Categories
વાચન સમૃદ્ધિ

ટૅક્સાસ

છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : ૨૬° ઉ. અ. થી  ૩૬° ઉ. અ. અને ૯૪° પ. રે. થી ૧૦૬° પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં સૌથી મોટાં ક્ષેત્રો આ રાજ્યમાં આવેલાં છે. ક્ષેત્રફળ ૬,૭૮,૦૫૧ ચોકિમી. તથા વસ્તી ૩,૧૨,૯૦,૦૦૦ (૨૦૨૪, આશરે). આ રાજ્યની પૂર્વમાં લ્યુઇઝિયાના અને ઈશાન તરફ આરકાન્સાસ રાજ્યો આવેલાં છે. તેની દક્ષિણે મેક્સિકોની આંતરરાષ્ટ્રીય સરહદ અને મેક્સિકોના અખાતની જળસીમા આવેલી છે, જ્યારે તેની ઉત્તરે ઓક્લોહોમા અને પશ્ચિમે ન્યૂ મેક્સિકો રાજ્યો આવેલાં છે. નદીઓના મેદાની પ્રદેશમાં આવેલા આ રાજ્યની જમીન કાંપની બનેલી છે. રિઓ-ગ્રાન્ડ નદી ટૅક્સાસ રાજ્ય અને મેક્સિકો દેશની જળસીમા બનાવે છે, જ્યારે ઉત્તરે રેડ નદી ઓક્લોહોમા અને લ્યુઇઝિયાના રાજ્યને ટૅક્સાસથી જુદાં પાડે છે.

કપાસનું ઉત્પાદન

રાજ્યમાં આવેલા સાન ઍન્ટોનિયો, કૉર્પસ ક્રિસ્ટી, હ્યૂસ્ટન, ડલાસ, બિગ સ્પ્રિંગ, એલ્પાસો શહેરો અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. નિગ્રો લોકોની સવિશેષ વસ્તી ધરાવતું આ રાજ્ય ગુનાઇત પ્રવૃત્તિઓ માટે સમગ્ર યુ.એસ.માં જાણીતું છે. કપાસ, મકાઈ અને ઘઉંનાં ખેતરોથી લીલુંછમ આ રાજ્ય આર્થિક સમૃદ્ધિમાં યુ.એસ.માં અગ્રસ્થાન ધરાવે છે. કૃષિઆવકમાં રાજ્યના પશુધનનો ફાળો અડધોઅડધ હોય છે. રાજ્યમાં યંત્રો, વાહનવ્યવહારનાં ઉપકરણો, વીજળીનાં સાધનો, રસાયણો, ખાદ્ય પ્રક્રમણ તથા ખનિજતેલની પેદાશોના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખનિજોમાં (ખનિજ)તેલ તથા કુદરતી વાયુનો જથ્થો સારા પ્રમાણમાં  મળે છે. રિયો-ગ્રાન્ડ એ રાજ્યની સૌથી મોટી નદી છે, જે ઉત્તર અમેરિકાની મોટી નદીઓમાંની એક છે. રાજ્યમાં ઘણાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલાં સરોવરો છે. પશ્ચિમ તરફના પ્રદેશમાં ઘણાં સરોવરો એવાં છે જેમાં માત્ર તોફાની વરસાદને લીધે જ પાણી હોય છે. કૃત્રિમ સરોવરના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે થાય છે. લગભગ દસ વર્ષ સુધી (૧૮૩૫–૪૫) સ્વતંત્ર પ્રજાસત્તાક ઘટક તરીકે રહ્યા બાદ ૧૮૪૫માં તેને અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકે સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. માર્ચ, ૧૮૬૧માં આ રાજ્ય અમેરિકાના સંઘમાંથી અલગ થઈ ‘કૉન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’માં સંલગ્ન રાજ્ય તરીકે ફરી સંઘમાં જોડાઈ ગયું. અમેરિકાના અંતરિક્ષ કાર્યક્રમમાં આ રાજ્યનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ૧૯૬૯માં અંતરિક્ષ યાન ‘ઍપોલો ૧૧’ રાજ્યના હ્યૂસ્ટન નગરની પડખે આવેલા ‘નાસા’ના મુખ્ય મથકથી છોડવામાં આવ્યું હતું તેના દ્વારા માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અખલાક મોહમ્મદ ખાન

જ. ૧૬ જૂન, ૧૯૩૬ અ. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨

એક ભારતીય શિક્ષણવિદ, દિગ્ગજ ઉર્દૂ કવિ અને હિન્દી ફિલ્મ ગીતકાર અખલાક મોહમ્મદ ખાન તેમના તખલ્લુસ ‘શહરયાર’ દ્વારા વધુ જાણીતા હતા. તેમનો જન્મ બરેલીના આઓનલા ખાતે એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણમાં શહરયાર રમતવીર બનવા માંગતા હતા, પરંતુ તેમના પિતાની ઇચ્છા હતી કે તેઓ પોલીસમાં જોડાય. આથી શહરયાર ઘરેથી ભાગી ગયા અને તેમણે ખલીલ-ઉર-રહેમાન આઝમી નામના પ્રખ્યાત ઉર્દૂ વિવેચક અને કવિ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે ૧૯૫૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. પાસ કર્યું હતું. ૧૯૬૧માં તેમણે ઉર્દૂમાં એમ.એ. પાસ કરી એ જ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. શહરયારે ૧૯૬૧માં અંજુમન તરક્કી-એ-ઉર્દૂના સાપ્તાહિક મૅગેઝિન ‘હમારી ઝુબાન’ના લેખક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ૧૯૬૬માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઉર્દૂના લેક્ચરર તરીકે જોડાયા અને ૧૯૮૬માં પ્રોફેસર બની ૧૯૯૬માં નિવૃત્ત થયા હતા. તેમણે સાહિત્યિક સામયિક ‘શેર-ઓ-હિકમત’માં કવિતા અને તત્ત્વજ્ઞાનનું સહસંપાદન કર્યું હતું. શહરયાર સૌથી વધુ જાણીતા છે તેમની પસંદગીની ફિલ્મોના ગીતકાર તરીકે. ૧૯૭૮માં ‘ગમન’ ફિલ્મ માટે લખેલી ગઝલ ‘સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ’ તો ફિલ્મ ‘ઉમરાવજાન’ માટે લખેલી ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘યે ક્યા જગહ હૈ’ અને ‘ઇન આંખો કી મસ્તી કે’ જેવી ગઝલો બોલિવૂડમાં શ્રેષ્ઠ ગીતાત્મક કૃતિઓમાંની એક છે. શહરયારને તેમના કાવ્યસંગ્રહ ‘ખ્વાબ કા દર બંદ હૈ’ ૧૯૮૭ માટે ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. તો ફિરાક અને બહાદુરશાહ ઝફર જેવા ઍવૉર્ડ બાદ ૨૦૦૮માં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ ચોથા ઉર્દૂ સર્જક છે.

Categories
વાચન સમૃદ્ધિ

આનું નામ ઍડિસન

૧૯મી સદીના ઉત્તરાર્ધના મહાન અમેરિકન સંશોધક થોમસ આલ્વા ઍડિસન (ઈ. સ. ૧૮૪૭થી ઈ. સ. ૧૯૩૧) જીવનભર વૈજ્ઞાનિક શોધોમાં રચ્યાપચ્યા રહ્યા. ઍડિસને સાત વર્ષની વયે શાળાશિક્ષણનો પ્રારંભ કર્યો. ત્રણ મહિના પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહીને શાળામાંથી કાઢી મૂક્યા. માતાએ ઘેર ભણાવીને એમની જ્ઞાનપિપાસા જાગૃત કરી. દસ વર્ષની વયે ઘરમાં પ્રયોગશાળા બનાવીને સ્વરચિત ટેલિગ્રાફ સેટ પણ ચાલુ કર્યો. નબળી આર્થિક સ્થિતિને કારણે બાર વર્ષની ઉંમરે રેલવેમાં છાપાં અને ખાટીમીઠી ગોળી વેચવાનું શરૂ કર્યું અને પછી ઘરમાં પ્રયોગશાળા બનાવીને પ્રયોગો કરવા લાગ્યા. ઇલેક્ટ્રિક બલ્બ, મોશન પિક્ચર કૅમેરા જેવાં ૧૦૯૩ જેટલાં નવાં સંશોધનો કર્યાં. આ મહાન વૈજ્ઞાનિકને એનું ફાર્મહાઉસ ખૂબ ગમતું હતું અને અહીં જ એ જુદા જુદા પ્રયોગો તથા વૈજ્ઞાનિક પરીક્ષણો કરતા હતા. પોતાના આ ફાર્મહાઉસમાં થોમસ આલ્વા ઍડિસન મુલાકાતીઓને પોતે બનાવેલાં અનેક મશીનો ને ઉપકરણો બતાવતા હતા. આ એવાં સાધનો હતાં કે જે વ્યક્તિનાં સમય અને શક્તિનો ઘણો બચાવ કરતાં હતાં. આ ફાર્મહાઉસના પાછળના રસ્તે એક ગોળ ફરતું લાકડાનું ફાટક ફેરવીને દરેક મુલાકાતીને જવું પડતું. વળી આ ફાટક વજનદાર હોવાથી મુલાકાતીએ એ લાકડું ફેરવવા માટે થોડું જોર પણ વાપરવું પડતું.  એક વાર એક મુલાકાતીએ આ ભારે વજનદાર ફાટકના લાકડા અંગે થોમસ આલ્વા ઍડિસનને પૂછ્યું, ‘તમે આટલાં નવાં નવાં સંશોધનો કરો છો, સમય અને શક્તિ બચાવે તેવાં અદભુત ઉપકરણો બનાવો છો, તો પછી તમારા આ ફાર્મહાઉસ તરફ પાછા જવા માટે આવું સાવ સાદું ગોળ ફેરવવાનું ચકરડાવાળું ફાટક શા માટે રાખ્યું છે ?’ થોમસ આલ્વા ઍડિસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ ફાટકનું ચકરડું એક વાર ફેરવવાથી મારા ફાર્મહાઉસની ટાંકીમાં આઠ ગેલન પાણી ચડી જાય છે. સમજ્યાને !’