Categories
વાચન સમૃદ્ધિ

સમસ્યાનો ઉકેલ

પ્રશ્નોને ઉકેલવાને બદલે એને ‘કોલ્ડ સ્ટોરેજ’માં રાખીને એકઠા કરવાની ઘણી વ્યક્તિઓને આદત હોય છે, તો કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે પોતાની રોજિંદી સમસ્યાને પણ મહાસમસ્યા તરીકે અનુભવતી હોય છે. જેમ કે કોઈની મુલાકાતે જતી વખતે દસેક મિનિટ સુધી રિક્ષા કે ઉબર ન મળે, તો વ્યક્તિ એટલી બધી અકળાઈ જાય છે કે જાણે એને એનું આખુંય જીવન સમસ્યાઓથી ઊભરાઈ ગયેલું લાગે છે. એક બીજી બાબત એ છે કે આપણી ઇંદ્રિયોને સમસ્યા સાથે પ્રગાઢ સંબંધ છે. આપણને કાનથી કોઈક વાત સાંભળવા મળે અને પછી મનમાં એ ઘૂંટાયા કરે, એમાંથી મનમાં શંકા અને દ્વેષ જાગે, બદલો લેવાની ઇચ્છા થાય અને એ બદલો લેવાની અશક્તિ કે એનું આયોજન એ તમારી સામે સમસ્યા રૂપે ખડાં થઈ જાય છે. વહેલી સવારે અખબારના સમાચારો વાંચીને તમે હળવાશ અનુભવો છો ખરા ? પ્રભાતની નવી તાજગીનો અહેસાસ થાય છે ખરો ? કે પછી જગત આખું રાજકારણની મેલી રમતોથી, આત્મહત્યા અને બળાત્કારથી, પ્રજાની પરેશાની કે પછી પરસ્પરની દુશ્મનીથી તમને ઊભરાયેલું લાગે છે ? કદાચ આ તમારી સમસ્યા ન હોય, પણ ‘જગત આખું સમસ્યાઓથી ભરેલું છે અને એમાં હું જીવી રહ્યો છું’, એવો ભાવ તો જરૂર થશે. આ સમસ્યાઓના જગતમાં જેમ જેમ વધુ જીવતા જઈએ, તેમ તેમ સમસ્યાઓથી વધુ ઘેરાતા જઈએ છીએ અને પછી જીવન આખુંય સમસ્યામય લાગે છે. આથી જ એક પછી એક સમસ્યાના ઉપાયની ખોજ કરવી જોઈએ. તમે અત્યંત સ્થૂળ શરીર ધરાવતા હશો તો રાતોરાત પાતળા થઈ શકશો નહીં. આથી એને સમસ્યારૂપ ગણીને ચાલવાને બદલે એનો ઉપાય શોધો. એના પ્રત્યે ‘નૅગેટિવ’ દૃષ્ટિએ જોવાનું બંધ કરીએ અને સમસ્યાની સામે માથું ઝુકાવી દેવાને બદલે જરા ટટ્ટાર થઈને ઊભા રહો. હતાશ, નિરાશ થઈને માથું ઢાળીને બેસી રહેનારની નિરાશા વધુ ઘેરી બને છે અને ટટ્ટાર ઊભા રહેનારના શરીરમાં એક ઊર્જા પ્રગટ થાય છે. આમ પૉઝિટિવ વિચાર કરવાથી આપણા પ્રશ્નોના એક પછી એક ઉકેલ તરફ જઈ શકીએ છીએ અને જેમ જેમ સમસ્યાને સ્વસ્થતાથી ઉકેલતા જઈએ, તેમ તેમ સમસ્યાના ઉકેલની ઘણી નવી સૂઝ અને ઉપાય પણ મળી જશે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે

વર્તમાન સમયમાં માનવીએ પ્રસન્નતા પ્રત્યે નકરી લાપરવાહી દાખવી છે અને એને પરિણામે એ જે ઇચ્છે તે વસ્તુ મળે છે, પરંતુ પ્રસન્નતા સાંપડતી નથી. એનું દૃશ્ય હતાશાના બોજથી, નિષ્ફળતાના ભારથી, ચિંતાઓના ઢગથી, દ્વેષના ડંખથી અને અપેક્ષાઓના બોજથી લદાયેલું હોય છે. પરિણામે એ સતત અપ્રસન્ન, બેચેન અને ધૂંધવાયેલો રહે છે. એના મનમાં ક્યારેક અપેક્ષાઓ જાગે છે, તો ક્યારેક કોઈના પ્રત્યે ઘૃણા અને ભૂત-ભાવિની ચિંતા એના મન પર આસન જમાવી દે છે. પ્રસન્નતા કહે છે કે જેના તરફ પારાવાર ઘૃણા હોય, એવી વ્યક્તિને સામે ચાલીને પ્રેમનું અમૃત આપવા જાવ. ઘૃણા કે તિરસ્કાર એવાં છે કે જે ચિત્તના સિંહાસન પર એક વાર બેસી જાય તો પછી ત્યાંથી ઊઠવાનું નામ લેતાં નથી. એક વાર એને ચિત્તના સિંહાસન પરથી ઉઠાડી મૂકો, તો લાગણીની ખિલખિલાટ વસંતનો અનુભવ થશે. વેરની ગાંઠ વાળવી સહુને ગમે છે, પણ એ ગાંઠને છોડીને સ્નેહની ગાંઠ મારવી એ જ પ્રસન્નતા પામવાનો સાચો ઉપાય છે. કલ્પના કરો કે જે હૃદયમાં કોઈનાય પ્રત્યે વેર, દ્વેષ કે ઘૃણા નહીં હોય, તે હૃદય કેવું લીલુંછમ અને રળિયામણું હશે ! આપણે વધુ આપીને ઓછાની અપેક્ષા રાખવાને બદલે ઓછું આપીને વધુ મેળવવાની સ્પૃહા રાખીએ છીએ અને એ સ્પૃહા સંતોષાય નહીં એટલે હૃદયમાં કટુતા રાખીએ છીએ. ‘એનું મેં આટલું કામ કર્યું’ કે ‘એને મેં આટલી મદદ કરી’ એ વાતને ભૂલી જવાને બદલે વારંવાર વાગોળીએ છીએ અને બમણા વળતરની ઇચ્છા રાખીએ છીએ. હકીકતમાં જેટલી અપેક્ષા ઓછી, એટલો આનંદ વધુ. અતિ અપેક્ષા એ તીવ્ર આઘાતનું કારણ બને છે. ઘરના બારણેથી અપેક્ષાને વિદાય આપશો, તો પ્રસન્નતા સામે ચાલીને મળવા આવશે.