વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બૉબ હૉપ (૧૯૦૩-૨૦૦૩) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત-સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું. બૉબ હૉપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે ‘ચાર્લી ચૅપ્લિન અનુકરણ સ્પર્ધા’માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા. આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચૅપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં. વિલ રોગર્સ સરકસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘુમાવવામાં માહેર હતા. એક વાર અચાનક બૉબ હૉપને પોતાનામાં છુપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો. એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઊભી થઈ. આ મૌલિકતાએ બૉબ હૉપ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. બૉબ હૉપે પોતાની ‘ડાહ્યા-ગાંડા’ જેવી જુદી જ ઇમેજ ઊભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બૉબ હૉપ બની રહ્યા. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોનાં હૃદય જીતી લીધાં. જો એમણે માત્ર ચાર્લી ચૅપ્લિનના અભિનયનું અનુકરણ કરવાનું ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મમાં એ એની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.
ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે રહી ચૂકેલા હરસિદ્ધભાઈ દિવેટિયાનો જન્મ અમદાવાદના વડનગરા નાગર પરિવારમાં થયો હતો. તેમના પિતામહ છોટાભાઈ પર્શિયન ભાષાના ઊંડા અભ્યાસી હતા. તેમના પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ હતા. તેમનો સમસ્ત પરિવાર પોરબંદર પાસે આવેલા હરસિદ્ધ માતાજીની ભક્તિના રંગે રંગાયેલો હોવાથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું હતું. હરસિદ્ધભાઈ દિવેટિયાએ ગુજરાત કૉલેજમાં ભણીને ૧૯૦૬માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૦૮માં તેઓએ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન સાથે અને ૧૯૦૯માં તેઓએ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૦થી ૧૯૧૨ સુધી સંયુક્ત પ્રાંત(યુ.પી.)ની બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૧૨થી ૧૯૩૩ સુધી મુંબઈની વડી અદાલતમાં પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. ૧૯૩૩થી ૧૯૪૬ દરમિયાન તેઓએ મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૧૯૪૯થી ૧૯૫૭ દરમિયાન પ્રથમ કુલપતિ તરીકે દિવેટિયાસાહેબે પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજીને બદલે માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલ વિશાળ પુસ્તકાલય, બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન તેમજ વિદ્યાર્થીકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં થઈ હતી. હરસિદ્ધભાઈ પાસેથી આપણને ‘મનોવિજ્ઞાન’, ‘લેખસંચય’ અને ‘નરિંસહ અને મીરાંનાં ભજનો’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘What Life Has Taught Me’ એ એમનો સ્વતંત્ર અભ્યાસલેખ છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ અને ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષનો હોદ્દો પણ તેમણે શોભાવ્યો હતો.
ભાગવત પુરાણની પ્રચલિત કથા અનુસાર એક વાર ફરવા નીકળેલા ઇન્દ્રને દુર્વાસા ૠષિ મળ્યા. ૠષિએ એક ફૂલમાળા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે માળા હાથીની સૂંઢ પર ફેંકી તો હાથીએ તેને પગ નીચે કચડી. દુર્વાસાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો. આ શાપના કારણે દેવતાઓ શ્રીહીન, દુર્બળ અને નિસ્તેજ થયા. અસુરોએ સ્વર્ગમાં તાંડવ મચાવી દીધું. અમરાવતી તેમનું ક્રીડાંગણ બની ગઈ. ભયભીત દેવોએ ભગવાન વિષ્ણુનું શરણું લીધું. વિષ્ણુએ અસુરો સાથે સંધિ કરી. બેઉને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય સૂચવ્યો. પરિણામે દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરું (મંથન માટેનું દોરડું) બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું; તે સમયે દેવોએ નાગના પૂંછડાનો અને દાનવોએ મુખનો ભાગ પકડેલો.
સમુદ્રમંથન
મંથન વખતે નિરાધાર મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો તો વિષ્ણુએ કાચબાનો અવતાર (કચ્છપાવતાર) લઈ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો. ઘણા દિવસો સુધી સમુદ્રને વલોવ્યા બાદ તેમાંથી કાલકૂટ અથવા હળાહળ વિષ નીકળ્યું; જે જગતના રક્ષણાર્થે મહાદેવે પી લીધું. (વિષ તેમણે કંઠમાં જ રોકી રાખ્યું, તેથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો ને તેથી તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.) તે પછી કામધેનુ ગાય, ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્રવા ઘોડો, રંભા આદિ અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી (મદિરા), (પાંચજન્ય) શંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, પારિજાતક વૃક્ષ અને લક્ષ્મીજી નીકળ્યાં. છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈ ધન્વંતરિ પ્રગટ થયા. આ ચૌદ રત્નો કયા ક્રમે નીકળ્યાં તે વિશે અને જે રત્નો નીકળ્યાં તેમની બાબતમાં પણ મતભેદો છે. વળી કોઈ મત પ્રમાણે સારંગધનુષ પણ નીકળેલું. આ સંદર્ભે નીચેનો એક શ્લોક પણ પ્રચલિત છે :
આમાંથી કામધેનુ ગાય ૠષિઓએ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો બલિરાજાએ, ઐરાવત ઇંદ્રે, કૌસ્તુભમણિ વિષ્ણુએ, વારુણી અસુરોએ લીધાં. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં પત્ની બન્યાં. અમૃતકુંભમાંથી અમૃત પીવા માટે અસુરોએ પ્રયત્ન કર્યો અને દેવતાઓ નાસીપાસ થયા ત્યારે ભગવાને મોહિની-સ્વરૂપ લઈ અસુરોને મોહજાળમાં ભરમાવ્યા અને અમૃત દેવતાઓને પિવડાવ્યું. રાહુએ પણ દેવસ્વરૂપ લઈ અમૃત પીવાનો પ્રયત્ન કર્યો; પણ સૂર્ય અને ચંદ્રે તે અંગે ભગવાનને સાવધ કર્યા એટલે ભગવાને ચક્રથી તેનું મસ્તક કાપી નાંખ્યું. તેનું ધડ નીચે પડ્યું; પણ મસ્તક અમર થઈ ગયું ! બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યો. ત્યારથી મનાય છે કે સૂર્યચંદ્ર પર વેર રાખી પર્વને દિવસે તે સૂર્ય અને ચંદ્રને ઘેરે છે. જુદાં જુદાં પુરાણોમાં આંશિક ભેદ સાથે સમુદ્રમંથનની આ કથા મળે છે. આમ સમુદ્રમંથનમાં દેશ, કાલ, હેતુ, કર્મ અને બુદ્ધિ દેવ અને દાનવોમાં સમાન હોવા છતાં ફળમાં ભેદ થયો. ભગવાનનો આશ્રય લેવાથી દેવોને તેના ફલસ્વરૂપ અમૃત મળ્યું જ્યારે દૈત્યોને એ મળ્યું નહીં.