Categories
વાચન સમૃદ્ધિ

યશવંતરાવ ચવાણ

જ. ૧૨ માર્ચ, ૧૯૧૪ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૪

મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તથા ભારતના સંરક્ષણપ્રધાન યશવંતરાવનો જન્મ સામાન્ય ખેડૂત કુટુંબમાં દેવરાષ્ટ્રે, સતારામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચશિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ. અને એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. ૧૯૩૦માં રાજકારણમાં સક્રિય બન્યા. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં પ્રથમ કારાવાસ ભોગવ્યો. ડાબેરી વિચારસરણી ધરાવતા હોવા છતાં જવાહરલાલ નહેરુના પ્રભાવને લીધે રાજકીય કારકિર્દી દરમિયાન તે કૉંગ્રેસ સાથે રહ્યા. ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને ૧૯૪૩માં તેમની ધરપકડ થઈ હતી. સાતારા જિલ્લામાં ક્રાંતિકારી આંદોલનમાં અગ્રણી ભાગ લઈ નેતૃત્વ લીધેલું.

૧૯૬૦માં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલાયદાં રાજ્યો સ્થપાયાં ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ વખતે ભારતના સંરક્ષણપ્રધાન તરીકે તેઓ નિમાયા. ત્યારપછીના ગાળામાં કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી. ૧૯૬૨-૬૬ દરમિયાન સંરક્ષણપ્રધાન, ૧૯૬૬-૭૦ દરમિયાન ગૃહપ્રધાન, ૧૯૭૦-૭૪ દરમિયાન નાણાપ્રધાન અને ૧૯૭૪-૭૭ દરમિયાન વિદેશપ્રધાન બન્યા. ૧૯૭૮માં ચૌધરી ચરણિંસઘના મંત્રીમંડળમાં તેઓ નાયબ વડાપ્રધાન નિમાયા.

૧૯૬૯માં કૉંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે તે અટકાવવા માટે તેમણે પ્રયત્નો કરેલા, પરંતુ ભાગલા પડતાં તે કૉંગ્રેસ (૦) ‘સિન્ડિકેટ કૉંગ્રેસ સાથે રહ્યા હતા. ૧૯૭૫માં લદાયેલી કટોકટીનો તેમણે વિરોધ કરેલો. ૧૯૮૦ અને ૧૯૮૪માં કૉંગ્રેસની ઇન્દિરા પાંખમાં પાછા ફરનારામાં ચવાણનો પણ સમાવેશ થતો હતો, પરંતુ તેમને કોઈ પણ હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાશિક ખાતે તેમના નામે ઓપન યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. તેઓ લેખક, વક્તા, વહીવટકર્તા, સાંસદ અને ઉદારમતવાદી નેતા હતા. તેમનાં ભાષણોના બે સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે : ‘સહ્યાદ્રિ ચે વારે’ (૧૯૬૨) અને ‘યુગાંતર’ (૧૯૭૦).

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સરળ બનવું, તે સૌથી અઘરું છે

સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચીમનલાલ ચકુભાઈ

જ. ૧૧ માર્ચ, ૧૯૦૨ અ. ૨૦ નવેમ્બર, ૧૯૮૨

ભારતના બંધારણમાં મહત્ત્વનો ફાળો આપનાર તથા ‘પ્રબુદ્ધજીવન’ના તંત્રી ચીમનલાલનો જન્મ સૌરાષ્ટ્રના લીમડી ગામમાં થયો હતો. પિતાનું નામ ચકુભાઈ. બે વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થયું. અપરમા રંભાબહેને તેમનો ઉછેર કર્યો. પાલિતાણામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી બાકીનો અભ્યાસ તેમણે મુંબઈ પૂરો કરેલો. ત્યારબાદ પિતાની ઇચ્છા પ્રમાણે નોકરીમાં જોડાવાને બદલે આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. અભ્યાસમાં તેમની તેજસ્વિતાને કારણે તેમને શિષ્યવૃત્તિઓ મળી. એમ.એ. અને એલએલ.બી.માં તેમના ઉત્તમ પરિણામને કારણે કે. ટી. તેલંગ સુવર્ણચંદ્રક તથા ઇન્વેરારિટી સુવર્ણચંદ્રક એનાયત થયા. તેઓ બે વર્ષ ‘દક્ષિણા ફેલો’ તરીકે નિમાયા. ૧૯૨૮માં તેઓ સૉલિસિટર બન્યા.  આઝાદી પહેલાં મુંબઈ સરકારના પ્રથમ હિંદી સૉલિસિટર તરીકે તેઓ નિયુક્તિ પામ્યા. ૧૯૪૬માં તેઓ મુંબઈ કૉર્પોરેશનમાં ચૂંટાયેલા અને સતત છ વર્ષ સુધી ચૂંટાઈને તેમણે મુંબઈની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ૧૯૪૮માં બંધારણસભાના સભ્ય બનતાં કાયદા અને બંધારણના નિષ્ણાત તરીકે પોતાની કાબેલિયત દર્શાવી. તેઓ લોકસભામાં પણ ચૂંટાયા હતા. ૧૯૩૯થી ૧૯૫૧ સુધી સતત બાર વર્ષ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા. આ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ વિકાસ પામી. ‘પ્રબુદ્ધજીવન’નું તંત્રીપદ સ્વીકાર્યા બાદ તેમાં સતત ચિંતનાત્મક લેખન કર્યું.

ચીમનભાઈ જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા તથા સમાજસેવક તરીકે ખ્યાતિ ધરાવે છે.

શુભ્રા દેસાઈ