સમડી


શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું પક્ષી.

સમડીની ૨૦ જાતિઓ છે. તે દરેક ખંડમાં વસે છે. સમડી માનવવસ્તીની પાસે રહે છે. સમડીની ઊડવાની રીત ન્યારી છે. સ્થિર પાંખે ગીધની જેમ તે હવામાં ચકરાવા મારી શકે છે. પવનનો લાભ લઈ તેની સાથે તે ઊડે છે. કોઈક વખત થોડી પાંખો હલાવે કે પૂંછડી આમતેમ મરડે. દરિયાનાં મોજાંની જેમ ક્યારેક ઊંચે ઊડે તો ક્યારેક નીચે પણ ઊતરે તો ક્યારેક કમનીય વળાંકો લઈ ઝડપભેર દિશા પણ બદલે અને એ રીતે તે આસાનીથી લાંબો સમય ઊડ્યા કરે. કોઈ શિકારી દેખાય તો તીરવેગે આવી પગથી પકડી, ઊંચે ચડી જાય અને ઊડતાં ઊડતાં જ તેને આરોગે. પગમાં પકડેલ શિકારમાંથી ચાંચથી ટુકડા કાપી કાપી, ખાતી જાય અને ઊડતી જાય. તેમાંથી ભાગ મેળવવાની લાલચે કાગડાઓ તેની પાછળ ક્યારેક પડતા પણ જણાય; પરંતુ સમડીની ચપળતા અને ઊડવાની ઝડપ આગળ કાગડાઓનું શું ગજું ?

સમડી, ભરબજારે, વાહનોની અવરજવરમાં ભીડભાડમાંથી પણ માણસના હાથમાંથી ખોરાકનું પડીકું ઝડપી લઈને સિફતથી ઊડી જાય છે. સમડી ખોરાકમાં તીડ, તીતીઘોડા, ઉંદર, સાપ, કાચિંડા, મરેલાં પ્રાણી તથા દરિયાકિનારે હોય તો ત્યાંથી માછલી, કરચલા અને કિનારે ઘસડાઈને આવતાં અન્ય પ્રાણીઓ પણ ખાઈ જાય છે. આમ સમડી કૃષિપાક ખાનાર ઉંદર, તીડ, તીતીઘોડા તેમ જ કેટલાક કીટકો વગેરેને ખાઈ જઈને કૃષિપાકનું રક્ષણ કરે છે અને તે મરેલાં પ્રાણીને ખાઈ જતી હોઈ ગંદકી દૂર કરી સ્વચ્છતા પણ જાળવે છે. નર અને માદા સમડી, દેખાવમાં સરખાં લાગે છે. તેઓ નાનું શીશ, લાંબી પાંખો અને અણીદાર પૂંછડી ધરાવે છે. ઊંચા ઝાડ પર તે પોતાનો માળો બાંધે છે અને બે કે ત્રણ ઈંડાં મૂકે છે. નર અને માદા બંને ઈંડાંનું સેવન કરે છે. જન્મે ત્યારે બચ્ચાં કપાસના દડા જેવાં લાગે છે. જોકે હવે તો આમલીની ઊંચી ડાળીઓ ઉપર સમડીના માળા મળવા મુશ્કેલ બની ગયા છે. આમલીનાં વૃક્ષોનો નાશ થઈ રહ્યો હોઈ સમડીના માળા ઓછા જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

બાબુભાઈ રાણપરા


જ. ૪ ફેબ્રુઆરી, ૧૯૪૩ અ. ૧૬ જુલાઈ, ૨૦૧૪

જાણીતા લોકસંગીત કલાકાર બાબુભાઈ રાણપરાનો જન્મ મહેસાણા તાલુકાના ઝકાસાના (Zakasana) ગામે થયો હતો. માતા સંતોકબહેન અને પિતા ગિરધરજીભાઈ. માતા સંતોકબહેન સાધ્વી બની ગયાં હતાં, જેઓ પાછળથી સરસ્વતીજીના નામે ઓળખાતાં હતાં. બાબુભાઈએ પ્રાથમિક શિક્ષણ સાયલામાં લાલજી મહારાજને ત્યાં લીધું હતું. તેઓ દસમી કક્ષા સુધી ભણ્યા હતા. ૯ વર્ષની વયથી તેઓ ગણેશ નાટક મંડળીમાં જોડાયા હતા અને નાટકોમાં ભાગ લેતા. તેમનો કંઠ બુલંદ હતો. લોકસંગીતના તેમના ડાયરામાં ભીડ જામતી. લોકો તેમના અવાજ ને સંગીત ઉપર વારી જતા. ભારત ઉપરાંત દેશ-વિદેશમાં તેમના કાર્યક્રમો યોજાતા હતા. ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના ઉપક્રમે તેમણે ૧૯૮૫માં પૅરિસના એફિલ ટાવર ઉપરથી ‘આપણા મલકના માયાળુ માનવી’ ગીત ગાયું હતું. મૉસ્કોમાં ૧૯૮૭ના ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ની શરૂઆત બાબુભાઈ રાણપરાના ગીતથી કરવામાં આવી હતી. ૧૯૯૦માં ‘સ્પિરિટ ઑવ્ અર્થ’ કાર્યક્રમમાં તેમને ગાવા માટે બ્રિટિશ સરકારે આમંત્રણ આપ્યું હતું. એટલાન્ટિક કૉલેજ દ્વારા તેમને યુરોપિયન લેખકોની કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ હતું. ગુજરાતી કવિ અને કલાકારો દ્વારા તેમને ૧૯૯૩માં કાર્યક્રમ આપવા બોલાવવામાં આવ્યા હતા. ૧૯૯૭માં તેઓ સાઉદી અરેબિયા અને બહેરીન પણ ગયા હતા. હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’ના તેઓ લેખક, સંગીતકાર, ગાયક, અભિનેતા અને નૃત્ય-દિગ્દર્શક હતા. તે ઉપરાંત હિન્દી ફિલ્મ ‘રિહાઈ’ના તેઓ ગીતકાર હતા. ગુજરાતી ફિલ્મ ‘દેવલ દેવરો’નાં ગીતો પણ તેમણે લખ્યાં હતાં. ફિલ્મ ‘સરદાર’માં તેમણે અભિનય ઉપરાંત ગીત પણ ગાયું હતું. બીજી ગુજરાતી ફિલ્મો જેવી કે ‘હું હુંશી ને હુંશીલાલ’, ‘લાલ લીલી ચૂંદડી’, ‘બનારસ’, ‘ગુજરાતનાં લોકવાદ્યો’ સાથે પણ જોડાયેલા હતા. ગ્રામોફોન ઝી ટીવી શોમાં તેઓ નૃત્ય-નિર્દેશક અને ગાયક પણ રહી ચૂક્યા હતા. ૧૯૯૮માં ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર, ૨૦૦૫માં શ્રી મોરારિબાપુ દ્વારા ‘કવિ દુલાભાયા કાગ’ પુરસ્કાર તથા ૨૦૦૬માં અકાદમી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ

પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ


સામાન્ય ========================

કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે. એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે. જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણ-આવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે. આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉચ્છ્રંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.

કુમારપાળ દેસાઈ