Categories
વાચન સમૃદ્ધિ

સાંચીનો સ્તૂપ

વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય.

ભારતમાં બૌદ્ધ સમયનાં અનેક સ્થાપત્યો આવેલાં છે. મયપ્રદેશમાં ભીલસાથી ૮.૮૫ કિમી. દૂર સાંચીમાં આવેલો આ સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીમાં મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી મોટો સ્તૂપ સાંચીના સ્તૂપ તરીકે જાણીતો છે.

સાંચીનો સ્તૂપ

સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો બનેલો હતો અને તે સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. અશોકના સમયનો મૂળ સ્તૂપ વર્તમાન સ્તૂપની નીચે ઢંકાયેલો છે. તેનું સ્વરૂપ શુંગકાલીન છે. શુંગકાળમાં સ્તૂપની ઉપર રાતા પથ્થરનું આચ્છાદન (encasing) કરીને તેનો વિસ્તાર બમણો કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્તૂપના અંડનો વ્યાસ ૩૬ મીટર છે અને ઊંચાઈ ૧૬ મીટર છે. તેનો આકાર અર્ધવૃત્તાકાર છે. અંડના મથાળાને છેદીને સપાટ કરીને તેની પર ચોરસ કઠેડો (railing) ઊભો કરવામાં આવ્યો છે. સ્તૂપને ફરતો પ્રદક્ષિણાપથ છે. ત્યાં પહોંચવા માટે દક્ષિણ દિશાએ સામસામે પગથિયાં આવેલાં છે. પથ્થરની ઊભી અને આડી છાટો એકબીજાને જોડીને વેદિકાઓ બનાવેલી છે. બબ્બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી છાટો જોડેલી છે. તેના ઉપર કમળો, વેલો વગેરે ભાતો કોતરેલી છે. કઠેડાની સ્તંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્તૂપની ચારેય દિશામાં ચાર સુંદર, કલાત્મક પ્રવેશદ્વારો આવેલાં છે, તે ચારેયને સુંદર તોરણો છે. દરેક તોરણ ૧૦ મીટર ઊંચું અને ૬ મીટર પહોળું છે. સ્તંભોની ચારેય બાજુએ અને આડી પીઢની બંને બાજુએ અર્ધમૂર્ત શિલ્પો કંડારેલાં છે. તેમાં ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો તથા બુદ્ધના પૂર્વજીવનને વર્ણવતી જાતકકથાઓના પ્રસંગો, તેમના જીવન સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, પશુ-પંખીઓ, ઊડતા ગાંધર્વો, વિવિધ પુષ્પો અને વેલીઓનાં સુંદર આલેખનો છે. કોરણીની દૃષ્ટિએ સૌથી ઉત્તમ તોરણ ઉત્તરનું છે. પ્રથમ અને છેલ્લા તોરણદ્વાર વચ્ચેના બાંધકામમાં ચાળીસ વર્ષનો ગાળો પડે છે, છતાં ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ ચારેય તોરણદ્વારો સરખાં લાગે છે. સાંચીની સમગ્ર શિલ્પકળામાં કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી; પરંતુ મૂર્તિને બદલે તેમનાં પગલાં, વૃક્ષ, આસન કે સ્તૂપ જેવાં પ્રતીકો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટી. એચ. વ્હાઇટ

જ. ૨૯ મે, ૧૯૦૬ અ.૧૭ જાન્યુઆરી, ૧૯૬૪

વ્હાઇટનો જન્મ ભારતમાં, મુંબઈમાં ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરિક હેનબરી વ્હાઇટ અને કોન્સ્ટન્સ એડીથ સાઉથકોટ એસ્ટનને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ ટેરેન્સ હેનબરી વ્હાઇટ હતું. વ્હાઇટનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક, શિકાર, પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. તેમણે વ્હાઇટ ગ્લોસ્ટરશાયરની ચેલ્ટનહામ કૉલેજ, એક જાહેર શાળા અને કેમ્બ્રિજની ક્વીન્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યું. ક્વીન્સ કૉલેજમાં હતા ત્યારે વ્હાઇટે થોમસ મેલોરીના લે મોર્ટે ડીઆર્થર પર એક થિસીસ લખી અને ૧૯૨૮માં અંગ્રેજીમાં પ્રથમ વર્ગની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેમનાં પ્રારંભિક પુસ્તકોમાં આત્મકથાત્મક નવલકથાઓ અને વાઇલ્ડલાઇફ અંગેના ગ્રંથો સામેલ છે. તેઓ આર્થરિયન નવલકથા માટે વિશેષ જાણીતા છે. તેમનો પ્રસિદ્ધગ્રંથ The Once and Future King (ઈ. સ. ૧૯૩૮-૧૯૫૮), ચાર ભાગોમાં વિભાજિત છે. આ ગ્રંથ મધ્યયુગીન પૌરાણિક પાત્રો – જેમ કે કિંગ આર્થન, મર્લિન, લાન્સલોટ અને ગ્વિનેવીર પર આધારિત છે, પણ તેમાં આધુનિક તત્ત્વો અને માનવસ્વભાવ અંગેની ઊંડી સમજ દર્શાવવામાં આવી છે. જેમાંના એક ભાગ The Swod in the Stone ની Disney એ, ઍનિમેટેડ ફિલ્મ બનાવી. વ્હાઇટની લેખનશૈલી હળવી અને વ્યંગ્યથી ભરેલી હતી. વ્હાઇટ તેમના આર્થરિયન કાર્યને બ્રૉડવે મ્યુઝિકલ કેમલોટ (૧૯૬૦) અને ઍનિમેટેડ ફિલ્મ ‘ધ સ્વોર્ડ ઇન ધ સ્ટોન’  (૧૯૬૩) તરીકે રૂપાંતરિત થતા જોવા માટે જીવ્યા. તેમની કથાઓએ વાર્તા સાહિત્ય, ફૅન્ટસી અને આધુનિક પૌરાણિક પુનર્નિર્માણ ક્ષેત્રે ઊંડું અસરકારક યોગદાન આપ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ?

બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એવી કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી વખતે ટિકિટ લેવી પડે છે અને શક્ય એટલી અનુકૂળતાઓ ગોઠવીને પરિચિત વ્યક્તિ સાથે પ્રવાસ ખેડવા નીકળીએ છીએ. જ્ઞાત પ્રવાસની આટલી બધી તૈયારી, પરંતુ જિંદગીના અજ્ઞાત પ્રવાસની કેટલી તૈયારી ? કેવા પ્રદેશમાં એ પ્રવાસ ખેડવાનો છે એની કશી જાણ નથી. મૃત્યુ પછીની પરિસ્થિતિનો ઝાંખોય અંદાજ નથી. એમાં આવનારી પ્રતિકૂળતાઓની સહેજે ઝાંખી નથી. વળી સાથે કોઈ માર્ગદર્શક કે મદદગાર પણ નથી. એને એકલા જિંદગીનો અંતિમ પ્રવાસ  ખેડવાનો છે, ત્યારે એને માટે એણે કેટલી તૈયારીઓ કરી છે ? આ અંતિમ પ્રવાસમાં કામ આવે એવું કેટલું ભાતું લઈને એ નીકળ્યો છે ? આ પ્રવાસ માટે એની પાસે કેટલી ભીતરી પ્રસન્નતા છે ? અરે ! જુઓ તો ખરા ! અંતિમ પ્રવાસની ઘડી આવતાં એ કેટલો બધો અકળાઈ જાય છે ! પોતાના જીવનને એ જોશથી વળગી રહે છે. પોતાનાં સાધનો અને સંપત્તિને ચુસ્ત રીતે વળગીને એ બેસે છે. ‘હજી આટલું ભોગવી લઉં’ એમ વિચારીને જિજીવિષાને પ્રબળ કરતો જાય છે, ત્યારે વિચારવું એ પડે કે જીવનના પ્રવાસોની તૈયારી કરનાર માણસ એના મૃત્યુના અંતિમ પ્રવાસ માટે સજ્જતા કેળવવાનો કોઈ વિચાર કરે છે ખરો ? અંતે જે મુકામે પહોંચવાનું છે એ મુકામની એને જાણકારી છે ખરી ? એક વાર કાશ્મીરના પ્રવાસે ગયા અને મજા ન આવી તો એ પ્રવાસ બીજી વાર ખેડી શકાય છે, પણ આ અંતિમ મુકામે જવાનો પ્રવાસ તો એક જ વાર ખેડવાનો હોય છે. એ પુન: ખેડી શકાતો નથી, ત્યારે એને માટે કેટલી તૈયારી કરી છે તે વિચારવું જોઈએ.