Categories
વાચન સમૃદ્ધિ

પ્રહલાદ પારેખ

જ. ૧૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌંદર્યનિષ્ઠ કવિતાના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયેલા પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ મંગળાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધેલું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના વ્યક્તિત્વઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો. જેલવાસ ભોગવ્યો. ફરી અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષા પાસ કરી. પછી વધુ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ ભણ્યા. ત્યાં રવીન્દ્રનાથના સહવાસને કારણે કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. ૧૯૪૫થી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં જોડાયા અને છેક સુધી ત્યાં રહ્યા. રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તેમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા એ નવીન કવિતાનું એક લક્ષણ ગણાય છે. એ પછી તેમની પાસેથી ૧૯૪૮માં ‘સરવાણી’ નામે ગીતસંગ્રહ મળે છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહીને વખાણી છે. ‘ગુલાબ અને શીવલી’ એ ભાઈ-બહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલીક નવલકથાઓના અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમણે આપેલી પરિચયપુસ્તિકા છે. તેમણે લાંબી બાળવાર્તાઓ અને ‘તનમનિયાં’માં બાળકાવ્યો પણ આપ્યાં છે.

તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી

આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે’ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ર્ચિત રસ્તો હોય છે. જુદા જુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ. આ માર્ગે વ્યક્તિ જેમ જેમ આગળ ધપે છે તેમ તેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ર-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત એને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે. સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું, પણ આંતરજગતમાં તો પળે પળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે અને એ રીતે તે ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

જ. ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ અ. ૧ ફેબ્રુઆરી, ૧૯૬૯

શિક્ષણશાસ્ત્રી, લેખક, સંપાદક અને ગાંધીવાદી મગનભાઈ દેસાઈનો જન્મ ધર્મજમાં પાટીદાર કુટુંબમાં થયો હતો. શાળેય શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા, પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કૉલેજ છોડી. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેમણે બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના અધ્યાપક બન્યા. સવિનય કાનૂનભંગની લડતમાં લોકમત કેળવવાનું કાર્ય કર્યું. ૧૯૩૨માં અંગ્રેજ સરકારે ગૂજરાત  વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી, પછી મગનભાઈને જેલવાસ થયો. તેમણે એક વર્ષ માટે વર્ધા મહિલા આશ્રમનું સંચાલન અને શિક્ષણ કર્યું. ૧૯૩૭થી ૧૯૬૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા. તેઓ ૧૯૪૬થી ૧૯૫૩ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ૧૯૪૬માં નવજીવન ટ્રસ્ટના સભ્ય અને ૧૯૪૭માં ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. તેઓ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ૧૯૬૦માં રાજીનામું આપ્યું. ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં ૧૯૬૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું. તેઓ અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા. શિક્ષણશાસ્ત્રી ઉપરાંત તેઓ પત્રકાર-સંપાદક પણ હતા. તેમણે ૧૯૩૯માં ‘શિક્ષણ અને સાહિત્ય’ નામનું સામયિક શરૂ કર્યું અને ૧૯૬૧ સુધી તેના તંત્રી રહ્યા. આ ઉપરાંત તેઓ અન્ય સામયિકોના પણ તંત્રી હતા. તેમણે ઘણાં પુસ્તકો અને અનુવાદો આપ્યાં છે. ‘દારૂનિષેધ અને સ્વરાજ’, ‘સત્યાગ્રહની મીમાંસા’, ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’, ‘મેકૉલે કે ગાંધી ?’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં હતાં. પ્રાથમિકથી યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એવા આગ્રહ માટે તેઓ જાણીતા હતા.

અનિલ રાવલ