Categories
વાચન સમૃદ્ધિ

અપુચ્છ વાનરો (Apes)

પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે. ચિમ્પાન્ઝી આફ્રિકાના બહુવર્ષાળુ વનોમાં વાસ કરનાર ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે; જ્યારે ઉરાંગઉટાન, ગિબન્સ તથા સિયામાંગ બોર્નિયો તથા સુમાત્રાનાં વર્ષાવનોમાં રહે છે. આ પ્રાણીઓના વસવાટના પ્રદેશો પર માનવીની ખલેલ થયા કરે છે. આથી ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ આ પ્રાણીઓને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યાં છે.

ઉરાંગઉટાન

માણસની જેમ આ વાનર બાહ્ય પુચ્છ વગરના હોય છે. માણસ જેવું શરીર ધરાવે છે. તેમને ૩૨ દાંત અને તીવ્ર દૃષ્ટિ હોય છે. બીજાં સસ્તન પ્રાણીઓ રંગ પારખી નથી શકતાં, જ્યારે અપુચ્છ વાનરો રંગોમાં ભેદ જોઈ શકે છે. તેમના શરીર પર ઘણા વાળ હોય છે. માદા વાનર સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને મા છાતીએ વળગાડીને ફરે છે. બચ્ચું માનું દૂધ પીએ છે અને તેની પાસેથી શીખવાનું શીખે છે. તેઓ લાકડીનો ઉપયોગ કરી રાફડામાંથી ઊધઈ બહાર કાઢી તેને ખાઈ જાય છે. બચ્ચું ૪ વર્ષ જેવડું થાય પછી જ માદા બીજું બચ્ચું લાવે છે. અપુચ્છ વાનર મોટા ભાગે ફળો અને પાંદડાં ખાય છે. કોઈક વાર જીવડાં પણ ખાય છે. સવારે વહેલા ઊઠી જંગલમાં ફરીને ખોરાક મેળવે છે, બપોરે જમીન પર આરામ કરે છે, જ્યારે રાત્રે તેઓ ઝાડની ઉપર મોટો માળો બનાવી તેમાં સૂઈ જાય છે. વરસાદ તેમને ગમતો નથી. ઘણી વાર ઝાડનાં મોટાં પાંદડાંની આડશ કરી વરસાદથી બચે છે. તેઓ ગીચ જંગલોમાં વસે છે. અપુચ્છ વાનરના હાથ માનવની સરખામણીમાં લાંબા અને મજબૂત હોય છે. તેમના પગ ટૂંકા અને નબળા હોય છે. તેઓ ઝાડ પર ચઢી જાય છે અને ડાળી પર ઝૂલા પણ ખાય છે. ચારેય પગનો ઉપયોગ કરીને ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અપુચ્છ વાનરો, પૃ. 25)

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ હેન્રી પર્કિન

જ. 12 માર્ચ, 1838 અ. 14 જુલાઈ, 1907

બ્રિટિશ રસાયણવિદ વિલિયમ હેન્રી પર્કિનનો જન્મ લંડનમાં થયો હતો. 15 વર્ષની વયે તેઓ લંડનની ‘રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી’માં રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક તરીકે કાર્યરત બન્યા અને તેમણે ઘરે સંશોધનો કરવાનું શરૂ કર્યું. પ્રો. હૉફમૅનની પ્રેરણાથી તેમણે કિવનાઇનના સંશ્લેષણની શક્યતા અંગે પ્રયોગો કરવાનું શરૂ કર્યું. 1856ના ઈસ્ટર વૅકેશન દરમિયાન તેમણે એનીલીનના ઉપચયન દ્વારા ક્વિનાઇન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે આ પ્રયોગ દરમિયાન તેમણે નોંધ્યું કે કાળા રંગની ઉપનયન નીપજ સાથે જાંબલી રંગનો એક પદાર્થ પણ બને છે. આ પદાર્થને મોવે (Mauve) નામ આપવામાં આવ્યું જે પાછળથી એનીલીન પર્પલ કે ટીરીઅન પર્પલ તરીકે ઓળખ પામ્યો. મોવે રેશમને રંગવામાં વપરાય છે. 18 વર્ષની વયે પર્કિને પોતાના પિતાની મદદ લઈને મોવેના ઉત્પાદનની ફૅક્ટરી સ્થાપી. આ ફૅક્ટરીમાં તેમણે કોર-ટાર આધારિત બીજા ઘણા રંગકો (dyes) બનાવ્યા. ખૂબ ઓછાં સાધનો સાથે તેમણે આ રંગકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માંડ્યું. આ દરમિયાન પણ તેમનો અભ્યાસ ચાલુ હતો. 1860 સુધીમાં તેમણે ગ્લાયસીન (એમિનોઍસિડ) તથા ટાર્ટરિક ઍસિડનું સંશ્લેષણ કર્યું. મોવે ટેકસ્ટાઇલ ઉદ્યોગમાં તથા પોસ્ટેજ-સ્ટૅમ્પના છાપકામમાં વપરાતો થયો. તે પછી પર્કિને મજન્ટા અને એલિઝરીન રંગકો પણ બનાવ્યા. પાછળથી તેમણે રંગ બનાવવાનું છોડી દીધું અને માત્ર સંશોધનકાર્યમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1867માં તેમણે ઍરોમૅટિક ઍસિડ મેળવવાની એક સામાન્ય રીત શોધી અને વિકસાવી જે પર્કિન-પ્રક્રિયા તરીકે ઓળખાઈ. તેમના ત્રણે દીકરાઓ પણ પ્રખ્યાત કાર્બનિક રસાયણવિદો હતા. પર્કિનને તેમના જીવનકાળ દરમિયાન અનેક સન્માનો પ્રાપ્ત થયાં : 1866માં રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી પામ્યા. 1879માં રૉયલ મેડલ અને 1889માં ડેવી મેડલ એનાયત થયા. 1906માં મોવેની શોધની 50મી વર્ષગાંઠે તેમને ‘સર’ની ઉપાધિથી સન્માનવામાં આવ્યા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

કુંદનબહેન અંબાલાલ કલા-ગૌરવ પુરસ્કાર

નારીચેતનાની વિવિધાને વિસ્તૃત રીતે રૂપાયિત કરનાર કલાકાર

જી. રવિન્દર રેડ્ડીને 

પરિચય : પીયૂષ ઠક્કર

14 માર્ચ, 2026, શનિવાર, સાંજના 5-30