Categories
વાચન સમૃદ્ધિ

ઢોળાયેલા દૂધની ચિંતા

ન્યૂયૉર્કના બ્રોંક્સના 939 વુડિક્રિસ્ટ ઍવન્યુમાં આવેલી જ્યોર્જ વૉશિંગ્ટન હાઈસ્કૂલમાં શરીરવિજ્ઞાનના શિક્ષક બ્રાન્ડવાઇન વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ ગયા. એમણે દૂધની એક બૉટલ ડેસ્કના સાવ છેડે રાખી હતી અને વિદ્યાર્થીઓ એ બૉટલને જોઈને વિચારવા લાગ્યા કે આ દૂધની બૉટલનો શરીરવિજ્ઞાન સાથે શું સંબંધ હશે ? એવામાં એકાએક બ્રાન્ડવાઇન ઊઠ્યા, ડેસ્ક થોડું હાલ્યું અને બૉટલ નીચે પડી ગઈ. એમાંનું બધું દૂધ ઢોળાઈ ગયું અને વિદ્યાર્થીઓએ ભારે શોરબકોર કર્યો, ત્યારે શિક્ષક બ્રાન્ડવાઇને કહ્યું કે, ‘દૂધ હવે વહી ગયું છે. આમ રડવાથી હવે ફાયદો શું ? તમે ગમે તેટલો કકળાટ કરશો, તોપણ દૂધનું એક ટીપું તમને મળે તેમ નથી. જો થોડી સાવધાની રાખી હોત તો દૂધની બૉટલ પડી ન હોત, પણ હવે બીજું કંઈ થઈ શકે તેમ પણ નથી. આથી આ ઘટનાને ભૂલીને બીજા કામમાં ડૂબી જાવ, નહીં તો આ ઘટનાનો માત્ર અફસોસ કરતા જ રહેશો.’ અધ્યાપક બ્રાન્ડવાઇનની આ સલાહ સાંભળતાં જ વિદ્યાર્થી એલન સાઉન્ડર્સનું ચિત્ત ચમક્યું, કારણ કે ઘણા લાંબા સમયથી એના મન પર ચિંતાનું એક ભૂત સવાર થઈ ગયું હતું. પોતાની ભૂલને માટે એ સતત ક્ષુબ્ધ અને અશાંત રહેતો હતો. આખી રાત એ બનાવ વિશે વિચારતો અને આમતેમ પડખાં ઘસતો હતો. એની ભૂલ એને સૂવા દેતી નહોતી, તેથી વિચારતો કે આવી સ્થિતિમાં હું પરીક્ષામાં કઈ રીતે સફળ થઈશ. વળી એમ વિચારતો કે મેં પેલી ભૂલ કરી એને બદલે જુદી રીતે કામ કર્યું હોત તો ભૂલ થાત નહીં. ક્વચિત્ એમ પણ થતું કે એણે અમુક રીતે વાત કરી એને બદલે બીજી રીતે વાત કરી હોત, તો વધુ સારું થાત, પણ જ્યારે શિક્ષકે કહ્યું કે, ભૂલ થતી હોય તો સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો એના પસ્તાવામાં જ આખું જીવન કાઢી નાખવું તે ખોટું છે. એમ કરવાથી તો કશું નહીં વળે.

Categories
વાચન સમૃદ્ધિ

વિષાદયોગનો મર્મ

‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.

Categories
વાચન સમૃદ્ધિ

મારી હારથી આનંદ

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ