Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો. એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો. કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા. સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’ દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’ સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’ કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલતવી રાખવો – આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પીતાંબર પટેલ

જ. ૧૦ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૨૪ મે, ૧૯૭૭

‘પિનાકપાણિ’, ‘રાજહંસ’ અને ‘સૌજન્ય’ જેવાં તખ્ખલુસ ધરાવતા ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર પીતાંબર પટેલનો જન્મ મહેસાણાના શેલાવી ગામે થયો હતો. પિતાનું નામ નરિંસહભાઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. કડીની સર્વ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૩૬માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. થયા અને ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. કર્યું. ૧૯૫૬થી કેટલાંક વર્ષ આકાશવાણી અમદાવાદમાં કામ કર્યું. તે ભવાઈમંડળના પ્રણેતા હતા. તેમણે અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ‘સંદેશ’ અખબારના તંત્રીવિભાગ સાથે પણ જોડાયેલા હતા. તેમણે ફિલ્મનિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમના લેખન ઉપર પન્નાલાલ પટેલ અને પેટલીકરનો ખૂબ પ્રભાવ હતો. તેમની જાણીતી નવલકથાઓમાં ‘રસિયો જીવ’, ‘પરિવર્તન’, ‘ઊગ્યું પ્રભાત’, ‘ખેતરને ખોળે’, ‘તેજરેખા’, ‘આશાભરી’, ‘અંતરનાં અજવાળાં’, ‘ચિરંતન જ્યોત’, ‘ધરતીનાં અમી’, ‘કેવડિયાનો કાંટો’ મુખ્ય છે. પીતાંબર પટેલ મુખ્યત્વે પ્રાદેશિક નવલકથાકાર હતા. તેમની નવલકથાઓમાં ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ થયો છે. તેમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ દૃષ્ટિગોચર થાય છે. નવલિકા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ગ્રામજીવન સમાજજીવન, શહેરીજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો તેમાં આવરી લેવામાં આવ્યા છે. ‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’, ‘શ્રદ્ધાદીપ’, ‘કલ્પના’, ‘છૂટાછેડા’, ‘શમણાંની રાખ’, ‘સૌભાગ્યનો શણગાર’, ‘નીલ ગગનનાં પંખી’, ‘રૂડા સરોવરિયાની પાળ’, ‘સંતનો દીવો’, ‘ઝૂલતા મિનારા’ તેમની જાણીતી નવલિકાઓ છે. ‘ભારતનાં નવાં યાત્રાધામો’ તેમના દ્વારા લખાયેલ પ્રવાસગ્રંથ છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. વાર્તામાસિક ‘આરામ’નું સંપાદન તેમણે ઘણાં વર્ષો સુધી સફળતાપૂર્વક કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

સુરક્ષા (સલામતી અને સંરક્ષણ-વ્યવસ્થા)

પ્રજા અને દેશની માલમિલકતને સહીસલામતીપૂર્વકનું રક્ષણ પૂરું પાડવું તે. બીજા શબ્દોમાં આપણે તેને સલામતી તરીકે પણ ઓળખી શકીએ. સામાન્ય રીતે દરેક દેશ તેની સુરક્ષા અને સલામતીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યારે નાગરિકો સુરક્ષા અનુભવતા હોય ત્યારે જ તેઓ અન્ય પ્રવૃત્તિ નિશ્ચિંતતાપૂર્વક કરી શકે. આમ સુરક્ષા કોઈ પણ દેશને માટે અત્યંત આવશ્યક હોય છે. તેથી દેશની અંદરની વિવિધ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલી શકે છે. સુરક્ષા નાગરિકોને નિર્ભય બનાવે છે અને કામ કરવા માટે સ્વસ્થ વાતાવરણ ઊભું કરે છે.

દેશની સીમાઓની સુરક્ષા કરતું લશ્કરી દળ

સામાન્ય રીતે સુરક્ષા બે પ્રકારની હોય છે : (૧) આંતરિક અને (૨) બાહ્ય. આંતરિક સુરક્ષા એટલે દેશની અંદરના વિસ્તારમાં પ્રવર્તતી સુરક્ષા. બાહ્ય સુરક્ષા એટલે સરહદો પરની સલામતી. વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે, વિવિધ સંગઠનો વચ્ચે કે પરસ્પરના વ્યવહારમાં સૌ પોતપોતાનું કામ સારી રીતે કરે અને બીજાના કામમાં અવરોધ, રુકાવટ કે વિઘ્ન ઊભું ન કરે તે જોવાનું કામ આંતરિક સુરક્ષા માટેના સંગઠનનું હોય છે. ગૃહરક્ષક-દળ સમેત પોલીસ-દળ આવું આંતરિક સુરક્ષાનું કામ કરે છે. સૌ નિયમો અને કાયદાઓનું પાલન કરે અને પ્રત્યેક કામમાં આગળ વધે તે માટેની દેખરેખ પોલીસતંત્ર રાખે છે. જરૂર પડે તો અને ત્યારે અવરોધ કે વિઘ્ન ઊભું કરવા પ્રયત્ન કરનારને તે રોકે છે – અટકાવે છે અને જરૂર ઊભી થાય તો તે માટે બળનો ઉપયોગ પણ કરે છે. આમ આંતરિક સુરક્ષા એટલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી. સામાન્ય રીતે પોલીસતંત્ર આ કામ કરે છે. બીજા પ્રકારની સુરક્ષા તે બાહ્ય સુરક્ષા. દેશની સીમાઓ વિવિધ સ્વરૂપની હોય છે; જેમ કે, જમીન પરની સીમા, હવાઈ સીમા અને જળસીમા. બીજો કોઈ પણ દેશ આવી સીમાઓ તોડી અન્ય કોઈ દેશની સરહદોમાં ન પ્રવેશી શકે. જો બીજા કોઈ દેશની સીમામાં પ્રવેશવું હોય તો વિધિપૂર્વકની પરવાનગી લેવી પડે. દેશની સીમાઓ અંગે આંતરરાષ્ટ્રીય કાયદા હોય છે અને તે અનુસાર દેશની સીમાઓ નક્કી થઈ હોય છે. દેશની સીમા યા સરહદોના રક્ષણ માટે આથી લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે. લશ્કરની ત્રણ પાંખો – ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ આ માટે નિભાવવામાં આવે છે. અહીં બીજી એક વાત નોંધવી જોઈએ. જો કોઈ પણ નાગરિકને એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો ત્યાં જવા માટે ‘પ્રવેશ-પરવાનગી’ એટલે ‘વિઝા’ મેળવવા અનિવાર્ય હોય છે. જો દેશનો કોઈ નાગરિક કોઈ પણ કારણસર દેશ છોડવા ચાહતો હોય તો તે માટે તેણે પરવાનગી મેળવવાની રહે છે. દેશ છોડવાની કાયદેસરની પરવાનગીને ‘પાસપૉર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ સલામતીના હેતુસર પ્રત્યેક દેશ ‘પાસપૉર્ટ’ અને ‘વિઝા’ની વ્યવસ્થા ઊભી કરે છે. તે માટે ખાસ ધારાધોરણો રાખવામાં આવે છે. જે તે પ્રકારની પરવાનગી મેળવ્યા પછી જ નાગરિક વિવિધ દેશોમાં આવ-જા કરી શકે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સુરક્ષા, પૃ. ૨૦)