જૂનાગઢ


ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. ૨૦° ૪૪´ અને ૨૧° ૪´ ઉ.અ. તથા ૬૯° ૪૦´ અને ૭૧° ૦૫´ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : ૮૮૪૬ ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જિલ્લાના બે વિભાગો છે : ડુંગરાળ વનવિસ્તાર અને સપાટ મેદાન. પ્રથમ ભાગમાં ગિરનાર, ગીર અને બરડાનો ડુંગરાળ પ્રદેશ છે. બીજો ભાગ દરિયાકાંઠાનાં મેદાનો છે. આ મેદાનો પૈકી માંગરોળથી ઊના સુધીનો ભાગ વનરાજિને લીધે ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે.

સિંહોનું અભયારણ્ય, ગીર

આ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. તેની સૌથી વધુ ઊંચાઈ ગોરખનાથના શિખરની ૧૧૧૭.૪૦ મી. છે. તેનાં અંબામાતા, ઓઘડ, ગુરુદત્ત, કાળકા વગેરે શિખરો ૧૦૦૦ મી.થી વધુ ઊંચાં છે. ગીરના ડુંગરાળ પ્રદેશની નાંદીવેલા અને તુલસીશ્યામની ડુંગરમાળાઓ જાણીતી છે. ગીરનું સૌથી ઊંચું શિખર સાકરલા ૬૪૧.૬૦ મી. છે. ગીરની લંબાઈ ૪૮.૨૮ કિમી. છે. જૂનાગઢ જિલ્લામાં મે અને જૂન માસમાં સૌથી વધુ તાપમાન રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રની અસરને લીધે સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન ૩૦.૩° સે. રહે છે, જ્યારે તેનું સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન ૨૭.૫° સે. રહે છે. જિલ્લામાં સરેરાશ ૬૨૯.૧ મિમી. વરસાદ પડે છે. જિલ્લામાં થતાં જંગલી પ્રાણીઓ પૈકી વાંદરાં, દીપડા, સિંહ, શિયાળ, વરુ, લોંકડી, રોઝ (નીલગાય), જંગલી ભુંડ, છીંકારાં, હરણ વગેરે છે. છેલ્લી(૨૦૨૦)ની ગણતરી મુજબ ગીરમાં સિંહની વસ્તી ૬૭૪ છે. સિંહોનું અભયારણ્ય આ જિલ્લામાં ગીરમાં આવેલું છે. જિલ્લાની ગીર ઓલાદની ગાય અને બળદ પ્રસિદ્ધ છે. જૂનાગઢમાં ઘોડાનું ઉછેરકેન્દ્ર છે. જૂનાગઢ જિલ્લાની કુલ વસ્તી ૩૦,૯૦,૦૦૦ (૨૦૨૪) છે. શહેરી વસ્તીનું પ્રમાણ ૩૩% છે. જિલ્લાના ૭૦% લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખેતી સાથે પશુપાલનનો ગૌણ ઉદ્યોગ છે. પુરાતત્ત્વની તથા તીર્થધામોની દૃષ્ટિએ જૂનાગઢ, ગિરનાર, સતાધાર, સોમનાથ, પ્રભાસ, તુલસીશ્યામ વગેરે જોવાલાયક છે. ગિરનાર અને જૂનાગઢ ખાતે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો એક જ પથ્થર ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરકોટ ખાતે બાવા પ્યારા તથા ખાપરાકોડિયાની ગુફાઓ, બોરિયા સ્તૂપ, વિલિંગ્ડન બંધ, જૈન મંદિરો, હવેલી, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ વગેરે પ્રાચીન સ્થળો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં ગિરનાર ઉપર ભવનાથનો મેળો ભરાય છે. સોમનાથ, સૂત્રાપાડા વગેરે સ્થળોએ પ્રાચીન સ્થાપત્યો જોવા મળે છે. નવાબનો મહેલ તથા સંગ્રહસ્થાન, મુસ્લિમકાલીન મસ્જિદ, મકબરા વગેરે પ્રેક્ષણીય છે. ગીરમાં સાસણ ખાતેના અભયારણ્યમાં સિંહદર્શનની સગવડ છે. અહમદપુર માંડવી અને ચોરવાડ પ્રવાસધામો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જૂનાગઢ, પૃ. ૮૮૧)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંભુપ્રસાદ દેસાઈ, શિવપ્રસાદ રાજગોર

છગનભાઈ જાદવ


જ. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૨ એપ્રિલ, ૧૯૮૭

ગુજરાતના આધુનિક ચિત્રકાર, કલા-વિશ્વને અધ્યાત્મની અનુભૂતિભર્યાં કલાસર્જનો આપનાર આ કલાકારનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. તે સમયની પ્રથા પ્રમાણે માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. એકવીસ વર્ષની તેઓની વય હતી ત્યારે તેમનાં પત્ની તથા બાળક અવસાન પામ્યાં. ત્યારબાદ જીવનપર્યંત તેઓ એકલા જ રહ્યા. પોતાનું જીવન કલાને સમર્પિત કરી દીધું. સૌપ્રથમ કનુ દેસાઈ પાસે ત્યારબાદ રવિશંકર રાવળ પાસે કલાની દીક્ષા લીધી. ઇંદોર તથા લખનૌ જઈને પણ શિક્ષણ લીધું. ત્યાં કલાગુરુ બેન્દ્રે પાસેથી પણ લૅન્ડસ્કેપ શીખ્યા. છગનભાઈ ૨૬ વર્ષની વયે રવિશંકરના કળા-વિદ્યાર્થી બન્યા. ઇંદોરની આર્ટ સ્કૂલમાં છગનલાલને નારાયણ શ્રીધર બેન્દ્રે સાથે દોસ્તી થઈ, તેમની સાથે કાશ્મીરમાં પરિભ્રમણ કર્યું. કાશ્મીરનાં નિસર્ગ ચિત્રો કર્યાં. ત્યારબાદ તેઓ લખનૌની આર્ટસ્કૂલના વિદ્યાર્થી બન્યા અને તેમની કળા પરિપક્વ થઈ. લખનૌથી પાછા ફરીને છગનભાઈએ ઘણાં ઉત્તમ ચિત્રો સર્જ્યાં. બૉમ્બે આર્ટ સોસાયટીની હરીફાઈમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે અને મુંબઈના ગવર્નરનું પણ ઇનામ તેમને મળ્યું. ૧૯૩૦માં દાંડીકૂચના, ગાંધીજીના સ્કૅચીઝ કર્યા. ૧૯૬૫ પછી થોડાં વર્ષો તેઓ ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીના ઉપાધ્યક્ષપદે રહ્યા. ૧૯૪૪માં છગનભાઈ ફરીથી હિમાલયની લાંબી યાત્રાએ ગયા અને ત્યાંનાં દૃશ્યોનાં ચિત્રો દોર્યાં. ચિત્રો દોરતાં તેમની અધ્યાત્મસાધના પણ વધતી ગઈ. ગુજરાત લલિતકળા અકાદમીએ ‘ગૌરવ પુરસ્કાર’ વડે ૧૯૬૮માં છગનલાલ જાદવનું બહુમાન કરેલું. તેમનું અવસાન અમદાવાદમાં થયું હતું.

અંજના ભગવતી

સાપેક્ષતાના સિદ્ધાંતનો પુરાવો


જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇને (૧૮૭૯-૧૯૫૫) ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત પછી સાપેક્ષતાનો વિશેષ ચડિયાતો સિદ્ધાંત શોધ્યો. જર્મનીમાં જન્મેલા આ વિજ્ઞાનીએ ૧૯૦૯થી ૧૯૧૮ના ગાળામાં જગતને સાપેક્ષતાનો આ વ્યાપક સિદ્ધાંત આપ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ. આઇન્સ્ટાઇનનો આ સિદ્ધાંત નિસર્ગનું વધુ સાચું વર્ણન કરે છે એમ સ્વીકારાયું, એટલું જ નહીં, પણ આને પરિણામે ક્રાંતિકારી સૂઝ અને ઊંડી સમજ ધરાવતા વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને યુરોપમાં વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ થયાં. આઇન્સ્ટાઇન જે કોઈ દેશમાં પ્રવચન આપવા જતા, ત્યાં એને પ્રતિભાસંપન્ન વિજ્ઞાની તરીકે આદર મળતો હતો. આઇન્સ્ટાઇને પણ કોઈ સ્થળે પોતે વિદેશી છે, એવી અનુભૂતિ કરી નહોતી. માનવતા એ આઇન્સ્ટાઇનનો પ્રથમ ગુણ હોવાથી સર્વત્ર સમાન આદર પામ્યા હતા. આ અલગારી વિજ્ઞાનીએ જોયું કે એમના સાપેક્ષતાના સિદ્ધાંતનો સર્વત્ર આદર થાય છે અને સહુ કોઈ ‘આઇન્સ્ટાઇન અમારા દેશના છે’ એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે આઇન્સ્ટાઇને એક વખત કટાક્ષમાં કહ્યું, ‘આજે ભલે હું અમેરિકામાં વસતો હોઉં, પરંતુ જર્મનીમાં એક જર્મન વિજ્ઞાની તરીકે મારો આદર થાય છે અને ઇંગ્લૅન્ડમાં મને એક વિદેશી યહૂદી તરીકે સન્માનવામાં આવે છે. પરંતુ જો મારો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય તો જર્મન લોકો મને ધુત્કારીને કહેશે કે આ તો એક પરદેશી યહૂદી છે અને અંગ્રેજ લોકો મને એમ કહીને ધુત્કારશે કે આ તો એક જર્મન છે.’ આટલું કહીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં ઉમેર્યું, ‘આ મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો જ છે ને !’

કુમારપાળ દેસાઈ