‘ચાચાજી’ના નામે જાણીતા સૂફી સંતનો જન્મ ડેરા ઇસ્માઈલખાનમાં થયો હતો. પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી હતા આથી બાળકોએ માતા પાસે જ રહેવાનું થયું. શાળેય શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં થયું. કૉલેજનો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં કર્યો. કૉલેજમાં અભ્યાસ દરમિયાન પ્રાર્થનાસમાજમાં દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝનું પ્રવચન સાંભળી તેમનામાં પરિવર્તન આવ્યું. તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, શ્રી અરિંવદ જેવા ચિંતકો અને ધર્મપુરુષોનું સાહિત્ય વાંચવા પ્રેરાયા. એમને કિશોરવયથી આધ્યાત્મિક અનુભવો થતા હતા. તેમના ઉપર ઇશોપનિષદ, બાઇબલ, ગીતાંજલિ, રામાયણ તથા મીરાં, કબીર જેવાં ભક્તકવિઓનાં ભજનોની ઊંડી અસર પડી હતી. તેમણે કેટલોક સમય શાંતિનિકેતનમાં અધ્યાપન કર્યું હતું. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, સિંધી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ચિંતન, અધ્યાત્મ, ચરિત્ર અને બાળકોને ઉપયોગી પ્રસંગકથાઓનાં પુસ્તકો લખ્યાં છે. ‘ધ ડિવાઇન ડ્વેલર્સ ઇન ધ ડેઝર્ટ’, ‘ઇન ધ કંપની ઑવ્ સઇન્ટ્સ’, ‘ગાંધીજી અને ગુરુદેવ’ વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ ભજનો રચ્યાં છે. એ ભજનોમાં આધ્યાત્મિકતા છલોછલ જોવા મળે છે. તેમણે અન્ય લેખકો સાથે પણ પુસ્તકો લખ્યાં છે, એમાં ‘બા અને બાપુ’, ‘રામકૃષ્ણ પરમહંસ સાથે’, ‘મા આનંદમયી સાથે જીવનયાત્રા’, ‘મહર્ષિ અરિંવદ સાથે જીવનયાત્રા’, ‘સ્વામી રામદાસ સાથે જીવનયાત્રા’નો સમાવેશ થાય છે.
જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે ૩૫° ૪૦´ ઉ. અક્ષાંશવૃત્ત અને ૧૩૯° ૪૫´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી ૩.૭ કરોડ અને શહેરની વસ્તી ૧,૪૨,૫૪,૦૦૦ છે (૨૦૨૫, આશરે), વિસ્તાર ૨૧૮૭ ચોકિમી. છે. તે સમુદ્રની સપાટીથી ૨૪ મી. ઊંચાઈ પર છે. તેનું તાપમાન જાન્યુઆરીમાં ૫.૮° અને જુલાઈમાં ૨૫.૪° સે રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧૪૬૭ મિમી. પડે છે. જાપાનના કુલ વિસ્તારમાં આ નગરનો વિસ્તાર માત્ર ૦.૫% જમીન, કુલ વસ્તીમાં ૧૦% વસ્તી તથા કુલ આર્થિક લેવડદેવડમાં ૪૦% હિસ્સો ધરાવે છે.
ટોકિયોનું એક દૃશ્ય
ટોકિયો કાન્ટોનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે, જ્યાં સુમિદા નદી વહે છે. વળી આ મેદાનો નહેરોની વિસ્તૃત જાળ ધરાવે છે. ટોકિયોની આસપાસ હરિયાળાં ખેતરો અને પર્વતીય ગામડાં નજરે પડે છે. યોકોહામા તેનું દરિયાઈ બંદર છે. આમ છતાં સુમિદા નદીના મુખ પાસે પણ એક માનવસર્જિત બંદર છે. અહીંથી લોખંડ, પોલાદ, યંત્રસામગ્રી અને રસાયણોની નિકાસ સારા પ્રમાણમાં થાય છે. ટોકિયો પોતાની રેલ-સેવા ધરાવે છે. તેનો નીચાણવાળો ભાગ અને નજીકનું હેનેડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ રેલ-સેવાથી સંકળાયેલાં છે. વળી, ટોકિયો અને ઓસાકા વચ્ચે વિશ્વની અત્યંત ઝડપી ટ્રેનો પૈકીની ‘હિકારી’ નામની રેલગાડી દોડે છે, જેની ઝડપ કલાકે ૪૮૦ કિમી. જેટલી છે. ટોકિયો અને તેની આસપાસનાં ઉપનગરો વૈવિધ્યસભર અનેક ઔદ્યોગિક સંકુલો ધરાવે છે. અહીં જહાજ-બાંધકામ, યંત્રસામગ્રી, ધાતુકામ, છાપકામ અને પ્રકાશનકાર્ય, ખાદ્યચીજોનું પ્રક્રમણ, ખનિજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રો-રસાયણો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો, મોટરવાહનો, લોખંડ-પોલાદ, રસાયણો, કૅમેરા તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણો, ફર્નિચર, ચામડાની ચીજવસ્તુઓ, વિવિધ શ્રેણીબદ્ધ વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો મુખ્ય છે. ટોકિયો વિવિધ પ્રકારનાં સંગ્રહસ્થાનો, ૨૦૦ કરતાં પણ વધુ બાગ-બગીચા તથા અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તે પૈકી ટોકિયો નગરના મધ્યભાગમાં આવેલા બાગમાં સમ્રાટ મેઇજી તથા તેમની પત્નીનાં સ્મારકો અને સંગ્રહસ્થાન છે. આ ઉપરાંત આ નગર અનેક પ્રાચીન મંદિરો ધરાવે છે. ટોકિયો ટાવર (૧૯૫૮), એ ધાતુના બનેલા વિશ્વના સૌથી ઊંચા ટાવરો પૈકીનો એક છે, જેમાં દુકાનો, રેસ્ટોરાં અને વિજ્ઞાનસંગ્રહાલય છે. ઇદેમિત્સુ કલા-સંગ્રહાલયમાં જાપાની કલાકારીગરીના નમૂના રાખવામાં આવ્યા છે. ટોકિયોનું ખરીદી તથા આનંદપ્રમોદનું કેન્દ્ર ગિન્ઝા છે. મારુનૉચી ક્વાર્ટર તેનું ધંધાકીય પ્રતિષ્ઠાન છે. આ ઉપરાંત મધ્ય ટોકિયોથી આશરે ૧૦ કિમી. અગ્નિદિશામાં ટોકિયો વાન ઉપસાગરની ઉત્તરમાં ‘ટોકિયો ડિઝનીલૅન્ડ’ આવેલ છે. આ સિવાય ટોકિયો એ વિશ્વનું પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર છે. તે ટોકિયો યુનિવર્સિટી (૧૮૭૭) અને ૧૦૦ જેટલી કૉલેજો ધરાવે છે. ૧૯૨૩ના ભયંકર ધરતીકંપ અને અગ્નિતાંડવ પછીથી ઝડપથી પુન: બંધાયેલા અને બીજા વિશ્વયુદ્ધના ભારે બૉમ્બમારા પછી પુનર્જીવિત થયેલા ટોકિયોને પૃથ્વીના ગોળા પરનું અત્યંત આધુનિક નગર કહી શકાય. અહીં અવારનવાર ભૂકંપ થતા રહે છે. આ શહેર બારમી સદીમાં કાન્ટો પ્રદેશમાં સ્થપાયું, તે સમયે તે ‘એદો’ કે ‘યેદો’ નામની ગ્રામીણ વસાહત રૂપે હતું. આ પ્રદેશના એક લશ્કરી અધિકારીએ બારમી સદીમાં અહીં એક કિલ્લો બાંધ્યો. ૧૪૫૬માં ઓટા ડોકાને તેના પર વ્યાપક સમારકામ કર્યું અને ત્યારપછીના સમયમાં આ વસાહત વિકસિત થઈને પ્રાંતીય પાટનગર બની. ૧૮૬૮માં જાપાનના પાટનગર તરીકે તેની વરણી થતાં તેનું નવું નામ ‘ટોકિયો’ રાખવામાં આવ્યું. તે પહેલાં જાપાનનું પાટનગર ક્યોટો હતું. હાલના ટોકિયો મહાનગરના ૨૩ ભૌગોલિક પેટાવિભાગો છે, તે ઉપરાંત સાઇટામા, ચિબા તથા કનીગાવાના ભૌગોલિક વિભાગોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.
ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પિતા વ્રજલાલ ખંડેરિયા મહેસૂલી અધિકારી હોવાથી તેમની વારંવાર બદલી થવાને કારણે મનોજ ખંડેરિયાએ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ અને જામનગર જેવાં વિવિધ સ્થળોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૬૭માં એલએલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ૧૯૬૮થી જૂનાગઢમાં વકીલાત શરૂ કરી હતી. થોડો સમય તેમણે જૂનાગઢની કૉલેજમાં વાણિજ્ય કાયદાના ખંડ સમયના અધ્યાપક તરીકે પણ સેવા આપી હતી. ૧૯૮૪થી પથ્થરની ખાણના ઉદ્યોગ સાથે પણ સંકળાયા હતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. મનોજ ખંડેરિયાનો પ્રથમ સંગ્રહ ‘અચાનક’ અને બીજો સંગ્રહ ‘અટકળ’ નામે પ્રગટ થયો હતો. પરંપરાગત ગઝલને તેમણે આધુનિકતાના સંદર્ભે પ્રયોજી ગુજરાતી ગઝલને એક નવું પરિમાણ પૂરું પાડ્યું છે. તેમના અન્ય બે સંગ્રહો ‘હસ્તપ્રત’ અને ‘અંજની’ ૧૯૯૧માં પ્રગટ થયા હતા. ૧૯૯૪માં પ્રગટ થયેલ ‘કોઈ કહેતું નથી’ સંગ્રહમાં તેમની ગઝલો અને ૨૦૦૪માં તેમની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ એવા શીર્ષકથી નીતિન વડગામા દ્વારા સંપાદિત થયાં છે. ‘ક્યાંય પણ ગયો નથી’ એ એમનો છેલ્લો ગઝલસંગ્રહ છે.
‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ – કવિનો યાદગાર શેર છે.
મનોજ ખંડેરિયાના ‘અચાનક’ કાવ્યસંગ્રહ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘અટકળ’ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ‘અંજની’ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે તો એમના ‘હસ્તપ્રત’ સંગ્રહને પણ અકાદમી અને પરિષદ બંને દ્વારા પોંખવામાં આવ્યો છે. ૧૯૯૯માં આઈ. એન. ટી. (મુંબઈ) દ્વારા તેમને કલાપી ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઍવૉર્ડની તમામ રકમ એમણે આઈ. એન. ટી.ને પરત કરી અને તેમાંથી વર્ષ દરમિયાન પ્રગટ થયેલ ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યું હતું. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.