Categories
વાચન સમૃદ્ધિ

હસ્તકળા

ઘરવપરાશની કે જાહેર વપરાશની ચીજ-વસ્તુઓને હાથ વડે સુંદર અને આકર્ષક બનાવવાની કુશળતા – આવડત.

આવી હસ્તકળા હજારો વર્ષોથી માણસ દાખવતો આવ્યો છે. જ્યારે યંત્રો શોધાયાં નહોતાં ત્યારે ધારદાર પથ્થર વડે લાકડામાંથી પાત્રો બનાવવાં, ટોપલા-ટોપલીઓ ગૂંથવી, દોરાને ગૂંથી તેમાંથી કેટલીક અવનવી ચીજ-વસ્તુઓ બનાવવી – આવી આવી હાથકારીગરી અને કલાની અનેક ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ આદિમ કાળથી ચાલતી આવી છે. ભારતનાં વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ છે. એમનું લોકજીવન પણ વૈવિધ્યસભર છે. તેમનું પ્રતિબિંબ, તેમનો પ્રભાવ હસ્તકળાની ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે. દરેક રાજ્યની – ત્યાંની પ્રજાની આગવી હસ્તકળા છે – અનોખી શૈલી છે, જે તેમની હસ્તકળાની કલાકૃતિઓ જોતાં પ્રતીત થાય છે.

હસ્તકલાથી તૈયાર થયેલી વસ્તુઓ

ગુજરાતમાં વિવિધ જાતનાં ભરત-ગૂંથણ દ્વારા બનતા ચાકળા અને ચંદરવાઓ, ચણિયા, કમખા અને કેડિયાં જોવા મળે છે. આ ઉપરાંત બાળકો માટેના પહેરવેશ પણ સુંદર ભરતગૂંથણવાળા જોવા મળે છે. વળી અશ્વો, ઊંટ તથા બળદો માટેના સાજમાં અવનવું કલાત્મક ભરતગૂંથણ કરેલું જોવા મળે છે. મોતીકામનાં તોરણો તથા તરણેતરના મેળામાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓમાં ગુજરાતની ભરતગૂંથણની ઉત્તમ કળાનો પરિચય થાય છે. જરી-કિનખાબવાળી, હાથવણાટની અને ગાંઠો વાળીને બાંધેલી બાંધણીઓ, અજરખ કામવાળાં વસ્ત્રો ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનાં કાચચિત્રો, ચાંદીકામના નમૂનાઓ, માટીકામનાં વાસણો, રમકડાં, ગાય-બળદના ઘૂઘરા, લાખકામ તથા બાટિકકામના નમૂનાઓ તેમ જ માટીની કોઠીઓમાં હસ્તકળાનું દર્શન થાય છે. કચ્છનું બન્ની ભરત તેના ઝીણવટભર્યા ટાંકા, રંગોની આયોજના તેમ જ સુઘડતાને લીધે ઊડીને આંખે વળગે છે. રાજસ્થાનમાંનું બાંધણી તેમ જ લહેરિયાંનું રંગાટીકામ વખણાય છે. આમ ભારતનાં ગામ અને નગરોમાં લોકોના જીવનમાં કલાકસબ જળવાયો છે. તેઓ ગૃહ-સુશોભન અને વસ્ત્રાભૂષણ માટે હાથકારીગરીથી અનેક વસ્તુઓ બનાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તકળા, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક આલ્બર્ટ એક્કા

જ. 27 ડિસેમ્બર, 1942 અ. 3 ડિસેમ્બર, 1971

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદ્વિતીય પરાક્રમ કરી શહીદ થનાર આલ્બર્ટ એક્કાનો જન્મ બિહારના ગુમલા જિલ્લાના જરી ગામમાં થયો હતો. પિતા જુલિયસ અને માતા મરિયમ. પ્રાથમિક શિક્ષણ સી. સી. સ્કૂલ, પટરાટોલીમાં અને માધ્યમિક શિક્ષણ મિડલ સ્કૂલ, ભીખાપુરમાં મેળવ્યું. બાળપણથી સેનામાં જોડાવાની ઇચ્છા હતી. તેઓ સારા હૉકી ખેલાડી હતા. 1962માં ભારતીય સેનામાં જોડાયા. 3 ડિસેમ્બર, 1971ની રાત્રે 14મી ગાર્ડ્ઝની કંપનીના 120 જવાનો સાથે લાન્સનાયક આલ્બર્ટ એક્કા અગરતલાથી ચારેક કિમી.ના અંતરે આવેલા ગંગાસાગર તરફ નીકળ્યા. રસ્તામાં પાકિસ્તાની સૈનિકોએ ઍન્ટિટૅન્ક અને ઍન્ટિપર્સોનેલ સુરંગો પાથરી હતી. રેલવે ટ્રૅકના માટીના પાળા પર ચાલતા એક સૈનિકનો પગ તારમાં આવતાં પ્રકાશ  થયો. થોડે દૂર બંકરની બહાર ઊભેલા પાકિસ્તાની સૈનિકે આ જોયું. આબ્લર્ટે દોડીને તેની છાતીમાં બૅયોનેટ મારી. બીજા સૈનિકો આવી પહોંચતાં બંકરમાંના સૈનિકોને મારી નાખ્યા. ગોળીબારમાં આપણા કેટલાક સૈનિકો શહીદ થયા. આલ્બર્ટને પણ ગોળી વાગી. તેમ છતાં તેઓ ગોળીબાર કરતા દુશ્મનના બંકર તરફ ગયા. આ દરમિયાન તેમને હાથમાં અને ગરદનમાં ગોળી વાગી તોપણ દુશ્મનોને માર્યા. પાકિસ્તાની સૈનિકો રેલવેની ઊંચી કૅબિનમાં હતા. આલ્બર્ટ ઘાયલ થયા હતા તોપણ તેઓ ઘસડાઈને કૅબિન સુધી પહોંચ્યા અને ગ્રેનેડનો મારો કર્યો. ગોળીબાર વચ્ચે તેઓ કૅબિનની સીડી ચડી ઉપર ગયા અને દુશ્મનોનો સફાયો કર્યો. લોહી વહી જવાથી અશક્તિ આવી હતી તોપણ કૅબિનની બહાર નીકળ્યા. સીડીના પગથિયે પડી જતાં તેમનો નિષ્પ્રાણ દેહ ગબડીને જમીન પર નીચે આવ્યો. બહાદુરી અને હિંમતપૂર્વક દુશ્મનોનો સફાયો કરી સાથી સૈનિકોના જીવ બચાવી શહાદત વહોરનાર આલ્બર્ટ એક્કાને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં ‘આલ્બર્ટ એક્કા ચૉક’માં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

સફળતાનું નિવાસસ્થાન

કહેવાય છે કે ભાગ્ય જ મનુષ્યની સફળતા-નિષ્ફળતાનો શિલ્પી છે, પણ હકીકતમાં વ્યક્તિ પોતે જ પોતાની સફળતાનો શિલ્પી છે. એનો મર્મ એટલો કે સફળતા એ બાહ્ય યશોગાનમાં નથી, કિંતુ આંતરિક પ્રસન્નતામાં છે. મોટે ભાગે માનવી પોતાની સફળતા પારકાના અવાજમાં સાંભળવા ચાહે છે, પરંતુ એનો અર્થ તો એ થાય કે તમે આકરી મહેનત કરીને મેળવેલી તમારી સફળતા પર બીજાનો ‘કૉપીરાઇટ’ છે. જો એ તમારી પ્રશસ્તિ કરે, તો જ તમે પોતાની જાતને સફળ થયેલી માનો છો. આ વિશ્વમાં સફળ થનારી વ્યક્તિઓનો ભવ્ય ઇતિહાસ છે, પણ સવાલ એ જાગે છે કે એમને પ્રાપ્ત થયેલી સફળતાનો બાહ્ય આનંદ કેટલો ટક્યો હતો ? કેટલા લાંબા સમય સુધી એ સફળતાની શરણાઈ અને ઢોલ-નગારાના અવાજો એને સાંભળવા મળ્યા હતા ? આવી પારાવાર સફળતાનો હકીકતે અંત કેવો આવ્યો, તેને માટે સિકંદર, નેપોલિયન કે હિટલરના જીવનને જોવું જોઈએ અને ખ્યાલ આવશે કે સફળતા કેટલી ક્ષણજીવી અને અલ્પાયુષી હોય છે. એ સફળ વ્યક્તિના નિવાસસ્થાને એકાદ વર્ષ પછી મુલાકાત લેશો તો એ સફળતાની સ્મૃતિઓ સાવ જરી-પુરાણી થઈ ગઈ હશે. એક જમાનામાં એ સફળ વ્યક્તિનો ચોતરફ ડંકો વાગતો હતો, પણ જમાનો પલટાતાં એના સ્વજનો જ એને ભૂલી ગયા હશે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકારની પ્રથમ પુણ્યતિથિએ યોજાયેલી સભામાં આયોજકો સિવાય સમ ખાવા માટે પણ કોઈ સાહિત્યકાર નજરે પડ્યા નહીં. હકીકતમાં તમારી સફળતાનું નિવાસસ્થાન તમારું હૃદય છે. ઉદારતા, સેવાભાવ અને આત્મવિશ્વાસથી તમે પોતે તમારું જે મૂલ્ય આંકો છો, એના પર તમારી સફળતા ટકેલી છે. બીજી વ્યક્તિઓ તમે સફળતા પામ્યા છો, એવાં યશોગાન ગાતી રહે એવી ઘેલછા રાખવાને બદલે તમારા ભીતરમાં એ સફળતાનો આનંદ માણવો જોઈએ. બીજાના સન્માન કરતાં પોતાના ભીતરનું સન્માન વિશેષ મહત્ત્વનું છે અને તેથી એ સફળતાનો પારાવાર આનંદ તમારા ભીતરમાં કેટલો છલકે છે, એના પર તમારી સફળતાનો આધાર છે.