Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાસાગર આચાર્ય

જ. ૧૦ ઑક્ટોબર, ૧૯૪૬ અ. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૪

એક પ્રભાવશાળી ભારતીય દિગંબર જૈન આચાર્ય. કન્નડભાષી જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ મલ્લપ્પા હતું. પિતા પછીથી મુનિ મલ્લિસાગર બનેલા. માતાનું નામ શ્રીમતી. સમય જતાં તેઓ આર્યિકા સમયમતિ બન્યાં હતાં. બાળપણનું નામ વિદ્યાધર હતું. ૧૯૬૮માં તેમને ૨૨ વર્ષની ઉંમરે અજમેરમાં આચાર્ય જ્ઞાનસાગરે દિગંબર સાધુ તરીકે દીક્ષા આપી હતી. તેઓ આચાર્ય શાંતિસાગરના વંશના હતા. તેમનાં માતા, પિતા, બહેનોએ પણ દીક્ષા લીધી હતી. તેમના ભાઈઓ પણ તેમના અનુસરણમાં આવ્યા અને તેમને પણ દીક્ષા આપવામાં આવી. આચાર્ય વિદ્યાસાગરે દિગંબર જૈન ધર્મમાં શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પુનરુત્થાનનું કાર્ય કરેલું. તેઓ નાનાં ભાઈ-બહેનોને ધર્મના સિદ્ધાંતો શીખવતા. ૧૯૭૨માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેઓ વિહાર કરતા હોય ત્યારે સંઘનું નેતૃત્વ કરતા હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મરાઠી અને કન્નડ ભાષાના જાણકાર હતા. તેમના લખેલા ગ્રંથોમાં મુખ્યત્વે ‘નર્મદા કા નરમ કંકર’, ‘ડૂબા મત લગાઓ ડૂબકી’, ‘તોતા રોતા ક્યોં ?’, ‘મૂક માટી’ આદિ કાવ્યરચનાઓ; ‘ગરુવાણી’, ‘પ્રવચન પારિજાત’, ‘પ્રવચન પ્રમેય’ તેમનાં પ્રવચનસંગ્રહનાં પુસ્તકો છે. તેમના શિષ્ય મુનિશ્રી ક્ષમાસાગરજીએ એમની જીવનકથા ‘આત્માન્વેષી’ નામે લખી છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ થયો છે. મુનિ પ્રણમ્યાસાગરજીએ તેમના જીવન પર ‘અનાસક્ત મહાયોગી’ નામે કાવ્યની રચના કરી છે. આચાર્ય વિદ્યાસાગરે પ્રતિભાસ્થલી ખાતે જ્ઞાનોદય વિદ્યાપીઠ નામે છોકરીઓ માટે શાળા ખોલી હતી. ૨૦૧૮માં તેમની દીક્ષાને પચાસ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણી નિમિત્તે અજમેર, રેવા, શ્રવણબેલગોલા અને અન્ય સ્થળોએ સ્મારક સ્તંભો બનાવવામાં આવ્યા છે. તેઓ અભ્યાસ કરવા માટે સદાય ઉત્સુક રહેતા અને જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્રકામ કરતા હતા. તેમને અનાસક્ત યોગી, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, સંત શિરોમણિ કહેવામાં આવે છે

નલિની દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એવરેસ્ટ, તને હરાવીશ

વિખ્યાત પર્વતારોહક સર ઍડમન્ડ હિલેરી(૧૯૧૯થી ૨૦૦૮)એ યુરોપના આલ્પ્સ પર્વતનાં અનેક શિખરો પર આરોહણો કર્યા પછી હિમાલયનાં અગિયાર જેટલાં શિખરો સર કર્યાં. એ પછી એમણે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર દૃષ્ટિ ઠેરવી. ૧૯૨૦થી ૧૯૫૨ વચ્ચે એવરેસ્ટ વિજય માટે સાત આરોહણો થયાં હતાં; પરંતુ બધાં જ નિષ્ફળ ગયાં હતાં. ૧૯૨૪માં તો વિખ્યાત પર્વતારોહક જ્યોર્જ લહ્ મેલોરીએ એવરેસ્ટ આરોહણમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો. ૧૯૫૧ અને ૧૯૫૨માં હિલેરીએ એવરેસ્ટનો સર્વે કર્યો અને પોતાના નિષ્ફળ અભિયાન પછી થોડાં અઠવાડિયાં બાદ ઍડમન્ડ હિલેરીને ઇંગ્લૅન્ડની એક સંસ્થાએ વક્તવ્ય માટે બોલાવ્યા. મંચ પરથી ચાલીને એ સ્ટેજ પર બેઠા, ત્યારે એમણે પાછળ રહેલું માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર જોયું. એ જોઈને વિખ્યાત પર્વતારોહક અને માનવતાવાદી હિલેરી બોલી ઊઠ્યા, ‘માઉન્ટ એવરેસ્ટ ! તમે મને પહેલી વખત પરાજિત કર્યો છે, પણ હવે પછી હું તમને પરાજિત કરીશ. કારણ કે તમે જેટલા વિકસવાના હતા એટલા વિકસી ગયા છો, જ્યારે હું હજી વિકસી રહ્યો છું.’ આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૧.૩૦ વાગ્યે હિલેરી અને તેનિંસગે દરિયાની સપાટીથી ૨૯૦૨૮ ફૂટ ઊંચા આ શિખર પર વિજય હાંસલ કર્યો અને અનેક સાહસભર્યાં આરોહણો અને પ્રવાસો કરનાર હિલેરીએ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો. ૧૯૯૨માં ન્યૂઝીલૅન્ડની પાંચ ડૉલરની ચલણી નોટ પર આ સાહસવીરની છબી અંકિત કરવામાં આવી. આવું બહુમાન મેળવનાર તે પહેલો ન્યૂઝીલૅન્ડવાસી છે. ‘હિમાલયન ટૂર્સ’ દ્વારા શેરપાઓની સુખાકારીનો પ્રયત્ન કરનાર હિલેરીને નેપાળ સરકારે માનદ નાગરિકત્વ આપ્યું હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જૉસેફ મૅકવાન

જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.

શ્રદ્ધા ત્રિવેદી