Categories
વાચન સમૃદ્ધિ

તૃષ્ણાની દોડ

પ્રાતઃકાળના ખુશનુમા વાતાવરણમાં જાગ્યા પછી તમે આસપાસ વહેતા પવનનો આભાર માન્યો છે ખરો ? એણે બક્ષેલી જિંદગી માટે સહેજે ઉપકારભાવ સેવ્યો છે ખરો ? આમ તો આ હવા વિના આપણે ત્રણ મિનિટથી વધુ જીવી શકીએ તેમ નથી, છતાં એના પ્રત્યે આદરભાવ સેવ્યો છે ખરો ? ક્યારેય તમે ભોજન કે નિદ્રાને ‘થૅન્ક યૂ’ કહ્યું છે ખરું ? અન્નને આપણે દેવ માનીએ છીએ, પરંતુ ભોજન સમયે એ દેવનાં દર્શન કર્યાં છે ખરાં ? આપણા જીવનમાં સ્નેહ અને પ્રેમની જરૂર છે, પણ ક્યારેય એ હૂંફ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો છે ખરો ? હકીકતમાં હવા, પાણી, અન્ન કે લાગણી જેવી આપણા જીવનની અનિવાર્ય જરૂરિયાતો પ્રત્યે આપણે ઘોર ઉપેક્ષા સેવીએ છીએ અને આપણી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પ્રતિ આકર્ષણ અનુભવીએ છીએ. વર્તમાનયુગમાં તો માનવી સઘળું છોડીને અને આંખો મીંચીને સતત ઇચ્છાના સુવર્ણમૃગની પાછળ દોડી રહ્યો છે. ઇચ્છા અનંત છે, એનો કદી કોઈ છેડો હોતો નથી અને તેમ છતાં માનવી અનંતકાળથી ઇચ્છાતૃપ્તિ માટે દોડતો રહે છે. વિચાર કરો કે ઘણા લાંબા સમય બાદ તમારી ઇચ્છાની પરિતૃપ્તિ થઈ અને અનેક ફિચર્સ ધરાવતો ખૂબ મોંઘો મોબાઇલ ખરીદ્યો. ઘેર આવ્યા બાદ એ મોબાઇલ ખોલતાં એવી જાહેરાત જોઈ કે તમે ખરીદેલા મોબાઇલ કરતાં ઘણી વધુ કિંમતનો અને અનેક ફિચર્સવાળો મોબાઇલ બજારમાં આવી ગયો છે. હજી માંડ પેલી જૂની ઇચ્છા સંતોષાઈ હતી, ત્યાં વળી નવી ઇચ્છાનો સળવળાટ જાગી ઊઠ્યો. લેટેસ્ટ ફૅશનનો ડ્રેસ લાવ્યા પછી એનાથી ચડિયાતી ફૅશનનો ડ્રેસ જોશો એટલે ખરીદેલા ડ્રેસને ભૂલી જઈને તમારું મન નવા ડ્રેસની પાછળ દોડવા માંડશે. આપણી ઇચ્છાઓને ઉત્તેજનારી જાહેરાતનો તો આખો ઉદ્યોગ ચાલે છે. હકીકતમાં ઇચ્છા જરૂરી છે, પણ એની પાછળ જ્યારે તૃષ્ણા જોડાય છે, ત્યારે માનવી એના અસ્તિત્વનો આનંદ ખોઈ બેસે છે. દુનિયા આખીની ચીજવસ્તુઓ તમારા મનને બાહ્ય જગતમાં ઇચ્છાની દોડ કરાવશે અને તમે મહામૂલી એવી ભીતરની દોડ ભૂલી જશો. સાવ ચૂકી જશો.

Categories
વાચન સમૃદ્ધિ

રુડ્યાર્ડ કિપ્લિંગ

જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936

અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્નાતકની પદવી મેળવવામાં રુચિ ન રહેતાં પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે સમયે પિતા લાહોરમાં હતા આથી 1882માં સ્થાનિક સમાચારપત્ર સિવિલ અને ગૅઝેટના મદદનીશ તંત્રીપદે જોડાયા ત્યારથી તેમની સાહિત્યજીવનની શરૂઆત થઈ. 1886માં પહેલો કાવ્યસંગ્રહ ‘ડિપાર્ટમેન્ટલ ડિટ્ટિસ’ પ્રકાશિત કર્યો. 1887 સુધીમાં 39 વાર્તાઓ ગૅઝેટ માટે લખી. 1887ના નવેમ્બરમાં કિપ્લિંગની બદલી અલાહાબાદમાં થઈ. ત્યાં તેઓ ‘ધ પાયોનિયર’ નામના સમાચારપત્ર સાથે જોડાયા. 1888માં ટૂંકી વાર્તાઓના છ સંગ્રહો બહાર પાડ્યા, તેમાં 41 વાર્તાઓ હતી. 1891ના પાછળના ભાગમાં અંગ્રેજો ભારતમાં હતા ત્યારની વાર્તા ‘લાઇફ્સ હૅન્ડિકૅપ’માં લખી. ‘રિસેશનલ’ કાવ્યથી તેમની કીર્તિ ખૂબ વધી. 1932માં તેમણે આત્મકથાનક ‘સમથિંગ ઑવ્ માયસેલ્ફ’ લખ્યું. તેમની સૌથી લોકપ્રિય બનેલી કૃતિ તે 1894 અને 1895માં બે ભાગમાં લખાયેલી ‘જંગલબુક’ તેમાં પશુપક્ષીઓના દૃષ્ટાંતથી તેમણે બાળકોને શિષ્ટ વાંચન પૂરું પાડ્યું છે. બીજું એક લોકપ્રિય સર્જન ‘કીમ’ છે. તે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તેમાં કુમારજીવનનાં સાહસોથી ભરેલી રસિક વાતો છે. તે વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. 1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ સાહિત્યકાર હતા. 1936માં તેઓ લંડનમાં અવસાન પામ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદ્ગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે. ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે. તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે. તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાપી, પૃ. 790 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાપી/)