Categories
વાચન સમૃદ્ધિ

ખુરશીદ નરીમાન

જ. ૧૭ મે, ૧૮૮૩ અ. ૪ ઑક્ટોબર, ૧૯૪૮

સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા, જેઓ વીર નરીમાન તરીકે પણ જાણીતા છે. બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી. તેઓ ૧૯૩૫માં મુંબઈના મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રહીને તેમણે મુંબઈના પછાત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ સ્થાપી અને ગંદકી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે યુવકપ્રવૃત્તિમાં રસ લીધો. ઘણાં વર્ષો સુધી તેઓ ‘બૉમ્બે બ્રધરહુડ’ અને ‘બૉમ્બે યૂથ લીગ’ના પ્રમુખ રહ્યા હતા. તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને મુંબઈ કૉંગ્રેસના લોકપ્રિય નેતા બન્યા. ૧૯૩૪માં મુંબઈ ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિમાં પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલા સવિનય કાનૂનભંગના આંદોલન વખતે મુંબઈમાં મીઠાના કાયદાનો ભંગ કરી જેલમાં ગયા હતા. ૧૯૩૨ સુધીમાં તેઓ ચાર વખત જેલમાં ગયા. ૧૯૩૨માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘Whither Congress’ પુસ્તક લખ્યું હતું. તેમનો મત એવો હતો કે કૉંગ્રેસે રાજકીય સંગઠન તરીકે જ કાર્ય કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓ કરીને પોતાની શક્તિ વેડફવી જોઈએ નહિ. ૧૯૩૭માં નરીમાનને સરદાર પટેલ સાથે ઘર્ષણ થયું હતું. તેઓ કૉંગ્રેસ તરફથી ધારાસભામાં ચૂંટાયા હતા, પરંતુ તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામે ચાલેલા કેસમાં સૈનિકોના કાનૂની બચાવ માટે અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે  ખુરશીદ નરીમાન પણ હતા. મુંબઈના નરીમાન પૉઇન્ટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !

દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તૃત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું’ – આ રીતે પોતાના કર્તૃત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તૃત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકો મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે.  ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે. ચેપી રોગની માફક એ લાગુ પડે પછી એવો વ્યાપ થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેપ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ  – એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા

જ. ૧૬ મે, ૧૯૦૨ અ. ૯ મે, ૧૯૯૯

દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ કરમસીભાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના માલુંજામાં થયો હતો. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. કરમસીભાઈના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો હતો. તેમણે કચ્છના તેરા ગામ, મહારાષ્ટ્રના બેલાપુર અને મુંબઈમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધું હતું, પરંતુ મૅટ્રિક સુધી પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી, સોરઠી તથા સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ૧૯૨૭માં ખાંડનો વેપાર કરતી એક પેઢીમાં તેઓ ભાગીદાર તરીકે જોડાયા અને નોંધપાત્ર પ્રગતિ કરી. ૧૯૩૬ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યા. શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું હતું. મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી અને અંતે બધા જ એકમો સમેટી લેવાની નોબત આવી. ૧૯૭૦માં કર્ણાટકના મુધોળ ખાતે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ(K.I.A.A.R.)ની સ્થાપના કરી શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની પહેલ કરી. તેમને કર્ણાટક સરકારનો પૂરો ટેકો મળ્યો. શિક્ષણક્ષેત્રમાં પણ રુચિ હોવાથી તેમણે સોમૈયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેમના વતન કચ્છ, સાકરવાડી, લક્ષ્મીવાડી વગેરે જગ્યાએ શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા વિદ્યાવિહાર નામના મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી હતી. દહાણુમાં નરેશવાડી નામથી શરૂ કરવામાં આવેલ કેન્દ્રમાં આદિવાસીઓ અને ગિરિજનો માટે સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.