Categories
વાચન સમૃદ્ધિ

દામિનીબહેન મહેતા

જ. ૬ ઑક્ટોબર, ૧૯૩૦ અ. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯

ખ્યાતનામ ગુજરાતી નાટ્ય અભિનેત્રી અને નિર્દેશિકા દામિનીબહેન મહેતાનો જન્મ અમદાવાદ ખાતે ચુસ્ત, ધાર્મિક અને સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. માતા સરસ્વતીબહેન અને પિતા જીવણલાલ મહેતા. પિતાનું અકાળે અવસાન થતાં કુટુંબ કપરી આર્થિક પરિસ્થિતિમાં આવી પડ્યું. તે સમયે ‘જવનિકા’ નાટક કંપની દ્વારા ભજવાતાં નાટકોમાં બાળકલાકારની જરૂર જણાતાં દામિનીબહેનને અનાયાસે અભિનય કરવાની તક મળી. તેમાં ‘રૂપમતી’ નાટકનો તેમનો અભિનય ખૂબ વખણાયો. અભિનય દ્વારા મળતો પુરસ્કાર તેમના કુટુંબની આર્થિક પરિસ્થિતિમાં ટેકારૂપ બન્યો. ‘જવનિકા’ નાટક કંપનીમાં થોડાં વર્ષ કામ કર્યાં બાદ તેને છોડીને ‘નટરંગ’ નામની સંસ્થા સ્થાપી, પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહીં. આ પછી તેઓ દર્પણ સ્કૂલ ઑફ પર્ફૉર્મિંગ આર્ટમાં નૃત્યકલાગુરુ મૃણાલિનીબહેન સારાભાઈનું આમંત્રણ મળતાં તેમાં જોડાયાં. દર્પણમાં નાટ્યવિદ કૈલાસ પંડ્યાના સહયોગમાં નાટ્યવિભાગ શરૂ કર્યો. ૪૫ વર્ષ સુધી દર્પણ સંસ્થામાં કાર્યરત રહીને અનેક નાટ્યપ્રયોગો કર્યા. દામિનીબહેને તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦ જેટલા નાટકોમાં અભિનય કર્યો. તેમનાં કેટલાંક યાદગાર નાટકોમાં ‘પીળું ગુલાબ’, ‘કોઈ પણ ફૂલનું નામ લો’, ‘કાનન’, ‘લીલા’, ‘નવલશાહ હીરજી’, ‘તારામતી’, ‘મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. આકાશવાણી, દૂરદર્શન તથા માહિતીખાતાનાં દસ્તાવેજી ચિત્રો બનાવવામાં પણ તેમનો ફાળો હતો. ગુજરાતની અતિ પ્રાચીન કલા ભવાઈના જતન અને સંવર્ધન માટે તેમણે ખાસ યોગદાન આપ્યું છે. તે સમયે ભવાઈની પ્રસ્તુતિમાં પુરુષો જ સ્ત્રીની વેશભૂષા સાથે સ્ત્રીનું પાત્ર ભજવતા, પરંતુ દામિનીબહેને સ્ત્રીપાત્રમાં અભિનય કરવાનો નવીન પ્રયોગ શરૂ કર્યો. તેમણે નાટ્યક્ષેત્રે આપેલ યોગદાન બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર, ‘નવલશા હીરજી’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શનનો પુરસ્કાર, પં. ઓમકારનાથ ઠાકુર સન્માન, ૧૯૯૪-૯૫માં ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨-૧૮૯૫) પાસે વિજ્ઞાનની અદભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા હતી. એમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું, તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને સવિશેષ તો માનવજાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો માટે આ સંશોધનો કર્યાં. ખાદ્ય-પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી(વૅક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્યસામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું. એ સમયે રેશમઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. ૧૮૬૨માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડૂમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવાની વિનંતી કરી. આને માટે લૂઈ પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા. આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરનાં ત્રણ સંતાનો બીમાર થતાં મૃત્યુ પામ્યાં ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું, ‘શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોનાં દુ:ખદ અને આઘાતજનક અવસાન થયાં છતાં તમે હિંમત હાર્યા વગર કામ કર્યે જાઓ છો.’ લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, ‘હિંમતની તો મને ખબર નથી, પરંતુ આ મારી ફરજ છે અને હું એ મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બાજી રાઉત

જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ