Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું

જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડી રૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો  લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘૂમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યે જ જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં. પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે.  હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે. આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

નરહરિ દ્વારકાદાસ પરીખ

જ. ૭ ઑક્ટોબર, ૧૮૯૧ અ. ૧૫ જુલાઈ, ૧૯૫૭

લેખક, સંપાદક, સમાજસુધારક અને સ્વાતંત્ર્યસેનાની નરહરિ પરીખનો જન્મ અમદાવાદમાં. વતન કઠલાલ. શાળેય શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૬માં મૅટ્રિક થયા બાદ ૧૯૧૧માં ગુજરાત કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૧૩માં એલએલ.બી. થયા પછી વકીલાત શરૂ કરી. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થતાં ૧૯૧૬માં વકીલાત છોડી અને સ્વતંત્રતાના આંદોલનમાં જોડાયા. તેઓ સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળાના શિક્ષક બન્યા. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં બારડોલી પાસેના સરભોણમાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી અને દૂબળાઓને ભણાવવાનું શરૂ કર્યું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦માં ધરાસણા સત્યાગ્રહમાં લાઠીચાર્જથી ઘવાયા અને જેલવાસ થયો. ૧૯૩૪માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક બન્યા. ૧૯૩૭માં રચાયેલ બુનિયાદી શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિમાયા. તેઓ સેવાગ્રામમાં ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય બન્યા. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓ પૈકી એક નરહરિ પરીખ હતા. તેમણે અસ્પૃશ્યતા, દારૂ તેમજ નિરક્ષરતા નાબૂદી માટે કાર્ય કર્યું. તેઓ થોડાં વર્ષો સુધી ગાંધીજીના અંગત સચિવ રહ્યા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ હતા. તેમણે અનેક મૌલિક પુસ્તકો લખ્યાં. સંપાદનો અને અનુવાદ પણ કર્યા છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’, ‘સરદાર વલ્લભભાઈ’ (ભાગ-૧, ૨), ‘માનવ અર્થશાસ્ત્ર’, ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘નામદાર ગોખલેનાં ભાષણો’, ‘ગોવિંદગમન’, ‘કરંડિયો’, ‘મહાદેવભાઈની ડાયરી’ (ભાગ ૧થી ૭), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ વગેરે સંપાદનો કર્યાં છે. તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ‘ચિત્રાંગદા’, ‘વિદાય અભિશાપ’નો તથા ટૉલ્સ્ટૉયનાં પુસ્તકોનો ‘જાતે મજૂરી કરનારાઓને’ અને ‘ત્યારે કરીશું શું ?’ નામે અનુવાદ કર્યો છે. તેમના ‘કન્યાને પત્રો’નો હિન્દી, મરાઠી અને ઊડિયામાં અનુવાદ થયો છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

ડુન્ડાસ

ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે ૨૧° ૫´ ઉ. અ. અને ૭૧° ૩૫´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે ૧૩ કિમી. અને અમૃતવેલ રેલવેસ્ટેશનથી ૨ કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન ૧ની (ઈ. સ. ૫૨૫ – ૫૪૯) ભાણેજ પરમ ઉપાસિકા દુદ્દાનું નામ સંકળાયેલું છે. તેણે દુદ્દાવિહાર કે મહાવિહાર તરીકે ઓળખાતો વિહાર બંધાવ્યો હતો. આ વિહારને નિભાવવા માટે ધ્રુવસેને જમીનનું દાન કર્યું હતું. તે જ પ્રમાણે ધ્રુવસેન ૧ના અનુજ ધરપટ્ટના પુત્ર ગુહસેને (ઈ. સ. ૫૫૯ – ૫૬૭) અને ધરસેન બીજાએ (૫૭૧ – ૫૮૯) પણ આ વિહાર માટે ભૂમિદાન કર્યું હતું. શીલાદિત્ય બીજાના તામ્રપત્રમાં ડુન્ડાસ નામનો ઉલ્લેખ છે.

ડુન્ડાસ અને લુંસડીમાંનાં ખંડેરોમાંથી ક્ષત્રપ અને મૈત્રકકાલીન મોટી ઈંટો અને સિક્કાઓ મળેલ છે. ડુન્ડાસ નજીક પ્રાચીન ક્વા વાછરા (વત્સરાજ) સોલંકીનું થાનક છે. વત્સરાજ સોલંકી કતપર (કંકાવટી) પરણવા આવ્યા હતા. લગ્નવિધિ ચાલુ હતી અને બે મંગળફેરા બાકી હતા ત્યારે દુશ્મનો ગાયનું ધણ વાળી જાય છે એવી બૂમ સાંભળી. જરા પણ વિચાર કર્યા વિના તે વહારે ચડ્યા અને ધીંગાણામાં તેમનું મૃત્યુ થયું. લોકોક્તિ પ્રમાણે વત્સરાજનું મસ્તક ડુન્ડાસ આવીને પડ્યું. અહીં તેનું મસ્તક પૂજાય છે, જ્યારે મહુવા ખાતે ધડની પૂજા થાય છે.

શિવપ્રસાદ રાજગોર

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ-8, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુન્ડાસ/