Categories
વાચન સમૃદ્ધિ

સમુદ્ર

પૃથ્વીની સપાટી પર રહેલો ખારા પાણીનો વિશાળ રાશિ. ખારા પાણીનો આ વિસ્તાર પૃથ્વીનો મોટો ભાગ રોકે છે. પૃથ્વી પર ૭૧% વિસ્તાર સમુદ્રો કે સાગરો તથા મહાસાગરોનો છે, બાકીનો ૨૯% જેટલો વિસ્તાર ભૂભાગવાળો – ભૂમિખંડોનો બનેલો છે. સમુદ્રોની ઉત્પત્તિ કેટલા સમય પહેલાં થઈ તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ગરમ ધગધગતા વાયુના ગોળા રૂપે હતી. તેની ફરતે અનેક વાયુઓ ઉત્પન્ન થયા. ધીમે ધીમે તેમાંની વરાળ ઠરીને વાદળ બંધાયાં. છેવટે મુશળધાર પડતા વરસાદથી પૃથ્વી પરના નાનામોટા ગર્ત ભરાતા ગયા. વિશાળ ખાડાઓમાં પાણીનો સંગ્રહ થતો રહ્યો અને સમુદ્રો બનતા રહ્યા. તેમાં કાર્બન-ડાયૉક્સાઇડ, ગંધક (સલ્ફર), નાઇટ્રોજન અને બીજાં રસાયણો બળવાથી સમુદ્રોનું પાણી ક્ષારવાળું બન્યું. વળી જ્વાળામુખીનાં પ્રસ્ફુટનોથી અને ખડકોનું ખવાણ થવાથી, વરસાદના પાણીથી સમુદ્રના જળનું સ્તર ઊંચું વધવા માંડ્યું.

મહાસાગરોના પેટાવિભાગોમાં સમુદ્ર, સામુદ્રધુની, અખાત, ઉપસાગર, ખાડી વગેરેનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર, જાપાન સમુદ્ર, બંગાળની ખાડી, ભૂમધ્ય સમુદ્ર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે સમુદ્રના પેટાવિભાગોનાં નામ ભૌગોલિક પ્રદેશો પરથી પાડવામાં આવ્યાં છે. કેટલાક સમુદ્રોનાં નામ તેમના સંશોધકોના નામ પરથી પણ પાડવામાં આવ્યાં છે; દા.ત., બૅફિન, વેન્ડેલ, બૅરેન્ટ્સ, રૉસસમુદ્ર. પૅસિફિક સમુદ્રનાં જળ શાંત હોવાથી તે પ્રશાંત મહાસાગર કહેવાય છે. રાતા સમુદ્રમાં લાલ-હરિત રંગની લીલ હોવાને કારણે પાણી લાલ રંગનું દેખાય છે, તેથી તેને રાતો સમુદ્ર કહે છે. કેટલાક સમુદ્રમાં કાળા રંગની માટી ભળેલી હોવાથી કાળો સમુદ્ર કહેવાય છે. કેટલાકમાં પીળી માટી ભળેલી હોવાથી પીળો સમુદ્ર કહેવાય છે. સરગાસો તરીકે ઓળખાતો સમુદ્ર સરગાસમ નામની બદામી-હરિત લીલથી ભરેલો છે, જોકે સૂર્યની ટૂંકી તરંગલંબાઈવાળાં પારજાંબલી કિરણોનું વિખેરણ થતાં સામાન્ય રીતે સમુદ્રનાં પાણીનો રંગ ભૂરો દેખાય છે. સમુદ્રની જળસપાટી પર પવનોની અસરથી મોજાં ઉદભવે છે. મોજાંની ગતિ ઝડપી હોય છે. આવાં મોજાં ઊછળે છે અને પાછાં નીચે પડે છે. સપાટીથી ઊંડાઈ તરફ જતાં મોજાંનું કદ ઘટતું જાય છે. સમુદ્ર-જળમાં મોટા પાયા પરની વધતી જતી જળ-સપાટીને ભરતી કહેવાય છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે ત્યારે પેદા થતા વિશેષ ગુરુત્વાકર્ષણ બળથી ભરતી ઉદભવતી હોય છે. આ ભરતીને મોટી ભરતી કહે છે. સામાન્ય રીતે ભરતી દર બાર કલાકે આવે છે. ભરતી-ઓટને લીધે સમુદ્રમાં પાણીની સપાટી વધે છે અને ઘટે છે. જેમ ધરતી પર ભૂકંપ થાય છે તેમ સમુદ્રમાં પણ ભૂકંપ થાય છે, પરંતુ સમુદ્રને તળિયે થતા ભૂકંપની અસર તો કોઈક જ વખત થાય છે અને તે પણ કાંઠા પર જ. સમુદ્રને તળિયે જ્યારે ભૂકંપ થાય ત્યારે તેના આઘાતથી પાણીમાં મોજાં ઉત્પન્ન થાય છે. મધદરિયે આ મોજાં ભાગ્યે જ જોઈ શકાય છે, પરંતુ કાંઠા પાસે પહોંચતાં તે ઊંચકાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સમુદ્ર, પૃ. ૨૮)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણ

જ. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૧૨ જુલાઈ, ૨૦૧૩

હિંદી ફિલ્મના મુખ્યત્વે ચરિત્ર અભિનેતા પ્રાણનો જન્મ દિલ્હીમાં સમૃદ્ધ પંજાબી પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ પ્રાણકિશન સિકંદ હતું. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. અભ્યાસ બાદ લાહોરમાં છબીકાર તરીકે નોકરીની શરૂઆત કરી. નસીબજોગે તેમનો સંપર્ક વલીસાહેબ સાથે થયો. તેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું. તેમની અભિનયયાત્રા પંજાબી ફિલ્મ ‘યમલાજટ’થી ૧૯૩૯માં શરૂ થઈ. ત્યારબાદ પંજાબી ફિલ્મ ‘ચૌધરી’ અને હિંદી ફિલ્મ ‘ખજાનચી’માં નાની ભૂમિકાઓ ભજવી. ૧૯૪૨માં હિંદી ફિલ્મ ‘ખાનદાન’માં નૂરજહાંની સામે નાયકની ભૂમિકા નિભાવી. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી દસેક ફિલ્મોમાં અભિનય કર્યો. ૧૯૪૮માં મુંબઈ આવ્યા. મિત્ર શ્યામની ભલામણથી ‘ઝિદ્દી’ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી. ૫૪ સપ્તાહ ચાલેલી આ ફિલ્મે પ્રાણને નવી ઊંચાઈ બક્ષી. ત્યારબાદ ખલનાયક તરીકેની અનેક ભૂમિકાઓ ભજવી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે ચોર, બદમાશ, ડાકુ વગેરે જેવી ભૂમિકાઓ ભજવી. ખલનાયકી સાથે હાસ્યરસનું પણ મિશ્રણ કરી અનેકવિધ અદાઓ અપનાવી તેઓ અત્યંત લોકપ્રિય બન્યા અને સિનેસૃષ્ટિમાં છવાઈ ગયા. ખલનાયક ઉપરાંત પણ તેમણે ‘આહ’, ‘મધુમતી’, ‘શહીદ’, ‘ઉપકાર’, ‘જંજીર’, ‘મજબૂર’ વગેરે ફિલ્મોમાં યાદગાર વિશિષ્ટ ભૂમિકાઓ ભજવી. ‘જંગલ મેં મંગલ’માં વિવિધ પ્રકારની ત્રણ ભૂમિકાઓ ભજવી. ૩૫૦થી પણ વધુ હિંદી તેમજ અન્ય ભાષાઓની ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો. ખલનાયક તરીકે પ્રેક્ષકોમાં ધિક્કારની લાગણી જગાડનાર પ્રાણ વાસ્તવિક જીવનમાં નરમ દિલ, પરગજુ સજ્જન વ્યક્તિ હતા. તેઓ સમાજ-રાજકારણ ક્ષેત્રે અન્યાયનો પ્રતિકાર કરતા. સિનેસૃષ્ટિના આ સદાબહાર કલાકારને ‘ઉપકાર’, ‘આંસુ બન ગયે ફૂલ’ અને ‘બેઈમાન’માં ઉત્કૃષ્ટ અભિનય બદલ દરેક માટે ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ૧૯૯૭માં ફિલ્મફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એનાયત કરવામાં આવ્યો. ૨૦૦૧માં તેમને પદ્મભૂષણથી અને ત્યારબાદ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પોતાના અનુભવો પાસેથી કશી

કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ