Categories
વાચન સમૃદ્ધિ

સાંધીને પણ પહેરીશું

સ્થિત-વિદ્યુત(સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત આપનાર પ્રસિદ્ધ વિજ્ઞાની, પ્રકાશક, સંશોધક અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું તથા અમેરિકાનું બંધારણ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર બેન્જામિન ફ્રેન્કલિન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતાનાં જુદાં જુદાં વ્યાપારી સાહસોમાંથી પૂંજી મેળવીને તેમણે વિદ્યુત અંગે પ્રયોગો કર્યા. કેટલીક શોધો કર્યા બાદ બેન્જામિન ફ્રેન્કલિને મુત્સદ્દી તરીકે કામગીરી બજાવી. તેમણે ઈ. સ. ૧૭૫૦થી ૧૭૭૦ સુધી લંડનમાં વસવાટ કર્યો, પરંતુ ત્યાં તેઓ અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા. આ સમયે અમેરિકા આઝાદીની લડત લડી રહ્યું હતું અને બેન્જામિન ફ્રેન્કલિન લંડનમાં રહ્યે રહ્યે એ ક્રાંતિના સક્રિય સમર્થક બની રહ્યા. બ્રિટને ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામનો કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અમેરિકામાં આનો પ્રબળ વિરોધ થયો. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે આ અંગે એક સમિતિ નીમી અને એ સમિતિમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે બેન્જામિન ફ્રેન્કલિન હતા. એમને પૂછવામાં આવ્યું કે ‘અમેરિકનો પહેલાં કઈ બાબતમાં ગૌરવ અનુભવતા હતા?’ બેન્જામિન ફ્રેન્કલિન ઇંગ્લૅન્ડના એના પ્રભુત્વ હેઠળના દેશોમાં કપડાંની ઇજારાશાહી લાદવાના પ્રયત્નથી વાકેફ હતા, તેથી એમણે કહ્યું, ‘પહેલાં અમેરિકનો ઇંગ્લૅન્ડનાં ફૅશનેબલ કપડાં પહેરવામાં ગૌરવ માનતા હતા.’  એમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘અમેરિકનો હાલ શેમાં ગૌરવ માને છે ?’ બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, ‘હવે અમે અમેરિકનો અમારા જ દેશનાં કપડાં પહેરવામાં ગૌરવ માનીએ છીએ. અને કદાચ જો નવાં ન મળે, તો સાંધીને પણ પહેરવાનું અમને ગમે છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે !

પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું કારણ પોતાના માલિકને માને છે. આમ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું બીજા પર દોષારોપણ કરતી હોય છે. જીવનમાં નિષ્ફળ ગયેલો પુરુષ એના કારણ રૂપે પત્નીનો વિચિત્ર સ્વભાવ, પુત્રનું ઉદ્ધત વર્તન, પડોશીઓ દ્વારા થતી પંચાત કે પછી નબળા સંયોગોને માનતો હોય છે. આ રીતે દોષારોપણ એ એક એવો ચેપી રોગ છે, જે એક વાર વ્યક્તિના મનને વળગ્યો એટલે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એના ચિત્તનું આ જ રીતે ‘પ્રોગ્રામિંગ’ થઈ જાય છે. એ પોતાની સમસ્યાના કારણ માટે પોતાની જાતને જોવાને બદલે અન્યને જુએ છે. સમસ્યાનો વિચાર કરવાને બદલે એ કારણભૂત માને છે તેવી બીજી વ્યક્તિનો વિચાર કરે છે અને આમ કરીને એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. પોતાની સમસ્યા કે પોતાની નિષ્ફળતાને માટે એ સ્વયં જવાબદાર હોવા છતાં દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવા અતિ આતુર હોય છે. જીવનની સચ્ચાઈ જાણવા માટે પોતાની નિષ્ફળતાના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જોવું જોઈએ. પોતાની વૃત્તિ, મર્યાદા, સ્વભાવ અને શક્તિ-સામર્થ્યને લક્ષમાં રાખીને સમગ્રતયા વિચાર કરવો જરૂરી બને છે. જો એ અન્ય પર દોષારોપણ કરવા લાગશે, તો સ્વદોષની ઉપેક્ષા કરતો રહેશે. એની પોતાની જાતની સાચી ઓળખ વિના સફળતા હાથ લાગે કઈ રીતે ?

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ