Categories
વાચન સમૃદ્ધિ

સ્થળાંતર

૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)

Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમાર

જ. ૮ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૩ જુલાઈ, ૧૯૯૬

ભારતીય હિન્દી સિનેમાજગતના અભિનેતા રાજકુમાર અનોખા અવાજ, અનોખી સંવાદ-રજૂઆત અને અનોખી અદાકારી માટે લોકપ્રિય અભિનેતા હતા. તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. અભિનયક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટે રાજકુમારના નામ સાથે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૦માં શ્રીનગરથી મુંબઈ આવીને સ્થાયી થયા. જ્યાં મુંબઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી. દરમિયાન દિગ્દર્શક નજમ નક્વી રાજકુમારના વ્યક્તિત્વથી અભિપ્રેત થયા અને ૧૯૫૨માં ફિલ્મ ‘રંગીલી’માં અભિનય કરાવ્યો. ૧૯૫૭માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધરઇન્ડિયા’માં અભિનય કર્યો અને પ્રતિભાવંત અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘ઘમંડ’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘વક્ત’, ‘કાજલ’, ‘હીર-રાંઝા’, ‘નીલકમલ’, ‘હમરાઝ’, ‘પાકિઝા’, ‘કર્મયોગી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને એક આગવી ઓળખ ઊભી કરી. ‘જાની’ શબ્દ રાજકુમારના મોટા ભાગના સંવાદોની શરૂઆતનો અપેક્ષિત શબ્દ રહેતો. એક સમયે રાજકુમારના સંવાદો ઉપર સિનેમાઘરોમાં પડદા ઉપર સિક્કાઓનો વરસાદ થતો. કારકિર્દીના પાછલા પડાવમાં પણ ‘સૌદાગર’, ‘તિરંગા’, ‘બેતાજ બાદશાહ’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં એમનો અભિનય અને પડદા પરની ઉપસ્થિતિ (screen presence) ફિલ્મના મુખ્ય અભિનેતા માટે પડકાર સમી રહેતી. પત્ની ગાયત્રી કુમાર, બે પુત્રો તથા એક પુત્રી તેમનો પરિવાર હતો. ગળાના કૅન્સરની બીમારીમાં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. રાજકુમાર દર્શકોની સ્મૃતિમાં સદા અમર અભિનેતા તરીકે અંકિત થયેલા રહેશે.

અલ્પા શાહ

Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું

જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડી રૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો  લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘૂમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યે જ જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં. પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે.  હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે. આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.

કુમારપાળ દેસાઈ