Categories
વાચન સમૃદ્ધિ

દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !

કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ બને તેમ તેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે. આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત’ લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ. જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત્ કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ?

Categories
વાચન સમૃદ્ધિ

સી. પી. રામાસ્વામી ઐયર

જ. 12 નવેમ્બર, 1879 અ. 26 સપ્ટેમ્બર, 1966

વિદ્વાન કાયદાશાસ્ત્રી અને ત્રાવણકોરના દીવાન ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ તમિળનાડુના વાંડીવાશમાં થયો હતો. શાળેય શિક્ષણ વેસ્લી કૉલેજ હાઈસ્કૂલમાં લીધું. પછી પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન અંગ્રેજી, સંસ્કૃત અને ગણિતમાં ઇનામો મેળવ્યાં. નેબ્યુલર થિયરી અંગે પેપર લખીને એલ્ફિન્સ્ટન પુરસ્કાર મેળવ્યો. મદ્રાસ લૉ કૉલેજમાંથી ગોલ્ડમેડલ મેળવી ડિગ્રી મેળવી અને ચેન્નાઈમાં વકીલાત શરૂ કરી. 1920માં મદ્રાસ પ્રેસિડેન્સીના ઍડ્વોકેટ જનરલ બન્યા. તેઓ કેન્દ્રીય વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. 1923માં ચેન્નાઈના ગવર્નરની અને 1931માં ભારતના વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદાસભ્ય તરીકે નિમાયા. તેઓ લીગ ઑફ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ હતા. 1936થી 1947 સુધી ત્રાવણકોરના દીવાનપદે રહ્યા. તેમણે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સચિવ હતા અને એની બેસન્ટને જેલ થતાં તેમના અખબાર ‘ન્યૂ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તેમણે લોકોપયોગી અનેક કાર્યો કર્યાં. પાયકાર ડૅમ અને  મેટ્ટુર ડૅમના બાંધકામ તેમજ કોચીન, વિશાખાપટ્ટનમ્ અને તુતીકોરીન બંદરોનો વિકાસ કર્યો. તેમણે કાશ્મીર રાજ્ય માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમણે 1937માં મહારાજાને ચાન્સેલર રાખીને ત્રાવણકોર યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમના દીવાનપણા હેઠળ ત્રાવણકોર ભારતમાં માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તેમણે પહેલી વાર મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. 1947માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રાવણકોરના દીવાનપદેથી રાજીનામું આપી લંડન ગયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકસાથે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ ભારતીય હતા. 1926માં તેમને નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર (KCJE) અને 1941માં નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા(KCSI)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1939માં ત્રાવણકોર યુનિવર્સિટી દ્વારા માનદ એલ.એલ.ડી.ની પદવી આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉલ્ફિન

સેટેશિયા શ્રેણીના ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટા ભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે. ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs) ક્ષેપણી (paddle) જેવા આકારનાં હોય છે. તેને પશ્ચ ઉપાંગો હોતાં નથી. મોટા ભાગનાં ડૉલ્ફિનોની પીઠ પર પૃષ્ઠ પક્ષ (dorsal fin) હોય છે. તરતી વખતે શરીરની સમતુલા જાળવવામાં અરિત્રો અને પૃષ્ઠ પક્ષ અગત્યનો ભાગ ભજવે છે. ડૉલ્ફિનને એક પુચ્છ પક્ષ (tail fin) પણ હોય છે. તરવામાં પુચ્છ પક્ષનો ઉપયોગ નોદક (propeller) તરીકે થાય છે. ડૉલ્ફિનની ચામડી લીસી, રબર જેવી હોય છે. ચામડીની નીચે મેદસ્તર (blubber) આવેલો હોય છે. મેદસ્તર શરીરનું તાપમાન જાળવવા ઉપરાંત, ખોરાકનો સંગ્રહ પણ કરે છે. શીર્ષ પ્રદેશ પર ધમણ-છિદ્ર (blow hole) નામે ઓળખાતું, એકલ નાસિકા છિદ્ર હોય છે.

સામાન્ય ડૉલ્ફિન                                કિલર વહેલ

ડૉલ્ફિનમાં પ્રતિધ્વનિ-અવસ્થાપક (echo location) સોનર તંત્ર હોય છે. તેની મદદથી તે તરતી વખતે માર્ગમાં આવેલી વસ્તુઓનું સ્થાનનિર્ધારણ કરે છે. શીર્ષની ટોચે મેદીપેશીનું બનેલું મેલૉન નામનું એક અંગ આવેલું હોય છે. તેમાંથી ટિક અને સિસોટીના અવાજના તરંગો નીકળે છે. આ તરંગો માર્ગમાં આવેલી વસ્તુઓ સાથે અથડાતાં પ્રતિધ્વનિ સોનર તંત્રના સંપર્કમાં આવે છે. તેને પરિણામે ડૉલ્ફિન વસ્તુના નિશ્ચિત સ્થાનનું નિદાન કરી શકે છે. ડૉલ્ફિનનાં શ્રવણગ્રાહી અને દૃષ્ટિગ્રાહી અંગો સારી રીતે વિકસેલાં હોય છે. ડૉલ્ફિનને ગંધગ્રાહી અંગો હોતાં નથી અને સ્વાદગ્રાહી અંગોનો વિકાસ અત્યલ્પ હોય છે. કેટલાંક સામાન્ય ડૉલ્ફિનો : 1. સામાન્ય ડૉલ્ફિન (Delphinus delphic) : નાના કદનાં ડૉલ્ફિનોની આ એક જાત છે, તે આશરે 2થી 2.5 મીટર લાંબું હોય છે. તેનું વજન 75 કિગ્રા. જેટલું હોય છે. તેની આંખની ફરતે ઘેરી પટ્ટી આવેલી હોય છે, જે ચાંચના આગલા છેડા સુધી લંબાયેલી હોય છે. 2. શીશીનાસા ડૉલ્ફિન (Tursiops fruncatus) : માનવીને સૌથી પરિચિત ડૉલ્ફિન. પોતાની નાની ચાંચને લીધે ડૉલ્ફિન જાણે મૃદુ હાસ્ય કરતું હોય તેવો આભાસ થાય છે. મનોરંજન ઉદ્યાનો અને જળાશયોમાં પોષવામાં આવતાં શીશીનાસા ડૉલ્ફિન માનવીને અત્યંત પ્રિય છે. 3. કિલર વહેલ (Orcinus orca) : સૌથી લાંબું ડૉલ્ફિન. લંબાઈ આશરે 9 મીટર, વજન 450 કિગ્રા. જેટલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડૉલ્ફિન, પૃ. 609 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડૉલ્ફિન/)