Categories
વાચન સમૃદ્ધિ

આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે

સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. જયસિમ્હા

જ. ૩ માર્ચ, ૧૯૩૯ અ. ૬ જુલાઈ, ૧૯૯૯

મોટગનહલ્લી લક્ષ્મીનરસુ જયસિમ્હાનો જન્મ સિકન્દરાબાદમાં થયો હતો. તેઓ જમોડી બૅટ્સમૅન હતા અને મીડિયમ પેસથી બૉલિંગ કરતા. ઘણી વખત ભારત વતી તેમણે ઓપનિંગમાં બૉલિંગ કરી હતી. તેઓ એક ચુસ્ત અને ચપળ ફિલ્ડર પણ હતા. તેઓ ખૂબ સ્ટાઇલિશ હતા. તેમનું પાતળું શરીર, નાદાન સુંદર દેખાવ, ટ્રેડમાર્ક જેવું સિલ્ક શર્ટ અને સ્કાર્ફ, ઊંચો કરેલો કૉલર તેમને બધા ક્રિકેટરોથી જુદા પાડતા. ૧૯૫૪-૫૫માં ફક્ત ૧૫ વર્ષની વયે તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રૉફીમાં ભાગ લીધો હતો. તે વખતે તેઓ મહબૂબ કૉલેજ હાઈસ્કૂલમાં ભણતા હતા. રણજી ટ્રૉફી મૅચોમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણ તેમનો ૧૯૫૯માં ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. લૉર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો, પરંતુ પછીની બે મૅચોમાં તેમણે સારો દેખાવ કર્યો. ૧૯૫૯-૬૦માં કૉલકાતામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના બધા જ પાંચ દિવસ બૅટિંગ કરી તેમણે વિક્રમ નોંધાવ્યો હતો. સમય જતાં તેમણે પોતાને ઓપનરની જગ્યામાં સ્થાપિત કર્યા હતા અને ઘણી શતક ફટકારવામાં સફળ રહ્યા હતા. તે પછી ખરાબ પ્રદર્શન માટે તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ચંદુ બોરડે અને ચંદ્રશેખરની ઈજાના કારણે તેમને ૧૯૬૭-૬૮માં ત્રીજી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. અને તેમણે ૭૪ અને ૧૦૧ રન બનાવી લગભગ અશક્ય લાગતી મૅચ ભારતને જિતાડી હતી. ૧૯૭૦-૭૧ની વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ તેમની કારકિર્દીની છેલ્લી સિરીઝ હતી. અજિત વાડેકર જેવા ટીમના કપ્તાન તેમનાં સલાહસૂચન લેતા હતા. મન્સુર અલી ખાન પટૌડી જેવા ખેલાડી પણ તેમની કપ્તાની હેઠળ રમ્યા હતા. ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧માં તેઓ ભારતીય ટીમની પસંદગીકાર સમિતિના સભ્ય હતા. ૧૯૮૫-૮૬માં તેઓ શ્રીલંકા જનારી ભારતીય ટીમ સાથે ગયા હતા. MCCએ તેમને ૧૯૭૮માં આજીવન સભ્ય બનાવ્યા હતા. તેઓએ ટી. વી. કૉમેન્ટેટર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમના બે પુત્રો વિવેક જયસિમ્હા અને વિદ્યુત જયસિમ્હા પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટરો હતા. તેમનું અવસાન ફેફસાંના કૅન્સરથી થયું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જેતલપુર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે ૨૨° ૫૪´ ઉ. અ. અને ૭૨° ૩૦´ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ ૧૬ કિમી.ને અંતરે તથા બારેજડીથી ૯ કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા ૮ નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે. જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે ૩૦થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો સ્થાપવામાં આવેલી છે.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો  બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે. ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. ૧૩૩૯ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે ૧૪ જૂન, ૧૬૨૩ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. ૧૮૦૯ સુધી રહ્યું. જેતલપુર મુકામે ઈ. સ. ૧૮૦૯માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે. ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ