Categories
વાચન સમૃદ્ધિ

હવામાન

પૃથ્વીની સપાટીથી ખૂબ ઊંચે સુધી વાયુઓના અને બાષ્પના જુદા જુદા ઘટકોની ગતિવિધિ.

હવામાન એ પૃથ્વી પરની ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે પ્રવર્તતી હવાની પરિસ્થિતિનો અંદાજ છે. તે જુદી જુદી જગ્યાઓએ અને જુદા જુદા સમયે બદલાયાં કરે છે. આબોહવા એ હવામાનની ચોક્કસ સ્થળે લાંબા સમયગાળાની તરેહ (pattern) છે. જો કોઈક સ્થળે વરસાદ પડે તો તે સ્થળના હવામાનમાં ફેરફાર થાય છે, પરંતુ આબોહવાને અસર થતી નથી. હવામાન ખાસ કરીને સૂર્યપ્રકાશ, હવા અને પાણીની ઊપજ છે. સૂર્યપ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. પાણી પૃથ્વીને ભેજવાળી અને ભીની બનાવે છે અને હવા ગરમી અને પાણીને આજુબાજુ ફેરવે છે. પૃથ્વી પર સૌથી નીચેનું સ્તર વિષમતાપમંડળ (troposphere) આશરે ૧૮ કિમી.ની ઊંચાઈ સુધી આવેલું છે. તેને આપણે સૌ હવામાન તરીકે અનુભવી શકીએ છીએ. અહીં તેની સાથે વર્ષા, તાપમાન, ભેજ, વાદળો, પવનો, ચક્રવર્તી તોફાનો, હિમવર્ષા જેવી સંબંધિત ઘટનાઓ સર્જાયાં કરે છે. હવામાનનાં બધાં પરિબળોને વૈજ્ઞાનિક રીતે દર્શાવી શકાય. તેમાં અવારનવાર થતા ફેરફારો આપણી દરરોજની પ્રવૃત્તિઓને અસર કરે છે. તેમાં અવારનવાર થતા ફેરફારો સમગ્ર દેશના અર્થતંત્રને પણ અસર કરે છે.

ભારતીય હવામાનની કચેરી, દિલ્હી

હવામાનની આગાહી : પ્રાચીન સમયથી ભારતમાં તેમ જ અન્ય દેશોમાં હવામાનની આગાહી માટે કેટલીક લોકોક્તિઓ પ્રચલિત છે. સામાન્ય રીતે ખેડૂતવર્ગ આવી લોકોક્તિઓ પર શ્રદ્ધા ધરાવે છે. કેટલાંક પશુ-પંખીઓ કુદરત તથા હવામાનના ફેરફારો વધુ સારી રીતે જાણી શકે છે. કહેવાય છે કે ટિટોડી વાતાવરણમાં ભેજના પ્રમાણમાં થતા ફેરફારોને જાણી શકે છે. ટિટોડી જે વર્ષે ઊંચા ટેકરા પર પોતાનાં ઈંડાં મૂકે તે વર્ષે અતિવૃષ્ટિ થાય તેવું મનાય છે. હવામાનના અભ્યાસ માટે ભારત મોસમવિજ્ઞાન-વિભાગ (India Meteorology Department) દિલ્હીમાં કાર્યરત છે. તેનું મુખ્ય કાર્ય હવામાન-મથકો ખાતેથી એકઠાં થતાં અવલોકનોના સંકલનના આધારે હવામાનની આગાહી તથા ચોમાસામાં આવતા પહેલા વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે. ભારતીય મોસમવિજ્ઞાન તેણે મેળવેલા ડેટાના સંકલન માટે સુપર-કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રૉપિકલ મિટિયૉરૉલૉજી (Indian Institute of Tropical Meteorology) નામની સંસ્થા આવેલી છે, જે હવામાનશાસ્ત્રનાં વૈજ્ઞાનિક પાસાંઓનો અભ્યાસ કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવામાન, પૃ. 136)

Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિશ્વા

વિષય : જ્ઞાન, ભક્તિ અને કર્મ સંદર્ભે શ્રી હનુમાનજીનું દર્શન |

વક્તા : અનિતા તન્ના |

સહુભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ |

23 ડિસેમ્બર  2025 |

મંગળવાર, સાંજના 5-00