Categories
વાચન સમૃદ્ધિ

વિનાશથી વાકેફ, સર્જનથી અજ્ઞાત

મનુષ્યે કેવો આત્મઘાત કર્યો છે ! એણે પોતે જ પોતાનું સત્યાનાશ વાળીને લાચાર, પરાવલંબી અને ભયગ્રસ્ત જીવન પસંદ કર્યું છે. મૂલ્યવાન જીવનનો દિશાહીન ઉપયોગ કરીને પોતાના આત્માને નિર્બળ કરી નાખ્યો છે અને જીવનની મસ્તીનો શિરચ્છેદ કર્યો છે. હાથમાં હીરો મળે એ રીતે સુંદર જીવન મળ્યું, પરંતુ એને કોલસા રૂપે વાપરીને જીવન-નિર્માણની કલ્પના રોળી નાખી છે. આજના મનુષ્યને જે ઘાતક છે, તેનો પૂર્ણ પરિચય છે અને જે સર્જક છે તે વિશે સંપૂર્ણપણે અજ્ઞાત છે. એને હિંસાની જુદી જુદી તાલીમની તથા વિનાશક શસ્ત્રોની રજેરજ માહિતી છે, પરંતુ એ ખ્યાલ નથી આવતો કે અહિંસાની પણ તાલીમ લેવી જોઈએ. જ્યાં તાલીમનો વિચાર ન હોય, ત્યાં અહિંસા માટેની સજ્જતા ક્યાંથી જાગે ? એ ક્રોધ કરે છે અને એમાંથી નીકળતી ઊર્જાનો એને ખ્યાલ છે, પરંતુ એને પ્રેમની ઊર્જાનો લેશમાત્ર અનુભવ નથી. વિજ્ઞાનનો વિકાસ સાધીને અનેક નવાં નવાં સાધનો બનાવ્યાં છે, પરંતુ આ ભૌતિક સાધનોની વચ્ચે એ ચેતનાની ખેતી કરવાનું ભૂલી ગયો છે. જીવનમાં ભૌતિક ચીજવસ્તુઓનો એટલો બધો મહિમા કર્યો કે અપરિગ્રહી જીવનની કલ્પના પણ એના ચિત્તમાં આવતી નથી. વિજ્ઞાનનો વિકાસ, ટૅકનૉલૉજીની હરણફાળ અને વસ્તુઓનું જંગી ઉત્પાદન એણે કર્યું, પરંતુ એની સામે આત્મવિકાસ તરફ દુર્લક્ષ્ય સેવ્યું, અનંતમાં હરણફાળ ભરવા માટે આધ્યાત્મિક છલાંગ લગાવવાનો વિચાર ભૂલી ગયો અને વસ્તુઓના જંગી ઉત્પાદનની સાથોસાથ જીવનના આંતરિક આનંદને વીસરી ગયો. હવે તમે જ કહો, માણસે બિચારા માણસની કેવી બૂરી હાલત કરી છે !

Categories
વાચન સમૃદ્ધિ

મૈત્રેયીદેવી

જ. ૧ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦

નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મૈત્રેયીદેવીએ યુનિવર્સિટી ઑફ કલકત્તાની જોગમાયા દેવી કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (૧૯૨૯) પ્રગટ થયો. ત્યારપછી તેમના અન્ય ચાર કાવ્યસંગ્રહો ‘ચિત્તછાયા’ (૧૯૩૮), ‘સ્તબક’ (૧૯૬૩), ‘હિરણ્ય પાખી’ (૧૯૭૧) અને ‘આદિત્ય મરીચિ’ (૧૯૭૩) પ્રગટ થયા. તેમને સૌથી વધુ ખ્યાતિ આત્મકથાનક નવલકથા ‘ન હન્યતે’ દ્વારા મળી. તેમને ૧૯૭૬નો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના પિતાજી પાસે ભારતીય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલા ગ્રીક યુવક સાથેનાં પ્રણયસ્મરણોને વાચા આપતી આ નવલકથાનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ ટાગોર તેમના પિતાજીના મિત્ર હોવાથી મૈત્રેયીદેવીના ઘેર રહેલા તે દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ અને વાર્તાલાપોનું એક સંસ્મરણાત્મક પુસ્તક ‘મંગપૂતે રવીન્દ્રનાથ’ ૧૯૪૩માં પ્રકાશિત થયું. રમણીક મેઘાણીએ તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ શીર્ષકથી કર્યો છે, જે ઘણો લોકપ્રિય બન્યો છે. આ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’, ‘રવીન્દ્રનાથ: ગૃહે ઓ વિશ્વે’ તથા ‘સ્વર્ગેર કાછાકાછિ જેમાં ટાગોરે લખેલા પત્રો અને સ્મરણોને ગૂંથવામાં આવ્યાં છે. નગીનદાસ પારેખે તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ શીર્ષકથી કર્યો છે. મૈત્રેયીદેવીનો રશિયા અને ચીનના ભ્રમણ વખતે કરેલાં પ્રવચનોને સંકલિત કરી ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત પ્રવાસગ્રંથો ‘આચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીન ઓ જાપાને’ પણ લખ્યાં છે. સમાજકલ્યાણના ક્ષેત્રે પણ તેમનું ઘણું પ્રદાન છે. ૧૯૭૨ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે બાંગ્લાદેશનાં અનાથ શિશુઓ માટે કૉલકાતા પાસે ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. ૧૯૬૪માં તેઓ ‘ધ કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક બન્યાં હતાં. ‘ધ ઑલ ઇન્ડિયા વિમેન્સ કો-ઑર્ડિનેટિંગ કાઉન્સિલ’નાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ડભોઈ

વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : ૨૨° ૧૧´ ઉ. અ. અને ૭૩° ૨૬´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ ૬૩૨.૬ ચોકિમી. છે. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા ૧૧૮ ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે ૭૩,૦૦૦ (૨૦૨૪) છે. ડભોઈના ‘દર્ભાવતી’ અને ‘દર્ભવતી’ તરીકે પ્રાચીન ઉલ્લેખો મળે છે. તાલુકાની જમીન સમતલ અને ફળદ્રૂપ છે. નર્મદા, ઢાઢર, ઓરસંગ અને હિરણ આ તાલુકામાંથી વહે છે. તાલુકામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, ઘઉં અને બાજરીનું તથા કઠોળમાં તુવેરનું વાવેતર થાય છે. ઉદ્યોગોમાં મુખ્યત્વે લાકડાં વહેરવાની મિલો, જિનો અને સાબુનાં અને લોખંડનું ફર્નિચર બનાવવાનાં કારખાનાં તથા તેલની મિલો છે. એક રસાયણનું કારખાનું તથા તાંબાપિત્તળનાં વાસણોનાં કારખાનાં પણ છે. હાથસાળનું કાપડ, ઘોડિયાં વગેરે લાકડાની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. ડભોઈ તાલુકાનું ખરીદ-વેચાણ માટેનું કેન્દ્ર છે.

હીરા ભાગોળ દરવાજો, ડભોઈ

ડભોઈ એ ડભોઈ–જંબુસર, ચાંદોદ–માલસર અને ડભોઈ–ટીંબા નૅરોગેજ રેલવેનું જંકશન છે. જિલ્લા માર્ગો દ્વારા તે વડોદરા, કરજણ, મિયાંગામ, સંખેડા, જબુગામ, છોટાઉદેપુર, છુછાપુરા વગેરે શહેરો સાથે સંકળાયેલ છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કૉલેજો છે. ગ્રંથાલયો અને ગ્રંથાલય – વાચનાલયની સગવડ પણ છે. ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધે વિખ્યાત છે. નર્મદા નદીની ઉત્તરે આવેલો આ દુર્ગ વામાવર્ત સ્વસ્તિકના કોઠાવાળાં પ્રવેશદ્વારો ધરાવે છે. આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલાં હોવાથી તે ભાગોળનાં નામ પરથી ઓળખાય છે. ડભોઈના નાંદોદી, વડોદરી અને મહુડીના દરવાજાના બહારના વામાવર્ત કોઠાઓ મોટે ભાગે ખંડિત અવસ્થામાં છે. પરંતુ તેનાં ઇલ્લિકા તોરણોવાળા દરવાજા પરનાં મોટે ભાગે ખંડિત, પરંતુ ઓળખી શકાય એવી હાલતમાં રહેલાં શિલ્પો પૈકી મહુડી ભાગોળ પરનાં નાથ સંપ્રદાયનાં શિલ્પો ઘણાં મહત્ત્વનાં છે. આ દુર્ગના દરવાજાથી અંદર આવતા રસ્તાઓ લગભગ મધ્યમાં મળે છે. અહીંથી દુર્ગના ઈશાન ભાગના તળાવ સાથે તેમનો સંબંધ છે. ડભોઈના દુર્ગમાં પાણી માટેની આ વ્યવસ્થા લાંબા સમયના ઘેરા માટે ઉપયોગી છે. આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચૌલુક્ય-વાઘેલા, યાદવો અને પરમારોના સંઘર્ષના આશરે બારમી સદીના અંત પછી તેરમી સદીમાં તૈયાર થયો હતો, ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સચવાયેલા છે. ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે. ડભોઈની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોવાથી આ નૈસર્ગિક પરિસ્થિતિનો લાભ દુર્ગનું સ્થાન નક્કી કરવામાં મળ્યો હતો. આ દુર્ગની હીરા ભાગોળ તેના કાલિકા માતાના મંદિર તથા હાલ નષ્ટપ્રાય થયેલા વૈદ્યનાથના મંદિરને લીધે વિશેષતા ધારણ કરે છે. કાલિકા માતાના મંદિરના મહાપીઠ અને મંડોવરના ભાગો સચવાયેલા છે. તેના પર વિવિધ આખ્યાયિકાઓ, દેવ અને દેવીઓનાં શિલ્પો ઉપરાંત સામાન્ય જીવનનાં દૃશ્યો પણ કોતરેલાં છે. વૈદ્યનાથના મંદિરની મહાપીઠના ભાગો સચવાયેલા છે. મંદિરોનું તથા કિલ્લા અને દરવાજાઓનું સમારકામ હીરાધર શિલ્પી દ્વારા થયું એમ મનાય છે. મૂળ કિલ્લો વગેરે બાંધનાર દેવા શિલ્પી હતો તેમ જણાય છે. ઋષભદેવ જયતિલકપ્રાસાદ અને ત્રણ જૈન મંદિરો, નાગેશ્વર તળાવ વચ્ચેનું નાનું શિવમંદિર, બીબીની બગી, મિનારાવાળી દરગાહ તથા અન્ય દરગાહો, પાછળથી બંધાયેલાં વાઘનાથ, મંગળેશ્વર, આશાપુરી તથા ગઢ ભવાનીનાં મંદિરો વગેરે જોવાલાયક છે. વડોદરા, ચાંપાનેરી વગેરે ચાર દરવાજાઓનું શિલ્પ બેનમૂન છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની વૃત્તિનો થોડો ભાગ અહીં લખ્યો હતો. સત્તરમી સદીમાં રત્નો કવિ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં ‘ગરબી’ પ્રકારનાં કાવ્યોના રચયિતા કવિ દયારામ થઈ ગયા છે. સોલંકીકાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરનાં દેવમંદિરોનો અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને નાશ કર્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮