Categories
વાચન સમૃદ્ધિ

અન્ના મણિ

જ. ૨૩ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૧

જાણીતાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિનો જન્મ ત્રાવણકોર, કેરળમાં થયો હતો. તેમના પિતા બાંધકામના ઇજનેર હતા. બાળપણથી જ અન્નાને વાંચનનો ઘણો શોખ હતો. આઠ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં જાહેર પુસ્તકાલયમાં મલયાળમ ભાષાનાં લગભગ બધાં પુસ્તકો વાંચી લીધાં હતાં. આઠમી વર્ષગાંઠ નિમિત્તે હીરાની બુટ્ટીને બદલે તેઓએ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો સેટ માંગ્યો હતો. તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં અને કાયમ ખાદી પહેરતાં હતાં. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ થતાં તેઓ પ્રો. સી. વી. રામનના હાથ હેઠળ કામ કરવા લાગ્યાં. તેમણે માણેક તથા હીરાના પ્રકાશીય ગુણધર્મો અંગે સંશોધન કર્યું. પાંચ સંશોધન પેપર લખવા છતાં માસ્ટર ડિગ્રી મેળવી ન હોવાથી પીએચ.ડી.ની ડિગ્રીથી વંચિત રહ્યાં. ૧૯૪૫માં ઇંગ્લૅન્ડ જઈ પ્રકાશીય સાધનો જે હવામાન જાણવા માટે વપરાય છે તેનો અભ્યાસ લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં કર્યો. ત્યારબાદ ૧૯૪૯માં ભારત પાછા ફરી પૂનાના ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં અને બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. હવામાનશાસ્ત્રને લગતાં સાધનો માટે તેમણે ઘણાં સંશોધનો કર્યાં. હવામાનનાં સાધનોનાં ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓએ સૌર વિકિરણ, પવન-ઊર્જાનાં સાધનો તથા ઓઝોન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૯૭૬માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે ભારતીય હવામાન ખાતામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૮૭માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી તરફથી કે. આર. રામનાથન્ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તેમને બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં સંશોધન કરવા માટે સ્કૉલરશિપ મળી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમી, અમેરિકન મિટિયૉરૉલૉજિકલ સોસાયટી, ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મનની કેદ

ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’

Categories
વાચન સમૃદ્ધિ

કરુણાશંકર કુબેરજી ભટ્ટ

જ. ૨૨ ઑગસ્ટ, ૧૮૭૩ અ. ૨ ઑક્ટોબર, ૧૯૪૩

શિક્ષણ દ્વારા સંસ્કારિંસચન કરનાર આજીવન ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકર ભટ્ટનો જન્મ સારસા(જિ.આણંદ)માં થયો હતો. તેમણે બાવીસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતા દિવાળીબા અને મામા કેશવરામનો તેમના ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહ્યો. પ્રાથમિક શિક્ષણ મેળવી તેઓ વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં જોડાયા. આચાર્ય મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ને લીધે તેમણે અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસનો અભ્યાસ કર્યો. શિક્ષક તરીકેની પદવી મેળવ્યા પછી તેમને સંખેડા તાલુકાના કોસિંદ્રા ગામમાં પ્રથમ નિમણૂક મળી. ત્યાં સાત વર્ષ રહી વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. તેમણે ગ્રામજનોને પણ ભણાવ્યા. ગામ પર ધાડપાડુઓ ત્રાટકતાં તેમણે આગેવાની લીધી અને તલવાર લઈને નીકળી પડ્યા હતા. કોસિંદ્રાથી બદલી થતાં માછિયાપુર, વડોદરા અને ત્યાંથી ભાદરણ પાસેના ગંભીરા ગામે શિક્ષણકાર્ય કર્યું. તેઓ ગુજરાતી ઉપરાંત હિંદી, પાલિ, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના અભ્યાસી હતા. મોતીભાઈ અમીનના આગ્રહથી તેમણે રાજ્યની નોકરી છોડી અને પેટલાદની ખાનગી માધ્યમિક શાળામાં મૅટ્રિક માટે ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા. તેમણે પેટલાદથી પ્રકાશિત થતા સામયિક ‘શિક્ષક’માં ‘એક શિક્ષકની ડાયરી’ પ્રકાશિત કરી. આર્થિક ખોટને કારણે મૅટ્રિકનો વર્ગ બંધ થતાં તેમને છૂટા કરવામાં આવ્યા. એ પછી એમણે શેઠ અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂર્ણ સમયના શિક્ષક તરીકે કાર્ય કર્યું. એમના પ્રભાવના કારણે સારાભાઈ પરિવારના પાશ્ચાત્ય રહેણીકરણીમાં બદલાવ આવ્યો અને ગુજરાતી રહેણીકરણી થઈ. તેમના કારણે સારાભાઈ પરિવારનો ગિજુભાઈ, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર સાથે  સંબંધ બંધાયો. નિવૃત્તિજીવન માટે નોકરીના પ્રથમ ગામ કોસિંદ્રાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમને આગ્રહપૂર્વક ગામમાં રહેવા કહ્યું. તેઓ ત્યાં આશ્રમ સ્થાપીને ત્રણ વર્ષ રહ્યા. શેઠ અંબાલાલ સારાભાઈના આગ્રહને કારણે તેઓ ફરી અમદાવાદ આવ્યા. આ પછી પારિવારિક કારણોસર મુંબઈ ગયા. ત્યાં બ્લડપ્રેશર અને લકવાને લીધે તેમનું અવસાન થયું. તેમની જન્મશતાબ્દી નિમિત્તે ‘સંસ્કાર શિક્ષક, ‘સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૧ :  પત્રો અને સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૨ : નોંધપોથીઓ – ભાગ ૧ અને ૨ પ્રગટ કરવામાં આવ્યા છે.