Categories
વાચન સમૃદ્ધિ

કસ્તૂરબા

જ. 11 એપ્રિલ, 1869 અ. 22 ફેબ્રુઆરી, 1944

ગાંધીજીનાં પત્ની, વિનમ્ર છતાં મક્કમ સ્વાતંત્ર્યસેનાની કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં થયો હતો. પિતા ગોકુળદાસ કાપડિયા અને માતા વ્રજકુંવરબા. સાત વર્ષની ઉંમરે તેમની સગાઈ મોહનદાસ ગાંધી સાથે થઈ અને તેર વર્ષે લગ્ન થયાં. તેમણે આજીવન ગાંધીજીને સાથ અને હૂંફ આપ્યાં. તેઓ ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયાં. વર્ષો સુધી ત્યાં રહ્યાં. એ દરમિયાન તેઓ આશ્રમવાસીનું જીવન જીવ્યાં. તેમણે 1913માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સાથે થતા દુર્વ્યવહાર સામે વિરોધ કર્યો. આથી એમની ધરપકડ કરવામાં આવી અને સખત મજૂરીની સજા કરવામાં આવી હતી. જેલવાસ દરમિયાન અશિક્ષિત મહિલાઓને અક્ષરજ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. 1914માં ગાંધીજી સાથે તેઓ ભારત આવ્યાં. ગાંધીજીની સાથે આઝાદીની લડતમાં જોડાયાં. તેમણે સત્યાગ્રહીઓનું જીવન અપનાવ્યું. તેઓ બધો સમય આશ્રમમાં સેવા કરતાં હતાં. 1917માં બિહારના ચંપારણમાં મહિલા ઉત્કર્ષ માટે કાર્ય કર્યું. બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં મહિલાઓને ઘરમાંથી નીકળી આઝાદીની લડતમાં જોડાવા માટે પ્રેરણા આપી. 1939માં રાજકોટમાં અંગ્રેજો સામે અહિંસક આંદોલનમાં ભાગ લીધો. તેમણે સરકારી માલિકીની દારૂની દુકાનો પર જઈ ધરણા કર્યાં હતાં અને મહિલાઓનું નેતૃત્વ કર્યું હતું. 1930થી 1932 સુધીમાં છ એક વખત જેલવાસ ભોગવ્યો હતો. તેમણે પારિવારિક અને જાહેરજીવનને ન્યાય આપ્યો હતો. ગાંધીજીની સફળતા પાછળ તેમનું અમૂલ્ય પ્રદાન હતું. `હિંદ છોડો’ આંદોલન વખતે 9 ઑગસ્ટ, 1942ના રોજ તેમની અને ગાંધીજીની ધરપકડ કરવામાં આવી અને પૂનાના આગાખાન મહેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં તેમની તબિયત કથળતાં શિવરાત્રિના દિવસે તેમનું નિધન થયું. તેમની સ્મૃતિમાં કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ઘણાં શહેરોના રસ્તાઓ, સંસ્થાઓ વગેરેનાં નામ કસ્તૂરબાનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. નારાયણ દેસાઈએ ‘કસ્તૂરબા’ નાટક લખ્યું હતું જેનું દિગ્દર્શન અદિતિ દેસાઈએ કર્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ઊછળતો ઉત્સાહ

નાયગ્રાનો ધોધ સાહસિકોને માટે સદા પડકારરૂપ બની ગયો છે. કોઈ દોરડા પર ચાલીને એ ધોધ પસાર કરે, તો કોઈ બેરલમાં રહીને એ પસાર કરે. આવા નાયગ્રાના ધોધ પર ઝુમ્બ્રાટી નામના એક સાહસવીરે દોરડા પર ચાલવાનું નક્કી કર્યું. એણે આ ભયંકર ધોધ પર બાંધેલા દોરડા પર ચાલીને પોતાની સફર પૂરી કરી. ઝુમ્બ્રાટી પર ચોતરફથી અભિનંદનોની વર્ષા વરસવા લાગી. આવી સિદ્ધિ બદૃલ સહુ કોઈ એને વધાવવા લાગ્યા. ત્યારે એના એક ચાહકે આવીને કહ્યું, ‘ઝુમ્બ્રાટી, તમે કમાલ કરી. પણ હવે કંઈક એવી સિદ્ધિ મેળવો કે ભવિષ્યમાં પણ કોઈ એવી સિદ્ધિ મેળવી શકે નહીં. એક એવું કામ કરો કે જગત આખું તમને સદાય યાદ રાખે અને તમારી સિદ્ધિને કોઈ આંબી શકે નહીં.’ ઝુમ્બ્રાટીએ પૂછ્યું, ‘કહો, તમે કયો નવો વિચાર લઈને આવ્યા છો?’ ‘હું તમારા માટે ‘વ્હીલબેરો’ (બે ટેકણ અને પૈડાંવાળી બગીચાકામની હાથગાડી) લઈને આવ્યો છું. હવે તમે નાયગ્રા ધોધ પર દોરડા પર આ વાહન મૂકીને પસાર કરો. એવું કામ થશે કે આજની જ નહીં, પણ આવતીકાલની દુનિયા પણ દંગ રહી જશે.’ પોતાના ચાહકના ઉત્સાહને જોઈને ઝુમ્બ્રાટીએ વળતો પ્રશ્ન કર્યો, ‘તમને એવો વિશ્વાસ છે કે હું વ્હીલબેરો સાથે નાયગ્રા પાર કરીને સામે છેડે પહોંચી શકીશ ?’ આવેશથી ચાહકે કહ્યું, ‘અરે ચોક્કસ, મને પૂરેપૂરી ખાતરી છે. તમે જરૂર આ કામ કરી શક્શો.’ ઝુમ્બ્રાટીએ ધીમા અવાજે કહ્યું, ‘તમને ચોક્કસ ખાતરી છે તો હવે તમે પણ મારી સાથે ‘વ્હીલબેરો’માં બેસી જાવ. આપણે બંને સાથે આ સાહસ કરીશું.’ ઉત્સાહથી ઊછળતો ચાહક ઠંડોગાર બની ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

હેમલતા હેગિષ્ટે

જ. 10 એપ્રિલ, 1917 અ. 31 માર્ચ, 1993

અગ્રણી ગાંધીવાદી મહિલા અને સામાજિક કાર્યકર હેમલતા હેગિષ્ટેનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમનું મૂળ વતન મહારાષ્ટ્રનું  શ્રીવર્ધન ગામ હતું. પિતા હરિશ્ચંદ્ર પોસ્ટમાસ્ટર જનરલ હતા જ્યારે માતા કાશીબહેન ગૃહિણી હતાં. હેમલતાબહેનનું સમગ્ર શિક્ષણ અમદાવાદ શહેરમાં થયું હતું. દાણાપીઠ ખાતેની ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક  શિક્ષણ લીધું, જ્યાંથી બૉમ્બે બોર્ડની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યારબાદ ગુજરાત કૉલેજમાંથી વિનયન વિદ્યાશાખાની મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે જ યુનિવર્સિટીની કાયદાશાખાની સ્નાતક પદવી એલએલ.બી. પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ તરત જ સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. સમાજકાર્યમાં તેમનું ક્ષેત્ર મહદંશે અમદાવાદની જાણીતી મહિલા રક્ષણ અને ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ અને કસ્તૂરબા ગાંધી ટ્રસ્ટ, ઇન્દોર પૂરતું જ મર્યાદિત હતું. તેમણે જ્યોતિસંઘના માનદમંત્રી તરીકે સળંગ સત્તર વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ઉપરાંત, અલાહાબાદ જિલ્લાના મહિલાકલ્યાણ માટે કામ કરતા કમલા નહેરુ વિદ્યાલયમાં પણ 1955ના અરસામાં કામ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તકની શાળાઓનું સંચાલન કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં તેઓ પાંચ વર્ષ સુધી વાઇસ ચૅરપર્સન હતાં. તે ઉપરાંત તેમણે કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ગાંધી આશ્રમનાં ટ્રસ્ટી અને અમદાવાદની ગ્રાહક સુરક્ષાની સંસ્થા(CERC)નાં ટ્રસ્ટી તરીકે પણ કાર્ય કર્યું હતું. 1962-74 દરમિયાન તેમને જે. પી.(જસ્ટિસ ઑવ્ પીસ)નું માનદ બિરુદ આપવામાં આવેલું. તેઓએ ગુજરાત રાજ્યની સાતમી પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ આપવા માટે નિમાયેલી સમિતિના સભ્યપદે પણ કામ કર્યું હતું. ભારતીય પ્રજા અને તેમાં પણ મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટેની વિચારશીલ ભૂમિકા રજૂ કરતા તેમના ઘણા લેખો છાપાંઓ અને સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમને મળેલાં માનસન્માન અને ઍવૉર્ડમાં મુંબઈની ઝોંરા ક્લબ દ્વારા 1980માં ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ, 1986માં લેડી વિદ્યાગૌરી નીલકંઠ અભિવાદન ટ્રસ્ટ દ્વારા અપાયેલ ઍવૉર્ડ, જ્યોતિસંઘ અને સોશિયલ વેલફેર ઍડ્વાઇઝરી બોર્ડ દ્વારા તેમને સંયુક્ત રીતે એનાયત થયેલા ઍવૉર્ડનો સમાવેશ થાય છે. કોમી એખલાસ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વસંતરાવ હેગિષ્ટે હેમલતાબહેનના મોટા ભાઈ હતા.