Categories
વાચન સમૃદ્ધિ

દાઝયો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ. સ. ૧૬૪૨થી ઈ. સ. ૧૭૨૭) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે. નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. ૧૬૬૫ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો. એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, ‘અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.’ સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !,

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર

વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસરવા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેર ઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળસ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે. એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે. જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે એને પોતાનું કોઈ જગત હોતું નથી. આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નારીનું સન્માન

ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટને અતિ મહત્ત્વાકાંક્ષી અને સત્તાલોભી તરીકે વર્ણવવામાં આવ્યો છે; પરંતુ એનાં કાર્યો જોતાં એમ લાગે કે એ કુશળ વહીવટકર્તા, પ્રજામાં શાંતિ સ્થાપનારો અને રાષ્ટ્રને માટે યોગ્ય શાસનવ્યવસ્થા કરનારો હતો. ફ્રાન્સને ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાતા વહીવટી એકમોમાં વિભાજિત કર્યું. સૌથી વિશેષ તો ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને ન્યાયાધીશોની સુરક્ષિતતા અને તાટસ્થ્ય જળવાઈ રહે, તે માટે નિયુક્તિની પ્રથા અમલમાં મૂકી. આ ઉપરાંત શિક્ષણ, અર્થતંત્ર અને લશ્કરી તંત્રના ક્ષેત્રે સુધારાઓ કરીને રાજ્યની સંસ્થાને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો. એણે વિજય મેળવ્યા હતા તેવા પ્રદેશોમાંથી પણ સામંતશાહીને નાબૂદ કરી હતી. પરાજિત દેશોમાં પણ એણે બંધારણ અને નાગરિક કાનૂનસંહિતા પણ દાખલ કરી હતી અને એ રીતે પરાજિત દેશોના વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો. આવા સમ્રાટ નેપોલિયને ફ્રાંસની પ્રજામાં નવો પ્રાણ ફૂંક્યો અને ફ્રાંસની સ્ત્રીઓને શક્તિ અને સંસ્કારના પ્રતીક તરીકે એણે સન્માન આપ્યું. સમ્રાટ નેપોલિયનના મહેલમાં એક ભવ્ય સ્નાનગૃહ તૈયાર થતું હતું અને આવા સમર્થ વિજેતા સમ્રાટના સ્નાનગૃહમાં દીવાલો પર ચિત્રકારોએ સુંદર ચિત્રકૃતિઓ અંકિત કરી. સ્નાનગૃહનું કાર્ય પૂર્ણ થયા પછી સમ્રાટ નેપોલિયન સ્નાન કરવા માટે ગયો, ત્યારે એની નજર દીવાલો પરનાં ચિત્રો પર પડી. એણે જોયું તો એના પર કામોત્તેજના જગાવે તેવી સુંદરીઓનાં કલામય ચિત્રો આલેખ્યાં હતાં. આવાં ચિત્રો જોતાં જ નેપોલિયન સ્નાનગૃહમાંથી બહાર આવ્યો અને રાષ્ટ્રના અધિકારીઓને બોલાવીને કઠોર ઉપાલંભ આપતાં કહ્યું, ‘સ્ત્રીઓનું સન્માન કરવું ઘટે, એને બદલે અહીં તો ચિત્રકારોએ વિલાસપૂર્ણ કામુક ચિત્ર દોરીને સ્ત્રીઓનું અપમાન કર્યું છે. કોઈ સેનાની કે સમ્રાટ સ્ત્રીઓનું આવું અપમાન સાંખી શકે નહીં, કારણ કે જે દેશ સ્ત્રીઓને વિલાસનું સાધન માને છે, તે દેશનો વિનાશ થાય છે.’

કુમારપાળ દેસાઈ