Categories
વાચન સમૃદ્ધિ

સંકલ્પને કોઈ સીમા હોતી નથી

માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને  આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદનો પિતા

સ્પેનમાં આંતરવિગ્રહનો ચરુ ઊકળતો હતો. સ્પેનની સરકાર અને સામ્યવાદી પક્ષ વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલતો હતો. સ્પેનની સેનાનું નેતૃત્વ કર્નલ માર્સ્કરાડો કરતા હતા. કર્નલ પાસે લશ્કરી વ્યૂહરચનાની આગવી કુનેહ હતી. એમની કાબેલિયતને પરિણામે સામ્યવાદીઓને ઠેરઠેરથી ઘોર પરાજય સહન કરવા પડ્યા. દુશ્મનોએ સ્પેનના લશ્કરના કર્નલ માર્સ્કરાડોના પુત્ર ઇમેન્યુઅલનું અપહરણ કર્યું. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં અભ્યાસ કરતા ઇમેન્યુઅલનું અપહરણ કર્યા બાદ સામ્યવાદી દળોએ કર્નલને ચીમકી આપતાં કહ્યું, ‘તારો પુત્ર ઇમેન્યુઅલ અમારા કબજામાં છે. જો એને જીવતો રાખવા ચાહતો હોય, તો રાજધાની મૅડ્રિડમાંથી તમારી સેના હટાવી લો. અમારે શરણે આવો, મૅડ્રિડ અમારે હવાલે કરી દો.’ રાષ્ટ્રભક્ત કર્નલ માર્સ્કરાડોએ વિરોધીઓને આનો ઉત્તર આપતાં લખ્યું, ‘મને દેશની પહેલી ચિંતા છે, દીકરાની નહીં. રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યમાંથી હું સહેજે ચલિત નહીં થાઉં. અપહૃત ઇમેન્યુઅલને તમે ઇચ્છો તે સજા કરી શકો છો.’ સામ્યવાદી દળો તો આ ઉત્તર સાંભળીને અકળાઈ ઊઠ્યાં. એમને થયું કે કર્નલની સાથે એમનો લાચાર પુત્ર વાત કરશે, એટલે એની સાન ઠેકાણે આવશે. ઇમેન્યુઅલને વાત કરવા માટે ફોન આપવામાં આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘પિતાજી, દુશ્મનોએ છળકપટથી મારું અપહરણ કર્યું છે અને હવે મને સતત મારી નાખવાની ધમકી આપે છે.’ માર્સ્કરાડોએ એના પુત્રને રાષ્ટ્રપ્રેમીને છાજે તેવા શબ્દોમાં કહ્યું, ‘દીકરા, રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યને તું જાણે છે. તારી ફરજનો પણ તને પૂરો ખ્યાલ છે અને તેથી જ એક શહીદના પિતા તરીકે ઓળખાવું મારે મન મહાન ગૌરવભરી બાબત બની રહેશે.’ આ સંવાદ સાંભળતાં સામ્યવાદી પક્ષના નેતાઓએ ઇમેન્યુઅલના કપાળમાં ગોળી મારીને એની હત્યા કરી. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યમાં પિતા-પુત્ર એકેયે પાછી પાની કરી નહીં.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન

યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું. એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે. મનને પૂર્ણ રૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે. મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી પરમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ, મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહરહિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.