જે પરસેવે ન્હાય


અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી. અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે. સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.  એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બૅંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા. એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી. ૧૮૨૮માં અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

કુમારપાળ દેસાઈ

કે. એમ. કરીઅપ્પા


જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩

સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી કરી અને કાબેલ અધિકારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૧-૪૨માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધમોરચા પર કામ કર્યું અને ૧૯૪૩-૪૪માં બ્રહ્મદેશના આરાકાન્ત પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે  ભારતીય લશ્કરની વહેંચણી કરવાનું કામ ખૂબ સારી રીતે તેમણે પાર પાડ્યું. ૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ તેઓ સ્વતંત્ર ભારતના પહેલા સરસેનાપતિ નિમાયેલા. કાશ્મીરનું પહાડી યુદ્ધ તેમની કુશળ નેતાગીરીમાં જ લડાયેલું. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે તેઓ મોરચા પર જઈને જવાનોને પ્રોત્સાહિત કરતા. નિવૃત્તિ બાદ, તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછીના સમયમાં ભારતના લોકોમાં દેશના સંરક્ષણ માટેની સભાનતા વધે તથા ભારતીય યુવાનો લશ્કરમાં જોડાય તે માટેનું પ્રોત્સાહન આપવા માટે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો.

૧૯૭૭માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી હતી. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે તેમને દેશ-વિદેશમાં સન્માનવામાં આવ્યા હતા. ૧૯૪૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને ‘લિજિયન ઑવ્ મેરિટ’ તથા ‘ચીફ કમાન્ડર’ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનાર્હ જનરલના હોદ્દાથી સન્માન્યા હતા. ૧૯૮૬માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ‘ફિલ્ડમાર્શલ’ના સર્વોચ્ચ હોદ્દાથી સન્માન્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ સેમ માણેકશા પછીના બીજા ભારતીય સેનાપતિ હતા.

શુભ્રા દેસાઈ

સફરજન


દ્વિદળી વર્ગમાં આવેલી ગુલાબના કુળની, મીઠાં ફળો આપતી વનસ્પતિ.

સફરજનનાં વૃક્ષો યુરોપ, યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા તથા એશિયાના ઠંડા પહાડી પ્રદેશોમાં ઊગે છે. તે સમશીતોષ્ણ પ્રદેશનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તે કાશ્મીર, જમ્મુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ, તમિળનાડુ તથા બૅંગાલુરુમાં વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે ૨.૩૨ લાખ હૅક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. સફરજનનું ઝાડ કદમાં નાનું હોય છે. તે આશરે ૧૫ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. સફરજનનાં પાન અંડાકાર ટોચે અણીદાર, આશરે ૫થી ૮ સેમી. લંબાઈનાં અને દાંતાદાર હોય છે. પાનનું દીંટું પાનથી અડધું લાંબું અને રુવાંટીદાર હોય છે. ફૂલોનો રંગ લાલ ટપકાંવાળો સફેદ અથવા ગુલાબી હોય છે. તે આશરે ૨.૫થી ૫ સેમી. પહોળાં, ઘંટાકાર અને ગુચ્છામાં થાય છે. ફળો કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે આછાં પીળાં કે લાલ રંગનાં થાય છે. સફરજનની અનેક જાતો છે. તેમના સ્વાદમાં પણ વિવિધતા હોય છે.

સફરજનનું ઝાડ

સામાન્ય રીતે સફરજન બારે માસ મળતાં હોય છે. વખારમાં ૯૦% સાપેક્ષ ભેજવાળા વાતાવરણમાં ઘોડાઓ, ખોખાંઓ કે ટોપલાઓમાં તેનો સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. સફરજન વિવિધ રીતે ઉપયોગી છે. તેના ફળનાં પતીકાં  પાડી તેને સૂકવવામાં આવે છે. તેમાંથી જામ તથા જેલી બનાવી તેની ડબ્બાબંધી (canning) કરાય છે. તેનાં ફળોનો તાજો રસ પણ પિવાય છે. ખાટી જાતનાં સફરજન રાંધવામાં વપરાય છે. તેને પકાવી (baking) તેમાંથી પાઇ વગેરે બનાવાય છે. તેને વરાળમાં બાફી તેમાંથી ‘ઍપલ સૉસ’ (apple sauce) બનાવાય છે. આથવણની ક્રિયાથી તેમાંથી દારૂ, સાઇડર (cider) અને વિનેગર બનાવાય છે. સાઇડર સફરજનમાંથી બનાવાતું પીણું છે.

સફરજનમાં ૮૫% પાણી હોય છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, સી તથા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ફૉસ્ફરસ, મૅંગેનીઝ, ઝિંક, આયોડિન, બોરોન અને લોહ જેવાં ખનિજો ધરાવે છે. આ ખનિજ-ઘટકો મનુષ્યના પોષણ માટે અત્યંત મહત્ત્વનાં ગણાય છે. આયુર્વેદ અનુસાર તે સ્વાદે મધુર, રુચિ ઉત્પન્ન કરનાર, શીતળ, હૃદય માટે લાભદાયી, ઝાડો બાંધનાર, મગજની શક્તિમાં વધારો કરનાર અને પાચનકર્તા છે. તે તાવ, ક્ષય અને સોજાનો નાશ કરે છે. તે ઝાડા અને મરડા માટે ઉત્તમ ઔષધિ ગણાય છે. સફરજન ખાવું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ હિતકારી છે. ‘One apple a day, Keeps the doctor away.’ (રોજનું એક સફરજન ખાશો તો ડૉક્ટરની પાસે નહીં જવું પડે.) તેવી ઉક્તિ પણ પ્રચલિત છે. નાનાં બાળકોને, વૃદ્ધોને તથા ઝાડા કે મરડો થયેલ દર્દીઓને તે આપી શકાય છે. સફરજનનો ઉલ્લેખ સાહિત્યમાં થતો જોવા મળે છે. બાઇબલમાં આદમ અને ઈવ જ્ઞાનના ફળરૂપ સફરજન ખાય છે તેવો ઉલ્લેખ છે. સ્વિસ દંતકથા પ્રમાણે વિલિયમ ટેલ તેના પુત્રના માથા પર મૂકેલ સફરજનને બાણથી વીંધે છે. અનેક બાળવાર્તાઓમાં પણ સફરજનના વિવિધ રીતના ઉલ્લેખો મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી