Categories
વાચન સમૃદ્ધિ

ડોડા

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે ૩૨° ૫૩´ ઉ. અ.થી ૩૪° ૨૧´ ઉ. અ. અને ૭૫° ૧´ પૂ. રે.થી ૭૬° ૪૭ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે. સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૧૦૭ મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – આબોહવા- વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા ૬૦૦ મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે. આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ ૯૨૬ મિમી. જ્યારે બરફવર્ષા ૧૩૫ મિમી. રહે છે. અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

ચંડીમાતાનું મંદિર

અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર, મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે ૬૦૦૦ ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. આ જિલ્લાની ૮૧૯૩ હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે ૬૦૨૯ હેક્ટર ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે. પરિવહન – પ્રવાસન : જમ્મુથી ૧૭૫ કિમી. અને શ્રીનગરથી ૨૦૦ કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસૉર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. વસ્તી : આ જિલ્લાની વસ્તી (૨૦૨૫ મુજબ) ૪,૯૦,૨૮૩ છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૬૮% છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ખંડ-૮ અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોડા/)

Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય નરેન્દ્રદેવ

જ. ૩૦ ઑક્ટોબર, ૧૮૮૯ અ. ૧૯ ફેબ્રુઆરી, ૧૯૫૬

ભારતના પ્રમુખ સ્વાતંત્ર્યસેનાની, સાહિત્યકાર, પત્રકાર તથા શિક્ષાવિદ નરેન્દ્ર દેવનો જન્મ ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ખત્રી પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સ્વામી રામતીર્થ, પંડિત મદનમોહન માલવીય અને પંડિત દીનદયાળ શર્માના સંપર્કમાં રહેવાનો મોકો મળેલો. આથી મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિ અનુરાગ. તેમણે અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની ઉપાધિ મેળવેલી, પછી કાશીની ક્વીન્સ કૉલેજમાં પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. ૧૯૧૩માં એમ.એ.ની ઉપાધિ પણ મેળવી. રાજનીતિમાં રસ ધરાવતા હોવા છતાં પરિવારના આગ્રહથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૦ સુધી ફૈજાબાદમાં વકીલાત કરી. દેશમાં અસહયોગ આંદોલનના પ્રારંભ પછી જવાહરલાલની સૂચના અને મિત્ર શિવપ્રસાદ ગુપ્તના આમંત્રણથી કાશી વિદ્યાપીઠ આવ્યા. અહીં ડૉ. ભગવાનદાસની અધ્યક્ષતા હેઠળ કાર્ય શરૂ કર્યું અને ૧૯૬૨માં પોતે પણ અધ્યક્ષ બન્યા. ત્યારથી આચાર્યની ઉપાધિ તેમના નામનું એક અંગ બની ગઈ. નાદુરસ્ત તબિયત રહેતી હોવા છતાં ૧૯૩૦માં ‘મીઠાના સત્યાગ્રહ’ તથા ૧૯૩૨માં આંદોલનમાં ભાગ લીધો આથી કારાવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જયપ્રકાશ નારાયણ, ડૉ. રામમનોહર લોહિયા તથા અન્ય સહયાગીઓ સાથે મળીને કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. ૧૯૪૮માં પાર્ટીના સંમેલનમાં અધ્યક્ષતા કરી. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉત્તરપ્રદેશની માધ્યમિક શિક્ષા સમિતિની અધ્યક્ષતા કરી ઘણાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. સંસ્કૃત ભાષા ભણાવવાનો તેમનો આગ્રહ રહેતો. બૌદ્ધ ધર્મના અનુરાગી હોવાથી ‘અભિધર્મકોશ’ પ્રકાશિત કરાવ્યું હતું. ‘અભિધમ્મત્થસંહહો’નું હિંદી ભાષાંતર કરેલું. વળી પ્રાકૃત તથા પાલિ વ્યાકરણ હિંદીમાં તૈયાર કર્યું હતું પણ આકસ્મિક નિધન થવાથી અમુક રચનાઓ પ્રાપ્ત થતી નથી. તેઓએ ‘વિદ્યાપીઠ’ ત્રૈમાસિક પત્રિકા, ‘સમાજ’ ત્રૈમાસિક, ‘જનવાણી’ માસિક, ‘સંઘર્ષ‘ અને ‘સમાજ’ સાપ્તાહિકોનું સંપાદન કરેલું. તેમની રચનાઓમાં સમાજવાદ, રાષ્ટ્રીયતા અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યપણે રહેતા.

Categories
વાચન સમૃદ્ધિ

હિંમત ન હારશો

સ્ટિફન ઍડવિન કિંગ(જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો સાંભળવાના બેહદ શોખીન આ છોકરાને મન થયું કે આ સાંભળવા મળતી સઘળી વાતોને એક કાગળ ઉપર ઉતારી લઉં તો ! પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ હોવા છતાં એ પરાજિત થયો નહીં અને એમાં વળી એણે સિન્ડ્રેલાની વાર્તા વાંચી. ખૂબ પસંદ પડી. એણે આવી એક કાલ્પનિક છોકરી વિશે વિચાર કર્યો અને પોતાની કલ્પનાઓને વાસ્તવિકતાથી સજાવીને એક આખી નવલકથા લખી નાખી. નવલકથા પૂરી થયા પછી એણે વાંચી, તો લાગ્યું કે આવી ચમત્કાર ભરેલી અને ડરામણી નવલકથા વાંચશે કોણ ? આમ વિચારીને એણે નવલકથાની હસ્તપ્રતને કચરાપેટીને હવાલે કરી દીધી. એની પત્નીની નજર સ્ટિફનની આ હસ્તપ્રત પર પડી અને એણે કચરાની ટોપલીમાંથી હસ્તપ્રત બહાર કાઢીને પતિને ઉત્સાહ આપતાં કહ્યું, ‘તમારી આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થશે, ત્યારે એને ખૂબ ખ્યાતિ મળશે.’ પત્નીની વાતનો સ્વીકાર કરીને સ્ટિફન નવલકથાની હસ્તપ્રત લઈને પ્રકાશકોને મળવા લાગ્યો. ઘણાએ વ્યંગ સાથે એની આ નવલકથા પરત કરી. અંતે ડબલડે નામના પ્રકાશન સમૂહને એ નવલકથા મોકલી. સ્ટિફન કિંગને એમ જ હતું કે નવલકથા હસ્તપ્રત પાછી જ આવશે, પરંતુ ડબલડેએ આ નવલકથાને ‘કેરી’ના નામથી પ્રગટ કરી અને સ્ટિફનને ચારસો ડૉલર પારિશ્રમિક આપ્યું. એ પછી સ્ટિફનનું નસીબ પલટાઈ ગયું. પેપરબેક પ્રગટ કરવા માટેના હક્ક એક પ્રકાશકે બે લાખ ડૉલર આપીને ખરીદી લીધા અને સ્ટિફન ‘હોરરના બાદશાહ’ તરીકે અમેરિકામાં પ્રસિદ્ધ થયા. સ્ટિફન કિંગનાં પુસ્તકોની અત્યાર સુધીમાં ત્રણ કરોડ અને પચાસ લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને એમાંનાં ઘણાં પુસ્તકો પરથી ફીચર ફિલ્મ, કૉમિક બુક અને ટેલિવિઝન ધારાવાહિક પણ થઈ છે.