અડગ કાર્યનિષ્ઠા


નોબેલ પારિતોષિક વિજેતા, સાપેક્ષતા(રિલેટિવિટી)ના સિદ્ધાંતના સ્થાપક એવા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) પોતાના સાથી મદદનીશ સાથે એક સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા હતા. એક પછી એક કાગળો લખતા ગયા અને અંતે સંશોધનલેખ પૂરો થયો ત્યારે એમણે એ કાગળોને એક સાથે રાખવા માટે મોટી યૂ-પિનની જરૂર પડી. પુસ્તકો અને કાગળોના ઢગ વચ્ચે આ મહાન વિજ્ઞાનીએ મોટી યૂ-પિનની શોધ ચલાવી, પણ મળતી નહોતી. આખરે રૂમમાં બધું ફેંદી વળતાં એકમાત્ર યૂ-પિન મળી અને તે પણ સાવ વળી ગયેલી ! આઇન્સ્ટાઇને એ પિનને સીધી કરવાનું વિચાર્યું. એને બરાબર ટીપવા માટે કોઈ સાધન શોધતા હતા, ત્યાં તો યૂ-પિનનું આખું બૉક્સ મળી આવ્યું. મદદનીશે વિચાર્યું કે આખું બૉક્સ મળતાં આઇન્સ્ટાઇનને નિરાંત થઈ હશે, પરંતુ આઇન્સ્ટાઇને તો એ યૂ-પિન સીધી કરવાનું કામ ચાલુ રાખ્યું. એમનો મદદનીશ આ જોઈને બોલી ઊઠ્યો. ‘અરે, હવે નવી યૂ-પિનનું આખું બૉક્સ મળી ગયું છે, પછી આ વાંકી વળી ગયેલી પિનને સીધી કરવાની શી જરૂર ? એની પાછળ શાને સમય વેડફો છો?’ આઇન્સ્ટાઇને કહ્યું, ‘જુઓ, એક વાર હું જે કામ કરવાનું નક્કી કરું છું, એમાંથી ચલિત થવાનું ક્યારેય પસંદ કરતો નથી.’ અને આઇન્સ્ટાઇને વાંકી વળેલી પિન બરાબર કરીને એને કાગળોમાં બરાબર ભરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અધ્યાપક આઇન્સ્ટાઇનને એમની યુનિવર્સિટીના એક અધ્યાપકે એમના જીવનમંત્ર વિશે પૂછ્યું, ત્યારે આઇન્સ્ટાઇને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

કુમારપાળ દેસાઈ

‘સંતોષ’નું સોહામણું લેબલ


આપીએ છીએ ==========================

પદ મળે એટલે પ્રગતિ અટકી જાય, સ્થાન મળે એટલે સ્થગિત ગઈ જવાય. હોદ્દો મળે એટલે આગળ વધવાની હિંમત ઠરી જાય. સામાન્ય રીતે જીવનમાં પ્રાપ્તિ પછી વ્યક્તિ સ્થગિત થઈ જતી હોય છે. એ પોતાની આસપાસ કાર્યની લક્ષ્મણરેખા આંકી દે છે અને એની બહાર પગ મૂકવાની એ કલ્પના કરતી નથી. આવી વ્યક્તિની સ્થિતિસ્થાપક વૃત્તિ એના હૃદયની સુષુપ્ત શક્તિઓને રૂંધી નાખે છે. પોતાને પ્રાપ્ત થયેલા હોદ્દામાં એને સંતોષ હોય છે અને ધીરે ધીરે એ હોદ્દો કે પદ એના જીવનને ઘેરી લે છે. એનો ઉત્સાહ ઓછો થવા માંડે છે અને એક સમય એવો આવે છે કે એનું જીવન વહેતી નદી રહેવાને બદલે બંધિયાર સરોવર જેવું બની જાય છે. ઉચ્ચ પદ મેળવવાની એની યોગ્યતા ભૂંસાઈ જાય છે અને કાર્યક્ષમતાનો વિકાસ થતો નથી. એક વાર એક કર્મચારીનો ઉપરી અધિકારી ગેરહાજર હતો અને એ કર્મચારીને એના ઉપરી અધિકારીનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એને જાણ થઈ કે એનામાં હજી ઘણી પ્રગતિની શક્યતાઓ અને વિકાસની તકો પડેલી છે. બહુ ઓછી વ્યક્તિઓને પોતાની યોગ્યતાનો પરિચય હોય છે અને તેને કારણે પોતાની જાતને પ્રગતિની કસોટી પર મૂકવાને બદલે પ્રાપ્ય સ્થિતિમાં સંતોષ માનીને યથાસ્થાને જીવન ગુજારે છે. આવી વ્યક્તિ જીવનમાં કોઈ નવો પડકાર ઝીલવાની ઇચ્છા કે ગુંજાશ રાખતી નથી. પોતાની શક્તિની આસપાસ કૂંડાળું વળીને બેઠેલા સાપની જેમ એ એને એવો વીંટળાઈ વળે છે કે પછી એમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. આ સ્થિતિસ્થાપકતા પર ‘સંતોષ’નું સોહામણું લેબલ લગાડે છે અને પોતે રચેલા સીમાડાની પ્રતિષ્ઠા કરે છે. સમય જતાં આવી વ્યક્તિમાંથી મૌલિકતા ઓસરતી જાય છે અને સાહસિકતા સુકાઈ જાય છે.

કુમારપાળ દેસાઈ

પુરુષાર્થને પડકાર


મોટરની એક ફૅક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મોટરના પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જાણકારી હતી. બધા મિકૅનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકૅનિક ગણાતો હતો. મોટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકૅનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપૅર કરીને મોટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે જ કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફૅક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યાં અને કહ્યું, ‘અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.’ ફૅક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, ‘જો આ રીતે મોડા જ આવવું હોય તો ફૅક્ટરીના કારીગર નહીં, પણ ફૅક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાચવવો જોઈએ.’ માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફૅક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફૅક્ટરી ઊભી કરી અને પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું.

કુમારપાળ દેસાઈ