Categories
વાચન સમૃદ્ધિ

તાશ્કંદ

મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું છે. સોવિયેત સંઘના વિઘટન પછી ઉઝબેકિસ્તાને ડિસેમ્બર, 1991માં સ્વાતંત્ર્ય મેળવ્યું. પણ આ પહેલાં સોવિયેત સંઘની સત્તા દરમિયાન તાશ્કંદે ઘણી પ્રગતિ સાધી હતી. આ નગર લાંબા અને સૂકા ઉનાળા તેમજ ટૂંકા શિયાળાવાળી ખંડીય આબોહવા ધરાવે છે. તેનું જાન્યુઆરી તથા જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે લગભગ 2° સે. અને 25° સે. જેટલું રહે છે. તેના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 375 મિમી. જેટલું રહે છે. તે પર્વતીય પ્રદેશો વચ્ચે આવેલું છે, તેના રાજમાર્ગો પર અને ઠેકઠેકાણે આવેલાં ઉદ્યાનોમાં વૃક્ષોની હરિયાળી વિકસાવવામાં આવેલી તેથી તાશ્કંદ દુનિયાનાં અતિ હરિયાળાં નગરો પૈકીનું એક ગણાય છે. જ્યારે હવામાન સ્વચ્છ હોય, ત્યારે અહીંથી ચિત્કલ પર્વતોનાં હિમાચ્છાદિત શિખરો દૃષ્ટિગોચર થાય છે. વળી તેની આસપાસ અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ટૂંકમાં, આ શહેરનું વાતાવરણ હંમેશાં શાંત, ઠંડું અને આનંદદાયક રહે છે. આથી આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાવડા અથવા તો રાજકીય મંત્રણા માટેની શિખર પરિષદો ભરવા માટે તે અનુકૂળ સ્થળ ગણાય છે. તે માટેની બધી જ સુવિધાઓ આ નગરમાં ઉપલબ્ધ છે.

તાશ્કંદપ્રદેશનાં કપાસ પકવતાં ક્ષેત્રો : એક દૃશ્ય

1966ના ધરતીકંપથી આ નગરનાં લગભગ 75,000 કુટુંબોને અસર થઈ હતી. ધરતીકંપથી થયેલી તારાજી પછી આ શહેરને નવેસરથી અને નવીન સ્થાપત્યશૈલીથી બાંધવામાં આવ્યું છે. તેની લગભગ 15% ઇમારતો બે માળવાળી અને 35% ઇમારતો નવ માળવાળી છે. શહેરની મધ્યમાં સત્તર માળવાળી હોટેલ છે. નગરનાં નવાં રહેઠાણો, કચેરીઓ અને સંકુલો ખૂબ જ મજબૂત છે, ધરતીકંપ સામે ટક્કર ઝીલી શકે તેવી રચના તેઓ ધરાવે છે. તાશ્કંદ ભારે ઇજનેરી ઉદ્યોગો ઉપરાંત રેશમી અને સુતરાઉ કાપડની મિલો પણ ધરાવે છે. આ સિવાય અહીં યંત્રો, મશીનટૂલ્સ, તૈયાર કપડાં, પગરખાં, ચામડાંની બનાવટો, રસાયણો, તમાકુ, ખાદ્ય પદાર્થો વગેરેને લગતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. આ નગર રેલ, સડક અને હવાઈ માર્ગોનું મુખ્ય મથક છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત તે શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓ ધરાવે છે. વળી અહીં સંસ્કૃતિ અને કળાને લગતી પ્રવૃત્તિઓ પણ થાય છે. સૂર્યશક્તિના ઉપયોગના વિકાસને લગતાં સંશોધનોમાં તે અગ્રેસર રહ્યું છે. અહીનાં પંદરમી-સોળમી સદીનાં સૈનિકાગારોનાં અને સત્તરમી સદીનાં કુકેલ્ડાશની મદરેસાનાં સ્થાપત્યો વિશ્વવિખ્યાત છે. 2025માં શહેરની વસ્તી 31,64,000 (આશરે) હતી.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સઈદ જાફરી

જ. 8 જાન્યુઆરી, 1929 અ. 15 નવેમ્બર, 2015

આગવી અદાકારી અને અભિનય માટે જાણીતા ભારતીય સિનેજગતના અભિનેતા સઈદ જાફરીનો જન્મ પંજાબમાં થયો હતો. હિન્દી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું, જેનો ઉપયોગ તેઓ વિવિધ પાત્રોની ભજવણી વખતે કરતા હતા. પિતા હમિદહુસૈન જાફરી, સરકારી સ્વાસ્થ્ય ખાતામાં તબીબી હોવાને કારણે નોકરીમાં અનેક વાર બદલીઓ આવી. જ્યાં સઈદ જાફરીએ વિવિધ અનુભવો લીધા. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી માધ્યમની શાળા અને કૉલેજમાં અભ્યાસ કરવાથી બ્રિટિશ અંગ્રેજીનો સારો મહાવરો રહ્યો. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન રેડિયો બી.બી.સી. સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ નાટકોમાં અભિનય કરતા. 1977માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ સાથે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘હિના’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘ચશ્મેબદદુર’, ‘સાગર’, ‘કિસીસે ના કહેના’, ‘ગાંધી’, ‘માય બ્યૂટીફુલ લૉન્ડ્રેટ’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. હોલિવુડમાં સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેતા છે. તેમણે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1958થી 1966 સુધી તેઓ માધુરી જાફરી સાથે લગ્ન સંબંધમાં રહ્યા. 1980માં જેનિફર સોરેલ સાથે બીજાં લગ્ન કર્યાં. પહેલા લગ્નમાં ત્રણ પુત્રીઓ છે. 80 અને 90ના દાયકામાં બ્રિટનનો ટૉપ એશિયન ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો. લંડનમાં બ્રેઇનહેમરેજના કારણે એમનું અવસાન થયું. અવસાન બાદ 2016માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દર્પણમાં ચહેરો જુઓ !

ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવવ્યક્તિત્વને કંડારે છે. આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો – આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું, ‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’ શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’ શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.’ સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.’