Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ ચી. શાહ

જ. ૩ ડિસેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫

નાટ્યકાર, ચરિત્રકાર, પ્રવાસલેખક, સંપાદક અને વિવેચક. જન્મ પાદરા ગામમાં થયો હતો. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થઈ ૧૯૫૦માં એમ.એ. અને ૧૯૬૧માં પીએચ.ડી. થયા. ૧૯૫૧થી ૧૯૭૦ સુધી સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં પ્રાધ્યાપક તરીકે, ૧૯૭૦થી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછી અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેઓ ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ અને ૧૯૮૪થી જૈન સેન્ટર, લંડન-લેસ્ટરના માનદ નિયામક તરીકે રહ્યા.

પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપના વિવેચન-સંશોધન અભ્યાસલેખો પર તેમની આગવી પકડ હતી. ‘પડિલેહા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની પાસેથી ‘નલ-દવદંતી રાસ’, યશોવિજયજીકૃત ‘જંબુસ્વામી રાસ’ અને ઉદ્યોતનસૂરિકૃત ‘કુવલયામાલા’ના પ્રમાણભૂત સંશોધનગ્રંથો પ્રાપ્ત થયેલા છે.

‘શ્યામ રંગ સમીપે’ તેમનો નવ એકાંકી નાટિકાઓનો સંગ્રહ છે. તેમની પાસેથી અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર ઉપરાંત હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, સમય-સુંદર જેવા જૈન સાહિત્યસર્જકોનાં જીવન અને કવનવિષયક પ્રમાણભૂત માહિતી મળે છે. પ્રવાસવિષયક પુસ્તકો ‘એવરેસ્ટનું આરોહણ’ (૧૯૫૫), ‘ઉત્તરધ્રુવની શોધસફર’ (૧૯૮૦), એશિયા ને યુરોપના પ્રવાસોનું વર્ણન ‘પાસપૉર્ટની પાંખે’ (૧૯૮૩), ઑસ્ટ્રેલિયાના પ્રવાસનું પુસ્તક ‘પ્રદેશે જય-વિજયના’ (૧૯૮૪) પણ ધ્યાનાકર્ષક છે.

‘સાંપ્રત સહચિંતન’ ભાગ ૧થી ૩(૧૯૮૦)માં એમની અનેક વિષયો પરત્વેની વિચાર પ્રતિક્રિયા વ્યક્ત થઈ છે. ‘જૈન ધર્મ’ (૧૯૭૫), ‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’ (૧૯૭૬), ‘બૌદ્ધ ધર્મ’ (૧૯૭૭) વગેરે એમની પરિચય પુસ્તિકાઓ છે. ‘બે લઘુરાસકૃતિઓ’ (૧૯૮૪) વગેરે એમનાં સંપાદનો છે તો સૉનેટસંગ્રહ ‘મનીષા’ (૧૯૫૧) છે. ‘રાહુલ સાંકૃત્યાયન’ એમનો અનુવાદગ્રંથ છે. ભાષાસાહિત્યના અભ્યાસીઓને તેમની કૃતિઓ ઘણી ઉપયોગી નીવડે તેવી છે. વૈજ્ઞાનિક સંશોધનની રીતે છતાં રસપ્રદ શૈલીમાં લખાયેલા તેમના લેખો ખૂબ જ માહિતી પૂરી પાડે છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

શિષ્ટાચાર

સભ્યતાપૂર્ણ ચાલચલગત – સદ્વ્યવહારવાળું વર્તન.

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. સમાજમાં પ્રસંગોપાત્ત, કેમ રહેવું, કેમ બોલવું, કેમ મળવું, કેમ વર્તવું વગેરે વ્યાવહારિક જીવન-સંબંધ સાથે સંકળાયેલા નિયમોને શિષ્ટાચાર કહે છે. શિષ્ટાચાર એટલે સુઘડ રીતભાત, સભ્ય રીતભાત અને સંસ્કારી આચાર. શિષ્ટાચારપાલનથી માન અને મોભો સચવાય છે. અંગ્રેજીમાં શિષ્ટાચારને ‘એટિકેટ’ કહે છે. તે મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ‘નાની ટિકિટ’ થાય છે. પહેલાં ફ્રાન્સમાં આમંત્રિતોને સમારંભમાં કેમ વર્તવું તેની સૂચનાવાળી ટિકિટ અપાતી. તે ઉપરથી આ શબ્દ પ્રચલિત બન્યો.

પ્રાચીન ભારતના ગ્રંથોમાં પણ શિષ્ટાચારના નિયમો આપેલા છે. સમાજના વિવિધ વર્ગોએ કેવું વર્તન કરવું એ એમાં વર્ણવેલું છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, સાધુ, સંન્યાસી, રાજા વગેરેએ પાળવાના શિષ્ટાચારની ઝીણી વિગતો આપેલી છે. આજે પણ ઘણા અંશે આવા શિષ્ટાચારના નિયમો પળાય છે. મા-બાપ નાનપણથી બાળકોને સારી રીતભાત શીખવે  છે. ઓળખીતા મળે ત્યારે કેમ વર્તવું, મોટા લોકોને કઈ રીતે આદર આપવો, જમતી વખતે કેવી કાળજી રાખવી, વિવિધ પ્રસંગે કેવો પોશાક ધારણ કરવો વગેરેનો બાળકો-કિશોરો વગેરેને ખ્યાલ આપવામાં આવે છે.

દરેક સમાજમાં શિષ્ટાચારના પોતપોતાના નિયમો હોય છે. જોકે સમય જતાં તેમાં  જરૂરી ફેરફારો થતા રહેતા હોય છે. શિષ્ટાચારના નિયમો સામાજિક વ્યવહારની સરળતા માટે બનાવવામાં આવ્યા હોય છે. સમાજમાં બધા જેમ ફાવે તેમ વર્તન કરે તો અરાજકતા ફેલાઈ જાય. વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવું એ પણ શિષ્ટાચાર જ ગણાય છે. ઍમ્બુલન્સને પ્રથમ જવા દેવાના નિયમને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર ગણવામાં આવે છે. આરોગ્ય, સ્વચ્છતા અંગેના નિયમો પાળવા એ પણ શિષ્ટાચારનો જ એક ભાગ છે. ગાંધીજી લખે છે કે ‘પાણી, ભોજન કે વિવાહવ્યવહાર ફાવે ત્યાં ન કરવો એને હું શિષ્ટાચાર ગણું છું. તેમાં આરોગ્ય અને પવિત્રતાની રક્ષા રહેલી છે.’ વિશ્વમાં જોવા મળતી, પળાતી જુદી જુદી રીતભાતો નવાઈ પમાડે તેવી હોય છે. ચીની લોકો બીજાને મળે ત્યારે માથું હલાવે છે. જાપાની લોકો કમરથી વળે છે. એસ્કિમો લોકોમાં જમવા આવેલો મહેમાન જમ્યા પછી હોઠ વડે બુચકારો બોલાવે છે. આફ્રિકાની એક કોમમાં સામસામા એકબીજા પર થૂંકવાની પ્રથા છે ! પશ્ચિમમાં એકબીજાને મળે છે ત્યારે હૅટ ઉપાડી અભિવાદન કરવાની પ્રથા છે. શિષ્ટાચારમાં અભિવાદનનું ખૂબ મહત્ત્વ છે. વિધિવત્ ઉચ્ચારણ સાથે નમસ્કાર કરવા તેને અભિવાદન કહે છે. માનાર્થે ઊભા થવું તે પણ અભિવાદન છે. અભિવાદન યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ.

શિષ્ટાચારનો અતિ આગ્રહ જડતા લાવે છે. પ્રસંગોપાત્ત, સ્વાભાવિક બનવાથી ઘણી હળવાશ જળવાઈ રહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે

(મામાસાહેબ)

જ. ૨ ડિસેમ્બર, ૧૮૮૭ અ. ૨૯ જુલાઈ, ૧૯૭૪

‘મામાસાહેબ’ તરીકે જાણીતા વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે અસ્પૃશ્યતાનિવારણ જેવાં રચનાત્મક કાર્ય કરનાર સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી સેવક હતા. ‘ગાંધીજીના જમાનાનો હું પહેલો અંત્યજસેવક ગણાઉં’ એવી જેમણે પોતાની ઓળખ આપી છે એવા મામાસાહેબ ફડકે દલિતોદ્ધારના ભેખધારી હતા. અનેક દલિત વિદ્યાર્થીના જીવનમાં કેળવણીનો પ્રકાશ પાથરનાર ખરા અર્થમાં ‘અવધૂત’ પણ હતા. મહારાષ્ટ્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મામાસાહેબ ફડકે આરંભથી જ અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજ સત્તાના વિરોધી હતા. લોકમાન્ય ટિળક તેમના આદર્શ હોવાથી ૧૯૦૬માં ઓગણીસ વરસના વિઠ્ઠલ ફડકેએ રત્નાગિરિમાં ટિળકની પચાસમી જન્મજયંતીએ જે ભાષણ આપેલું ત્યારથી તેઓ લોકોની અને પોલીસની નજરે ચડી ગયા હતા. ભણવામાંથી મન ઊઠી જવાથી દેશસેવા માટે પિતાની આજ્ઞા સાથે તેમણે ઘર છોડ્યું હતું અને ફરતા ફરતા વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા હતા. તેમણે ત્રણેક વરસ ગિરનારમાં અજ્ઞાતવાસમાં ગાળ્યાં હતાં.

૧૯૧૫માં ગાંધીજીની મુલાકાત પછી અમદાવાદમાં આવી સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં જોડાયા હતા અને ગાંધીમય બની ગયા હતા. ૧૯૧૭માં ગોધરા ખાતે એક રાજકીય અને સામાજિક પરિષદ મળી હતી. એ નિમિત્તે ગોધરાના સફાઈ કામદારોની વસ્તીમાં ગાંધીજીની સભા થઈ અને તેમના માટે એક શાળા શરૂ કરવામાં આવી હતી. વીસમી સદીના પહેલા બીજા દસકામાં દલિતોના શિક્ષણનું કામ કેટલું મુશ્કેલ હતું તે મામાસાહેબની આત્મકથા ‘મારી જીવનકથા’માં સ્પષ્ટ જોવા મળે છે. ગોધરાની આ અંત્યજ શાળા પછી આશ્રમમાં પરિવર્તિત થઈ હતી. અને આમ ભારતનો સૌપ્રથમ આશ્રમ ગોધરામાં શરૂ થયો હતો. ૧૯૨૪માં તેમના અધ્યક્ષપદે બોરસદમાં એક અંત્યજ પરિષદ યોજાઈ હતી. સ્વરાજની લડતમાં જોડાઈને મામાએ હાલોલ, સાબરમતી અને વિસાપુરની જેલોમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૪માં સત્તાવન વરસે પણ પોતાના રોટલાનો લોટ જાતે જ દળતા મામાને ઘંટીનો અંદરનો ખીલો વાગી જવાથી તેમણે એક આંખ પણ ગુમાવી હતી.

ગોધરાના ગાંધી આશ્રમ સાથે હવે મામાસાહેબ ફડકેનું નામ જોડાવાથી તે દલિતોદ્ધારનાં કાર્યોનું જીવંત સ્મારક બન્યો છે. મહાદેવભાઈ દેસાઈએ તેમને ‘અંત્યજ ઉદ્ધાર માટે જીવનવ્રત લેનાર’ ગણાવ્યા હતા.

અશ્વિન આણદાણી