૂર્વે ચિંતાએ એના જીવંત દેહને કેટલીય વાર જીવતો સળગાવ્યો છે. ક્યારેક વર્તમાનની સમસ્યાએ એનામાં ચિંતા ઊભી કરી છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાએ એનામાં ચિંતાનું સર્જન કર્યું છે. ચાળીસ વર્ષના માનવી પાસે ચારસો વર્ષ ચાલે તેટલું ચિંતાનું ભાથું હોય છે. વળી એ પોતાની ચિંતા બીજાનેય ઉધાર આપતો રહે છે. બીજી બાબત એવી છે કે જેને તમે ફેરવી શકો છો, બદલી શકો છો, તેની ચિંતા છોડીને તેને એના પરિવર્તનના કામમાં મંડી પડો ! ચિંતા કરવાને બદલે અમલનો વિચાર કરો. ચિંતા મનનો બોજ સતત વધારતી રહે છે. ચિંતા તો નાની હોય છે, પણ એનો જ વિચાર કરવાને કારણે દસ ગણી મોટી થઈ જાય છે ! મૂળ પ્રશ્ન નાનો હોય, પણ ચિંતાને કારણે મહાપ્રશ્ન બની જાય છે, માટે ચિંતાને તમારા જીવનમાં યોગ્ય સ્થાન આપો. ક્યાં છે એ ચિંતાનું તમારા જીવનમાં સ્થાન ? એનું સ્થાન છે તમારા જીવનની બહાર !