Categories
વાચન સમૃદ્ધિ

ગૂંગળાતો અહંકાર વધુ ઘાતક હોય છે

પ્રત્યક્ષ દેખાતો અને સામી વ્યક્તિને વાગતો અહંકાર એ સ્પષ્ટ ને પારદર્શક અહંકાર છે, જ્યારે બીજો અહંકાર એ વ્યક્તિના ભીરતમાં પેદા થતો ગુપ્ત અહંકાર છે. પ્રત્યક્ષ અહંકાર એટલા અર્થમાં સારો ગણાય કે સામી વ્યક્તિને એનો ખ્યાલ આવે છે. ગુપ્ત અહંકાર એનાથી વધુ ભયાવહ ગણાય કે જેનો વ્યક્તિને સ્વયં અણસાર પણ આવતો નથી. એક અહંકાર એવો છે કે જેમાં વ્યક્તિ પોતાનાં રૂપ, ધન કે સત્તાનો અહંકાર કરતી હોય છે, જ્યારે બીજો અહંકાર એવો હોય છે કે એ વ્યક્તિને એમ લાગે કે એ ધન છોડીને ત્યાગી થઈ છે. એને એમ થાય કે એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી છે અથવા તો એણે સાધનાથી અમુક સિદ્ધિ મેળવી છે. પહેલા પ્રકારના અહંકારમાં માનવીની મૂઢતા છે. જ્યારે બીજા પ્રકારના અહંકારમાં એને એની મૂઢતાનો ખ્યાલ પણ હોતો નથી. પહેલી મૂઢતા ઠેર ઠેર જોવા મળશે. બીજી મૂઢતા ક્યાંક જ નજરે પડશે, પરંતુ પહેલી મૂઢતાનો ઇલાજ આસાન છે, જેમાં રોગ નજરોનજર છે; પરંતુ બીજી મૂઢતાનો – અહંકારનો – ઉપચાર મુશ્કેલ છે, કારણ કે એમાં બીમારને સ્વયં પોતાની બીમારીનો ખ્યાલ નથી. એને પરિણામે એના હૃદયમાં એ અહંકાર વધુ ને વધુ ફૂલતો-ફાલતો જાય છે અને દૃઢ આસન જમાવી દે છે. પ્રગટપણે જોવા મળતો અહંકાર સારો એ માટે કે એમાં અહંકારીના અહમનું પ્રાગટ્ય થઈ જાય છે. એનું વિવેચન થાય છે. અન્યને એનો અનુભવ પણ થાય છે. ગુપ્ત અહંકાર અહંકારીના હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે અને એ ઘૂંટાયેલો અહંકાર સ્પષ્ટ રૂપે પ્રગટ થવાને બદલે દ્વેષ, કટુતા, તોછડાઈ કે વેરભાવમાં પ્રગટ થતો હોય છે. આ અહંકાર અહંકારીને માટે ઘાતક બને છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાનો પ્રત્યુત્તર

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.

એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’

Categories
વાચન સમૃદ્ધિ

અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !

રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે  સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.