વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય.
ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે.

સાંચીનો સ્તૂપ
સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. તેનું સ્વરૂપ શુંગકાલીન છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર રાતા પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ ૩૬ મીટર છે અને ઊંચાઈ ૧૬ મીટર છે. તેનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને સપાટ કરીને તેની પર ચોરસ કઠેડો (railing) ઊભો કરવામાં આવ્યો છે. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે પગથિયાં આવેલાં છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બબ્બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો જોડેલી છે. તેના ઉપર કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે. કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્તૂપની ચારેય દિશામાં ચાર સુંદર, કલાત્મક પ્રવેશદ્વારો આવેલાં છે, તે ચારેયને સુંદર તોરણો છે. દરેક તોરણ ૧૦ મીટર ઊંચું અને ૬ મીટર પહોળું છે. સ્તંભોની ચારેય બાજુએ અને આડી પીઢની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, તેમના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં સુંદર આલેખનો છે. કોરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચેના બાંધકામમાં ચાળીસ વર્ષનો ગાળો પડે છે, છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો સરખાં લાગે છે. સાંચીની સમગ્ર શિલ્પકળામાં કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ, આસન કે સ્તૂપ જેવાં પ્રતીકો છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી