Categories
વાચન સમૃદ્ધિ

વિમલાતાઈ ઠકાર

જ. ૨૫ માર્ચ, ૧૯૨૩ અ. ૧૧ માર્ચ, ૨૦૦૯

સત્યના અધિષ્ઠાન આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક. જન્મ સમયે તેમનું નામ ‘દુર્ગા’ પાડેલું, પરંતુ પાછળથી વિધિવત્ ‘વિમલા’ નામ પાડવામાં આવ્યું. ત્યારબાદ અનુયાયીઓ અને પ્રશંસકોએ ‘વિમલાતાઈ’ નામ પ્રચલિત કર્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. તથા મૉરિસ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન મરાઠી તથા અંગ્રેજી નાટકોમાં અભિનય પણ કર્યો. સાથે વૉલીબૉલ, બાસ્કેટબૉલ તથા ખો ખો જેવી રમતોમાં પણ ભાગ લેતાં તથા વક્તૃત્વસ્પર્ધામાં પણ પુરસ્કાર મેળવતાં. કૉલેજમાંથી અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑફ યૂથ’માં આપણા દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કર્યું તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑફ યંગ વિમેનની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા ઉપરાંત તેના એક સત્રનાં અધ્યક્ષ પણ રહ્યાં હતાં. ‘યુનેસ્કો’ દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવાપરિષદમાં પણ ભાગ લીધો હતો.

વિનોબાજીથી પ્રભાવિત હોવાથી પદયાત્રામાં પણ અચૂક જોડાતાં. આથી દાદા ધર્માધિકારી, વિનોબા, જયપ્રકાશ નારાયણ ઉપરાંત જે. કૃષ્ણમૂર્તિ સાથે વિચારમંથનની બેઠકોમાં ભાગ લેતાં. ૧૯૭૫માં જ્યારે દેશમાં કટોકટીની જાહેરાત થઈ ત્યારે જયપ્રકાશ નારાયણ સાથે વિરોધ કરનારાંઓમાં તેઓ પણ મોખરે હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં જ સમય પસાર કરતાં હતાં. ત્યાં એમણે એક સભાગૃહ બંધાવ્યું છે અને જરૂર પડે ચિંતન-બેઠકો, શિબિરો અને પરિસંવાદો યોજાય છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન જેવી પ્રવૃત્તિઓ ચાલતી. તેમના પ્રકાશિત ગ્રંથોમાં ૫૮ અંગ્રેજી, ૫૮ ગુજરાતી, ૪૩ હિંદી અને ૧૦ મરાઠી ભાષામાં છે. તેમના કેટલાક ગ્રંથો ડચ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન તથા સ્પૅનિશ ભાષામાં પણ છે. તેમાં ‘લિવિંગ અ ટ્રુલી રીલિજિયસ લાઇફ’ વિશેષ ધ્યાનાકર્ષક છે. ‘જીવનયોગ ગુજરાતી સામયિક, ‘જીવન પરિમલ’ હિંદી સામયિક અને ‘કૉન્ટેક્ટ વિથ વિમલા ઠકાર’થી તેમના ચિંતનનો પ્રસાર-પ્રચાર થતો રહેતો. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પાડવામાં આવેલી.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

સસ્તન પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓમાંનો સસ્તન કે આંચળ ધરાવતાં અને મોટા ભાગે બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓનો વર્ગ.

નાના કદનો ઉંદર, મોટોમસ હાથી, ઊંચું જિરાફ અને નાનું અમથું સસલું, પાણીમાં રહેતી વહેલ અને ઝાડ પર રહેતો વાંદરો, ઊડી શકતું ચામાચીડિયું અને ઝડપથી દોડતો ચિત્તો — આવાં સસ્તન પ્રાણીઓના વિવિધ પ્રકારોની સંખ્યા ૪૦૦૦થી વધારેની છે. આમાં માનવજાતનો પણ સમાવેશ થઈ જાય છે. સસ્તન પ્રાણીઓ સર્વત્ર વસે છે. વાનર અને હાથી વિષુવવૃત્તનાં જંગલોમાં, ધ્રુવીય રીંછ બરફીલા ઉત્તર ધ્રુવ પાસે, ઊંટ રણમાં તો વહેલ તથા સીલ દરિયામાં વસે છે. ઉંદર, બિલાડી, કૂતરાં જેવાં કેટલાંક પ્રાણીઓ માનવ-વસવાટ પાસે તો ચિત્તા, વાઘ, મનુષ્યથી દૂર જંગલમાં વસે છે. બ્લૂ વહેલ નામનું જળચર પ્રાણી સૌથી મોટું સસ્તન પ્રાણી છે. વહેલ ૩૦ મીટર લંબાઈ અને ૨૦૦ ટન જેટલું વજન ધરાવે છે. નાનામાં નાનું સસ્તન પ્રાણી તે ૨ ગ્રામ વજન ધરાવતું ચામાચીડિયું છે.

સસ્તન પ્રાણીઓની ઘણી વિશિષ્ટતાઓ હોય છે; જેમ કે, સસ્તન પ્રાણીઓ કરોડસ્તંભ ધરાવે છે. તેઓને ફેફસાં હોય છે, જેમના વડે તેઓ શ્વાસોછવાસની ક્રિયા કરે છે. સસ્તન પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકે છે. તેમનાં શરીર પર રુવાંટી કે ફરનું આવરણ હોય છે. સસ્તન પ્રાણીઓની માદાઓ બચ્ચાંને જન્મ આપે છે અને પોતાના દૂધથી તેમને પોષે છે. સસ્તન પ્રાણીઓને બીજાં પ્રાણીઓની સરખામણીમાં મોટું મગજ હોય છે. ચિમ્પાન્ઝી, ડૉલ્ફિન તથા મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. ગાય, ભેંસ, બકરી, ઘોડો જેવાં સસ્તન પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે, જ્યારે બીજાં કેટલાંક સસ્તન પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર નભે છે; દા. ત., સિંહ, વાઘ, ચિત્તો. કેટલાંક સસ્તન પ્રાણીઓ ઉભયાહારી છે. તે વનસ્પતિ અને માંસ બંનેય ખાય છે. સસ્તન માદાના ગર્ભાશયમાં બચ્ચાંનો વિકાસ થયા પછી તેમનો પ્રસવ થાય છે. તે બચ્ચાં માદાનું દૂધ પીને પોષણ પામે છે. સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી સરીસૃપ જેવાં પ્રાણીઓની સરખામણીમાં ઓછાં બચ્ચાંને જન્મ આપે છે. તેઓ બચ્ચાંની કાળજી કરે છે. તેઓ સ્વતંત્ર રીતે રહી શકે ત્યાં સુધી પોતાની સાથે રાખે છે. કાંગારું જેવાં સસ્તન પ્રાણીઓ ખૂબ નાના કદના બચ્ચાને જન્મ આપે છે. જન્મ બાદ બચ્ચું તેની માના પેટમાં આવેલ કોથળીમાં જતું રહે છે અને એ કોથળીમાં દૂધ પી તેનો પૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી રહે છે. અમુક જાતનાં સસ્તન પ્રાણીઓ — પ્લૅટિપસ (બતક-ચાંચ) અને કાંટાળું કીટીખાઉ ઈંડાં મૂકે છે, તેમાંથી બચ્ચાંનો જન્મ થાય છે. સીલ, વહેલ, ડ્યુગોંગ, દરિયામાં રહેતાં સસ્તન પ્રાણીઓ છે. ૧૬.૪ કરોડ વર્ષો પહેલાં સસ્તન પ્રાણીઓ હયાત હતાં. તેઓ ડાયનોસૉર સાથે અસ્તિત્વ ધરાવતાં હતાં. ત્યારબાદ ડાયનોસૉરના સામૂહિક વિનાશ પછી તેઓનો વિકાસ થયો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

નૃસિંહ ગુરુ

જ. ૨૪ માર્ચ, ૧૯૦૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૮૪

‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ તરીકે જાણીતા નૃસિંહ ગુરુનો જન્મ સંબલપુરના ગુરુપાલી ગામમાં થયો હતો. તેઓ સમર્પિત દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. ૧૯૨૧માં જ્યારે તેઓ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે અસહકાર આંદોલનમાં જોડાઈ ગયા. તેમણે જ્યાં સુધી ભારતને આઝાદી ન મળે ત્યાં સુધી સરકારી શાળામાં અભ્યાસ ન કરવાનો નિર્ણય મિત્રો સાથે મળીને લીધો. તે સમયે સમગ્ર દેશમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હતી. આ વાત સમાચારપત્રોમાં છપાતાં ઘણા રાષ્ટ્રીય નેતાઓ તેનાથી પ્રભાવિત થયા અને તેમનું મનોબળ વધારવામાં મદદ કરી. તેમણે પોતાની કારકિર્દી ત્યાગી, સમગ્ર તાકાત સ્વતંત્રતાસંગ્રામને આગળ ધપાવવામાં લગાડી દીધી. તેમણે ઘેર ઘેર જઈને ખાદીનો અને અસ્પૃશ્યતાનિવારણનો પ્રચાર કર્યો. તેમણે શરાબ અને અફીણ વિરોધી અભિયાનનું નેતૃત્વ કર્યું. ચંદ્રશેખર બેહરા દ્વારા સ્થાપિત ‘હરિજન સેવક સંઘ’ના તેઓ સચિવ હતા અને સંબલપુરના હરિજન છાત્રાવાસની દેખભાળ કરતા હતા. ૧૯૪૨માં તેમની ભારતરક્ષા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી અને તેમના પર ખોટો મુકદ્દમો ચલાવવામાં આવ્યો. તે પછી તેમને છોડવામાં આવ્યા. ફરી તેમની ધરપકડ કરી. ૧૯૪૪ સુધી જેલમાં રાખવામાં આવ્યા. સ્વતંત્રતા બાદ તેઓ રાજનીતિક ગતિવિધિઓથી અલિપ્ત થઈ ગયા અને પત્રકારત્વક્ષેત્રે સક્રિય બન્યા. તેમણે આર્થિક લાભ ખાતર નહીં, પરંતુ રાષ્ટ્રની સેવાના માધ્યમ તરીકે આ વ્યવસાય સ્વીકાર્યો. તેમણે ‘સમાજ’ અખબારને પશ્ચિમ ઓડિશામાં આમજનતાનું અખબાર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમને ઍસોશિએટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયાના રિપોર્ટર તરીકેની નિયુક્તિ મળી હતી. થોડા સમય માટે તેમણે સંબલપુરથી પ્રકાશિત સાપ્તાહિક ‘જાગરણ’ના સંપાદક તરીકે કામ કર્યું. વાસ્તવમાં ગાંધીવાદી સિદ્ધાંતોના પ્રત્યક્ષ અવતાર સમા નૃસિંહ ગુરુ સાચા અર્થમાં ‘પશ્ચિમ ઓડિશાના ગાંધી’ કહેવાયા છે તે યથાર્થ છે.

શુભ્રા દેસાઈ