Categories
વાચન સમૃદ્ધિ

કરણ દીવાન

જ. 6 નવેમ્બર, 1917 અ. 2 ઑગસ્ટ, 1979

ભારતીય સિનેમાજગતમાં હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા કરણ દીવાનનો જન્મ ગુજરાનવાલા પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તેમને પત્રકારત્વમાં રસ પડ્યો અને તેમણે ઉર્દૂ ફિલ્મ મૅગેઝિન ‘જગત લક્ષ્મી’નું સંપાદન શરૂ કર્યું હતું. કરણ દીવાને 1939માં કૉલકાતામાં પંજાબી ફિલ્મ ‘પૂરણ ભગત’માં ‘પૂરણ’ની ભૂમિકા ભજવીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેરા માહી’ (1941) પણ એક પંજાબી ફિલ્મ હતી. ત્યારબાદ ‘રતન’માં તેમણે પહેલી વાર હિન્દી ફિલ્મોમાં નૌશાદ માટે ગીત ગાયું હતું. જે તે સમયે બી. આર. ચોપરા લાહોરમાં ફિલ્મપત્રકાર તરીકે કામ કરતા હતા, તેમણે કરણ દીવાનને દેવિકા રાની સાથે સંપર્ક કરવામાં મદદ કરી હતી, જેમણે દીવાનને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે આનાથી દીવાનને ફિલ્મો બનાવવામાં મદદ ન મળી ત્યારે તેમણે અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉર્દૂ ઉચ્ચારણ શીખવ્યું હતું. 1944માં કરણ દીવાને એમ. સાદિક દ્વારા દિગ્દર્શિત મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ ‘રતન’માં અભિનય કર્યો હતો, જે તે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની હતી. 1944માં જ ‘ગાલી’ નામની સામાજિક ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ રહી હોવાનું કહેવાય છે. 1945માં ‘ભાઈજાન’ એક સફળ મુસ્લિમ સામાજિક કૌટુંબિક મેલૉડ્રામા હતી. 1947માં તેમણે ફિલ્મ ‘મહેંદી’માં અભિનય કર્યો હતો. 1948માં કરણ દીવાને ‘ફિર ભી અપના હૈ’, સ્વર્ણલતા સાથે ‘ચાંદ ચકોરી’ અને મીનાકુમારી સાથે ‘પિયા ઘર આ જા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1949માં બનેલી ભારત-પાકિસ્તાનના ભાગલાની લોકો પર અસર દર્શાવતી ફિલ્મ ‘લાહોર’માં તેમણે નરગિસ સાથે સહકલાકાર તરીકે કામ કર્યું હતું. કરણ દીવાને 1950માં છ ફિલ્મોમાં અને 1955માં આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 1939થી 1979 સુધીમાં સિત્તેરથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘જ્યૂબિલી સ્ટાર’ તરીકે ઓળખાતા હતા. તેમની વીસ ફિલ્મો સિલ્વર જ્યૂબિલી તરીકે હિટ રહી હોવાનું કહેવાય છે. સોહનલાલ કંવરની ‘આત્મારામ’ (1979) તેમની છેલ્લી ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વપ્ન

સામાન્ય રીતે નિદ્રાવસ્થા દરમિયાન વિચારો-સંવેદનો-અપેક્ષાઓ-ભાવાનુભવો વગેરેથી પ્રેરિત માનસપટ પર પ્રગટ થતો દૃશ્યાભાસ. પ્રાચીન કાળથી માનવી માટે સ્વપ્ન મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ રહ્યું છે. બૅબિલોન અને ઇજિપ્તના લોકો સ્વપ્નોની નોંધ કરતા અને તેમનો અર્થ કાઢતા. ભારતમાં પણ વિચારકોએ માનવીની ચાર અવસ્થાઓમાં નિદ્રા, જાગૃતિ અને તુરીયાવસ્થા સાથે સ્વપ્નાવસ્થાનો સમાવેશ કર્યો છે.

ભગવાન મહાવીરના જન્મ પૂર્વે ત્રિશલા માતાને આવેલાં મંગલ સ્વપ્નો

સ્વપ્નમાં આવતાં વિચારો, અનુભૂતિઓ, સંવેદનાઓ અને તેમના હેતુઓ ચોક્કસપણે સમજી શકાતાં નથી; પરંતુ કેટલાક મનશ્ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને શરીરક્રિયાવિજ્ઞાનીઓએ સ્વપ્નોનાં વિવિધ પાસાંઓ તથા તેમના સંકેતોનું વિશ્લેષણ કરીને કેટલીક હકીકતો તારવી છે. સ્વપ્નોના વૈજ્ઞાનિક અભ્યાસને ઑનેરોલૉજી કહે છે. દરેક મનુષ્યને રોજ રાતે સ્વપ્ન આવતું હોય છે. કેટલાક એમ કહે છે કે, ‘મને સ્વપ્ન આવતાં નથી.’ તેઓને સ્વપ્ન તો આવે છે પણ તેઓ તે ભૂલી જાય છે. ઊંઘની ચાર કક્ષાઓ હોય છે. તેમાંથી પ્રથમ કક્ષાની ઊંઘ હળવી હોય છે. આ તબક્કે જ્યારે નિદ્રાધીન વ્યક્તિની આંખોની કીકીઓનાં હલનચલનો થાય ત્યારે તે સ્વપ્નો જોતો હોય છે. તેને આંખની ઝડપી ગતિ(rapid eye movement)નો તબક્કો એટલે કે ‘REM ઊંઘ’ કહે છે. આવે સમયે મગજ ખૂબ ક્રિયાશીલ હોય છે અને જાગૃતાવસ્થા સાથે કેટલીક રીતે સામ્ય ધરાવે છે. બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ઊંઘ વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. નાનાં બાળકો પોતાની સોળ કલાકની ઊંઘમાંથી અડધો સમય સ્વપ્નો જોતાં હોય છે. સ્વપ્નો અનેક પ્રકારનાં હોય છે : કેટલાંક લાંબાં તો કેટલાંક ટૂંકાં, કેટલાંક વિગતવાર યાદ રહે તો કેટલાંક ભુલાઈ જાય તેવાં. અમુક સ્વપ્નો આનંદદાયક, ઉત્સાહ વધારે તેવાં તથા રસપ્રદ હોય છે; જ્યારે કેટલાંક સ્વપ્નો દુ:ખદાયક, ડરામણાં, ભયાનક, સાહસવાળાં તેમ જ અદ્ભુત હોય છે. સ્વપ્નના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે બહારથી આપવામાં આવતી ઉત્તેજનાના પ્રભાવથી પણ કેટલાક પ્રકારનાં સ્વપ્ન આવી શકે છે. સ્વપ્નના વિષયમાં ડૉ. સિગ્મંડ ફ્રૉઇડનો આગવો મત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વપ્ન, પૃ. 90)

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત બલરામ પાઠક

જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.