Categories
વાચન સમૃદ્ધિ

સરગવો

ઔષધીય ગુણો ધરાવતી દ્વિદળી વર્ગમાંની એક વનસ્પતિ.

સરગવાનાં વૃક્ષો મયમ કદનાં હોય છે. તેની ઊંચાઈ ૪.૫થી ૧૦ મીટર સુધીની હોય છે. તેનું થડ ૩૦થી ૬૦ સેમી.નો વ્યાસ ધરાવે છે. સરગવાની છાલનો રંગ ભૂખરો હોય છે. પાન આમલી જેવાં પણ ઘણાં મોટાં હોય છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગનાં ફૂલોવાળો —એમ ત્રણ જાતનો થાય છે. તેનાં ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૨૨.૫થી ૫૦ સેમી. સુધીની હોય છે. તેનો રંગ લીલો અને ત્રિકોણાકાર હોય છે. શિંગોની ઉપરની છાલ કઠણ હોય છે અને તેમની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. તેમાં ત્રિકોણાકાર પાંખોવાળાં બીજ હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર-વૈશાખમાં શિંગો આવે છે. સરગવાનાં વૃક્ષો ભારતભરમાં સર્વત્ર થાય છે. તેનાં વૃક્ષો બાગ-બગીચા, ખેતરો અને વાડીઓમાં તેમ જ ઠેર ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્ર-કિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની જમીનમાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને કલમો દ્વારા થાય છે. સરગવાની વધુ જાણીતી જાતોમાં જાફના, ચવકચેરી, ચેમુંરુંગાઈ, કટુમુરુંગાઈ, કોડીકાલ મુરુંગાઈ, યઝપાનામ સરગવો તથા પીકેએમ. ૧નો સમાવેશ થાય છે.

સરગવાના વૃક્ષના બધા જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. શાક અને સૂપ બનાવવા માટે શિંગો ઉપયોગમાં આવે છે. તેના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો પણ પછી તે ઘટ્ટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. આ ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે; તે ખાવામાં વપરાતો નથી. સરગવાનાં બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સ્વચ્છ અને સફેદ હોય છે. નાના વૃક્ષનાં મૂળ અને તેની છાલથી ચામડી લાલ થઈ જાય છે અને ફોડલા પડે છે. પર્ણો વિટામિન ‘A’ અને ‘C’ ધરાવે છે. તેનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શક્તિદાયક, મૂત્રલ (diuretic) અને પિત્તરેચક તરીકે વપરાય છે. તેનાં બીજનું તેલ સંધિવા અને ગાંઠિયા વા પર લગાડવામાં આવે છે. સરગવાનાં સૂકાં બીજોમાંથી ૩૫થી ૪૦ ટકા તેલ મળે છે, જે સ્વચ્છ અને પાતળું હોય છે. તેનો સુગંધી તેલો બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. સરગવો ભૂખ લગાડે છે અને પચવામાં હલકો હોય છે. તે સ્કર્વી અને શરદીના રોગોમાં ઉપયોગી છે. તેનાં બીજ કડવાં હોય છે અને તાવ મટાડે છે. તે ઝાડાને રોકે છે. તે વીર્યવર્ધક અને હૃદય માટે લાભદાયી છે, પણ લોહી બગાડે છે. તે આંખ માટે હિતકારી અને કફ, વાયુ, જખમ, કૃમિ, ચળ, સોજો, મોંની જડતા, ચરબી, બરોળ, કોઢ અને ક્ષયના રોગોમાં ફાયદાકારક છે. આમ સરગવાના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને અનેક રોગો મટાડવામાં તેનો ઉપયોગ કરાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શારદા મુખરજી

જ. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ અ. ૬ જુલાઈ, ૨૦૦૭

રાજકીય ક્ષેત્રે સફળ મહિલા અને ગુજરાતનાં પૂર્વરાજ્યપાલ શારદા મુખરજીનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સામાજિક કાર્યકર અને લોકસભાનાં પૂર્વસદસ્ય હતાં. પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી પંડિત. તેમનો પરિવાર વર્ષો સુધી રાજકોટમાં વસવાટ કરતો.

તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટમાં લીધું. ત્યારબાદ એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને લૉ કૉલેજ, મુંબઈમાં ઉચ્ચશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે ઍરફોર્સ અધિકારી સુબ્રતો મુખરજી સાથે લગ્ન કર્યાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઍર ચીફ માર્શલ હતા. ૧૯૬૧માં ટોકિયો ખાતે શાહી ભોજનસમારંભ દરમિયાન સુબ્રતો મુખરજીનું અચાનક અવસાન થયું. ત્યારબાદ શારદા મુખરજી કૉંગ્રેસમાં જોડાયાં અને રાજકારણમાં સક્રિય બની ગયાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી લોકસભા માટે તેઓ ચૂંટાયાં(૧૯૬૨-૬૭). તે જ મતદાર મંડળમાંથી ૧૯૬૭માં ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં, પરંતુ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ૧૯૭૭-૭૮ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં. ૧૯૭૮-૮૩ દરમિયાન તેઓએ ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલારાજ્યપાલ અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેઓ યોજના આયોગમાં સંરક્ષણ બાબતોની અધ્યયન ટીમનાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં હતાં. લોકસભાના સભ્યપદે હતાં ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, પ. જર્મની અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે સેવાઓ આપી.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સામેની વ્યક્તિને પહેલો દાવ

આપો =========================

પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવા મળશે. આવે સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેમને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.

કુમારપાળ દેસાઈ