Categories
વાચન સમૃદ્ધિ

એલેક્ઝાન્ડર કાર્ટરાઇટ

જ. 17 એપ્રિલ, 1820 અ. 12 જુલાઈ, 1892

અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબૉલના જનક મનાતા એલેક્ઝાન્ડર કાર્ટરાઇટનો જન્મ ન્યૂયૉર્ક સિટીમાં થયો હતો. તેમના પિતા સમુદ્રી જહાજના કપ્તાન હતા. 16 વર્ષની વયે કાર્ટરાઇટે વૉલસ્ટ્રીટના એક બ્રોકરને ત્યાં કારકુન તરીકે કામની શરૂઆત કરી. ત્યારબાદ ન્યૂયૉર્કની યુનિયન બૅંકમાં કારકુનની કામગીરી બજાવી. 1845માં ત્યાં આગ લાગવાથી યુનિયન બૅંક નાશ પામી આથી તેમણે બીજા કામની શોધ કરવા માંડી અને તેમણે તેમના ભાઈ આલ્ફ્રેડ સાથે પુસ્તકોની દુકાન ખોલી. બાળપણથી તેમને રમતગમતનો ખૂબ શોખ હતો. બૉલ અને લાકડીના ઉપયોગથી તેઓ રમત રમતા. તેમાંથી તેમણે બેઝબૉલની રમત શોધી કાઢી. આધુનિક રમતના નિયમોનો લાંબા સમય સુધી કાર્ટરાઇટ અને નિકરબોકર્સ(Knickerbockers)ની એક સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો. 1845માં તેમણે નિકરબોકર નિયમોને ઔપચારિક રૂપ આપ્યું, જેમાં રમતના મેદાનના આયામ અને રમતના મુખ્ય નિયમો સામેલ હતા. આ ઐતિહાસિક શોધનો યશ અગ્રણી કાર્ટરાઇટને આપવામાં આવ્યો. 1846માં તેમણે પહેલી સત્તાવાર મૅચનું આયોજન કર્યું. બાદમાં અમેરિકાના પશ્ચિમી ભાગમાં તથા હવાઈ ટાપુઓ સુધી બેઝબૉલનો પ્રચાર કર્યો. એવું કહેવાય છે કે 1852માં તેમણે ઓઆહુ દ્વીપ પર મકીકી ફિલ્ડમાં એક બેઝબૉલ મેદાનની સ્થાપના કરી. જોકે કાર્ટરાઇટને બેઝબૉલ રમતના પ્રથમ શોધક માનવા અંગે મતમતાંતર પ્રવર્તે છે, પરંતુ ઇતિહાસકારો કાર્ટરાઇટને જ આ શોધ માટેનું શ્રેય આપે છે. 1850થી 1863 સુધી તેમણે હોનોલૂલૂમાં અગ્નિશમન ક્ષેત્રે પ્રમુખ કાર્ય કર્યું. તેઓ રાજા કલાકાઉઆ અને રાણી એમ્માના સલાહકાર હતા. 1953માં તેમને 83મી સંયુક્ત રાજ્ય કૉંગ્રેસ દ્વારા અધિકૃત રીતે આધુનિક બેઝબૉલના શોધક ઘોષિત કરવામાં આવ્યા હતા. કાર્ટરાઇટને તેમના મૃત્યુનાં 46 વર્ષો બાદ રમતજગતમાં તેમના યોગદાન બદલ ‘હૉલ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આજે પણ હોનોલૂલૂના ઓઆહુ કબ્રસ્તાનમાં તેમની કબર જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાદા જીવનનું આશ્વાસન

એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. દુશ્મનોના હુમલા સમયે ઘર અને ખેતર છોડીને કુટુંબ લઈને પર્વતોમાં છુપાઈ રહેવું પડતું. લટેસિયા પોતાનાં બાળકોની આફતો સહન કરતી, જીવની જેમ જાળવીને સાથે લઈ જતી. વળી દુશ્મનો  પાછા જાય એટલે એમના ઘરમાં એ બધા પાછા આવતા. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઈમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એણે કહ્યું પણ ખરું, ‘હે માતા ! તમે જીવનમાં અપાર દુઃખો વેઠ્યાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.’ આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુઃખી અને દારિદ્રયના દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ‘આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુઃખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જ. 16 એપ્રિલ, 1903 અ. 6 જાન્યુઆરી, 1991

ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકારનો જન્મ વલસાડના ચીખલી ગામમાં અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ભાગ લેવાથી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો રહ્યો. ત્યારપછી 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી, 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થયા અને 1926થી 1928 સુધી વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હોવાથી નવ માસની કારાવાસની સજા પણ ભોગવી. 1931માં સૂરત કૉંગ્રેસ પ્રમુખ તરીકે વરણી થઈ અને ફરી બે વર્ષનો જેલવાસ થયો હતો. 1934માં જીવનદિશા બદલાઈ અને મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્યપદે નિયુક્ત થયા. 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાયા. પ્રથમ શિક્ષક તરીકે અને નિવૃત્ત થયા બાદ નિયામકપદે વરણી પામ્યા. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ ત્રણ વાર નિયુક્ત થયા. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. વળી આ જ હેતુસર ચંદ્રકાન્ત મેમોરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. સાહિત્યક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 1921થી શરૂ થયેલી કાવ્યયાત્રાનો પ્રથમ પડાવ એટલે 1935માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અર્ઘ્ય’, 1948માં બીજો ‘પનઘટ’ પ્રગટ થયો. ત્યારબાદ 1974માં ‘અતીતની પાંખમાંથી’, 1984માં ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ તથા ‘નિજલીલા’. 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌપ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહ ‘સોનેરી ચાંદ – રૂપેરી સૂરજ’, 1984માં બીજો હાઈકુ-સંગ્રહ ‘કેવળવીજ’ પ્રકાશિત થયા. 1986માં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદોનો સંગ્રહ ‘સનરાઇઝ ઑન સ્નોપિક્સ’ શીર્ષકથી પ્રકટ થયો. ‘તરાપો’ અને ‘ઉજાણી’ જેવાં બાળકાવ્યોના સંગ્રહો પણ છે. 1967માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1985માં નર્મદ સાહિત્ય સભા તરફથી નર્મદ ચંદ્રક એનાયત થયા હતા.