Categories
વાચન સમૃદ્ધિ

જિનીવા સમજૂતી

(Geneva Conventions)

યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના ૨ સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે ૨૬ ઑક્ટોબર, ૧૮૬૩ના રોજ જિનીવા ખાતે મળેલી ૧૪ રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો. જૂન ૧૮૫૯ની ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સૉલ્ફારિનો ખાતેની લડાઈ દરમિયાન કમકમાટી ઉપજાવે તેવાં ભીષણ દૃશ્યો જોઈને ડૉક્ટર હેન્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. મૉનિયરની મદદથી તેમણે એક સંગઠન ઊભું કરી ઍમ્બુલન્સ વાહનો તથા ઘવાયેલા સૈનિકોની સારવારનાં સ્થળો પરસ્પર હુમલાથી મુક્ત રાખવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરી હતી. ૨૨ ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ યોજાયેલ ૧૨ રાષ્ટ્રોના સંમેલનમાં થયેલી સમજૂતી જિનીવા સમજૂતી તરીકે ઓળખાય છે. નેધરલૅન્ડના હેગ નગરમાં ૧૮૯૯ તથા ૧૯૦૭માં યોજાયેલી ૨ પરિષદો હેગની શાંતિ પરિષદો તરીકે જાણીતી થઈ હતી. પ્રથમ પરિષદમાં યુદ્ધ અંગેની આચારસંહિતા નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે બીજી પરિષદમાં ૨ રચનાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં : (૧) આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ નિકાલ થાય તે માટેની સમજૂતી અંગે પુનર્વિચારણા; (૨) કરારગત દેવાની વસૂલાત માટે બળપ્રયોગ કરવા પર મુકાયેલી મર્યાદાનું પાલન કરવા સારુ નવી સમજૂતી.

જિનીવા સમજૂતી

જિનીવા સમજૂતીની મુખ્ય કલમો નીચે મુજબ છે : (૧) યુદ્ધસમયમાં ક્ષેત્રીય તથા મુખ્ય હૉસ્પિટલોની અને બીમાર તથા ઘવાયેલા સૈનિકોની હેરફેર કરતાં ઍમ્બુલન્સ વાહનોની તે કાર્યવાહી દરમિયાન નિષ્પક્ષતા સંપૂર્ણપણે માન્ય રાખવી જોઈએ. (૨) જાહેર સુખાકારી માટેના કર્મચારીઓ સહિતનાં તમામ તબીબી કર્મચારીગણ ને સ્વયંસેવકો, પરિચારિકાઓ તથા ઈજાગ્રસ્તોને મદદ કરતા દેશના નાગરિકો અને યુદ્ધક્ષેત્રના તથા હૉસ્પિટલમાંના ઈજાગ્રસ્તોને દુશ્મન લેખવા જોઈએ નહિ અને તેમને તેમનાં અંગત સાધનો તથા ઍમ્બુલન્સ વાહનો લાવવા-લઈ જવાની છૂટ આપવી જોઈએ. (૩) બીમાર તથા ઘવાયેલા સૈનિકોનાં આશ્રયસ્થાનોને સૈનિકોના મુકામ ગણવા જોઈએ નહિ. (૪) સાજા થઈ ગયેલા સૈનિકોને પોતપોતાના સ્વદેશ પાછા મોકલી આપવા જોઈએ. (૫) બીમાર અને ઘવાયેલા સૈનિકોને તથા શરણાર્થી શિબિરવાસીઓની સારવાર તથા આશ્રય માટેની હૉસ્પિટલો તથા સ્થળો પર તેમજ ઍમ્બુલન્સ વાહનો પર પોતાના દેશનો ધ્વજ તથા સફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનો ક્રૉસ દર્શાવેલો હોવો જોઈએ. તબીબી કર્મચારીગણે એ જ ડિઝાઇનની બાંયપટ્ટી (arm band) પહેરવી જોઈએ. (૬) આ કરાર હેઠળ રક્ષણ પામેલી બીમાર કે ઘવાયેલી વ્યક્તિઓ, મકાનો તથા સાધનસામગ્રી અંગે વળતો હુમલો કરવામાં આવશે નહિ. (૭) તબીબી સારવાર માટેનાં વિમાનો યુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રોએ ચોક્કસ સમજૂતી કર્યા મુજબની ઊંચાઈએ, સમયે તથા માર્ગ પર ઊડી રહ્યાં હોય તો તેના પર હુમલો કરવામાં આવશે નહિ. (૮) લશ્કરી હૉસ્પિટલ કે જહાજો વગેરે પર હુમલો કરવામાં આવશે નહિ, તેમને બાનમાં લેવાશે નહિ, શરત એ કે તેમણે પોતાનાં નામ તથા પોતાની ઓળખાણ અંગે યુદ્ધમાં સંડોવાયેલ પક્ષોને વહાણોની સેવા લીધાના ૧૦ દિવસ અગાઉ જાણ કરી હોવી જોઈએ. શત્રુપક્ષ દ્વારા પકડાયેલા સૈનિકોએ પોતાનું નામ, જન્મતારીખ, સર્વિસ નંબર તથા હોદ્દા અંગે જ જાણ કરવાની હોય છે. યુદ્ધકેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાનું હોય છે. તેમના માટે ભોજન, કપડાં  તથા રહેઠાણની વ્યવસ્થા તેમને બંદી બનાવનાર દેશે કરવાની હોય છે. અધિકારીઓ સિવાયના યુદ્ધકેદીઓ પાસેથી, બંદી બનાવનાર પક્ષ યુદ્ધ સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય તેવું કામ પણ લઈ શકે અને આવા કામના બદલામાં તેમને વળતર પણ ચૂકવવાનું રહે. જિનીવા સમજૂતી પર સહી કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ, ૧૮૬૪માં થયેલી પ્રથમ સમજૂતી પછી ૧૯૦૬, ૧૯૨૯, ૧૯૪૯ અને ૧૯૭૭નાં વર્ષો દરમિયાન એમાં બીજી કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

એચ. એમ. પટેલ, અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

એલ. વી. પ્રસાદ

જ. ૧૭ જાન્યુઆરી, ૧૯૦૮ અ. ૨૨ જૂન, ૧૯૯૪

અક્કિનેની લક્ષ્મી વરા પ્રસાદ રાવનો જન્મ સામવારપાડુ, પશ્ચિમ ગોદાવરી જિલ્લો, આંધ્રપ્રદેશમાં થયો હતો. પિતા અક્કિનેની શ્રીરામુલુ અને માતા બાસવામ્મા. આ હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, નિર્દેશક એલ. વી. પ્રસાદના નામથી વધુ જાણીતા હતા. બાળપણથી જ ચલચિત્રોમાં રુચિ ધરાવનાર પ્રસાદનું મન અભ્યાસમાં ન ચોંટ્યું. પોતે પણ ચલચિત્રો બનાવી શકે એ વિચારોમાં રહેવા લાગ્યા. ૧૭ વર્ષે લગ્ન થઈ ગયું અને પછી ઘરની આર્થિક સ્થિતિ કથળતાં તેઓ મુંબઈ આવ્યા. ચલચિત્રો પ્રત્યે ઘેલછા તો હતી જ એટલે તેમાં કામ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. ઘણા સંઘર્ષ અને રઝળપાટ પછી ૧૯૩૦માં તેમને નાનુંમોટું કામ મળવા લાગ્યું. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં તેઓ કામ કરતા હતા ત્યારે ૧૯૩૧માં ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમને કામ કરવાની તક મળી. આમ પ્રથમ હિંદી બોલપટ ‘આલમઆરા’, પ્રથમ તમિળ બોલપટ ‘કાલિદાસ’ તથા પ્રથમ તેલુગુ બોલપટ ‘ભક્ત પ્રહલાદ’માં અભિનય કરનારા તેઓ પ્રથમ અભિનેતા બન્યા. ત્યારબાદ તેઓ મુંબઈ છોડી ચેન્નાઈ આવ્યા અને ‘દ્રોહ’ અને ‘ગૃહપ્રવેશમ્’ બે ચિત્રોનું નિર્દેશન કર્યું. તેમાં અભિનય પણ કર્યો. સમય જતાં તેમણે લક્ષ્મી પ્રોડક્શન્સ અને પ્રસાદ પ્રોડક્શન નામની પોતાની નિર્માણ  કંપનીઓ શરૂ કરી. ૪૦થી વધુ સફળ ચિત્રોનું નિર્માણ કર્યું. ૧૯૬૫માં તેમણે પ્રસાદ સ્ટુડિયોની સ્થાપના કરી અને ૧૯૭૬માં પ્રસાદ ફિલ્મ લૅબોરેટરી શરૂ કરી, જે એશિયામાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓમાંની એક બની રહી. એલ. વી. પ્રસાદ નેત્ર ચિકિત્સાલય પણ ખૂબ જાણીતી છે. તેલુગુ, તમિળ અને કન્નડ ભાષામાં ઘણાં લોકપ્રિય ચલચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત તેમણે લોકપ્રિય હિંદી ચલચિત્રો બનાવ્યાં તેમાં ‘શારદા’, ‘છોટી બહન’, ‘બેટી બેટે’, ‘હમરાહી’, ‘સસુરાલ’, ‘દાસી’, ‘માં’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘એક દૂજે કે લિયે’, ‘ઉધાર કા સિંદૂર’નો સમાવેશ થાય છે. તેમને ઘણાં બધાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. જેમાં ૧૯૮૨માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક, ૧૯૮૦માં ભારત સરકાર દ્વારા ‘ઉદ્યોગરત્ન’ તથા આંધ્રપ્રદેશનું રઘુપતિ વેન્કૈયા પારિતોષિક વગેરે મુખ્ય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સહુ કોઈ સમાન

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્કસવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ લેનિને (ઈ. સ. ૧૮૭૦થી ૧૯૨૪) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે ‘લેનિન’ નામ ધારણ કર્યું હતું,

પરંતુ સમય જતાં એ જ નામથી ખ્યાતનામ બન્યા. ૧૯૧૭ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું.

રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું કે ‘જે શ્રમ કરશે નહીં, તેને ખાવા પણ મળશે નહીં.’

આવા સોવિયેટ સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિન એક રવિવારે વાળ કપાવવા માટે સલૂનમાં ગયા. એમણે જોયું તો સલૂનમાં ઘણી લાંબી લાઇન હતી. ઘણા લોકો એમનો વારો ક્યારે આવે, તેની રાહ જોઈને બેઠા હતા. સોવિયેટ સંઘના આ સર્વસત્તાધીશને જોઈને કેટલાક ઊભા થઈ ગયા અને દુકાનના માલિકે સામે ચાલીને એમનું અભિવાદન કર્યું.

દેશના સર્વોચ્ચ સત્તાધીશ લેનિન તો અત્યંત વ્યસ્ત હોય જ, તેથી અન્ય ગ્રાહકોએ વાળંદને કહ્યું, ‘અમે પછી વાળ કપાવીશું, પહેલાં કૉમરેડ લેનિનને બેસાડો.’

લેનિને મક્કમતાથી કહ્યું, ‘ના, હું કતાર નહીં તોડું. મારો વારો આવે ત્યારે હું વાળ કપાવીશ.’

આ સાંભળી બીજા ગ્રાહકોએ કહ્યું, ‘અરે, તમારી તો એક એક પળ કીમતી હોય. દેશની કેટલી મોટી જવાબદારી છે તમારા પર. માટે તમે પહેલાં વાળ કપાવી લો.

મહાન ક્રાંતિકારી, શ્રમજીવીઓના રાહબર અને વ્યવહારકુશળ લોકનેતા લેનિને કહ્યું, ‘જુઓ, આ સમાજમાં કોઈનુંય કામ બીજાથી ચડિયાતું નથી કે બીજાથી ઊતરતું નથી. મજૂર, શિક્ષક, એન્જિનિયર કે ડૉક્ટર – બધા જ દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. મારા આ સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કઈ રીતે તમારાથી પહેલાં વાળ કપાવવા બેસી શકું ?’

કુમારપાળ દેસાઈ