Categories
વાચન સમૃદ્ધિ

ભૂલાભાઈ દેસાઈ

જ. ૧૩ ઑક્ટોબર, ૧૮૭૭ અ. ૬ મે, ૧૯૪૬

વિદ્વાન વકીલ અને સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈનો જન્મ અનાવિલ પરિવારમાં થયો હતો. પિતા જીવણજી અને માતા રમાબાઈ. તેમણે શાળેય શિક્ષણ વલસાડની અવાબાઈ હાઈસ્કૂલ અને મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ સ્થાને પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવી વર્ડ્ઝવર્થ પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. નોકરી દરમિયાન એલએલ.બી. થયા. ૧૯૦૫માં મુંબઈમાં વકીલાત શરૂ કરી. ૧૯૧૬માં તેઓ હોમરૂલ લીગમાં જોડાયા. થોડાં વર્ષો લિબરલ પાર્ટીના સભ્ય પણ રહ્યા. ૧૯૨૮માં ભારતમાં બંધારણીય સુધારાઓ માટેના સાયમન કમિશનનો તેમણે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ તેમણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કરી જોરદાર રજૂઆત કરી જેથી ખેડૂતોને લાભ થયો. તેઓ ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાયા. વિલાયતી માલના બહિષ્કાર માટે મુંબઈ સ્વદેશી સભાની સ્થાપના કરી. સરકારે ૨૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. ૧૯૩૪-૩૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને ભારતીય સૈનિકોના સમાવેશનો તેમણે વિરોધ કર્યો. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, આથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને દસ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૫માં વચગાળાની સરકારની રચના માટે તેમણે મુસ્લિમ લીગના લિયાકત અલીખાન સાથે વાટાઘાટો કરી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના શાહ નવાઝખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરુબક્ષસિંહ ધિલ્લોન પર રાજદ્રોહના કેસમાં તેમણે બચાવપક્ષના વકીલ તરીકે અભ્યાસપૂર્ણ દલીલો કરી હતી. મોતીલાલ સેતલવાડે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. મુંબઈમાં તેમના નામે રોડનું નામાભિકરણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

સ્પીકર (અયક્ષ)

પ્રત્યેક ધારાસભા કે વિધાનસભા-ગૃહના સંચાલક મુખ્ય પદાધિકારી –અધ્યક્ષ. ભારતમાં સંસદનાં ગૃહો તેમ જ રાજ્યોનાં ધારાગૃહોના મુખ્ય સંચાલનના વ્યવસ્થાપનની જવાબદારી તેઓ અદા કરે છે. સ્પીકર(અધ્યક્ષ)-પદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. ૧૩૭૭માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ સ્પીકર થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા તેમ ગૃહના નિર્ણયની જાણ તેઓ રાજાને કરતા.

ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર,  લોકસભા-ગૃહ, દિલ્હી

લોકસભા કે વિધાનસભાના ૩ સ્તંભો મનાય છે : ૧. સ્પીકર (અયક્ષ), ૨. વડાપ્રધાન/મુખ્યપ્રધાન અને ૩. વિરોધપક્ષના નેતા. સ્પીકરનું સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું હોય છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. એક પ્રણાલી અનુસાર જો સ્પીકરના હોદ્દાધારી પદાધિકારી નવી ચૂંટણી વખતે ઉમેદવારી કરે તો તેની સામે અન્ય કોઈ પક્ષ ઉમેદવાર ઊભા રાખતા નથી અને તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે સ્પીકરે (અધ્યક્ષે) પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી સ્પીકરનું પદ ચાલુ રહે છે; તેમ છતાં સ્પીકરને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે સ્પીકરને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભાના સ્પીકર કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકાય છે. સ્પીકરની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમ જ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેમની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમ જ પ્રસ્તાવોની રજૂઆત તથા ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. સ્પીકર-પદની ગરિમા, માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમ જ પ્રત્યેક ગૃહના સભ્યની ફરજ છે.

અમલા પરીખ

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્પીકર (અધ્યક્ષ), પૃ. ૮૦)

Categories
વાચન સમૃદ્ધિ

પ્રહલાદ પારેખ

જ. ૧૨ ઑક્ટોબર, ૧૯૧૨ અ. ૨ જાન્યુઆરી, ૧૯૬૨

અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌંદર્યનિષ્ઠ કવિતાના સર્જક તરીકે પ્રતિષ્ઠિત થયેલા પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ મંગળાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં લીધેલું. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીનો તેમના વ્યક્તિત્વઘડતરમાં નોંધપાત્ર ફાળો હતો. ઈ. સ. ૧૯૩૦ની સ્વાતંત્ર્યચળવળમાં જોડાવા અભ્યાસ છોડ્યો. જેલવાસ ભોગવ્યો. ફરી અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિની ‘વિનીત’ની પરીક્ષા પાસ કરી. પછી વધુ અભ્યાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યા. ત્યાંથી ૧૯૩૩માં શાંતિનિકેતન જઈ ચાર વર્ષ ભણ્યા. ત્યાં રવીન્દ્રનાથના સહવાસને કારણે કાવ્યસર્જનની પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યૂપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. બીજે વરસે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. ૧૯૪૫થી મુંબઈની મૉડર્ન હાઈસ્કૂલમાં જોડાયા અને છેક સુધી ત્યાં રહ્યા. રાષ્ટ્રીય ચેતનાવાળા ગાંધીયુગના માહોલમાં તેમણે સૌંદર્યાભિમુખ કાવ્યોનો સંગ્રહ ‘બારીબહાર’ (૧૯૪૦) આપ્યો. સૌંદર્યાભિમુખતા એ નવીન કવિતાનું એક લક્ષણ ગણાય છે. એ પછી તેમની પાસેથી ૧૯૪૮માં ‘સરવાણી’ નામે ગીતસંગ્રહ મળે છે. ગીતસ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. ‘આજે’, ‘વિદાય’, ‘પરાજયની જીત’ વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. ઉમાશંકર જોશીએ તેમની કવિતાને ‘નીતરા પાણી’ જેવી કહીને વખાણી છે. ‘ગુલાબ અને શીવલી’ એ ભાઈ-બહેનની કરુણમંગલ ગદ્યકથા છે. તેમણે કેટલીક નવલકથાઓના અનુવાદો પણ આપ્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમણે આપેલી પરિચયપુસ્તિકા છે. તેમણે લાંબી બાળવાર્તાઓ અને ‘તનમનિયાં’માં બાળકાવ્યો પણ આપ્યાં છે.

તેમનું અવસાન મુંબઈમાં થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી