Categories
વાચન સમૃદ્ધિ

એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર

વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નારીનું સન્માન

ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અતિ મહત્ત્વાકાંક્ષી અને સત્તાલોભી તરીકે વર્ણવવામાં આવ્યો છે; પરંતુ એનાં કાર્યો જોતાં એમ લાગે કે એ કુશળ વહીવટકર્તા, પ્રજામાં શાંતિ સ્થાપનારો અને રાષ્ટ્રને માટે યોગ્ય શાસનવ્યવસ્થા કરનારો હતો. ફ્રાન્સને ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજિત કર્યું. સૌથી વિશેષ તો ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને ન્યાયાધીશોની સુરક્ષિતતા અને તાટસ્થ્ય જળવાઈ રહે, તે માટે નિયુક્તિની પ્રથા અમલમાં મૂકી. આ ઉપરાંત શિક્ષણ, અર્થતંત્ર અને લશ્કરી તંત્રના ક્ષેત્રે સુધારાઓ કરીને રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એણે વિજય મેળવ્યા હતા તેવા પ્રદેશોમાંથી પણ સામંતશાહીને નાબૂદ કરી હતી. પરાજિત દેશોમાં પણ એણે બંધારણ અને નાગરિક કાનૂનસંહિતા પણ દાખલ કરી હતી અને એ રીતે પરાજિત દેશોના વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો. આવા સમ્રાટ નેપોલિયને ફ્રાંસની પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો અને ફ્રાંસની સ્ત્રીઓને શક્તિ અને સંસ્કારના પ્રતીક તરીકે એણે સન્માન આપ્યું. સમ્રાટ નેપોલિયનના મહેલમાં એક ભવ્ય સ્નાનગૃહ તૈયાર થતું હતું અને આવા સમર્થ વિજેતા સમ્રાટના સ્નાનગૃહમાં દીવાલો પર ચિત્રકારોએ સુંદર ચિત્રકૃતિઓ અંકિત કરી. સ્નાનગૃહનું કાર્ય પૂર્ણ થયા પછી સમ્રાટ નેપોલિયન સ્નાન કરવા માટે ગયો, ત્યારે એની નજર દીવાલો પરનાં ચિત્રો પર પડી. એણે જોયું તો એના પર કામોત્તેજના જગાવે તેવી સુંદરીઓનાં કલામય ચિત્રો આલેખ્યાં હતાં. આવાં ચિત્રો જોતાં જ નેપોલિયન સ્નાનગૃહમાંથી બહાર આવ્યો અને રાષ્ટ્રના અધિકારીઓને બોલાવીને કઠોર ઉપાલંભ આપતાં કહ્યું, ‘સ્ત્રીઓનું સન્માન કરવું ઘટે, એને બદલે અહીં તો ચિત્રકારોએ વિલાસપૂર્ણ કામુક ચિત્ર દોરીને સ્ત્રીઓનું અપમાન કર્યું છે. કોઈ સેનાની કે સમ્રાટ સ્ત્રીઓનું આવું અપમાન સાંખી શકે નહીં, કારણ કે જે દેશ સ્ત્રીઓને વિલાસનું સાધન માને છે, તે દેશનો વિનાશ થાય છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી

આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે’ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ર્ચિત રસ્તો હોય છે. જુદા જુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ. આ માર્ગે વ્યક્તિ જેમ જેમ આગળ ધપે છે તેમ તેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ર-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત એને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે. સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું, પણ આંતરજગતમાં તો પળે પળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે અને એ રીતે તે ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.

કુમારપાળ દેસાઈ