Categories
વાચન સમૃદ્ધિ

પરવાનગીનો ઇન્કાર

1922માં જાપાન સરકારના નિમંત્રણથી વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રવાસે ગયા. સ્ટીમરમાંથી આઇન્સ્ટાઇન જાપાનના દરિયાકિનારે ઊતર્યા, ત્યારે એમનું ભવ્ય બહુમાન થયું. જાપાન સરકારે આ મહાન વિજ્ઞાનીના આગમનના દિવસે રજા જાહેર કરી હતી અને આઇન્સ્ટાઇનના સ્વાગત માટે સ્વયં સમ્રાજ્ઞી પધાર્યાં હતાં. વિશાળ વ્યાખ્યાનખંડમાં જાપાનીઝ લોકો વચ્ચે આઇન્સ્ટાઇને એમના વક્તવ્યનો પ્રારંભ કર્યો. જાપાનના એ શહેરમાં ચારેક કલાક સુધી વક્તવ્ય આપ્યું. એ પછી એમને મનોમન થયું કે તેઓ બહુ લાંબું બોલ્યા. આટલું લાંબું ભાષણ આપવું જોઈએ નહીં. પરિણામે એ પછીના શહેરમાં આઇન્સ્ટાઇને માત્ર બે કલાકમાં પોતાનું ભાષણ સમેટી લીધું. એમને લાગ્યું કે એ આ વખતે લાંબું બોલ્યા નથી, તેથી શ્રોતાઓને અનુકૂળ રહ્યું હશે. પણ વાત સાવ વિપરીત બની. નગરજનોએ આવીને આઇન્સ્ટાઇનને ફરિયાદ કરી કે અગાઉના નગરમાં તમે ચાર કલાક બોલ્યા હતા અને અમને માત્ર બે કલાકનો જ સમય કેમ આપ્યો ? આમાં અમારો કંઈ વાંકગુનો ખરો? જાપાનમાં પર્વતના ઢાળ પર કે સાંકડી ગલીમાં માણસ ઠેલા-ગાડીમાં જતો હતો. સહુએ આઇન્સ્ટાઇનને કહ્યું કે ‘તમે આ રિક્ષામાં બેસો’ અને ત્યારે આઇન્સ્ટાઇને સ્પષ્ટ ઉત્તર આપ્યો, ‘બીજા કોઈ માનવીને પ્રાણી તરીકે વાપરવાની અને મને ખેંચવાની પરવાનગી હું કદી આપું નહીં.’ અને આઇન્સ્ટાઇન ચાલીને જાપાનની સાંકડી ગલીઓમાં ઘૂમતા રહ્યા અને પર્વતના ઢાળ ઉપર ચડતા રહ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સાચા સાધુનું લક્ષણ

હજરત ઇબ્રાહીમ એમ માનતા હતા કે પ્રત્યેક ધર્મ એ માનવીને નેકી અને ઈમાનદારીના રાહ પર ચાલવાનો સંદેશ આપે છે અને બૂરાઈથી બચવા માટેની જાતજાતની તરકીબ બતાવે છે. આથી ભલે ધર્મોનું બાહ્ય રૂપ ભિન્ન હોય, પરંતુ એનું આંતરિક રૂપ સમાન છે. સઘળા ધર્મોના પાયામાં માનવકલ્યાણની ભાવના જ રહેલી છે. હજરત ઇબ્રાહીમના મનમાં સતત એવી જિજ્ઞાસા રહેતી કે આટલા બધા ઉપદેશકો અને ઉપદેશો હોવા છતાં લોકોને કેમ ધર્મનો સાચો સાર સમજાતો નથી ? પોતાના આ પ્રશ્નના ઉત્તર માટે હજરત ઇબ્રાહીમ જુદા જુદા સંતોને મળતા હતા અને સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સતત પ્રયાસ કરતા હતા. એક વાર આ સંદર્ભમાં તેઓ એક સંતને મળવા ગયા. બંને વચ્ચે ધર્મતત્ત્વની બાબતમાં જ્ઞાનપૂર્ણ સંવાદ ચાલ્યો. વિચારવિમર્શ ઘણો કર્યો, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં. આ વાર્તાલાપ દરમિયાન હજરત ઇબ્રાહીમને સંતની વિચારધારા અને એમના દૃષ્ટિકોણનો બરાબર પરિચય મળી ગયો. સંતના સીમિત જ્ઞાનનો સંકેત પામી ગયા, આમ છતાં એમણે એ સંતને પ્રશ્ન કર્યો, ‘સાચા સાધુનાં મહત્ત્વપૂર્ણ લક્ષણો કયાં હોય ?’ ત્યારે સંતે મસ્તીથી જવાબ આપ્યો, ‘ભોજન મળે તો ખાઈ લે અને ન મળે તો સંતોષ માને.’ હજરત ઇબ્રાહીમને લાગ્યું કે સંતની દૃષ્ટિ ઘણી સંકુચિત છે, એથી એમણે કહ્યું, ‘અરે, આવું તો શેરીનો કૂતરો પણ કરે છે. આમાં શું ?’ સંત નિરુત્તર બની ગયા અને હજરત ઇબ્રાહીમને વિનંતી કરી કે ‘મારા ઉત્તરથી તમને સંતોષ થયો નથી, તો તમે જ સાચા સાધુનું લક્ષણ કહો ને !’ ઇબ્રાહીમે કહ્યું, ‘મળે તો વહેંચીને ખાય અને ન મળે તો પ્રભુની કૃપા માનીને પ્રસન્ન ચિત્તે વિચારે કે દયામયે એને તપશ્ચર્યા કરવાનો કેવો સુંદર અવસર પૂરો પાડ્યો !’ ઇબ્રાહીમની ભાવના જોઈને સંત ખુશ થઈ ગયા.

Categories
વાચન સમૃદ્ધિ

તૃષ્ણાની દોડ

પ્રાતઃકાળના ખુશનુમા વાતાવરણમાં જાગ્યા પછી તમે આસપાસ વહેતા પવનનો આભાર માન્યો છે ખરો ? એણે બક્ષેલી જિંદગી માટે સહેજે ઉપકારભાવ સેવ્યો છે ખરો ? આમ તો આ હવા વિના આપણે ત્રણ મિનિટથી વધુ જીવી શકીએ તેમ નથી, છતાં એના પ્રત્યે આદરભાવ સેવ્યો છે ખરો ? ક્યારેય તમે ભોજન કે નિદ્રાને ‘થૅન્ક યૂ’ કહ્યું છે ખરું ? અન્નને આપણે દેવ માનીએ છીએ, પરંતુ ભોજન સમયે એ દેવનાં દર્શન કર્યાં છે ખરાં ? આપણા જીવનમાં સ્નેહ અને પ્રેમની જરૂર છે, પણ ક્યારેય એ હૂંફ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો છે ખરો ? હકીકતમાં હવા, પાણી, અન્ન કે લાગણી જેવી આપણા જીવનની અનિવાર્ય જરૂરિયાતો પ્રત્યે આપણે ઘોર ઉપેક્ષા સેવીએ છીએ અને આપણી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પ્રતિ આકર્ષણ અનુભવીએ છીએ. વર્તમાનયુગમાં તો માનવી સઘળું છોડીને અને આંખો મીંચીને સતત ઇચ્છાના સુવર્ણમૃગની પાછળ દોડી રહ્યો છે. ઇચ્છા અનંત છે, એનો કદી કોઈ છેડો હોતો નથી અને તેમ છતાં માનવી અનંતકાળથી ઇચ્છાતૃપ્તિ માટે દોડતો રહે છે. વિચાર કરો કે ઘણા લાંબા સમય બાદ તમારી ઇચ્છાની પરિતૃપ્તિ થઈ અને અનેક ફિચર્સ ધરાવતો ખૂબ મોંઘો મોબાઇલ ખરીદ્યો. ઘેર આવ્યા બાદ એ મોબાઇલ ખોલતાં એવી જાહેરાત જોઈ કે તમે ખરીદેલા મોબાઇલ કરતાં ઘણી વધુ કિંમતનો અને અનેક ફિચર્સવાળો મોબાઇલ બજારમાં આવી ગયો છે. હજી માંડ પેલી જૂની ઇચ્છા સંતોષાઈ હતી, ત્યાં વળી નવી ઇચ્છાનો સળવળાટ જાગી ઊઠ્યો. લેટેસ્ટ ફૅશનનો ડ્રેસ લાવ્યા પછી એનાથી ચડિયાતી ફૅશનનો ડ્રેસ જોશો એટલે ખરીદેલા ડ્રેસને ભૂલી જઈને તમારું મન નવા ડ્રેસની પાછળ દોડવા માંડશે. આપણી ઇચ્છાઓને ઉત્તેજનારી જાહેરાતનો તો આખો ઉદ્યોગ ચાલે છે. હકીકતમાં ઇચ્છા જરૂરી છે, પણ એની પાછળ જ્યારે તૃષ્ણા જોડાય છે, ત્યારે માનવી એના અસ્તિત્વનો આનંદ ખોઈ બેસે છે. દુનિયા આખીની ચીજવસ્તુઓ તમારા મનને બાહ્ય જગતમાં ઇચ્છાની દોડ કરાવશે અને તમે મહામૂલી એવી ભીતરની દોડ ભૂલી જશો. સાવ ચૂકી જશો.