Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાપુર

પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે. શહેરની આસપાસ સપાટપ્રદેશ છે. દામોદર અને ગંગાની નહેરનો તેમાં સિંચાઈ માટે ઉપયોગ થાય છે, જેને લીધે મબલક પાક થાય છે. ડાંગર, શેરડી, ઘઉં, તેલીબિયાં મુખ્ય પાક છે. દુર્ગાપુર મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે.

1962માં અહીં ઇંગ્લૅન્ડની સહાયથી 10 લાખ ટન પોલાદ ઉત્પન્ન કરતું કારખાનું સ્થપાયું હતું. રાણીગંજ અને ઝરિયાનાં કોલસાનાં ક્ષેત્રો આ શહેર નજીક આવેલાં છે. બિહાર, ઝારખંડ અને ઓરિસાની લોખંડની કાચી ધાતુ તથા ચૂનાના પથ્થરો અહીં ઉપલબ્ધ છે. ત્યાંના કારખાનાને બે થર્મલ વિદ્યુતમથકો વીજળી પૂરી પાડે છે. ત્યાંના પોલાદના કારખાનાનું વિસ્તૃતીકરણ થયું છે. આ કારખાના ઉપરાંત કોલસા ધોવાનું કારખાનું, મિશ્રધાતુઓ અને વિશિષ્ટ પોલાદના ઉત્પાદન માટેનું કારખાનું, ઈંટ અને નળિયાં બનાવવાનો ઉદ્યોગ, કોલસાની ખાણ માટેનાં યંત્રો, સિમેન્ટ વગેરે માટે ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ શહેર આસનસોલ બર્દવાન માર્ગ પરનું રેલવે-મથક છે. ઉપરાંત, કૉલકાતા, બર્દવાન અને આસનસોલ સાથે તે જમીનમાર્ગે જોડાયેલું છે. નહેરથી જોડાયેલું નજીકનું બંદર કૉલકાતા છે. આમ, દુર્ગાપુર વાહનવ્યવહારની સારી સગવડ ધરાવે છે. અહીં બર્દવાન યુનિવર્સિટી સાથે જોડાયેલી ઇજનેરી કૉલેજ, એક સરકારી કૉલેજ તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંલગ્ન સંગીત મહાવિદ્યાલય છે. શહેરની વસ્તી આશરે 7,50,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અબ્દુલ હમીદ

જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં  રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિષય : My RADIO My LIFE

વક્તા : શ્રી મકરન્દ વાઈકર (પુણે)

(ટેલિવિઝન, મોબાઇલ અને સોશિયલ મીડિયા પૂર્વે આપણા કુટુંબના
સભ્ય સમાન રેડિયો વિશેની ડૉક્યુમેન્ટરી. 36 દેશોમાં 80 ફિલ્મ ફેસ્ટિવલમાં
રજૂ થયેલી આ વિષય પરની સર્વપ્રથમ ઍવૉર્ડવિજેતા ડૉક્યુમેન્ટરી)

આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયાના સંદર્ભમાં શ્રી ત્રિલોક સંઘાણીનું વક્તવ્ય

4 જુલાઈ, 2026

સમય : સાંજે – 5-00 વાગ્યે