Categories
વાચન સમૃદ્ધિ

જીવનશિલ્પનું સર્જન

અંગ્રેજ સર્જક જૉસેફ એડિસન (જ. ઈ. 1672થી અ. ઈ. 1719) શાંતિથી પોતાનું લેખન કાર્ય કરતા હતા, ત્યારે એકાએક એમનો ભત્રીજો ધસી આવ્યો. એણે આવીને ધડાધડ કામ કરવા માંડ્યું અને બન્યું એવું કે ઉતાવળમાં કરેલું કામ તદ્દન બગડી ગયું. સાહિત્યકાર એડિસને એને એકાદ વખત શિખામણ પણ આપી કે જરા થોડી ધીરજ ધરીને કામ કર. આવી ઉતાવળ કરવાનો બહુ અર્થ નથી. ત્યારે ભત્રીજાએ કહ્યું, ‘કાકા, મને ઠંડું, ઢીલું કે ધીમું કામ પસંદ નથી. ઠંડા અને ઢીલા લોકો પણ સહેજે ગમતા નથી. આખો જમાનો ઝડપથી દોડી રહ્યો છે, ત્યારે ધીમે ચાલનાર જમાનાથી પાછળ પડી જાય છે. વળી ઉતાવળે કામ કરવાથી શરીર પણ ચેતનવંતું રહે છે. સમજ્યા ?’ એડિસને કહ્યું, ‘આ તારી ભ્રમણા છે. હું તને ઢીલાશથી, વિલંબથી કે બિનજરૂરી રીતે ધીમે ધીમે કામ કરવાનું કહેતો નથી, પરંતુ હું તને એટલું જરૂર કહેવા માગું છું કે જે કામમાં જેટલી ઝડપ થઈ શકે તેમ હોય, એટલી જ ઝડપ કરવી. એનાથી વધુ ઝડપ ઘણી વાર કામને બગાડી નાખે છે. જમવું જરૂરી છે, પણ કોઈ એકસાથે ઝપાટાબંધ આખા દિવસનું ભેગું જમવા લાગે, તો અંતે જતાં એના પેટને નુકસાન થશે.’ ભત્રીજો બચાવ કરતાં બોલ્યો, ‘આપણી તો મેલ ટ્રેન. બાળપણથી ઝડપી કામની આદત, હવે એમાં સુધારો શક્ય નથી.’ એડિસને કહ્યું, ‘જો બીજી વ્યક્તિઓ પોતાના જીવનમાં પરિવર્તન કરી શકતી હોય તો તું કેમ ન કરી શકે ? પેલા વયોવૃદ્ધ વિશે તારી ધારણા હતી કે આટલી મોટી ઉંમરે એ પરીક્ષા આપીને શું ઉકાળશે, પણ તેં જોયું કે એમણે મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો.’’ ‘હા, એ વૃદ્ધ વિશેની મારી ધારણા ખોટી ઠરી. એની મહેનતનું એ પરિણામ છે.’ ‘તો તું પણ તારે વિશેની ધારણા ખોટી પાડી શકે ને ? કલાકૃતિ કંડારતા શિલ્પી તરફ નજર કર. એ શિલ્પીઓએ અખૂટ ધીરજથી તૈયાર થયેલી કલાકૃતિઓ માત્ર ઇમારત નથી રહી, પરંતુ સંસ્કૃતિનું યશોગાન કરતી પ્રેરણા બની છે.’

Categories
વાચન સમૃદ્ધિ

દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના  સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વયંસંચાલન

આપમેળે નિયંત્રિત રીતે કાર્યો થાય તેવી વ્યવસ્થા.

ઉત્પાદનક્ષેત્રે અનેક પરિવર્તનો થતાં રહ્યાં છે. તેમાં સ્વયંસંચાલન એ ખૂબ મહત્ત્વની શોધ છે. ઉત્પાદનક્ષેત્રે મોટા જથ્થાના ઉત્પાદનમાં તેમ જ નાના ઉત્પાદનમાં સ્વયંસંચાલન એ મોટી ક્રાંતિ ગણાય છે. મોટા ભાગે કારખાનામાં યંત્રોમાં તથા યંત્રોનું સંચાલન કરનાર તંત્રમાં સ્વયંસંચાલનનો ઉપયોગ થાય છે. એક યંત્રને ચાલુ કરવામાં આવે ત્યાર પછી તેનું કામ પૂરું થતાં એની મેળે બંધ થઈ જાય. કામમાં ભૂલ થાય તો જાતે સુધારી લે અથવા યંત્રને અટકાવી દે અથવા વધુ જરૂરી હોય તો ચેતવણીની સાયરન વગાડે – આ બધું સ્વયંસંચાલનને આભારી છે. પ્રારંભે માનવ બધાં કામો પોતાના હાથથી કરતો. ધીમે ધીમે સમય જતાં તે હાથની સાથે મગજનો ઉપયોગ કરતો થયો. તેણે તેના કામમાં મદદરૂપ થાય તેવાં ઓજારો બનાવવાનું શરૂ કર્યું. અનેક વર્ષોના ગાળામાં માણસ સાદાં યંત્રોથી માંડીને ઢાળ, ગરગડી, સ્ક્રૂ, ચક્ર, ઉચ્ચાલન વગેરે બનાવતો થયો. વરાળયંત્રને કારણે યંત્રો નજીવા શ્રમથી વધુ ઝડપી બન્યાં. વીજળીશક્તિ અને વીજાણુશક્તિની શોધોએ અનેક યંત્રો આપમેળે ચાલે તેવી સુવિધા કરી આપી.

પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા કરાતું કાર્ય

સ્વયંસંચાલન એ ઉત્ક્રાંતિકારી બાબત છે. ઔદ્યોગિક ક્રાંતિમાં માનવકાર્ય મશીન વડે થતું ગયું ત્યારથી જ મશીન દ્વારા સ્વયંસંચાલનનો પ્રારંભ થયો. સ્વયંસંચાલનની રીતો ઇલેક્ટ્રિકલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રૉનિકલ, ન્યૂમેટિક (વાતીય) કે તેમાંની એકથી વધુના સંયુક્ત રૂપે હોઈ શકે. અત્યારના સમયમાં ઇલેક્ટ્રૉનિક્સનો ઉપયોગ કરતી રીતોનો ઉપયોગ વધી રહ્યો છે. સ્વયંસંચાલિત ઉત્પાદન બે પ્રકારનું હોઈ શકે – નિશ્ચિત (fixed) પ્રકારનું કે જેમાં ફેરફાર કરી શકાય નહિ અથવા તો તે કરવો મુશ્કેલ બને અને બીજું પ્રોગ્રામેબલ ઑટોમેશન. નિશ્ચિત સ્વયંસંચાલન એ મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ કે ન્યૂમેટિક સાધનોથી થાય છે અને તેને ‘Hard Automations’ કહેવાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા મશીન પર કરવાનાં બધાં કાર્યોનો અનુક્રમ તથા દરેકને લાગતો સમય નક્કી થાય છે. ઇલેક્ટ્રૉનિકલ ઉપકરણો અને કમ્પ્યૂટર દ્વારા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. પ્રોગ્રામ સહેલાઈથી બદલી શકાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશન એ ‘Soft Automation’ કહેવાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વયંસંચાલન, પૃ. 91)