Categories
વાચન સમૃદ્ધિ

સી. પી. રામાસ્વામી ઐયર

જ. 12 નવેમ્બર, 1879 અ. 26 સપ્ટેમ્બર, 1966

વિદ્વાન કાયદાશાસ્ત્રી અને ત્રાવણકોરના દીવાન ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ તમિળનાડુના વાંડીવાશમાં થયો હતો. શાળેય શિક્ષણ વેસ્લી કૉલેજ હાઈસ્કૂલમાં લીધું. પછી પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન અંગ્રેજી, સંસ્કૃત અને ગણિતમાં ઇનામો મેળવ્યાં. નેબ્યુલર થિયરી અંગે પેપર લખીને એલ્ફિન્સ્ટન પુરસ્કાર મેળવ્યો. મદ્રાસ લૉ કૉલેજમાંથી ગોલ્ડમેડલ મેળવી ડિગ્રી મેળવી અને ચેન્નાઈમાં વકીલાત શરૂ કરી. 1920માં મદ્રાસ પ્રેસિડેન્સીના ઍડ્વોકેટ જનરલ બન્યા. તેઓ કેન્દ્રીય વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. 1923માં ચેન્નાઈના ગવર્નરની અને 1931માં ભારતના વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદાસભ્ય તરીકે નિમાયા. તેઓ લીગ ઑફ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ હતા. 1936થી 1947 સુધી ત્રાવણકોરના દીવાનપદે રહ્યા. તેમણે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સચિવ હતા અને એની બેસન્ટને જેલ થતાં તેમના અખબાર ‘ન્યૂ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તેમણે લોકોપયોગી અનેક કાર્યો કર્યાં. પાયકાર ડૅમ અને  મેટ્ટુર ડૅમના બાંધકામ તેમજ કોચીન, વિશાખાપટ્ટનમ્ અને તુતીકોરીન બંદરોનો વિકાસ કર્યો. તેમણે કાશ્મીર રાજ્ય માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમણે 1937માં મહારાજાને ચાન્સેલર રાખીને ત્રાવણકોર યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમના દીવાનપણા હેઠળ ત્રાવણકોર ભારતમાં માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તેમણે પહેલી વાર મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. 1947માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રાવણકોરના દીવાનપદેથી રાજીનામું આપી લંડન ગયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકસાથે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ ભારતીય હતા. 1926માં તેમને નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર (KCJE) અને 1941માં નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા(KCSI)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1939માં ત્રાવણકોર યુનિવર્સિટી દ્વારા માનદ એલ.એલ.ડી.ની પદવી આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉલ્ફિન

સેટેશિયા શ્રેણીના ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટા ભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે. ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs) ક્ષેપણી (paddle) જેવા આકારનાં હોય છે. તેને પશ્ચ ઉપાંગો હોતાં નથી. મોટા ભાગનાં ડૉલ્ફિનોની પીઠ પર પૃષ્ઠ પક્ષ (dorsal fin) હોય છે. તરતી વખતે શરીરની સમતુલા જાળવવામાં અરિત્રો અને પૃષ્ઠ પક્ષ અગત્યનો ભાગ ભજવે છે. ડૉલ્ફિનને એક પુચ્છ પક્ષ (tail fin) પણ હોય છે. તરવામાં પુચ્છ પક્ષનો ઉપયોગ નોદક (propeller) તરીકે થાય છે. ડૉલ્ફિનની ચામડી લીસી, રબર જેવી હોય છે. ચામડીની નીચે મેદસ્તર (blubber) આવેલો હોય છે. મેદસ્તર શરીરનું તાપમાન જાળવવા ઉપરાંત, ખોરાકનો સંગ્રહ પણ કરે છે. શીર્ષ પ્રદેશ પર ધમણ-છિદ્ર (blow hole) નામે ઓળખાતું, એકલ નાસિકા છિદ્ર હોય છે.

સામાન્ય ડૉલ્ફિન                                કિલર વહેલ

ડૉલ્ફિનમાં પ્રતિધ્વનિ-અવસ્થાપક (echo location) સોનર તંત્ર હોય છે. તેની મદદથી તે તરતી વખતે માર્ગમાં આવેલી વસ્તુઓનું સ્થાનનિર્ધારણ કરે છે. શીર્ષની ટોચે મેદીપેશીનું બનેલું મેલૉન નામનું એક અંગ આવેલું હોય છે. તેમાંથી ટિક અને સિસોટીના અવાજના તરંગો નીકળે છે. આ તરંગો માર્ગમાં આવેલી વસ્તુઓ સાથે અથડાતાં પ્રતિધ્વનિ સોનર તંત્રના સંપર્કમાં આવે છે. તેને પરિણામે ડૉલ્ફિન વસ્તુના નિશ્ચિત સ્થાનનું નિદાન કરી શકે છે. ડૉલ્ફિનનાં શ્રવણગ્રાહી અને દૃષ્ટિગ્રાહી અંગો સારી રીતે વિકસેલાં હોય છે. ડૉલ્ફિનને ગંધગ્રાહી અંગો હોતાં નથી અને સ્વાદગ્રાહી અંગોનો વિકાસ અત્યલ્પ હોય છે. કેટલાંક સામાન્ય ડૉલ્ફિનો : 1. સામાન્ય ડૉલ્ફિન (Delphinus delphic) : નાના કદનાં ડૉલ્ફિનોની આ એક જાત છે, તે આશરે 2થી 2.5 મીટર લાંબું હોય છે. તેનું વજન 75 કિગ્રા. જેટલું હોય છે. તેની આંખની ફરતે ઘેરી પટ્ટી આવેલી હોય છે, જે ચાંચના આગલા છેડા સુધી લંબાયેલી હોય છે. 2. શીશીનાસા ડૉલ્ફિન (Tursiops fruncatus) : માનવીને સૌથી પરિચિત ડૉલ્ફિન. પોતાની નાની ચાંચને લીધે ડૉલ્ફિન જાણે મૃદુ હાસ્ય કરતું હોય તેવો આભાસ થાય છે. મનોરંજન ઉદ્યાનો અને જળાશયોમાં પોષવામાં આવતાં શીશીનાસા ડૉલ્ફિન માનવીને અત્યંત પ્રિય છે. 3. કિલર વહેલ (Orcinus orca) : સૌથી લાંબું ડૉલ્ફિન. લંબાઈ આશરે 9 મીટર, વજન 450 કિગ્રા. જેટલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડૉલ્ફિન, પૃ. 609 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડૉલ્ફિન/)

Categories
વાચન સમૃદ્ધિ

આઈ. જી. પટેલ

જ. 11 નવેમ્બર, 1924 અ. 17 જુલાઈ, 2005

આઈ. જી. પટેલના નામે જાણીતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઇન્દ્રપ્રસાદનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. પિતા ગોરધનભાઈ અને માતા કાશીબહેન. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વડોદરા કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને પછી એમ.એ.ની પદવી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી. થયા. 1949માં વડોદરા કૉલેજમાં આચાર્ય તથા અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. 1950માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સંશોધન વિભાગમાં જોડાયા. પાંચ વર્ષ પછી 1954માં કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક સલાહકાર તરીકે જોડાયા અને 18 વર્ષ ભારત સરકારમાં કોઈ ને કોઈ ઉચ્ચ પદ પર રહીને કાર્ય કર્યું. 1972માં યુનોના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ઉપનિયામક બન્યા. 1977થી 1982 સુધી ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે કાર્ય કર્યું પછી 1982થી 1984 સુધી આઈ.આઈ.એમ., અમદાવાદના ડિરેક્ટર બન્યા. 1984થી 1990 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર બન્યા. આ પદ સંભાળનાર તેઓ પહેલા ભારતીય હતા. તેઓ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના ભારત ખાતેના ચૅરમૅન હતા. ઑગસ્ટ, 1996થી આઈ.આઈ.એમ. અમદાવાદના ચૅરમૅન બન્યા હતા. તેઓ ગુજરાત ઇકૉનૉમિક્સ ઍસોસિયેશનના તથા ચારુતર વિદ્યામંડળના પ્રમુખ હતા. 1991માં તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને ભારતના નાણામંત્રીની જવાબદારી સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે સ્વીકારી નહોતી. તેમણે અર્થશાસ્ત્ર સંબંધિત અનેક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘એસે ઇન ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇકૉનૉમિક ગ્રોથ’, ‘ઑન ધ ઇકૉનૉનિક્સ ઑફ ડેવલપમેન્ટ’, ‘પોલિસીસ ફોર આફ્રિકન ડેવલપમેન્ટ એન એન્કાઉન્ટર વિથ હાયર એજ્યુકેશન : માય યર્સ એટ લંડન ઑફ ઇકૉનૉમિક્સ’ મુખ્ય છે. 1991માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.