Categories
વાચન સમૃદ્ધિ

નૃત્યની પિકાસો

નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની જાતને કઈ રીતે પ્રતિબંધને કારણે અટકાવી શકે ? અવરોધને ફગાવીને એણે નૃત્યકલા શીખવતી એક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એ પછી ટેડ શૉનની સાથે રહીને એણે વ્યવસાયી નૃત્ય કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. મારથાએ અથાગ પરિશ્રમ કર્યો અને ઈ. સ. 1926માં ‘મારથા ગ્રાહમ ડાન્સ કંપની’ની સ્થાપના કરી. એના નૃત્યના પ્રયોગો સતત ખ્યાતિ મેળવતા ગયા અને એની મૌલિક નૃત્યકળાને સહુએ વધાવી લીધી. મારથાએ પોતાના નૃત્યમાં અધ્યાત્મ અને ભાવને જોડી દીધા અને પાશ્ચાત્ય નૃત્યશૈલીને એક નવી દિશા આપી. એથીય વિશેષ એણે નૃત્યની કેટલીય શૈલીઓ વિકસિત કરી. ફ્રન્ટિયર, એપ્લાચેન, સ્પ્રિંગ જેવી નૃત્યકળાઓને એમાં સામેલ કરી. સમય જતાં મારથાની આ નવીન શૈલી આદર પામતી ગઈ અને નૃત્ય-વિશેષજ્ઞો પણ આ શૈલીઓને અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માનતા હતા. મારથા સિત્તેર વર્ષ સુધી નૃત્ય કરતી રહી અને નૃત્ય શીખવતી રહી. અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’માં નૃત્ય કરવાનો અવસર મેળવનારી એ પહેલી નૃત્યાંગના બની. એણે સર્જેલી નૃત્યની મૌલિકતાને કારણે એને ‘નૃત્યની પિકાસો’ કહેવામાં આવી. આમ અવરોધોથી અટક્યા વિના મારથા હિંમતભેર નૃત્યકલામાં પારંગત બની અને પોતાની લગન અને મહેનતથી સાબિત કરી આપ્યું કે આ જગતમાં કશું અસંભિવત નથી. મારથાને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં તેમજ એની નૃત્યશૈલી એ આધુનિક નૃત્યશૈલી તરીકે સ્થાન પામી.

Categories
વાચન સમૃદ્ધિ

પંકજ મલિક

જ.  10 મે, 1905 અ. 19 ફેબ્રુઆરી, 1978

બંગાળી અને હિન્દી ફિલ્મ સંગીતના અગ્રદૂત પંકજ મલિકનો જન્મ કૉલકાતામાં થયો હતો. માતા મનમોહિની અને પિતા મનમોહન મલિક. પિતાને બંગાળી લોકસંગીતમાં ઊંડો રસ હતો.  તેમણે પંકજને શ્રી દુર્ગાદાસ બંદોપાધ્યાય પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા મોકલ્યા. સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં ભણ્યા પછી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. તે રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભત્રીજા દિનેન્દ્રનાથ ટાગોરના સંપર્કમાં આવ્યા અને રવીન્દ્ર સંગીત તેમના દિલોદિમાગ પર છવાઈ ગયું. ખૂબ ટૂંકા ગાળામાં તે ટાગોરનાં ગીતોને પોતાની ધૂન વડે પ્રચલિત કરવામાં સફળ રહ્યા. કે. એલ. સાયગલના દશકામાં પંકજ મલિક સફળ સંગીતકાર તરીકે નામના પામ્યા. 1926માં  ‘નેમેચે આજ પ્રોથોમ બાદલ’ તેમના પ્રથમ આલબમના આ ગીતથી તેમનું નામ રવીન્દ્ર સંગીત માટે ઘેર ઘેર જાણીતું થઈ ગયું. સંગીતકાર આર. સી. બોરાલ સાથે 1927માં તે ભારતીય પ્રસારણ નિગમ ઑલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ તે પહેલાં, કૉલકાતામાં જોડાયા. અહીં તેઓ કલાકાર અને સંગીતકાર તરીકે પચાસ વર્ષ સુધી કાર્યરત રહ્યા. ફિલ્મ સંગીત આપવા સાથે તેમણે 1931માં મા દુર્ગા આધારિત ‘મહિષાસુરમર્દિની’ કાર્યક્રમની સંગીતસભર પ્રસ્તુતિ કરી હતી, જે ખૂબ લોકપ્રિયતા પામી.  આ રેડિયો કાર્યક્રમ હજુ પણ દુર્ગાપૂજા વખતે રેડિયો પર પ્રસારિત થાય છે. લગભગ 38 વર્ષ સુધી તેમણે બંગાળી, હિન્દી, ઉર્દૂ, તમિળ એમ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં લગભગ 5000 ગીતો સંગીતબદ્ધ કર્યાં. કાનન દેવી, પી. સી. બરુઆ જેવા અભિનેતાઓ સાથે ફિલ્મમાં અભિનય કરવાની તક પણ તેમણે સહર્ષ સ્વીકારી લીધી હતી. વર્ષો સુધી ન્યૂ થિયેટર્સ, કૉલકાતાના તેઓ અગ્રણી સંગીતકાર રહ્યા હતા. હિન્દી ફિલ્મજગતમાં પાર્શ્વસંગીતને ઓળખ અપાવનાર અને પાયો નાખનાર શ્રી મલિકને 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિનેજગતમાં અભૂતપૂર્વ યોગદાન બદલ 1972માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો હતો. 2006માં તેમની યાદમાં ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ‘પંકજ મલિક મ્યુઝિક ઍન્ડ આર્ટ ફાઉન્ડેશન’ સંગીતની અલગ અલગ પ્રવૃત્તિઓ માટે આજે પણ કૉલકાતામાં કાર્યરત છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : ૨૪° ૧૯´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજીનું મંદિર, માતાના સ્થાને અખંડ દીપ અને ગબ્બરનો ડુંગર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં ‘अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના હૃદયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહવર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ – ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાંતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા. ૨૦૨૫ મુજબ વસ્તી આશરે ૨૫,૭૦૦ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અંબાજી, પૃ. 88)