Categories
વાચન સમૃદ્ધિ

પોનકા કનકમ્મા

જ.  10 જૂન, 1892 અ. 15 સપ્ટેમ્બર, 1963

સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની પોનકા કનકમ્માનો જન્મ નેલ્લોરમાં થયો હતો. તેમનું જીવન દૃઢતા, સંકલ્પ અને ન્યાયની અતૂટ શોધનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેઓ એક સમૃદ્ધ જમીનદારનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન ફક્ત આઠ વર્ષની વયે તેમના મામા સુબ્બારાવ રેડ્ડી સાથે કરવામાં આવ્યાં. પતિ રૂઢિવાદી હોવાને કારણે શાળામાં જઈ અભ્યાસ કરવાની અનુમતિ ન મળી. આથી કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરી ન શક્યાં, પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતાં કનકમ્મા જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતાં હોવાથી જાતે જ સ્વશિક્ષિત બન્યાં. તેઓ તેલુગુ, હિંદી અને સંસ્કૃત ભાષામાં પારંગત બન્યાં. 1916થી 1919 સુધી થોડો સમય ક્રાંતિકારી રાજનીતિના પ્રભાવમાં રહ્યાં. ત્યારબાદ ગાંધીજીનાં અનુયાયી બન્યાં. તેમણે પેન્ના નદીને કિનારે નેલ્લોરથી લગભગ 8 માઈલ દૂર પલ્લીપાડુ ગામમાં 13 એકર જમીન ખરીદી અને તેમના ક્રાંતિકારી મિત્રોને હથિયાર છુપાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે સોંપી દીધી. તેમણે સ્થાપેલા પિનાકિની સત્યાગ્રહ આશ્રમનું ગાંધીજીએ 7 એપ્રિલ, 1921માં ઉદ્ઘાટન કર્યું હતું. કનકમ્માએ વંદે માતરમ્ આંદોલન, અસહયોગ આંદોલન તથા મીઠાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમણે બે વર્ષ કઠોર કારાવાસ ભોગવ્યો હતો. 1923માં તેમણે કન્યાઓ માટે ‘કસ્તૂરી વિદ્યાલયમ્’ની સ્થાપના કરી. નેલ્લોર પાસે પોટલાપુડી ગામમાં ‘સુજના રંજની સમાજમ્’ અને ‘વિવેકાનંદ ગ્રંથાલય’ની સ્થાપના કરી. તેમણે હરિજનો અને ગરીબોના ઉત્કર્ષ માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેઓ નેલ્લોર કૉંગ્રેસ કમિટીનાં પ્રથમ અધ્યક્ષ હતાં. તેઓ એક કવયિત્રી પણ હતાં. તેમણે રમણ મહર્ષિ પર કેટલીક દાર્શનિક કવિતાઓ લખી છે. તેમણે ભગવદ્ગીતાનો સાર તેલુગુમાં ‘જ્ઞાન નેત્રમ્’ નામે અનુવાદિત કર્યો હતો. તેમણે તેલુગુ સાપ્તાહિક પત્રિકા ‘જમીન રાયતુ’ પ્રકાશિત કરી હતી. તેમણે સામાજિક માપદંડોને પડકારીને સમાજના કલ્યાણ તથા ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ માટે તેમને ગૃહલક્ષ્મી સ્વર્ણકંકનમ્ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ્ય પ્રમાણપત્રો

વિશ્વના મહાન નવલકથાકાર, ચિંતક અને નાટકકાર લિયૉ ટૉલ્સ્ટૉય(જ. ઈ. સ. 1828, અ. ઈ. સ. 1910)ને એમના મિત્રએ મીઠો ઉપાલંભ આપતાં કહ્યું કે મેં નોકરી માટે મારા એક પરિચિતને તમારી પાસે મોકલ્યો હતો. એની પાસે અનેક ઊંચી પદવીઓ હતી. અભ્યાસમાં એની કારકિર્દી પણ અત્યંત તેજસ્વી હતી. આટલાં બધાં પ્રમાણપત્રો ધરાવતો હોવા છતાં તમે એમની પસંદગી કરી નહીં. એ તો ઠીક, પરંતુ તમે એ સ્થાન માટે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની પાસે કોઈ ઊંચી પદવી નહોતી કે કોઈ વિશાળ અનુભવ નહોતો, તો મારે જાણવું એ છે કે તમે શા માટે મારા સૂચનનો અનાદર કર્યો અને પદવીધારી યુવાનને નોકરી આપી નહીં? લિયૉ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘મેં જેની પસંદગી કરી, તેની પાસે અમૂલ્ય પ્રમાણપત્રો હતાં. એવાં પ્રમાણપત્રો કે જે કૉલેજ કે યુનિવર્સિટી દ્વારા મળ્યાં ન હોય; પરંતુ જીવનની પાઠશાળામાંથી મેળવેલાં હોય.’ ટૉલ્સ્ટૉયનો મિત્ર મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું, ‘મને તો એવી કોઈ જીવનની પાઠશાળાની ખબર નથી કે જે આવાં પ્રમાણપત્રો આપતી હોય.’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘જુઓ, તમે જે વ્યક્તિને મોકલી હતી, એણે પ્રવેશતાંની સાથે જ ધડાધડ પોતાનાં પ્રમાણપત્રો બતાવવા માંડ્યાં, પોતાને વિશે મોટી બડાશ હાંકવા લાગ્યો. તમારી સિફારિશનો પણ ઉલ્લેખ કર્યો અને જાણે ઉપકાર કરતો હોય એ રીતે એણે કહ્યું કે તમે મને નોકરીમાં રાખશો, તો તમને ઘણો લાભ થશે.’ મિત્રએ પૂછ્યું, ‘તમે જેને નોકરીમાં રાખ્યો, એણે શું કર્યું ?’ ટૉલ્સ્ટૉયે કહ્યું, ‘ખંડમાં પ્રવેશતાં પૂર્વે એણે અમારી પરવાનગી માગી. બારણું અથડાય નહીં એ રીતે એને ધીમેથી બંધ કર્યું. એનાં કપડાં સામાન્ય હતાં; પરંતુ અત્યંત સ્વચ્છ હતાં. અમારી રજા માગીને એ ખુરશી પર બેઠો અને આત્મવિશ્વાસથી પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના જવાબો વ્યવસ્થિત અને સચ્ચાઈપૂર્ણ હતા. એનામાં પ્રગતિ કરવાની એક ધગશ હતી. આવી ગુણસંપન્ન વ્યક્તિની પાસે કોઈની સિફારિશ કે મોટી મોટી પદવીઓ ન હોય તેથી શું ? હવે તમે જ કહો કે મેં યોગ્ય વ્યક્તિની પસંદગી કરી ને.’

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર ગાંધી

જ. 9 જૂન, 1937 અ. 13 જૂન, 2007

અગ્રણી દાર્શનિક મહાત્મા. મહાત્મા ગાંધીજીના પૌત્ર. રામચંદ્રના પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી (રાજાજીનાં પુત્રી). તેમણે સ્નાતક સુધીનું શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચશિક્ષણ સેન્ટ સ્ટીવન્સ કૉલેજ, દિલ્હી અને પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં મેળવ્યું હતું. તેમણે અનુસ્નાતક સ્તરથી પ્રથમ પદવી ભૌતિકશાસ્ત્રમાં મેળવી, પછી દિલ્હીની સેન્ટ સ્ટીવન્સ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રની અનુસ્નાતકની પદવી મેળવી. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફીની પદવી મેળવી હતી. તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રનું ડિપાર્ટમેન્ટ સ્થાપ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટી ઉપરાંત ઇંગ્લૅન્ડની સાઉધમ્પટન યુનિવર્સિટી, અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી, રવીન્દ્રનાથ ઠાકુરે સ્થાપેલી શાંતિનિકેતન યુનિવર્સિટી અને હૈદરાબાદ ખાતેની કેન્દ્રીય યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમનું હિંદી અને અંગ્રેજી ભાષાઓ પર અદ્ભુત પ્રભુત્વ હતું. ‘રામુ’ નામના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતા થયેલા રામચંદ્રની દર્શનશાસ્ત્ર વિષય પરની પકડથી પશ્ચિમના દાર્શનિકો વ્હાઇટહેડ અને લુડવિંગ વિટેન્સ્ટેન તથા ભારતના મહર્ષિ અરવિંદ અને રમણ મહર્ષિ પણ પ્રભાવિત થયેલા. ઉપનિષદોની બારીકાઈનો ઊંડાણથી અભ્યાસ કરી દર્શનશાસ્ત્ર જેવા જટિલ વિષય પરનાં તેમનાં પ્રવચનોથી શ્રોતાઓ દિગ્મૂઢ થઈ જતા. તેમણે લખેલાં પુસ્તકોમાં તેમની પ્રતિભા જણાઈ આવે છે. 1976માં ‘ધ અવેલેબિલિટી ઑવ્ રિલિજિયસ લૅંગ્વેજ’, 1984માં ‘આઈ એમ ધાઉ’, 1992માં ‘સિતાઝ કિચન : અ ટેસ્ટીમોની ઑફ ફેઇથ ઍન્ડ ઇન્કયારી’, 2003માં ‘સ્વરાજ – અ જર્ની વિથ તૈયબ મહેતાઝ શાંતિનિકેતન ત્રિપ્ટીચ’ અને 2005માં ‘મુનિયાઝ લાઇટ : અ નેરેટિવ ઑફ ટ્રૂથ ઍન્ડ મિથ’ તેનાં ઉદાહરણો છે.