Categories
વાચન સમૃદ્ધિ

શિસ્ત

આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે.

શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને મનુષ્યત્વના વિકાસની પ્રવૃત્તિઓમાં શિસ્ત પ્રેમાધારિત અને ગુણવિકાસ તથા સંવાદી જીવન માટે હોય છે.

શિસ્ત ન હોય તો અરાજક્તા ફેલાય. વળી એકલી શિસ્તને જડતાપૂર્વક મહત્ત્વ અપાય તો એ ત્રાસરૂપ બની જાય છે. એટલે કટોકટી, યુદ્ધ કે લશ્કર સિવાયના રોજબરોજના જીવનમાં શિસ્ત સહજ વલણ રૂપે પ્રગટ થાય એ ઇષ્ટ સ્થિતિ છે. જે પ્રજા સ્વેચ્છાએ શિસ્ત જાળવે છે, સૌ માટે ઘડાયેલા નિયમો સ્વેચ્છાએ પાળે છે તે વધુ વિકસિત ગણાય છે. મનુષ્ય એકલો રહેતો હોય તો શિસ્તના પ્રશ્નો ઉદભવતા નથી; પરંતુ મનુષ્ય સમાજમાં  રહે છે, વિવિધ પ્રકારના માનસવાળા લોકો સાથે રહે છે એથી બીજાને અગવડ કે પ્રતિકૂળતા ન થાય તેવો વ્યવહાર કરવા શિસ્ત જરૂરી છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્વૈચ્છિક શિસ્તપાલન હોવું જોઈએ.

ટ્રાફિક સિગ્નલ શિસ્તનો એક ભાગ

શિસ્ત કોઈક વાર વ્યક્તિને પ્રતિકૂળ પણ લાગે; પરંતુ આખો સમાજ એ નિયમનું પાલન કરશે તો દરેક વ્યક્તિને માટે સુવિધાભર્યું, સલામત અને સંવાદી જીવન શક્ય બનશે. વ્યક્તિગત ઇચ્છા અને સામાજિક નિયમો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અશિસ્ત સર્જાય છે. એટલે વિવેક કરવો પડે છે કે કેટલીક વ્યક્તિગત બાબતમાં સ્વાતંત્ર્ય હોય અને સમાજસંબંધિત બાબતોમાં સૌનું નિયમપાલન હોય. સૌએ ટિકિટ લઈને મુસાફરી કરવી, વાજબી કરવેરા ચોકસાઈથી ભરવા, પોતાની જવાબદારીનું નિષ્ઠાથી પાલન કરવું, ટ્રાફિકના નિયમો પાળવા, જાહેર સ્થાનની સ્વચ્છતા જાળવવી, સમયપાલન કરવું –આ સઘળાંનું પાલન થાય તો આખા સમાજને લાભ થાય છે. શિસ્ત બે પ્રકારની ગણી શકાય : (૧) કાયદા કે નિયમો રૂપે નિશ્ચિત થયેલ કામો કે વ્યવહારો. (૨) પ્રણાલી, પરંપરા રૂપે કે ગુણવિકાસ માટે સ્થિર થયેલા વ્યવહારો. જે પ્રજા કાયદા કે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે તે વિકસિત ગણાય. જે પ્રજા પરંપરા કે પ્રણાલી કે જીવનની ગુણવત્તા જાળવવા અમુક આચારો સ્થિર કરે અને તેનું પાલન કરે એ સમજદાર ગણાય. બાળકોની કાળજી, બહેનોનું સન્માન, વૃદ્ધોનો આદર –એ નિયમો નથી, પરંતુ સમાજના સ્વાસ્થ્ય માટેની શિસ્ત છે. જ્યાં નિયમો કે કાયદા છે ત્યાં હંમેશાં સજા, દંડ કે કેદ જોડાયેલાં હોય છે; કારણ કે એમાં આખા સમાજ માટેના નિયમોની જાળવણી કરવાનો ખ્યાલ હોય છે. એમાં ફરજિયાતપણું હોય છે. વાહન ડાબી બાજુ ચલાવવું, ચાર રસ્તે લાલ બત્તી હોય તો અટકવું – એ નિયમનો ભંગ અરાજકતા સર્જે છે એટલે તેની સાથે દંડ કે સજા જોડાયેલાં હોય છે. પરંતુ આખો સમાજ કેવળ દંડ કે સજાથી જીવી શકે નહિ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિસ્ત, પૃ. 300)

રાજશ્રી મહાદેવિયા

મનસુખ સલ્લા

Categories
વાચન સમૃદ્ધિ

જળધોધ-જળપ્રપાત

નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય છે. નદીના જળવહનમાર્ગમાં ઓછીવત્તી દૃઢતાવાળા જુદા જુદા ખડકસ્તરોનાં પડ વારાફરતી (ઉપર દૃઢ અને નીચે પોચાં) આવેલાં હોય ત્યારે તેમાં થતા ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે જળધોધ કે જળપ્રપાત રચાય છે. વધુ જાડાઈવાળા ઉપરના દૃઢ સ્તરો ઓછા ઘસાવાથી અને વધુ જાડાઈવાળા નીચેના પોચા સ્તરો વધુ પડતા ઊર્ધ્વ દિશામાં ઘસાવાથી જળધોધ, તથા આવાં જ લક્ષણોવાળા પણ ઓછી જાડાઈવાળા સ્તરોના ત્રાંસા ઢોળાવમાં ઘસાવાથી જળપ્રપાત તૈયાર થાય છે. જળધોધમાં જોવા મળતી ઊભી ખડક-દીવાલ, ઉપરથી નીચે તરફ, ઘસાતી જાય તો ઊંચાઈ ઘટતી જાય અને ધોધમાંથી પ્રપાત બની જવાની સ્થિતિ રચાય છે. અમેરિકા-કૅનેડાની સરહદ નજીકના જગપ્રખ્યાત નાયગરાના જળધોધની હેઠવાસમાં જળપ્રપાત તૈયાર થયેલા જોવા મળે છે. કૉલોરેડોનાં ભવ્ય કોતરોમાં શ્રેણીબદ્ધ જળપ્રપાત રચાયેલા છે. કૅનેડાના મૉન્ટ્રિયલ પાસે સેન્ટ લૉરેન્સ નદીમાં જળપ્રપાત આવેલા છે.

નદીના વહનમાર્ગમાં આડો સ્તરભંગ પસાર થતો હોય, ઉપરવાસ તરફ સ્તરભંગની ઊર્ધ્વપાત બાજુ હોય તો ભેખડ(કરાડ)ની રચના થાય છે અને તેથી જળજથ્થો એકાએક નીચે પડે છે – જળધોધ બને છે.

ઘણા ઉચ્ચસપાટ પ્રદેશો (plateaus) લાવાના ખડકોના ઉપરાઉપરી થરોથી બનેલા હોય, ઉપરનીચેના થરોનું બંધારણ જુદું જુદું હોય, તો ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણથી, ત્યાં વહેતી નદી જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ સર્જે છે. એ જ પ્રકારના ખડકથરોમાં ઊભા સાંધા (joints) પડેલા હોય, હેઠવાસનો વિભાગ સાંધામાંથી તૂટી પડતાં, નદીમાર્ગમાં ઊંચાઈનો ફેરફાર લાવી મૂકે છે અને ધોધ કે જળપ્રપાતની રચના થાય છે. યુ.એસ.એ.ના ઇડાહો રાજ્યમાં સ્નેક નદીના શોશોન, ટિવન અને અમેરિકન ધોધ; તથા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદીનો વિક્ટોરિયા ધોધ આ પ્રકારના છે.

સામાન્ય રીતે મુખ્ય નદીઓ ઊંડી ખીણો બનાવતી હોય છે, જ્યારે શાખાનદીઓ છીછરી તેમજ ઊંચાઈએ રહેલી ખીણો બનાવે છે. ઊંચાઈએ રહેલી શાખાનદીઓની ખીણો ‘ઝૂલતી ખીણ’ તરીકે ઓળખાય છે. ઝૂલતી ખીણમાંનું ઊંચાઈએથી મુખ્ય નદીમાં પડતું પાણી જળધોધની સ્થિતિ રચે છે.

જળધોધની ઊંચાઈ, સ્વરૂપ અને પડતા પાણીનો જથ્થો સ્થાન અને સંજોગભેદે જુદાં જુદાં હોઈ શકે છે. જળધોધ દુનિયાના બધા જ દેશોની નદીઓમાં, મોટે ભાગે પર્વતપ્રદેશોમાં, ઉચ્ચસપાટ પ્રદેશોમાં જોવા મળે છે. જળપ્રપાત સામાન્ય રીતે જળધોધના ઉપરવાસમાં અને હેઠવાસમાં મળતા હોય છે, તેમ છતાં જળધોધ ન હોય એવી નદીઓમાં પણ જળપ્રપાત હોઈ શકે છે. ભારતમાં જોગનો ધોધ પ્રપાત તરીકે ઓળખાય છે.

જળધોધ અને જળપ્રપાત વહાણવટા માટે બાધારૂપ નીવડે છે. આવી સ્થિતિ હોવા છતાં વહાણવટા માટે કે હોડીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા જળમાર્ગો માટે નહેરોના બાંધકામનું આયોજન, લૉકગેટની વ્યવસ્થા સહિત કર્યું હોય તો જ બંને બાજુના જળસ્તર સમાન કરી શકાય અને હેરફેર શક્ય બને.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા

Categories
વાચન સમૃદ્ધિ

યશ પાલ

જ. ૨૬ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ જુલાઈ, ૨૦૧૭

ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની અને કેળવણીકાર. તેમનો જન્મ ઝંગ(હાલ પાકિસ્તાન)માં થયો હતો.

પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૮માં બી.એસસી. અને ૧૯૪૯માં એમ.એસસી. થયા બાદ યશ પાલે ૧૯૫૦માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૫૮માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩ સુધી તેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક હતા તે દરમિયાન ઘણી સંસ્થાઓના તેઓ મુલાકાતી અધ્યાપક હતા. મૂળભૂત કણોના ક્ષેત્રે તેમણે પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. ઉચ્ચ-ઊર્જા આંતરક્રિયાનું પાયોનાઇઝેશન-વિખંડન પરિરૂપ તેમણે તૈયાર કર્યું હતું. ૧૯૭૩માં તેઓ ટૅકનૉલૉજી, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલાં ક્ષેત્રો તરફ વળ્યા અને અમદાવાદ ખાતે આવેલ સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના પ્રથમ નિયામક તરીકે ૧૯૭૩થી ૧૯૮૧ સુધી સંચાલન કરેલું. અહીં તેમની જવાબદારી ભારતના સૌથી પછાત એવાં કેટલાંક હજાર ગામોમાં શિક્ષણ અને વિકાસ માટે ઉપગ્રહ આધારિત સીધા ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ થઈ શકે કે કેમ તે ચકાસવા માટેનો એક સામાજિક ટૅકનિકલ પ્રયોગ કરવાની હતી. ૧૯૮૬થી ૧૯૯૧ દરમિયાન તેમને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાનાં બાળકો માટે ‘ભાર વિનાના ભણતર’નો વ્યાવહારિક ખ્યાલ આપ્યો હતો. ૧૯૯૫માં ભારત સરકારે તેમને નૅશનલ રિસર્ચ પ્રોફેસર તરીકે નીમ્યા હતા.

તેમણે ભારતની ઘણી વિજ્ઞાનસંસ્થાઓના અધ્યક્ષ કે પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૭૭માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે ચૂંટાયેલા. આ ઉપરાંત પણ તેઓ અનેક સંસ્થાઓના માનાર્હ ફેલો હતા. તેમણે અનેક યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે પણ સેવાઓ આપેલી. તેમને તેમના પ્રદાનના સંદર્ભમાં અનેક ઍવૉર્ડ્સ મળ્યા હતા; જેમ કે, ૧૯૮૦માં માર્કોની ઇન્ટરનેશનલ ફેલોશિપ ઍવૉર્ડ, ૧૯૯૨માં લૉર્ડ પેરી ઍવૉર્ડ ફોર એક્સેલન્સ ઇન ડિસ્ટંટ એજ્યુકેશન, ૧૯૯૮માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનનો સર આશુતોષ મુકરજી સુવર્ણચંદ્રક વગેરે. ભારત સરકાર તરફથી તેમને ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’, ૨૦૧૩માં ‘પદ્મવિભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. ૨૦૦૬માં મેઘનાદ સહા ઍવૉર્ડ પણ મળેલો. તેમનું મૃત્યુ નોઇડા(ઉત્તરપ્રદેશ)માં આંતરડાની માંદગીને કારણે થયું હતું.

અનિલ રાવલ