Categories
વાચન સમૃદ્ધિ

તુલના કરવી એટલે દુ:ખને નિમંત્રણ આપવું

વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતી હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણ રૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરે ધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિષ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ એને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના નિ:સાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખારો બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય, પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચૈતન્ય મહાપ્રભુ

જ. ૨૭ ફેબ્રુઆરી, ૧૪૮૫ અ. ૯ જુલાઈ, ૧૫૩૩

મધ્ય ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું દસમું સંતાન નિમાઈ-વિશ્વંભર. તેમના મોટા ભાઈ વિશ્વરૂપ. મોટા ભાઈ વિશ્વરૂપ સંસાર ત્યજી અદ્વૈત સંન્યાસી થઈ ગયા હોવાથી નિમાઈ-વિશ્વંભરને ખૂબ લાડમાં ઉછેરવામાં આવેલા. નિમાઈ ગૌર વર્ણના હોવાથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે પણ ઓળખાતા. તેઓ એક મેધાવી, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા, વળી વ્યાકરણ ઉપરાંત અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગ્રંથ ‘દીધિતિ’ લખનાર પંડિત રઘુનાથને પ્રસન્ન રાખવા તે જ વિષય પરનો પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવી દીધો હતો. ૧૬ વર્ષની ઉંમરે નિમાઈ પંડિતે મુકુંદ સંજયના ચંડીમંડપમાં પોતાની પાઠશાળા આરંભી. તેમનું પ્રથમ લગ્ન લક્ષ્મીદેવી સાથે થયું હતું. પણ છાત્રો સાથે યાત્રાએ ગયા હતા અને પાછા ફર્યા તે દરમિયાન લક્ષ્મીદેવીનું સર્પદંશથી અવસાન થયેલું. માતાના આગ્રહથી તેમનું બીજું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. પણ માત્ર ત્રેવીસ વર્ષની ભરયુવાન વયે વિશ્વંભર-નિમાઈએ શ્રી શંકરાચાર્યની ભારતીશાખાના શ્રી કેશવભારતી પાસે પૂર્ણવિધિપૂર્વક સંન્યાસદીક્ષા લીધી. ગુરુએ આપેલા નામ પ્રમાણે ‘કૃષ્ણ ચૈતન્ય’ થયા. હવે શ્રી ચૈતન્યનું મુખ્ય નિવાસધામ જગન્નાથપુરી બન્યું. અહીં પરમ વૈષ્ણવ ભક્ત તરીકે પ્રસિદ્ધ અને સન્માન્ય થઈ ચૂકેલા શ્રી ચૈતન્યે અનેક વિદ્વાનોનો આદર પ્રાપ્ત કર્યો. શ્રી ચૈતન્ય ઝારખંડને માર્ગે થઈ વૃંદાવનની યાત્રાએ ગયા. આ યાત્રાએથી પાછા ફર્યા પછી તેમણે નીલાચલની બહાર પગ મૂક્યો ન હતો. આયુષ્યનાં છેલ્લાં ૧૨ વર્ષો પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓએ રાતદિવસ સંભાળ રાખવી પડતી. નામ સંકીર્તન અને મહામંત્રનો પ્રચાર તથા મધુરભાવની સાધના એ બે શ્રી ચૈતન્યનાં અવતારકાર્ય ગણાય છે. બંગાળના બાઉલ સંગીતભક્તો તેમને પોતાના આદિ પ્રવર્તક માને છે. આ ઉપરાંત ‘ઇસ્કોન’ના કૃષ્ણભક્તો ‘હરે કૃષ્ણ હરે રામ’ની જે ધૂન ગાય છે તે પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુની દેન છે. તેમની જ પ્રેરણાથી વૃંદાવનના છ ગોસ્વામીઓનું મંડળ અને ત્યારપછી તેમાંથી જ સંપ્રદાય સર્જાય છે. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે સમુદ્રમાં ઝંપલાવી સમાધિ લીધી જ્યારે બીજી લોકશ્રુતિ પ્રમાણે ભગવાન જગન્નાથને આલિંગન આપી મૂર્તિમાં લીન થઈ ગયા. તેમના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા તેથી ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ નામસંકીર્તનમાં જોવા મળે છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જેટ પ્રપલ્શન લૅબોરેટરી(JPL),

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ ૧૯૩૬માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી ૧૯૩૦થી ૧૯૪૯ સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ પડે એવી પ્રયોગશાળાની સ્થાપના કરવાનું વિચાર્યું અને અમેરિકાની તત્કાલીન સરકારે તેને માટે સહાય પણ આપી. ૧૯૩૦ના અરસામાં આ સંસ્થાએ અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડ(૧૮૮૨–૧૯૪૫)ને રૉકેટ અંગેના એમના પ્રારંભિક પ્રયોગો માટે મદદ કરી હતી; પરંતુ તેની વિધિસર સ્થાપના ૧૯૩૬માં થઈ. ૧૯૪૪થી તે ‘જેટ પ્રપલ્શન લૅબોરેટરી’ તરીકે ઓળખાય છે.

જેટ પ્રપલ્શન લૅબોરેટરી

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જેપીએલ મોટા સંશોધન-મથકમાં ફેરવાઈ અને મુખ્યત્વે તેનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં થતો હતો. રશિયાના સ્પુટનિક પછી દુનિયાનો બીજો અને અમેરિકાનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘એક્સપ્લૉરર ૧’ આ જ પ્રયોગશાળામાં તૈયાર થયો હતો. આ ઉપગ્રહ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ પૃથ્વીની આસપાસ તરતો મૂકવામાં આવ્યો હતો. પાછળથી એ જ વર્ષના અંતે એટલે કે ૧ ઑક્ટોબર, ૧૯૫૮ના રોજ અમેરિકાના ‘નાસા’(નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થતાં આ સંસ્થાને એમાં ભેળવી દેવામાં આવી, પણ તેનું સંચાલન ‘નાસા’ વતી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)ને સોંપવામાં આવ્યું.

આ સંસ્થા ‘નાસા’ના ‘ડીપ-સ્પેસ નેટવર્ક’(DSN)નું મહત્ત્વનું મથક છે. સૌરમાળાના ગ્રહો, ઉપગ્રહો કે પછી ચંદ્ર, હેલીનો ધૂમકેતુ જેવા સૂર્ય-પરિવારના પિંડો તરફ જનારાં અન્વેષી-યાનો સાથે સંદેશાવિનિમય કે સંદેશાવ્યવહાર જાળવણીની કામગીરી અહીંથી થાય છે. આ માટે એક મુખ્ય રેડિયો-ઍન્ટેના કૅલિફૉર્નિયામાં ગોલ્ડસ્ટોન ખાતે આવેલું છે. તેનો વ્યાસ ૬૪ મીટર છે. એની સાથે બીજાં ૨ સહાયક રેડિયો-ઍન્ટેના પણ ગોઠવેલાં છે; તેમનો વ્યાસ ૨૬ મીટર છે. ‘ડીપ-સ્પેસ નેટવર્ક’ અંતરિક્ષ-યાનો સાથે સંદેશાવ્યવહાર સ્થાપવા ઉપરાંત, ઘણા રેડિયો-પ્રયોગોમાં પણ પ્રયોજાય છે, જેમાં ગ્રહની સપાટીનો રડાર વડે અભ્યાસ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં માનવવિહોણાં આંતરગ્રહીય (interplanetary) અંતરિક્ષ-અન્વેષી યાનો બનાવવામાં, વિકસાવવામાં અને એમના સંચાલનમાં આ સંસ્થાનો ફાળો બહુ મોટો છે. ૧૯૫૮થી આ સંસ્થાએ રેન્જર સર્વેયર, મરિનર જેવાં વિવિધ અન્વેષી-યાનો બનાવ્યાં છે. તે ઉપરાંત વાઇકિંગ, વૉયેજર, ગૅલિલિયો અને મૅગેલન જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લગતી સઘળી કે કેટલીક કામગીરી પણ અહીંથી જ કરવામાં આવી હતી. આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સંશોધન ઉપરાંત, અંતરિક્ષ-યાન કે રૉકેટના પ્રણોદન(propulsion)ને લગતું સંશોધન પણ થાય છે. વધુમાં આ સંસ્થા કૅલિફૉર્નિયાના ટેબલ માઉન્ટન ખાતેની એક ખગોળીય વેધશાળાનું પણ સંચાલન કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

સુશ્રુત પટેલ