Categories
વાચન સમૃદ્ધિ

મનોહર શ્યામ જોશી

જ. ૯ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૩૦ માર્ચ, ૨૦૦૬

હિંદી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને પટકથાલેખક મનોહર શ્યામ જોશીનો જન્મ અજમેર, રાજસ્થાનમાં કુમાઓની બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારબાદ લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’, ‘મૉર્નિંગ ઇકો’, અંગ્રેજી દૈનિક તથા ‘વીક ઍન્ડ રિવ્યૂ’ના સંપાદક રહ્યા. ૨૯ વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘કરુ-કરુ સ્વાહા’ ૧૯૮૧માં પ્રગટ થઈ. આ ઉપરાંત તેમણે ૧૩ જેટલા ગ્રંથો આપ્યા છે. ભારતીય દૂરદર્શનના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય ધારાવાહિકો ‘હમલોગ’ (૧૯૮૨), ‘બુનિયાદ’(૧૯૮૭-૮૮)ના લેખન દ્વારા તેઓ હિંદી ટેલિવિઝન શ્રેણીઓના અગ્રેસર બન્યા અને ભારતીય ‘સોપ ઓપરાના પિતા’ તરીકે ઓળખાયા. હમલોગમાં મધ્યમવર્ગના ભારતના લોકોના રોજિંદા સંઘર્ષોને બતાવવામાં આવ્યા છે તો બુનિયાદ ૧૯૪૭માં ભારતના ભાગલા દ્વારા વિસ્થાપિત પરિવારના જીવન પર આધારિત હતી. બંનેએ ભારતીયોની આખી પેઢી તેમજ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ પર ઊંડો પ્રભાવ પાડ્યો. પછીનાં વર્ષોમાં ‘મુંગેરી લાલ કે હસીન સપને’, ‘કાકાજી કહીં’, ‘હમરાહી’, ‘જમીન આસમાન’ અને ‘ગાથા’ જેવી ઘણી લાંબી ચાલતી ધારાવાહિકો પણ લખી. તેમની પુરસ્કૃત રચના ‘ક્યાપ’ દુનિયામાં પરિવર્તન લાવવાનાં સ્વપ્ન અને આદર્શોના કરુણાજનક પરિણામ વર્ણવતી નવલકથા છે. તેમને વર્ષ ૨૦૦૫નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. તેમને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ સન્માન, શરદ જોષી સન્માન, શિખર સન્માન, દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, ઓનિડા પિનકેલ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વ. વડાપ્રધાન મનમોહન સિંહે તેમને ‘તાજેતરના સમયમાં હિન્દીના સૌથી પ્રભાવશાળી લેખકો અને વિવેચકોમાંથી એક’ ગણાવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ પટેલ ‘પતીલ

જ. ૮ ઑગસ્ટ, ૧૯૦૫ અ. ૧૮ માર્ચ, ૧૯૭૦

ગુજરાતી ભાષાના કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ના ઉપનામથી વધુ જાણીતા છે. જોકે એમણે ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’,‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અને ‘યશોબાલા’ જેવાં અનેક ઉપનામોથી લખ્યું છે. અંકલેશ્વરમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરી મહેસૂલ અને કેળવણી ખાતામાં નોકરી કરી. તેમનું પ્રથમ કાવ્ય ‘નર્મદાને’ ૧૯૩૧માં ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું. તેમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા મળે છે. તેમજ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ૧૯૪૦માં પ્રકાશિત થયેલા તેમના ‘પ્રભાત-નર્મદા’ કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે તો કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. તેમના પદ્યપ્રયોગોમાં તેમણે છંદમિશ્રણોનો તેમજ ખૂબ ઓછા જાણીતા એવા પુષ્પિતાગ્રા, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો જોવા મળે છે. આ પ્રયોગોએ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિદ્વાન વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ‘વાસવક્લેશપરિહાર’ નામના હાસ્યરસિક આખ્યાનમાં શચી અને ઇન્દ્રે માનેલ કંથાના પ્રસાદ માટે ખાંડ મેળવવા નારદે કેવી હાડમારી વેઠવી પડી તેનું ઉપહાસાત્મક નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત હિંદી ભાષામાં રચેલ ગઝલ અને તરાનાને ‘નયી તર્ઝે’ નામનો તેમનો સંગ્રહ ૧૯૫૩માં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘ગુજરાત’ દૈનિકમાં સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (૧૯૭૫), ‘અટૂલી અનાર’ (૧૯૭૫) અને ‘વ્યામોહજવનિકા’ (૧૯૭૫) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે. ૬૫ વર્ષની વયે તેમનું વડોદરામાં અવસાન થયું હતું.