Categories
વાચન સમૃદ્ધિ

મેજર મોહિત શર્મા

જ. 13 જાન્યુઆરી, 1978 અ. 21 માર્ચ, 2009

અપૂર્વ પરાક્રમ કરી શહીદ થનાર મેજર મોહિત શર્માનો જન્મ રોહતકમાં થયો હતો. પિતા રાજેન્દ્રપ્રસાદ અને માતા સુશીલા. પરિવારમાં સહુ ‘ચિન્ટુ’ કહેતા અને સાથીઓ તેમને ‘માઈક’ કહેતા. તેમનું શાળેય શિક્ષણ માનવસ્થલી સ્કૂલ, દિલ્હી, હોલી એન્જલ્સ સ્કૂલ, સાહિબાબાદ અને દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદમાં થયું હતું. 1995માં રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)માં અને પછી 1998માં ભારતીય લશ્કરી એકૅડેમી(IMA)માં જોડાયા. તેઓ મદ્રાસ રેજિમેન્ટની પાંચમી મદ્રાસ બટાલિયનમાં કમિશન્ડ થયા. તેઓ 38 રાષ્ટ્રીય રાઇફલ્સમાં કાશ્મીર ગયા. તેમને 2002માં ચીફ ઑફ આર્મી સ્ટાફ કમેન્ટેશન મેડલ (COASM) મળ્યો. 2003માં ભારતીય સેનાના એસિલ ફોર્સ 1 પેરામાં જોડાયા. કાશ્મીરમાં કામગીરી બદલ તેમને 2004માં સેના મેડલ (શૌર્ય) એનાયત કરવામાં આવ્યો. તેઓ 2004માં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સામેના ગુપ્ત ઑપરેશન માટે છૂપા વેશમાં ઇફ્તિખાર ભટ્ટ તરીકે આતંકવાદીઓ સાથે રહ્યા અને તેમનો વિશ્વાસ જીત્યો. 2009માં કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરી માટે મેજર શર્માને જવાબદારી સોંપવામાં આવી. આતંકવાદીઓએ કરેલા હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા. મોહિત શર્માએ પોતાની સલામતીને અવગણીને ઘાયલ સૈનિકોને સલામત સ્થળે પહોંચાડ્યા. તેમને છાતીમાં ગોળી વાગવા છતાં પીછેહઠ ન કરી કમાન્ડોને પ્રેરિત કર્યા. તેઓ લડાઈમાં ઘાયલ થયા અને શહીદ થયા. તેમની અદમ્ય બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર અશોકચક્ર એનાયત કરવામાં આવ્યું. તેમનું નામ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં કોતરવામાં આવ્યું છે. 2019માં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ગાઝિયાબાદના રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મેજર મોહિત શર્મા રાજેન્દ્રનગર મેટ્રો સ્ટેશન કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

હાથી

જમીન પર વસતું સૌથી મહાકાય, સૂંઢવાળું સસ્તન પ્રાણી.

હાથીની બે જાતિઓ છે : ૧. એશિયન હાથી, ૨. આફ્રિકન હાથી. એશિયન હાથી તે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિયામ, મલાયા અને સુમાત્રામાં વસતા હાથી. ભારતમાં ઉત્તરાખંડ, આસામ, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક, કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે. ભારતીય હાથીની ઊંચાઈ ૨.૫થી ૩ મીટર, લંબાઈ ૮ મીટર (સૂંઢથી પૂંછડી સુધીની) અને વજન ૩૦૦૦થી ૩૬૦૦ કિગ્રા. જેટલું હોય છે. આફ્રિકન હાથી આ હાથી કરતાં વધારે મોટા અને વધારે વજન ધરાવે છે. ભારતીય હાથીની જાતિમાં નર અને માદા દેખાવે સરખાં લાગે છે. ફેર માત્ર એટલો કે નર હાથીને મોટા હાથીદાંત હોય છે જ્યારે માદાને સાવ નાના. આફ્રિકન હાથીમાં નર તથા માદા બંનેને મોટા હાથીદાંત હોય છે. હાથીદાંતનો ઉપયોગ કરી તે ખોરાક મેળવે છે અને પોતાનું રક્ષણ કરે છે. તેની લંબાઈ પરથી હાથીની ઉંમર જાણી શકાય છે. હાથીની સૂંઘવાની શક્તિ જોવાની અને સાંભળવાની શક્તિ કરતાં વધારે તીવ્ર હોય છે. હાથીને થાંભલા જેવા ચાર પગ અને પગના તળિયે માંસલ ગાદી હોય છે. તે ૪થી ૫ આંગળીઓ ધરાવે છે.

આફ્રિકન હાથી

સસ્તન પ્રાણીઓમાં હાથીની વિશેષતા તે તેની સૂંઢ છે. સૂંઢ એનું નાક છે. તેના આગળના ભાગમાં બે નસકોરાંનાં છિદ્રો અને બે ઓષ્ઠ આવેલાં હોય છે. સૂંઢના છેડે આંગળી જેવો લંબગોલક હોય છે. આફ્રિકન હાથીમાં સૂંઢના છેડે બે ગોલક હોય છે. આ ગોલકની મદદથી તે સોય જેવી ઝીણી વસ્તુ પકડી શકે છે. સૂંઢમાં હાડકાં હોતાં નથી. તે મજબૂત સ્નાયુઓની બનેલી હોય છે. તેના વડે હાથી ખોરાક પકડીને પોતાના મોંમાં મૂકી શકે છે. તેનાથી હાથી મોટાં ઝાડ ઉખેડી શકે છે અને ભારે વજન ઊંચકી શકે છે. વળી તે સૂંઢથી પોતાનાં બચ્ચાંને પંપાળીને વહાલ પણ કરી શકે છે. હાથી શાકાહારી પ્રાણી છે અને પોતાના મોટા શરીરને ટકાવવા ખૂબ માત્રામાં (રોજનો લગભગ ૧૫૦ કિગ્રા. જેટલો) ખોરાક લે છે. ખોરાકમાં તે ડાળીડાળખાં, કૂંપળો, પાંદડાં તથા ફળો લે છે. શેરડી તેનો પ્રિય ખોરાક છે. ખોરાકને ચાવવા માટે તેના મોંમાં મોટી મોટી ૬ જોડ દાઢો હોય છે. એ દાઢો ઘસાઈ જાય તો ત્યાં નવી દાઢો ફૂટે છે. હાથી ખૂબ જોરાવર પ્રાણી છે. હાથીનું સરેરાશ આયુષ્ય ૪૦ વર્ષનું હોય છે; પરંતુ ક્યારેક તેઓ આશરે ૭૦ વર્ષ સુધી પણ જીવે છે. ગણપતિના મસ્તકની જગાએ હાથીનું માથું મુકાયેલ છે. તે અંગેની પૌરાણિક કથા પણ છે. હાથી બુદ્ધિશાળી અને સારી યાદશક્તિ ધરાવતું ચતુર પ્રાણી ગણાય છે. તેથી કદાચ હાથીનું મસ્તક ગણપતિ માટે પસંદ કરાયું હોય એવું અનુમાન પણ થઈ શકે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હાથી, પૃ. 154)

Categories
વાચન સમૃદ્ધિ

મહર્ષિ મહેશ યોગી

જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008

ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન કર્યું. 1952 પછી ભાવાતીત ધ્યાન(ટ્રાન્સન્ડેનટલ મેડિટેશન – TM)ના પ્રચારાર્થે વિશ્વસ્તર પર ઝુંબેશ આદરી. 1970માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિક ‘સાયન્સ ઍન્ડ સાયન્ટિફિક અમેરિકન’માં લખાણ પ્રસિદ્ધ થયું અને તેઓ પ્રસિદ્ધિ પામ્યા. 1972માં પોતે તૈયાર કરેલ વૈશ્વિક યોજનાનું વિમોચન કરી તે દ્વારા ચેતનાશુદ્ધિ અંગેના નવા વૈજ્ઞાનિક અભિગમ ‘સર્જનાત્મક ગ્રહણશક્તિ’નો પ્રારંભ કર્યો. છેલ્લાં લગભગ 40 વર્ષમાં તેમણે વિશ્વના બધા જ ભૌગોલિક વિભાગોમાં વિશ્વશાંતિ પરિષદો અને સભાઓનું આયોજન કર્યું છે. તેમના વિશ્વભરના પ્રવાસોને કારણે તેમના અનુયાયીઓમાં તેઓ ‘ધ ફ્લાઇંગ યોગી’ નામથી ઓળખાય છે. અઠ્ઠાવીશ દેશોની 200 જેટલી યુનિવર્સિટીઓ તથા સંશોધનસંસ્થાઓમાં 600 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો થયા પછી એવું ફલિત થયું છે કે તેમના આ કાર્યક્રમો દ્વારા માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહિ, પરંતુ સામાજિક સ્તર પર પણ ઘણા લાભ થયા છે. 1987માં તેમણે ‘મહર્ષિ વેદવિજ્ઞાન વિશ્વવિદ્યાપીઠ’ના નેજા હેઠળ 7000 જેટલા વૈદિક વૈજ્ઞાનિકોનું જૂથ ઊભું કર્યું છે, જેમના દ્વારા મહર્ષિના ભાવાતીત ધ્યાન તથા ભાવાતીત સિદ્ધિ કાર્યક્રમો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.