Categories
વાચન સમૃદ્ધિ

સિમલા

હિમાચલ પ્રદેશનું પાટનગર. તે ૩૧° ૦૬´ ઉ. અ. અને ૭૭° ૧૩° પૂ. રે. પર આવેલું છે. સિમલા ભારતનું મહત્ત્વનું ગિરિમથક (hill station) ગણાય છે. તેની ઉત્તરે મંડી અને કુલુ, પૂર્વમાં કિન્નૌર, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાખંડ રાજ્ય, દક્ષિણે સિરમોર તથા પશ્ચિમમાં સોલન જિલ્લા આવેલાં છે. ૧૮૧૯માં અહીં અંગ્રેજોએ સર્વપ્રથમ આવાસો બનાવેલા. ૧૮૬૪માં સિમલાને બ્રિટિશ ઇન્ડિયાનું ગ્રીષ્મકાલીન પાટનગર બનાવવામાં આવ્યું. ૧૯૩૯ સુધી તે પંજાબ પ્રાંતનું ગ્રીષ્મકાલીન પાટનગર રહેલું. સ્વતંત્રતા પછી તે પંજાબનું મુખ્યાલય રહેલું અને ત્યારબાદ તે હિમાચલ પ્રદેશનું પાટનગર બન્યું.

કાલકા-સિમલા રેલમાર્ગ (યુનેસ્કોની વિશ્વ-વિરાસતની યાદીમાં સમાવેશ)

રાજ્યનું નામ સિમલા. દેવી કાલીનો અવતાર લેખાતાં શ્યામલા દેવી ઉપરથી તે નામ પડ્યું હોવાનું મનાય છે. તેનો વિસ્તાર ૨૫ ચોકિમી. જેટલો છે અને વસ્તી ૨,૩૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. આ શહેરના જુદા જુદા ભાગો ૨૦૧૨થી ૨,૪૩૮ મીટરની ઊંચાઈ પર વહેંચાયેલા છે. શહેરથી આશરે ૫ કિમી.ને અંતરે જુતોઘ ખાતે લશ્કરી છાવણી આવેલી છે. અહીંના જાન્યુઆરી અને જુલાઈનાં લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે સરેરાશ ૧° સે. અને ૧૯° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧,૬૦૦ મિમી. જેટલો પડે છે. શિયાળા દરમિયાન હિમવર્ષા પણ થાય છે. સિમલા તથા આજુબાજુ આવેલાં જંગલોમાં દેવદાર, રેઝિન, પાઇન, ઓક, ચીલ, કૈલ, ફર, સ્પ્રૂસ અને વાંસનાં વૃક્ષો જોવા મળે છે. ૧૯૦૫થી કાલકા–સિમલા રેલમાર્ગ શરૂ થયો છે. આ નયનરમ્ય રેલમાર્ગ ૮૦૬ પુલો પરથી તથા ૧૦૩ જેટલાં બોગદાંમાંથી પસાર થાય છે. ૨૦૦૮માં આ રેલવેનો યુનેસ્કોની વિશ્વ-વિરાસત(world heritage)ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સડકમાર્ગે પણ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેર ઉત્તર ભારતનું મહત્ત્વનું પ્રવાસન-મથક પણ છે. પ્રવાસન અહીંનો એક મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીં અવરજવર કરતા પ્રવાસીઓે માટે હોટલોની સગવડો ઊભી કરવામાં આવી છે. મૉલ રોડ સિમલાની ખૂબ જાણીતી જગ્યા છે. અહીં મુખ્ય બજાર, રેસ્ટોરાં, પોસ્ટ-ઑફિસ, પ્રવાસન-કાર્યાલય, બૅન્કો તથા થિયેટર આવેલાં છે. સિમલાથી ૨ કિમી. દૂર ૨,૪૩૮ મીટર(૮,૦૦૦ ફૂટ)ની ઊંચાઈએ જખૂ શિખર આવેલું છે. જ્યાંથી હિમાલયનું ખૂબ જ રમણીય દૃશ્ય નજરે પડે છે. અહીં પ્રાચીન હનુમાનમંદિર પણ આવેલું છે. આ ઉપરાંત કાલીબારી-મંદિર તથા તારાદેવી-મંદિર પણ જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિમલા, પૃ. 200)

Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ મોહનલાલ શુક્લ

જ. ૨૨ જૂન, ૧૯૦૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૯૬

કવિ અને વિવેચક તરીકે પ્રસિદ્ધિ પામેલા રામપ્રસાદ શુક્લનું મૂળ નામ રતિલાલ હતું અને ચૂડામાં તેમનો જન્મ થયેલો. તેમનું વતન તો વઢવાણ પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધેલું. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત મુખ્ય વિષય સાથે ૧૯૨૮માં બી.એ. થયા અને પછી લાંબા સમય બાદ ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. આરંભમાં સી. એન. વિદ્યાલયમાં શિક્ષક પછી અમદાવાદની એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયેલા. ૧૯૬૩થી ૧૯૭૩ સુધી ખંભાતની કૉલેજમાં આચાર્ય રહ્યા અને ૧૯૭૩માં નિવૃત્ત થયા. તે પછી અમદાવાદની મહિલા કૉલેજમાં આચાર્ય તરીકે કામગીરી બજાવેલી. ૬૦ સૉનેટનો તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બિન્દુ’ (૧૯૪૩) બચુભાઈ રાવતની માવજત પામીને પ્રગટ થયો હતો. એમાં ‘વિનાશ અને વિકાસ’નાં ૨૫ સૉનેટના ગુચ્છમાં વિશ્વયુદ્ધની ભીષણતા પછીની પ્રફુલ્લતાનું આલેખન કવિના ચિંતક અને કવિ તરીકેના ભાવજગતને વ્યક્ત કરે છે. સંસ્કૃત વૃત્તોનો લયહિલ્લોળ, સહજ પ્રાસાનુપ્રાસ, તાજગીસભર અલંકારો તેમ જ સૉનેટના સ્વરૂપ અપેક્ષિત ભાવવળાંકોથી આ સૉનેટો કલાત્મક થયાં છે. ઘણા લાંબા સમયના અંતરાલ બાદ તેમની ૮૩ વર્ષની વયે ૧૯૯૩માં તેમની પાસેથી ‘સમય નજરાયો’ કાવ્યસંગ્રહ મળે છે. તેમાં પણ ‘સ્મૃતિ’ અને ‘સંસ્કૃતિ’ નામક બે સૉનેટગુચ્છો છે. આ ઉપરાંત તેમાં ગીત, ગઝલ, ભજન, રાસ, મુક્તક તેમ જ કેટલીક દીર્ઘરચનાઓ છે. નિરંજન ભગતે તેમની કવિતાને ‘બુદ્ધિપૂત ઊર્મિની કવિતા’ કહી છે. ‘સરિતાઓના સાન્નિધ્યમાં’ (૧૯૯૩) એ તેમની નદીઓની પદયાત્રાને આલેખતા નિબંધોનો સંગ્રહ છે. કવિ અને પ્રવાસવર્ણનના લેખક ઉપરાંત તેઓ વિદ્વાન વિવેચક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમની પાસેથી ૧૯૪૭ અને ૧૯૪૮ની ગુજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ થતી વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ મળી છે. જેમાં તેમનું વિવેચક પાસું વ્યક્ત થયું છે. ‘આપણું સાહિત્ય’ નામે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનનું (અન્ય સાથે) પુસ્તક પણ મળે છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ (મરણોત્તર) પ્રાપ્ત થયો હતો. અમદાવાદમાં તેમનું અવસાન થયેલું.

Categories
વાચન સમૃદ્ધિ

સંકલ્પને કોઈ સીમા હોતી નથી

માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને  આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.