Categories
વાચન સમૃદ્ધિ

હુંદરાજ દુઃખાયલ

જ. 16 જાન્યુઆરી, 1910 અ. 21 નવેમ્બર, 2003

સિંધી અને હિન્દી સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હુંદરાજ દુઃખાયલનો જન્મ સિંધના લાડકાણામાં થયો હતો. પિતા લીલારામ માણેક અને માતા હિરલબાઈ. શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. આઠ-દસ વર્ષની વયે ગીતો લખવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરે ભજનસંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. એ પછી ‘આર્ય ભજનાવલિ’ સંગ્રહ પ્રગટ થયો.

1921માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. સરકારી શાળા છોડી લાડકાણાની કોમી શાળામાં દાખલ થયા. ફરી શાળા છોડી અને આઝાદીની લડતમાં જોડાયા. શાળા છોડી દવાઓ બનાવી તેમજ સોના-ચાંદીની દુકાન કરી. પછી સ્ટૅમ્પવેન્ડર બન્યા, પરંતુ આઝાદીની લડતમાં જોડાવાથી સરકારે લાઇસન્સ રદ કર્યું. તેમને છ વખત જેલવાસ થયો હતો. તેઓ ખંજરી લઈને આઝાદીનાં ગીતો ગાતા. તેમણે ‘હનુમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમના ‘ફાંસી ગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકને અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેઓ 1949માં ભારત આવ્યા. ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ-આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ની સ્થાપના કરી. વિનોબા ભાવે સાથે 12 વર્ષમાં 30,000 માઈલની પદયાત્રા કરી. તેમણે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મશ્રી, સાધુવાણી ઍવૉર્ડ, સિંધુરતન ઍવૉર્ડ, રામ પંજવાણી ઍવૉર્ડ, સહયોગ ઍવૉર્ડ, સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેનિયમ ઍવૉર્ડના 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ ઇનામ-ઍવૉર્ડની રકમ તથા તમામ સંપત્તિ શિક્ષણસંસ્થાઓને દાનમાં આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હાર્વર્ડ યુનિવર્સિટી

અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે ૧૦ ઑક્ટોબર, ૧૬૩૬માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૭૮૦માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. ૧૬૩૮માં તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમની અર્ધી મિલક્ત અને ૪૦૦ પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં.

હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકા

આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં છે. વળી કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી ૪,૯૩૮ એકરના વિસ્તારમાં આવેલી છે. તેમાં કુલ ૨૦૦ મકાનો છે. તેનું પ્રથમ મકાન ૧૬૩૭માં બન્યું હતું. તે પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો ગયો. આ યુનિવર્સિટીના પૂર્વસ્નાતક-કક્ષાએ બે મુખ્ય વિભાગો છે, જેમાં હાર્વર્ડ કૉલેજ યુવકો માટે અને રેડક્લિફ (Radcliffe) કૉલેજ યુવતીઓ માટે છે. ત્યારબાદ સ્નાતક અને વ્યવસાયલક્ષી વિદ્યાશાખાઓમાં સહઅધ્યયન (co-education) છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નીચેની વિદ્યાશાખાઓ અને સંસ્થાઓ કાર્યરત છે : ૧. આર્ટ્સ અને વિજ્ઞાનની શાખા, ૨. તબીબી શાખા, ૩. વ્યાપાર-ઉદ્યોગ-સંચાલન શાખા, ૪. સ્થાપત્ય, લૅન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગ, ૫. વિશ્વના ધર્મોના અભ્યાસ માટેની શાખા, ૬. શિક્ષણલક્ષી અને માનવ-સંસાધન-વિકાસ શાખા, ૭. જ્હૉન એફ. કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટ, ૮. કાયદાશાસ્ત્રની શાખા, ૯. જાહેર સ્વાસ્થ્યની શિક્ષણશાખા. આ ઉપરાંત પણ ઘણીબધી વિદ્યાપ્રવૃત્તિને લગતી આનુષંગિક શાખાઓમાં બૉટેનિકલ ગાર્ડન (વનસ્પતિ-ઉદ્યાન), ગ્રે હર્બૅરિયમ (સૂકવેલી ઔષધિ-વનસ્પતિઓનો સંગ્રહ), ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી અને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસનો સમાવેશ થાય છે. છેલ્લી બે શતાબ્દીઓ દરમિયાન આ યુનિવર્સિટીના સ્નાતકો અને અધ્યાપકોએ અમેરિકાના બૌદ્ધિક અને રાજકીય વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હાર્વર્ડ યુનિવર્સિટી, પૃ. 158)

Categories
વાચન સમૃદ્ધિ

માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર)

જ. 15 જાન્યુઆરી, 1929 અ. 4 એપ્રિલ, 1968

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના નેતા. તેઓનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા તથા મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હતા. તેઓએ ઈ. સ. 1948માં ગ્રૅજ્યુએટ થયા બાદ 1951માં ‘બેચલર ઑવ્ ડિવિનિટી’ની પદવી મેળવી. 1953માં કોરટ્ટા સ્કૉટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1954માં મોન્ટગૉમેરીના બૅપ્ટિસ્ટ દેવળમાં જોડાયા. 1955માં બોસ્ટન યુનિવર્સિટીની થિયૉલૉજીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે યુ.એસ.માં અશ્વેત લોકોના નાગરિક હકો માટે અહિંસક ચળવળ શરૂ કરી. સૌપ્રથમ તેમણે જાહેર બસમાં રંગભેદની અને અલગતાની નીતિનો વિરોધ કરનાર રોઝાપાર્કની ધરપકડ થતાં, જાહેર બસવ્યવહારનો વરસ સુધી બહિષ્કાર પોકાર્યો. આને કારણે હિંસક બનાવો બન્યા. છેવટે સુપ્રીમ કોર્ટે રંગભેદના અને અલગતાના કાયદાને ગેરકાયદેસર ઠરાવ્યો.  આ બનાવ પછી કિંગ લ્યૂથરને રાષ્ટ્રવ્યાપી નામના મળી અને આ વિજયથી અહિંસક સત્યાગ્રહમાં લોકોનો વિશ્વાસ વધ્યો. 1957માં તેમણે સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કૉન્ફરન્સની સ્થાપના કરી. તેમણે ઘાના, ભારત વગેરે દેશોમાં અને અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં ફરીને પ્રવચનો કર્યાં. રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે લોકમત જાગૃત કર્યો. આ કારણે તેમના પર ખૂની હુમલો થયો, પણ તેઓ બચી ગયા. 1959માં તેઓ ભારતની મુલાકાતે આવેલા અને વડાપ્રધાન નહેરુને મળ્યા હતા. 1960માં તેઓ સહપાદરી થયા. તેમણે અશ્વેત લોકોના હકો માટે અનેક મંડળો સ્થાપ્યાં. રંગભેદના પ્રશ્ને તેમણે ઘણી વખત ધરપકડ વહોરી, હડતાળો અને રેલીઓ યોજી લોકોને  જાગૃત કર્યા, તેને લગતાં પુસ્તકો લખ્યાં. અશ્વેત લોકોના હકો માટે ધર્મગુરુને અપીલ કરી. તેમના પ્રયાસોના ફળ રૂપે જ્હોન કૅનેડીએ અમેરિકાની કૉંગ્રેસમાં ‘નાગરિક હક’ માટેનું બિલ રજૂ કર્યું. 1964માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. 4 એપ્રિલ, 1968ના રોજ તેમની હત્યા થઈ. ભારત સરકારે તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિ માટે પુરસ્કાર તેમનાં પત્નીને એનાયત કર્યો.