Categories
વાચન સમૃદ્ધિ

રાજા રામમોહનરાય

જ. ૨૨ મે, ૧૭૭૨ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૩

ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય સમાજસુધારક હતા. રામમોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના તથા માતા તારિણીદેવી શૈવ કુટુંબનાં હતાં. રામમોહનરાયનું બાળપણનું શિક્ષણ તેમના ગામની નિશાળમાં થયું હતું. જ્યાં તેઓએ બંગાળી, સંસ્કૃત, ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બનારસ ગયા. ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો અને તેમણે પોતાનો પહેલો ગ્રંથ આ વિષય પર લખ્યો. રામમોહને સમાજસુધારણા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી છોડી દીધી. તેમના સમાજસુધારણાના કાર્યથી ખુશ થઈને મુઘલ બાદશાહે સાલ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપ્યો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. તેમણે બ્રહ્મોસમાજ નામે એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ બંગાળમાં સમાજ અને ધર્મસુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી એક ‘સંવાદ કૌમુદી’ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા. તેઓએ બાળલગ્નો, બહુપત્નીપ્રથા દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમના ઘરમાં જ તેમનાં ભાભીને બળજબરીથી સતી બનાવ્યાં તે ઘટના તેઓએ બાળપણમાં જોયેલી, જેની ઘેરી અસર તેમના મન પર થયેલી. આથી ‘સતીપ્રથા’ની વિરુદ્ધ તેમણે મોટી ઝુંબેશ ચલાવી. તેમણે બતાવ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. રાજા રામમોહનરાય ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના તેઓ અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મસમાજ સમાજસુધારણા માટે કાર્યરત છે. એમના પ્રયાસો થકી બાળલગ્ન, સતીપ્રથા અને બહુપત્નીપ્રથા વગેરે નાબૂદ થયાં છે. ભારત સરકારે ૧૯૬૪ની સાલમાં તેમના માનમાં ટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાર્ક

(The South Asian Association for Regional Co-operation –SAARC)

ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે પ્રાદેશિક સ્તરે એકબીજા વચ્ચે આર્થિક સહકાર વધતો અને વિકસતો રહે તે માટે સ્થપાયેલું પ્રાદેશિક સંગઠન. તેની સ્થાપના ડિસેમ્બર, ૧૯૮૩માં થઈ હતી. ત્યારે સભ્ય દેશોના વિદેશમંત્રીઓ દિલ્હી ખાતે મળ્યા હતા. શરૂઆતમાં તેમાં દક્ષિણ એશિયાના સાત દેશો જોડાયા હતા. પ્રારંભે નેપાળથી શ્રીલંકા સુધીના દેશો તેના સભ્યો હતા. આઠમા સ્થાને અફઘાનિસ્તાન તેમાં જોડાનાર સભ્ય છે. આ આઠ દેશો અનુક્રમે અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ભુતાન, માલદીવ અને શ્રીલંકા છે. વિવિધ દેશોના વિદેશમંત્રીઓ મળ્યા ત્યારે  સાર્કની ઉદઘોષણા (declaration) કરવામાં આવેલી. આ ઉદઘોષણા સાથે ‘ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઑવ્ ઍક્શન’ (IPA) શરૂ કરવામાં આવ્યો. ડિસેમ્બર, ૧૯૮૫માં આ સંગઠનની પ્રથમ શિખર પરિષદમાં સાર્કની સ્થાપના અંગેનું ખતપત્ર (charter) સ્વીકૃતિ પામ્યું.

સાર્કનું વહીવટી મથક – સચિવાલય, કાઠમંડુ, નેપાળ

તે વેળા જાહેર કરાયેલ ઉદ્દેશ મુજબ દક્ષિણ એશિયાની પ્રજાઓના કલ્યાણમાં વધારો કરવા; સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની ગતિને વેગ આપવાના હેતુઓ તે ધરાવે છે. સાથે સભ્યો વચ્ચેની સામૂહિક સ્વયં-પર્યાપ્તતા વધારવાનો અને તેને મજબૂત કરવાનો ઉદ્દેશ પણ આ સંગઠનનો છે. અન્ય રાજ્યોના આંતરિક સંબંધોમાં બિન-દરમિયાનગીરી અને પારસ્પરિક લાભની બાબતમાં સહકારથી આગળ વધવાની નેમ તે રાખે છે. સંગઠનની રીતે વિચારીએ તો સાર્ક બાબતો અંગેની છેલ્લી સત્તા જે તે દેશના વડા અને સરકાર પાસે રહે છે. આ વડાઓ શિખર બેઠક (સર્વોચ્ચ બેઠક) માટે વર્ષમાં એક વાર મિટિંગ યોજે છે. આ બાબતના અનુસંધાનમાં જે તે દેશના વિદેશમંત્રીઓ વર્ષે બે વાર મળે છે. તેઓ સાર્ક અંગે નીતિઓ ઘડે, પ્રગતિની સમીક્ષા કરે અને સહકાર અંગેનાં નવાં ક્ષેત્રો વિકસાવવાના નિર્ણયો લે છે. તેમની સહાય માટે પ્રોગ્રામિંગ કમિટી અને ૧૧ ટૅકનિકલ કમિટીઓ કામ કરતી રહે છે. સાર્કના વડા સેક્રેટરી જનરલ (મુખ્ય મંત્રી) હોય છે. તેમને મદદ માટે બીજા સાત ડિરેક્ટરો હોય છે, જે સેક્રેટરી જનરલ દ્વારા નિમાય છે. આ સભ્યોની નિમણૂક ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. જરૂરિયાત ઊભી થાય તો અને ત્યારે આ મુદત વધારી શકાય છે. ચર્ચા માટે મુકાતા વિષયોની પસંદગી સર્વસંમતિથી થાય છે. દેશો વચ્ચેના રાજકીય વિવાદોને લીધે કેટલીક વાર અવરોધો ઊભા થાય છે અને તેમનો ઉકેલ પણ શોધાય છે. દેશોનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ, વસ્તીનું કદ, ઔદ્યોગિક ઉત્પાદનની વિવિધતા અને દેશની ગર્ભિત શક્તિ – આ બધી બાબતો તેની કાર્યશૈલીમાં પ્રભાવક નીવડે છે. તેનું વહીવટી મુખ્ય મથક – સચિવાલય કાઠમંડુ (નેપાળ) ખાતે કાર્યરત છે. દક્ષિણ એશિયાના દેશો માટે તે ચર્ચાવિચારણાની સારી ભૂમિકા પૂરી પાડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મંજુબહેન મહેતા

જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪

પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને તેમની પાસેથી સિતારવાદન શીખતા હતા. મંજુબહેન આઠ વર્ષની વયથી છાનામાના મોટા ભાઈની ગેરહાજરીમાં સિતાર વગાડી લેતાં. મંજુબહેનની આટલી લગની જોઈને શશીમોહનજી તેમના પ્રથમ ગુરુ બન્યા અને તેમને સિતાર શિખવાડવા લાગ્યા. બાળકલાકાર મંજુબહેને ૧૧ વર્ષની વયે સિતારવાદનના કાર્યક્રમો આપવા માંડ્યા. રેડિયો પર પણ કાર્યક્રમ આપતાં. સંગીતમાં વધુ અભ્યાસ માટે સ્કૉલરશિપ મળતાં ૧૫ વર્ષની વયે જોધપુર જઈ સંગીતની સાધના શરૂ કરી. ૧૯૬૮માં ૨૩ વર્ષની વયે તબલાવાદક નંદન મહેતા સાથે લગ્ન થયાં અને તેઓ અમદાવાદ આવ્યાં. અહીં ૩૫ સભ્યોના સંયુક્ત કુટુંબમાં સમાઈ ગયાં. નંદન મહેતાના પિતાએ તેમને અન્યને સિતાર તથા કંઠ્ય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કર્યાં. મંજુબહેને ૧૯૬૯થી ‘દર્પણ’માં સિતાર શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમણે પોતાની સંસ્થા ‘સપ્તક’ની સ્થાપના કરી, જેમાં કંઠ્યસંગીત તથા વાદ્યસંગીતનું શિક્ષણ અપાય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી દર જાન્યુઆરી મહિનામાં ‘સપ્તક’ દ્વારા ૧૪ દિવસના મહોત્સવનું આયોજન થાય છે. તેમાં રાષ્ટ્રીય ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો ભાગ લે છે. ભારતભરમાં તથા વિદેશમાં આ કાર્યક્રમની પ્રશંસા થાય છે. મંજુબહેનને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઍવૉર્ડ, મુંબઈમાં પંડિત જસરાજ ઘરાના ઍવૉર્ડ, સંગીત કલારત્ન માર્તંડ સન્માન, મારવાડ સંગીતરત્ન ઍવૉર્ડ, સંગીત કલા ગૌરવ પુરસ્કાર, નારીશક્તિ ઍવૉર્ડ મળેલ છે. તદુપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કલાક્ષેત્રે અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ વર્ષ ૨૦૧૬માં મળેલો.