Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણકળશની સમસ્યા

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. 337, અ. ઈ. 422) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ-વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું? રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, ‘તમે તમારી વાત કરો.’ એણે કહ્યું, ‘અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’ ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.

Categories
વાચન સમૃદ્ધિ

માણિક બંધોપાધ્યાય

જ. 19 મે, 1908 અ. 3 ડિસેમ્બર, 1956

વીસમી સદીના પ્રખ્યાત બંગાળી નવલકથાકાર અને વાર્તાકારનો જન્મ દુમકા, બિહાર(હાલમાં ઝારખંડ)માં થયો હતો. તેમનું મૂળ નામ પ્રબોધ કુમાર, પણ હુલામણું નામ માણિક હતું. શાળામાં તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. 1928માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગણિતના વિષય સાથે બી.એસસી. કર્યું. ત્યારબાદ જીવનમાં કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતાં કૉલેજ છોડી દેવી પડી. મિત્રોનો પડકાર ઝીલતાં તેમણે એક વાર્તા લખી – ‘અતશીમામી’, જે પ્રતિષ્ઠિત માસિક ‘વિચિત્ર’માં પ્રકટ થઈ અને તેઓ બંગાળી વાચકોમાં પ્રસિદ્ધ બની ગયા. 1935માં તેમની પ્રથમ નવલકથા ‘જનની’ પ્રગટ થઈ અને તે જ વર્ષે ‘અતશીમામી અને અન્ય વાર્તાઓ’નો સંગ્રહ પ્રગટ થયો. 1936માં તેમની સૌથી લોકપ્રિય બે નવલકથાઓ ‘પદ્માનદીર માંઝી’ અને ‘પુતલનાચેર’ પ્રકાશિત થઈ, જે દુનિયાના પીડિતો અને દલિતો વાસ્તવિક પ્રતિનિધિના રૂપમાં આવે છે. 1941માં તેમણે ‘અહિંસા’ લખી જેમાં જે ધર્મને અસંખ્ય લોકો પાળી રહ્યા હતા તેની પોકળતા ઉઘાડી પાડી છે. વળી બીજા વિશ્વયુદ્ધના સમયે લોકો જે સંદેહમાં જીવન જીવતા હતા તેનો ચિતાર રજૂ કર્યો છે. તેઓએ માર્કસ, લેનિન અને સ્ટાલિન જેવા સોશિયાલિસ્ટ ફિલસૂફોની ફિલૉસૉફીથી પ્રભાવિત થઈ 1944માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બનવાનું પસંદ કર્યું, જે જીવનભર નિભાવ્યું. 1945માં ‘દર્પણ’ની રચના થઈ જેમાં જુદા જુદા સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ આલેખ્યો છે. આ ઉપરાંત ‘આદાયેર ઇતિહાસ’ (1947), ‘માટિર મશૂલ’(1948)ની વાર્તાઓમાં આઝાદી પછીના વ્યાપક ભ્રમનિરસનનું ચિત્રણ છે. ‘સ્વાધીનતાનો સ્વાદ’ (1951), ‘સોનાર ચેયે દામી’, ‘આરોગ્ય’ નવલકથાઓની રચના કરી છે. અઠ્ઠાવીસ વર્ષની સાહિત્યિક સફરમાં તેમણે 38 નવલકથાઓ, 306 વાર્તાઓ, નાટક, કવિતાઓ અને નિબંધોની રચના કરી હતી. તેમની નવલકથાઓ ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પણ અનૂદિત થયેલી છે. તેમની નવલકથા ‘પદ્માનદીર માંઝી’ (બોટમૅન ઑફ પદ્મા) 7-8 ભારતીય ભાષાઓમાં, ત્રણ વાર અંગ્રેજી ભાષામાં તથા સ્વીડિશ, ઝેક, જર્મન, હંગેરિયન, ચાઇનીઝ, બલ્ગેરિયન, રશિયન તથા ફ્રેન્ચ ભાષાઓમાં અનૂદિત થઈ છે. લગભગ 70 જેટલી ટૂંકી વાર્તાઓ ભારતીય અને બીજી વિદેશી ભાષાઓમાં અનુવાદ પામી છે.

Categories
વાચન સમૃદ્ધિ

આગ્રા

મુઘલ શાસકોના સમયનું ભારતનું જાણીતું શહેર.

તે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૭° ૧૧´ ઉ. અ. અને ૭૮°  ૦૧´ પૂ. રે. છે. આગ્રા જિલ્લાની વસ્તી ૫૫,૧૦,૦૦૦ લાખ (૨૦૨૫, આશરે) અને આગ્રા શહેરની વસ્તી ૨૩,૧૭,૦૦૦ (૨૦૨૫, આશરે) છે. જિલ્લાનો વિસ્તાર ૪,૦૨૭ ચોકિમી. છે. આ જિલ્લામાં યમુના નદીનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે ‘આગ્રી’ નામે એક ગામ વસેલું હોવાનો ઉલ્લેખ મળે છે. લાલ કિલ્લો દિલ્હીમાં બંધાયો તે પહેલાં ઈ. સ. ૧૫૬૫માં અકબરે અહીં બાંધ્યો હતો. એ લાલ કિલ્લા પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં હતો તેમ કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષો સુધી આગ્રા તેનું પાટનગર રહ્યું હતું.

આગ્રાનો કિલ્લો

આગ્રામાં લાલ કિલ્લા ઉપરાંત કલાકારીગરીની રીતે બેનમૂન એવી ‘ઇદમતદોલા’ કબર છે. અહીંની આધુનિક સમયમાં બંધાઈ રહેલી ‘દયાલબાગ’ની ઇમારત પણ જોવાલાયક છે. તે રાધાસ્વામી સંપ્રદાયના ગુરુની સમાધિ છે. આગ્રા શહેર દિલ્હીથી અગ્નિકોણમાં ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. તે સૌથી વધુ તો તાજમહેલ માટે જાણીતું છે. તાજમહેલ સત્તરમી સદીમાં શાહજહાંએ બંધાવ્યો હતો. અહીંના લાલ કિલ્લામાંની મોતી મસ્જિદ પ્રખ્યાત છે. આગ્રા શહેરથી વાયવ્યે સિકંદરા ખાતે અકબરનો મકબરો તથા શહેરથી નૈઋત્યે ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રી આવેલાં છે. આગ્રા માર્ગ અને રેલવ્યવહારથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. હિંદુ ધર્મના રાધાસ્વામી સંપ્રદાયનું તે મોટું મથક છે. આગ્રા શહેરમાં ઈ. સ. ૧૯૨૭માં સ્થપાયેલી યુનિવર્સિટી છે. આગ્રાના ગાલીચાઓ, સોના તથા ચાંદી પરનું જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વવિખ્યાત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1