Categories
વાચન સમૃદ્ધિ

જિબ્રાલ્ટર

સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : ૩૬° ૦૭´ ઉ. અ. અને ૫° ૨૧´ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. ૭૧૧માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન તરફ કરેલી કૂચના માર્ગમાં આવેલા આ સ્થાનના ખડક પર એક મજબૂત દુર્ગ બાંધેલો. આ ઉપરથી આ સ્થળનું ‘જેબલ અલ્ તારિક’ (The Hill of Tariq) નામ પડેલું, જેના અપભ્રંશ તરીકે પાછળથી આ ભૂશિરનું નામ ‘જિબ્રાલ્ટર’ પડ્યું છે. ૪.૮ કિમી. લંબાઈ તથા ૧.૨ કિમી. પહોળાઈ ધરાવતી અહીંની વસાહત કુલ ૬.૫ ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી ૩૨,૬૮૮ (૨૦૨૩) જેટલી છે, જેમાંથી મોટા ભાગના નાગરિકો સ્પૅનિશ તથા ઇટાલિયન મૂળના છે. આ લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓ છે. ત્યાંની આબોહવા ખુશનુમા હોય છે. તાપમાન ઉનાળાના સમયે ૧૬°થી ૨૭° સે. રહે છે. ડિસેમ્બરથી મે વચ્ચેના ગાળામાં આશરે સરેરાશ ૭૨૨ મિમી. વરસાદ પડે છે. સંગ્રહ કરેલ મીઠા પાણીનો જથ્થો ખૂટે ત્યારે પીવાના પાણીની યુરોપમાંથી આયાત કરવી પડે છે. યુરોપની વાનરોની એકમાત્ર જાતિ બર્બર વાનર અહીં વસે છે.

જિબ્રાલ્ટર

બર્બર વાનર

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની ઈશાને ૪૨૫ મી. ઊંચાઈ ધરાવતો ‘ધ રૉક’ નામનો ખડક છે જેના પર હાલ બ્રિટિશ કબજા હેઠળનો દુર્ગ છે. આ ખડકની તળેટીમાં જ નાગરિકોની વસાહત છે. સામુદ્રધુનીની બીજી તરફ, સામેના કાંઠા પર ૨૨ કિમી. અંતરે સ્પૅનિશ મોરોક્કોમાં ‘જેબેલ સૂસા’ નામનો ૧૯૪ મી. ઊંચાઈ ધરાવતો બીજો ખડક છે. ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ છેડાની નાકાબંધી કરવા માટે આ સ્થળ મોખરાનું હોવાથી ફિનિશિયન, કાર્થેજિયન, રોમન તથા વિસિગૉથ લોકોએ વારાફરતી તેના પર કબજો કરેલો. અહીં હળવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ લશ્કર સાથે સંકળાયેલા માણસોની નાગરિક જરૂરિયાતો પૂરી કરવા માટેની આર્થિક પ્રવૃત્તિ સિવાય ત્યાં અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ થતી નથી. અમુક અંશે પર્યટકો માટે આ સ્થળ શિયાળાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈસર્ગિક, પુરાણી તથા યુદ્ધમાં વપરાતી વસ્તુઓનાં ત્યાં સંગ્રહાલયો છે. ઇતિહાસ : ૧૪૬૨માં સ્પેનના શાસકોએ જિબ્રાલ્ટર પર કબજો મેળવ્યો. સ્પેનના વારસાયુદ્ધ દરમિયાન ૧૭૦૪માં બ્રિટિશ સૈનિકોએ તે પોતાને હસ્તક લીધું. ૧૭૧૩માં યુટ્રેક્ટ સંધિ (Treaty of Utrecht) હેઠળ તેના પરની બ્રિટિશ હકૂમતને અધિકૃત માન્યતા આપવામાં આવી. ૧૭૨૬માં સ્પેને તેના પર ફરી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી નહિ. નૌકાદળના મથક તરીકે ઓગણીસમી સદીથી અત્યાર સુધી તેનું મહત્ત્વ અકબંધ રહ્યું છે. ૧૮૬૯માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં ઇંગ્લૅન્ડ તથા ભારત વચ્ચેના ભૂમધ્ય સાગર મારફતના લશ્કરી તથા નાગરિક પુરવઠા માર્ગ તરીકે જિબ્રાલ્ટરનું મહત્ત્વ વધ્યું. વીસમી સદીની શરૂઆતમાં આ સ્થળે બંદર બાંધવામાં આવ્યું. પાછળથી આધુનિક ઢબે બંદરનો વિસ્તાર કરવામાં આવ્યો. બ્રિટિશ હકૂમત હેઠળના આ નૌકામથકનો બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન હવાઈ મથક તરીકે પણ ઉપયોગ થયો. આજે પણ નૌકાદળની કવાયતો માટે ‘નાટો’ (NATO) લશ્કરી સંગઠન તેનો ઉપયોગ કરે છે. ૧૯૬૪માં આ વસાહતને આંતરિક સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી. ત્યાંના ગવર્નરની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવે છે. ૨૦૦૨માં જિબ્રાલ્ટર-વાસીઓએ સંયુક્ત (સ્પેન સાથેના) સાર્વભૌમત્વની દરખાસ્તોનો સામનો કરી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું પસંદ કર્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમારી અમૃત કૌર

જ. ૨ ફેબ્રુઆરી, ૧૮૮૯ અ. ૬ ફેબ્રુઆરી, ૧૯૬૪

અમૃત કૌરનો જન્મ લખનઉમાં થયો હતો. તેઓ પંજાબ પ્રાંતના કપૂરથલ્લા રાજ્યના રજવાડા પરિવારના સાત ભાઈઓનાં એકનાં એક બહેન હતાં. તેમનો પ્રારંભિક અભ્યાસ ડોરસેટ ઇંગ્લૅન્ડ ખાતે તથા કૉલેજશિક્ષણ ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં લીધું હતું. ત્યારબાદ તેઓ ભારત પાછાં આવ્યાં. ભારત આવીને તેઓ સ્વતંત્રતાચળવળમાં જોડાઈ ગયાં. તેમના પિતા ભારતના રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા, આથી ૧૯૧૯માં અમૃત કૌર મહાત્મા ગાંધીને મુંબઈ ખાતે મળ્યાં અને તેમના વિચારોથી પ્રભાવિત થઈ ગયાં. જલિયાંવાલા બાગમાં થયેલ હત્યાકાંડથી તેઓ બ્રિટિશ રાજનાં પ્રખર વિરોધી અને આલોચક બન્યાં. ત્યારબાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગયાં અને ભારતીય સ્વતંત્રતાઆંદોલનમાં સક્રિય થયાં અને સામાજિક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના કરી. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેઓને જેલવાસ થયો. ત્યારબાદ તેઓ ગાંધીજીનાં અંતેવાસી બન્યાં અને કઠોર જીવનશૈલી અપનાવી. તેમણે ૧૬ વર્ષ સુધી ગાંધીજીનાં મંત્રી તરીકે કાર્ય કર્યું ઉપરાંત મહિલાઉત્કર્ષ અને શિક્ષણપ્રવૃત્તિઓમાં સવિશેષ રસ લીધો. બાળલગ્ન અને પરદાપ્રથાનો વિરોધ કર્યો. તેઓ સ્વતંત્ર ભારતનાં પહેલાં સ્વાસ્થ્યમંત્રી હતાં. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પ્રારંભિક રાજકીય જીવનમાં તેઓએ માનભર્યું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની ઇચ્છાનુસાર તેઓને મૃત્યુ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર અપાયો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

માનવમાત્ર સમાન

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ