Categories
વાચન સમૃદ્ધિ

બોમ્બી રેડ્ડી નાગી રેડ્ડી

જ. 2 ડિસેમ્બર, 1912 અ. 25 ફેબ્રુઆરી, 2004

હિન્દી અને તેલુગુ ફિલ્મોના નિર્માતા અને પ્રકાશક બી. નાગી રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના પોટ્ટિપાડુ ગામમાં થયો હતો. બાળપણમાં તેમનો ઉછેર તેમનાં નાના-નાની દ્વારા થયો હતો. તેમને બાળપણથી જ કલા પ્રત્યે લગાવ હતો. તેમણે  ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ ફાઇન આર્ટસમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં વિજયાવાહિણી સ્ટુડિયોની સ્થાપના કરી, જે એ વખતનો એશિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો હતો. તેમણે અલુરી ચકપાણી સાથે મળીને ચાર દાયકામાં ચાર દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં પચાસથી વધુ ફિલ્મો બનાવી. પૌરાણિક અને ઐતિહાસિક કથાવસ્તુઓ એ તેમની ફિલ્મોની વિશેષતા હતી. તેઓ ‘આંધ્રજ્યોતિ’ અને ‘ધ હેરિટેજ’ સામયિકોના પ્રકાશક હતા. તેમણે 1947માં બાળકોનું સામયિક ‘ચાંદામામા’ની શરૂઆત કરી. આ સામયિક ભારતની બાર ભાષાઓમાં પ્રગટ થાય છે. તેમણે 1972માં વિજયા મેડિકલ ઍન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા મલ્ટિસ્પેશિયાલિટી વિજયા હૉસ્પિટલ શરૂ કરી. તેમણે બે વખત ફિલ્મ ફેડરેશન ઑવ્ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. તેમણે ચાર ટર્મ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચેમ્બર ઑવ્ કૉમર્સ અને બે ટર્મ ઑલ ઇન્ડિયા ફિલ્મ સંમેલનના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેઓ 1980થી 1983 સુધી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ હતા. તેમણે ‘મિસ્સામ્મા’, ‘માયા બજાર’, ‘પૈગામ’, ‘ગુંડમ્મા કથા’, ‘રામ ઔર શ્યામ’, ‘સ્વર્ગનરક’, ‘યહી હૈ જિંદગી’, ‘જુલી’, ‘સ્વયંવર’ જેવી નોંધપાત્ર અને યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘મદુવે મદીનોડુ’ ફિલ્મ માટે કન્નડમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા ‘માયાબજાર’ અને ‘ગુંડમ્મા કથા’ ફિલ્મ માટે તેલુગુ ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. 1986માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1972 તમિળનાડુ સરકારે ક્લાઈમામણિ પુરસ્કાર અને 1987માં આંધ્રપ્રદેશ સરકારે રઘુપતિ વેંકૈયા પુરસ્કારથી તેમને નવાજ્યા હતા. શ્રી કૃષ્ણદેવરાય યુનિવર્સિટી અને શ્રી વેંકેટેશ્વર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી. તેમની સ્મૃતિમાં 23 ફેબ્રુઆરી, 2018ના રોજ ભારતીય ટપાલખાતાએ પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

તરણેતરનો મેળો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી છ માઈલ દૂર આવેલા તરણેતરમાં ભરાતો મેળો. જંગલમાં તરણેતરનું પ્રાચીન મંદિર છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. અહીં તરણેતર (ત્રિનેત્રેશ્વર) મહાદેવનું દસમા સૈકાનું કલાપૂર્ણ મંદિર છે. આ ભૂમિ દેવપાંચાલ તરીકે જાણીતી છે. અર્જુને અહીં મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું એવી લોકવાયકા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના નામ ઉપરથી આ ગામનું નામ અપભ્રંશ થઈને તરણેતર પડ્યું છે. અહીં ભાદરવા મહિનામાં ત્રણ દિવસનો મેળો ભરાય છે. તેની ખ્યાતિ સમગ્ર રાષ્ટ્રમાં વિસ્તરેલી છે. ગાન, વાદન ને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કીર્ણ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે. આજે પણ સૌરાષ્ટ્રભરનાં લોકનૃત્ય જાણીતાં છે. આ મંદિરના પ્રાંગણમાં મેળો ભરાય છે તેથી તે મંદિરના નામ કરતાં તરણેતરના મેળાના સ્થાન તરીકે જાણીતું બન્યું છે.

તરણેતરનો મેળો

આ મેળામાં કોળણ સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી ચગે છે, જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી કોળણોમાં રાસડા આકર્ષક હોય છે. ભરવાડોના રાસમાં 30થી 60 સ્ત્રી-પુરુષો હોય છે. અહીં રાસદાંડિયા રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ઠોકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. પઢારોના જેવી જ સ્ફૂર્તિ કોળી લોકોમાં હોય છે. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ મદ્રાસીઆની આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય. છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં, રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ, જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય. આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે  પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રીપુરુષો અનેરો રંગ જમાવે છે. રાસમાં કોળીઓ જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય. તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દૃષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

મેજર શૈતાનસિંહ ભાટી

જ. 1 ડિસેમ્બર, 1924 અ. 18 નવેમ્બર, 1962

ચીન સાથેના યુદ્ધ સમયે અજોડ પરાક્રમ કરનાર મેજર શૈતાનસિંહનો જન્મ જોધપુર જિલ્લાના બંસાર ગામમાં થયો હતો. પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમસિંહ અને માતા જવાહરકુંવર. પિતાને બ્રિટિશ સરકારે ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર(OBE)થી સન્માનિત કર્યા હતા. ચોપાસણીની રાજપૂત હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જોધપુરની જશવંત કૉલેજમાંથી સ્નાતક થયા. તેઓ સારા ફૂટબૉલ ખેલાડી હતા. સ્નાતક થયા પછી જોધપુર સ્ટેટના દળમાં અધિકારી તરીકે જોડાયા. આઝાદી પછી જોધપુર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું, આથી તેમને કુમાઉ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. તેમણે 1961માં ‘નાગા હિલ્સ ઑપરેશન’ અને ગોવાના ભારતમાં જોડાણ માટે ‘ઑપરેશન વિજય’માં ભાગ લીધો હતો.  તેમને 1955માં કૅપ્ટન અને 1962માં મેજરના પદ પર બઢતી આપવામાં આવી હતી. 1962માં ચીન સાથેના યુદ્ધ વખતે કુમાઉ રેજિમેન્ટની 13મી બટાલિયનની સી કંપની રેઝાંગ લા ખાતે તૈનાત હતી. મેજર શૈતાનસિંહ તેનું નેતૃત્વ કરતા હતા. 18 નવેમ્બર, 1962ની સવારે પાંચ વાગ્યે ચીની લશ્કરે હુમલો કર્યો, જેમાં ઘણા ચીની સૈનિકો માર્યા ગયા. એ પછી સવારે 5:40 વાગ્યે આગળની અને પાછળની બાજુઓથી ચીની સૈનિકોએ ફરી હુમલો કર્યો. આ હુમલામાંથી 7મી અને 8મી પ્લાટૂનના બધા સૈનિકો શહીદ થયા. યુદ્ધ દરમિયાન શૈતાનસિંહ ભારતીય પોસ્ટ વચ્ચે સંકલન કરી સૈનિકોને પ્રોત્સાહન આપતા હતા. ચીની સૈનિકોમાં મોટી સંખ્યા હતી અને ભારતીય જવાનો ઓછા હતા. તેઓ એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ પર જતા હતા ત્યારે દુશ્મનની ગોળીથી ઘવાયા. તેમના હાથ અને પગમાં ગોળીઓ વાગી. તેમણે સાથીઓને આગળ વધવા કહ્યું. ભારતીય સૈનિકો છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આ યુદ્ધમાં 123 ભારતીય સૈનિકોમાંથી 109 શહીદ થયા. યુદ્ધવિરામ પછી રોઝાંગ લા વિસ્તાર No man’s land જાહેર થયો. ત્રણ મહિના પછી મેજર શૈતાનસિંહ અને સાથી સૈનિકોના બરફથી ઢંકાયેલા મૃતદેહો મળી આવ્યા. તેમના પાર્થિવ દેહને જોધપુર લાવવામાં આવ્યો અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુદ્ધમાં તેમણે દર્શાવેલ બહાદુરીભર્યું પરાક્રમ અને ફરજનિષ્ઠા બદલ 1963માં તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની સ્મૃતિમાં તેમના બંસાર ગામનું નામ શૈતાનસિંહનગર કરવામાં આવ્યું.