Categories
વાચન સમૃદ્ધિ

મરેલા કૂતરાને લાત

રોબર્ટ હટકિન્સ નામના યુવકે પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. અમેરિકાની પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થઈને બહાર નીકળ્યો, પરંતુ આ ગરીબ છોકરાને કોણ નોકરીએ રાખે ? આથી એણે હોટલમાં વેઇટરની નોકરી સ્વીકારી. એ પછી ભંગાર ભેગો કરનારા કબાડી તરીકે કામ કર્યું. ક્યાંક ટ્યૂટર તરીકે ભણાવવા લાગ્યો તો પછી સાબુના સેલ્સમૅન તરીકે પણ એ ઠેર ઠેર ફરવા લાગ્યો. પરંતુ પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખી નહીં અને એનું ચમત્કારિક પરિણામ એ આવ્યું કે માત્ર આઠ જ વર્ષમાં આ તેજસ્વી વિદ્યાર્થી ઘણું ઊંચું પદ પામ્યો. અમેરિકાની ચોથા ક્રમની જાણીતી યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે નિયુક્ત થયો. અખબારોએ એની આ સિદ્ધિને ‘યુવા-ચમત્કાર’ ગણાવી. એને વિશે પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થયા, પણ સાથોસાથ એને વિશે ટીકાઓ પણ થવા લાગી. કોઈએ એની વયને જોઈને કહ્યું કે, ‘એ તો સાવ બાળક જેવો છે. એને ક્યાંથી શિક્ષણની ગતાગમ પડે.’ કોઈએ એના શિક્ષણવિષયક ખ્યાલોનું વિશ્લેષણ કરીને એ સાવ વાહિયાત હોવાનું જાહેર કર્યું. ટીકાની દોડમાં અમેરિકાનાં મોટાં અખબારો પણ જોડાયાં અને એમણે આ યુવાનની ઠેકડી ઉડાડી. આ સમયે રોબર્ટ હટકિન્સના પિતાને એમના એક નજીકના મિત્રએ કહ્યું, ‘જુઓ, તમારા દીકરાની કેવી દશા થઈ છે ! નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ સાચું. પરંતુ એને વિશે અખબારોમાં કેટલી બધી ટીકાઓ, આક્ષેપો થાય અને અભિપ્રાયો પ્રગટ થાય છે. એનાથી ખૂબ દુ:ખ થાય છે અને હૃદય બેચેન બની જાય છે.’ રોબર્ટ હટકિન્સના પિતાએ કહ્યું, ‘સાવ સાચી વાત છે તમારી. એના પર બેફામપણે ટીકા-ટિપ્પણીનો વરસાદ વરસે છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં કોઈ માણસ મરેલા કૂતરાને લાત મારતો નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. સુમંતભાઈ મહેતા

જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રિયતમાના ચહેરા જેવો મૃત્યુનો ચહેરો

આખાય જગતમાં પ્રેમીને પોતાની પ્રિયતમાનો ચહેરો સૌથી વધુ સુંદર લાગતો હોય છે. અનેક ચહેરાઓ વચ્ચે જીવતા એને પોતાની પ્રેમિકાનો ચહેરો અદ્વિતીય લાગે છે. એના મુખ ભણી એકીટસે નિહાળવાનું એને ખૂબ પસંદ પડે છે. એને જોઈને એના હૃદયમાં આનંદ ઊમટે છે અને પ્રેમની ધારા વહેવા લાગે છે. જેવો પ્રેમિકાનો ચહેરો છે, એવો જ તમારા મૃત્યુનો ચહેરો છે. એ મૃત્યુને ચાહતાં શીખો. એને સ્નેહથી જોતાં રહો. એને પ્રેમભરી મીઠી નજરે નિહાળો, કારણ કે આ અનિશ્ચિત એવા જીવનમાં સૌથી વધુ નિશ્ચિત મૃત્યુ છે. આપણે અનિશ્ચિત એવા જીવનની ચિંતા કરવાનું છોડીને નિશ્ચિત એવા મૃત્યુથી ચિંતિત રહીએ છીએ. એ નિશ્ચિત મૃત્યુથી આંખમીંચામણાં કરીએ છીએ. એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. પરાજય નિશ્ચિત હોવા છતાં મરણિયા થઈને મોતની સામે બાથ ભીડીએ છીએ. એનો સ્વીકાર કરવાને બદલે સતત એનો અસ્વીકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોત એ વિકરાળ, ભયાવહ યમદૂત નથી, એ તો પ્રિયતમાનો ચહેરો છે. મૃત્યુના ચહેરાને ભાગ્યે જ કોઈ ભાવથી જુએ છે. એ ચહેરા પરની શાંતિ એની બંધ આંખોમાં જોવા મળે છે. જીવન પ્રત્યેની અનાસક્તિ જ એના સ્થિર કપાળ પર નજરે પડે છે. જગતની પીડા, સંસારનાં દુ:ખો અને આધિ, વ્યાધિ અને ઉપાધિની પળોજણની મુક્તિની રેખાઓ એના સ્થિર મુખારવિંદમાં જોઈ શકાય છે. એ અવસરને આનંદભેર ભેટનારાના ચહેરા પર પ્રસન્નતાનું તેજ વિખરાયેલું હોય છે. આ અવસરને વિરહની વેદના માનનારના ચહેરા પર ઘેરી કાલિમા લપાઈને બેઠી હોય છે.