Categories
વાચન સમૃદ્ધિ

જીવનશિલ્પનું સર્જન

અંગ્રેજ સર્જક જૉસેફ એડિસન (જ. ઈ. 1672થી અ. ઈ. 1719) શાંતિથી પોતાનું લેખન કાર્ય કરતા હતા, ત્યારે એકાએક એમનો ભત્રીજો ધસી આવ્યો. એણે આવીને ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે ઉતાવળમાં કરેલું કામ તદ્દન બગડી ગયું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ કરવાનો બહુ અર્થ નથી. ત્યારે ભત્રીજાએ કહ્યું, ‘કાકા, મને ઠંડું, ઢીલું કે ધીમું કામ પસંદ નથી. ઠંડા અને ઢીલા લોકો પણ સહેજે ગમતા નથી. આખો જમાનો ઝડપથી દોડી રહ્યો છે, ત્યારે ધીમે ચાલનાર જમાનાથી પાછળ પડી જાય છે. વળી ઉતાવળે કામ કરવાથી શરીર પણ ચેતનવંતું રહે છે. સમજ્યા ?’ એડિસને કહ્યું, ‘આ તારી ભ્રમણા છે. હું તને ઢીલાશથી, વિલંબથી કે બિનજરૂરી રીતે ધીમે ધીમે કામ કરવાનું કહેતો નથી, પરંતુ હું તને એટલું જરૂર કહેવા માગું છું કે જે કામમાં જેટલી ઝડપ થઈ શકે તેમ હોય, એટલી જ ઝડપ કરવી. એનાથી વધુ ઝડપ ઘણી વાર કામને બગાડી નાખે છે. જમવું જરૂરી છે, પણ કોઈ એકસાથે ઝપાટાબંધ આખા દિવસનું ભેગું જમવા લાગે, તો અંતે જતાં એના પેટને નુકસાન થશે.’ ભત્રીજો બચાવ કરતાં બોલ્યો, ‘આપણી તો મેલ ટ્રેન. બાળપણથી ઝડપી કામની આદત, હવે એમાં સુધારો શક્ય નથી.’ એડિસને કહ્યું, ‘જો બીજી વ્યક્તિઓ પોતાના જીવનમાં પરિવર્તન કરી શકતી હોય તો તું કેમ ન કરી શકે ? પેલા વયોવૃદ્ધ વિશે તારી ધારણા હતી કે આટલી મોટી ઉંમરે એ પરીક્ષા આપીને શું ઉકાળશે, પણ તેં જોયું કે એમણે મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો.’’ ‘હા, એ વૃદ્ધ વિશેની મારી ધારણા ખોટી ઠરી. એની મહેનતનું એ પરિણામ છે.’ ‘તો તું પણ તારે વિશેની ધારણા ખોટી પાડી શકે ને ? કલાકૃતિ કંડારતા શિલ્પી તરફ નજર કર. એ શિલ્પીઓએ અખૂટ ધીરજથી તૈયાર થયેલી કલાકૃતિઓ માત્ર ઇમારત નથી રહી, પરંતુ સંસ્કૃતિનું યશોગાન કરતી પ્રેરણા બની છે.’

Categories
વાચન સમૃદ્ધિ

આપણા પર્યાવરણની ચિંતા કરીએ !

તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તક-સામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકત જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએે. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરે ધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર કર્યાં કરે.

Categories
વાચન સમૃદ્ધિ

આગવો અભિગમ

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડૉલ્ફ સેલ્ત્ઝે મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમૅનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી. એડૉલ્ફ સેલ્ત્ઝે ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી. આથી ઉશ્કેરાયેલા સેલ્સમૅનો શાંત પડ્યા અને પછી એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ રજૂ કર્યા. એડૉલ્ફ સેલ્ત્ઝ બ્લૅકબોર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, ‘તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?’ પછી તો સેલ્સમૅનોએ કહ્યું, ‘અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રામાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંઘભાવનાથી કાર્ય કરવું જોઈએ.’ આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમૅનોએ તો દિવસના ચૌદ કલાક કામ કરવાની સામે ચાલીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો. પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એડૉલ્ફ સેલ્ત્ઝે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.