Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ કપ્તાન

જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974

જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો હતો અને ભારે નામના પણ મેળવી હતી. મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતકની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ ઉપરાંત તેઓ ‘કપ્તાન’ નામનું માસિક ચલાવતા હતા. તેમના દૃઢ સંકલ્પબળે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતોનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને તેમાંથી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી. તેઓ અપરિણીત રહીને દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસ માટે અવિરત કાર્યરત રહ્યા હતા. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો વિરલ સુમેળ તેમના જીવનમાં જોવા મળે છે. તેઓ રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરી શકતા. દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવવા બદલ તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમના પ્રદાનની સ્મૃતિ કાયમ રાખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

તુંગભદ્રા

દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને 75° પૂ. રે. પર આ બે નદીઓ મળે છે અને ત્યાંથી તે તુંગભદ્રા તરીકે ઓળખાય છે. તુંગાના કાંઠે શૃંગેરી અને શિમોગા જેવાં ગામો વસ્યાં છે. ભદ્રા બાબાબુદાન ડુંગર તરફ વહી ઉત્તરમાં બેંકીપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે.  તેના કાંઠે ભદ્રાવતી, બેંકીપુર, હરિહર, હોસ્પેટ અને હમ્પી નગરો આવેલાં છે.

તુગંભદ્રા બંધ

ઈશાન તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરહદ પર 50 કિમી. સુધી વહ્યા બાદ આંધ્રપ્રદેશમાં કર્નુલ જિલ્લામાં સંગમેશ્વર પાસે તે કૃષ્ણાને મળે છે. કુમુદવતી, વરદા, હરિદ્રા, ચીના હગારી, વેદવતી વગેરે નદીઓ તુંગભદ્રાની ઉપનદીઓ છે.

ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પર બંધ બાંધી સિંચાઈ કરવાની પ્રથા પ્રચલિત હતી. 20મી સદીની શરૂઆતથી તુંગા અને ભદ્રા પર 38 જેટલા નાનામોટા બંધો બાંધવામાં આવ્યા હતા. આ બધા બંધો જૂના મૈસૂર રાજ્યમાં હતા. વિજયનગરના પ્રાચીન વંશના રાજવીઓએ 1336–1565 દરમિયાન તુંગભદ્રા પર અનેક બંધો બંધાવેલા, તે પૈકી દસ આજે પણ અસ્તિત્વમાં છે. બેલ્લારી જિલ્લાના હમ્પી પાસે આ નદીને કિનારે વિજયનગર સામ્રાજ્યના પ્રાચીન અવશેષો આજે પણ સચવાયેલા છે. બ્રિટિશ અમલ દરમિયાન 1903માં આ નદી પર એક સંયુક્ત બહુહેતુક યોજના અમલમાં મૂકવાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તે યોજના છેક 1956માં સાકાર થઈ. કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટથી 8 કિમી. દૂર આ નદી નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યાં મલ્લાપુર પાસે 2441 મી. લાંબો અને 49.33 મી. ઊંચો બંધ બાંધવામાં  આવ્યો છે. તેનાથી 1973-74માં 3.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. અને 1 લાખ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ જળાશયને પંપા સરોવર નામ અપાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુંગભદ્રા, પૃ. 881 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુંગભદ્રા/)

Categories
વાચન સમૃદ્ધિ

બિરજુ મહારાજ

જ. 4 ફેબ્રુઆરી, 1938 અ. 17 જાન્યુઆરી, 2022

ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકના સરતાજ બિરજુ મહારાજ, લખનઉના ‘કાલકા-બિંદાદન’ ઘરાનાના વંશજ હતા. તેમણે તેમના પિતા અને ગુરુ જગન્નાથ મહારાજ (અચ્છન મહારાજ) અને કાકાઓ શ્રી લચ્છુ મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી નૃત્યની બારીકાઈઓ શીખી. બાળવયથી જ તેઓ પિતા સાથે નૃત્યની રજૂઆતોમાં જોડાતા. સાત વર્ષની ઉંમરથી તેમણે એકલા જ નૃત્ય પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે નવ વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમણે પરિવારની નૃત્યની પરંપરા વિરાસત તરીકે સ્વીકારવાનું અને નૃત્યને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર તરીકે માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે સંગીત ભારતી(નવી દિલ્હી)માં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી અને થોડાંક જ વર્ષોમાં તેઓ દિલ્હીની ભારતીય કલા કેન્દ્ર(જે પાછળથી કથક કેન્દ્ર બન્યું)ના સૂત્રધાર બન્યા અને ત્યાં જ અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા. કથકની આધારભૂત શૈલીમાં ફેરફાર કર્યા વગર તેમણે તેમાં મૌલિક ભાવ અને નવી શબ્દરચનાઓ ઉમેર્યાં, આથી તેમની પ્રસ્તુતિ અલગ તરી આવી. નૃત્ય રજૂ કરતી વખતે માત્ર નૃત્ય જ ન કરવું, પણ તેને અનુરૂપ સમજ આપવાની તેમની રીતથી તેઓ જનસામાન્યના દિલ સુધી પહોંચી શક્યા. તેમના નૃત્યની ભાવનાત્મક અંગભંગિમાઓ જનસમૂહને સંમોહિત કરી દેતી. ગુરુ તરીકે તેમણે હજારો શિષ્યોને કથકની આવનારી પેઢીને તાલીમ આપી અને તૈયાર કર્યા. કથકને વિશ્વસ્તરે પહોંચાડવા ભારત અને અન્ય દેશોમાં પ્રવાસ કર્યો. નૃત્ય પ્રસ્તુતિની સાથે તે અંગેનાં વ્યાખ્યાન અને ડેમોન્સ્ટ્રેશન આપ્યાં. 1998માં તેમણે દિલ્હીમાં પોતાની નૃત્યશાળા ‘કલાશ્રમ’ની સ્થાપના કરી. આ સંસ્થાનું ધ્યેય નૃત્ય, સંગીત, ચિત્રકળા અને નાટ્યકળાની કેળવણી આપવાનું હતું. ભારતીય સિનેમામાં ‘શતરંજ કે ખિલાડી’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ઉમરાવજાન’ વગેરેમાં તેમણે નૃત્યનિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. બિરજુ મહારાજને પદ્મવિભૂષણ (1986), કાલિદાસ સન્માન (1989)થી નવાજવામાં આવ્યા હતા. 2012માં ‘વિશ્વરૂપમ્’ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 2016માં ‘મોહે રંગદો લાલ’ (બાજીરાવ મસ્તાની) ગીત માટે ફિલ્મફેર ઍવૉર્ડ અપાયો હતો.