Categories
વાચન સમૃદ્ધિ

સાપુતારા

ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાતમાં સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી ૧૬૪ કિમી.ના અંતરે આવેલું છે. સહ્યાદ્રિ ગિરિમાળામાં તે દરિયાની સપાટીથી ૮૭૨.૯ મીટરની ઊંચાઈ પર છે. સાપુતારાનું ભૂપૃષ્ઠ પહાડી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી સર્પગંગા નદી ગામની નજીકથી વહે છે. અહીં લાવાપ્રવાહોથી રચાયેલા બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં લાલ માટીનું તો અન્ય ઠેકાણે રેગર અથવા કાળી માટીનું આવરણ પથરાયેલું જોવા મળે છે.

ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. શિયાળો પ્રમાણમાં ઠંડો હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૨,૫૪૦ મિમી.થી  ૩,૨૦૦ મિમી. જેટલો થાય છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ પ્રમાણમાં ઊગે છે. સાપુતારામાં ૮૪૫ મીટરની ઊંચાઈએ એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. આ જળાશય સાપુતારામાં પીવાનું પાણી પૂરું પાડે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. અહીં મધમાખીઉછેર-કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, ઇકો-પૉઇન્ટ, સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી-વ્યૂ-પૉઇન્ટ, લેક-ગાર્ડન, રોઝ-ગાર્ડન, સ્ટેપ-ગાર્ડન, મધમાખીઉછેર-કેન્દ્ર તથા આદિવાસી હસ્તકલાની ચીજ-વસ્તુઓના સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની હસ્તકલાના નમૂના, ઘરેણાં, વાજિંત્રો, શસ્ત્રો અને શિકારનાં ઓજારો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં અવારનવાર આવતા રહે છે. પર્યટકો માટે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અમૃત સમાન ગ્રંથ

રાજચિકિત્સક બુઝોઈ નવી નવી ઔષધિઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા હતા. એક વાર ઈરાનના બાદશાહ ખુસરોના રાજચિકિત્સક બુઝોઈએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે. આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઈ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઈને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૂ કરી. કેટલાંય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં. એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને બુઝોઈને જોઈને પૂછ્યું, ‘આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?’ બુઝોઈએ કહ્યું, ‘હું ઈરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.’ આ સાંભળીને પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, ‘અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા. આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૂર મળે. અમારે ત્યાં અમૃત સમાન ‘પંચતંત્ર’ નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃદ્ધ રહે છે.’ બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન ‘પંચતંત્ર’ની એક પ્રત લઈને સ્વદેશ પાછા ફર્યા.

Categories
વાચન સમૃદ્ધિ

ઝાંસી

ઉત્તરપ્રદેશના ૭૪ જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૦૨૪ ચોકિમી. છે. ૨૦૨૪માં જિલ્લાની કુલ વસ્તી આશરે ૨૩,૧૫,૫૮૧ હતી. વસ્તીનો મોટો ભાગ ગામડાંમાં વસે છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે. બુંદેલ ખંડના ડુંગરાળ પ્રદેશમાં તેનો સમાવેશ થાય છે પણ ગંગાના મેદાન અને વિંધ્યાચળ ગિરિમાળા વચ્ચેના ઉત્તર ભાગમાં ડેક્કન ટ્રૅપની લાવાની બનેલી કાળી જમીન આવેલી છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર આવેલો છે તેથી સપાટ પ્રદેશની આબોહવા વિષમ છે, પણ ડુંગરોની ઊંચાઈને કારણે ઉનાળા અને શિયાળાના તથા દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છે. ઝાંસી જિલ્લાનું ગુરુતમ દૈનિક તાપમાન ૩૨.૫° સે. અને લઘુતમ દૈનિક તાપમાન ૧૯.૭° સે. રહે છે. મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે જ્યારે જાન્યુઆરીમાં સૌથી ઓછી. ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. સમગ્ર વર્ષ દરમિયાન ૧૨૦૦થી ૧૬૦૦ મિમી. વરસાદ પડે છે. આ પ્રદેશમાં મોસમી પ્રદેશ જેવી વનસ્પતિ છે. સાગ, સાલ, ખેર, ટીમરુ, વાંસ, શીમળો, કડો, આંબલી, સાજડ, હળદરવો, અરડૂસો જેવાં વૃક્ષો અને વાઘ, હરણ, ભુંડ, જરખ, શિયાળ, સાપ, સસલાં વગેરે જંગલી પ્રાણીઓ જોવા મળે છે. કપાસ, બાજરી, ઘઉં, કઠોળ, શેરડી, તલ, મગફળી, સરસવ, રાયડો વગેરે મુખ્ય પાકો છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આઝાદી બાદ ઉદ્યોગો વિકસ્યા છે અને તે મોટા ભાગે ઝાંસી શહેરમાં આવેલા છે.

ઝાંસીનો કિલ્લો અને શહેર

જિલ્લાનું મુખ્ય શહેર ઝાંસી આગ્રાથી દક્ષિણે ૨૧૦ કિમી. દૂર ૨૫° ૩૦´ ઉ. અ. અને ૭૮° ૩૬´ પૂ. રે. ઉપર આવેલું છે. અહીં વિમાની મથક છે. ઝાંસીમાં ૩૦.૫ સે. ગુરુતમ તાપમાન અને ૨૦.૪ લઘુતમ તાપમાન રહે છે. અહીં વરસાદ ૧૦૦૦થી ૧૨૦૦ મિમી. પડે છે. તે અનાજ, કપાસ, તેલીબિયાં વગેરેનું પીઠું છે. ખેતીનાં સાધનો, પિત્તળનાં વાસણો, ગાલીચા, રેશમી વસ્ત્રો, હાથસાળનું કાપડ, ધાબળા, બીડી, સાબુ, દવા વગેરેનું અહીં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તેલની મિલો તથા રીરોલિંગ મિલ વગેરે કારખાનાં આવેલાં છે. મોરાનીપુરમાં ‘ખારવા’ તરીકે ઓળખાતું કાપડ તૈયાર થાય છે. અહીં રેલવેની વર્કશૉપ તથા કૉલોની, ઝાંસી યુનિવર્સિટી તથા શહેરની પશ્ચિમે ડુંગર ઉપરના કિલ્લામાં લક્ષ્મી, દુર્ગા અને મુરલીમનોહરનાં મંદિરો અને રાણીનો મહેલ આવેલાં છે. શહેરની ફરતો કોટ છે. આ શહેરની બુંદેલા રાજા વીરસિંગે ૧૬૧૩માં સ્થાપના કરી હતી અને શહેરના મુખ્ય ભાગ ફરતો કોટ બંધાવ્યો હતો. શહેરનું બીજું નામ બળવંતનગર છે. ઇતિહાસ : આ પ્રદેશનો બારમી સદીથી ઇતિહાસ મળે છે. ૧૧૮૨માં પૃથ્વીરાજ ચૌહાણે ચંદેલાઓને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. કુતુબુદ્દીન ઐબકે ૧૨૦૨થી ૧૨૦૩ દરમિયાન અને અલ્તમશે ૧૨૩૪માં આ પ્રદેશ ઉપર આક્રમણ કરી હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો. ત્યારબાદ ખેંગાર જાતિના લોકોનું રાજ્ય ત્યાં સ્થપાયું હતું. રુદ્રપ્રતાપ બુંદેલાએ તેરમી સદીમાં ખેંગારોને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. તેના અનુગામી પુત્ર ભારતીચંદ્રે ૧૫૨૧માં ઓરછાની સ્થાપના કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંસી, પૃ. 141)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી