Categories
વાચન સમૃદ્ધિ

લાલબહાદુર શાસ્ત્રી

જ. ૨ ઑક્ટોબર, ૧૯૦૪ અ. ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬

ભારત દેશના ત્રીજી લોકસભાના ૧૯૬૪થી ૧૯૬૬ સુધીના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનો ઉછેર મુગલસરાય, ઉત્તરપ્રદેશ ખાતે લાલબહાદુર શ્રીવાસ્તવના નામે થયો હતો. એમના પિતા શારદાપ્રસાદ એક ગરીબ શિક્ષક હતા. જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. એમનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહીંયાંથી જ એમને ‘શાસ્ત્રી તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. સ્નાતક થયા બાદ શાસ્ત્રીજી ભારત સેવક સંઘ સાથે જોડાયા. ત્યાંથી જ તેમના રાજનૈતિક જીવનની શરૂઆત થઈ હતી. દેશસેવાના વ્રતધારી શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી જીવ્યા અને ગરીબોની સેવામાં એમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧ના સત્યાગ્રહ આંદોલનમાં એમની મહત્ત્વપૂર્ણ ભાગીદારી હતી અને તેઓને જેલમાં પણ રહેવું પડ્યું હતું. આઝાદી મળ્યા બાદ શાસ્ત્રીજીને ઉત્તરપ્રદેશ રાજ્યના સંસદીય સચિવપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. પરિવહન મંત્રી તરીકે એમણે પ્રથમ વાર મહિલાને બસ-કંડક્ટર તરીકેના પદ પર નિયુક્ત કરી એક નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી તરીકે એમણે ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં લાલબહાદુર શાસ્ત્રીને અખિલ ભારત કૉંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પક્ષને ભારે બહુમતીથી જિતાડવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. જવાહરલાલ નહેરુના અવસાન બાદ શાસ્ત્રીજીએ ૨૭ મે, ૧૯૬૪ના રોજ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે સમગ્ર ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. ૧૯૬૬માં તેમને ‘ભારતરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાનો વિશ્વાસ

ચીનના વિખ્યાત ફિલસૂફ અને શિક્ષક એવા કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂ. ૫૫૧થી ઈ. સ. પૂ. ૪૭૯) પોતાના દેશને વ્યવહારુ ડહાપણની સમજ આપી. ચીનમાં વ્યાપક લોકાદર મેળવનાર આ ચિંતકે એની સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પાડ્યો. બાવીસમા વર્ષે પોતાના ઘરમાં સ્થાપેલી પાઠશાળામાં પ્રાચીન સાહિત્ય, રાજનીતિ, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા. કૉન્ફ્યૂશિયસ રાજકારણમાં પણ રસ લેતા હતા અને રાજકીય નેતા પણ હતા. એક વાર એમના એક શિષ્યએ પૂછ્યું, ‘ઉત્તમ સરકાર કોને કહેવાય ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તમ સરકાર માટે ત્રણ બાબતો મહત્ત્વની ગણાવી અને કહ્યું, ‘જે સરકાર લોકોને ભોજન અને શસ્ત્રો પૂરાં પાડી શકે અને લોકોનો વિશ્વાસ જીતી શકે તેને ઉત્તમ સરકાર કહેવાય.’ શિષ્ય વિચારમાં પડ્યો. સરકારે પ્રજાને જરૂરી અન્ન આપવું જોઈએ, શસ્ત્રો દ્વારા એનું સંરક્ષણ કરવું જોઈએ અને લોકવિશ્વાસ સંપાદન કરવો જોઈએ, પણ શિષ્યએ પૂછ્યું, ‘આ ત્રણમાંથી કોઈ એક બાબત છોડી દેવી હોય તો કઈ છોડી દેવી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘શસ્ત્રસરંજામ.’ વળી શિષ્યએ પ્રશ્ન કર્યો, ‘અને બે ચીજ વગર ચલાવવાનું હોય તો ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘અન્ન. ભોજન વિના લોકો ભૂખે ટળવળીને મરી જાય છે.’ શિષ્યએ વળી પ્રશ્ન કર્યો, ‘તો શું ભોજન અને સંરક્ષણ કરતાં પણ ઉત્તમ સરકારને માટે લોકવિશ્વાસ મહત્ત્વનો છે ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘જે પ્રજા પોતાની સરકારમાં વિશ્વાસ ગુમાવી બેસે, તે તો ભોજન કરવા છતાં મરેલી જ છે.

Categories
વાચન સમૃદ્ધિ

એસ. ડી. બર્મન

જ. ૧ ઑક્ટોબર, ૧૯૦૬ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૭૫

ભારતીય ફિલ્મોના સંગીતનિર્દેશક, ગાયક. સચિવ દેવ બર્મનનો જન્મ ત્રિપુરાના રાજઘરાનામાં નવદ્વીપ દેવ બર્મન તથા નિર્મલાદેવી બર્મનને ત્યાં થયો હતો. અભ્યાસમાં ખૂબ તેજસ્વી એવા બર્મનદાએ અંગ્રેજી વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી. સંગીતના શોખ અને તકોને કારણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરતાં, અભ્યાસને તિલાંજલિ આપીને સંગીતક્ષેત્રે પ્રયાણ કર્યું. સંગીતકાર કે. સી. ડે પાસે એમણે કંઠ્ય સંગીતની તાલીમ પ્રાપ્ત કરી. ઉસ્તાદ અલાઉદ્દીન ખાં પાસે સરોદ તથા ખલીફા બાદલ ખાં પાસે સારંગીની તાલીમ મેળવી હતી. તબલાવાદનમાં પણ તેઓ નિપુણ હતા. ૧૯૩૫માં બંગાળી ફિલ્મ ‘સુરુ દેરે પ્રિયે’માં સંગીતનિર્દેશન કર્યું. ત્યાં સુધી તેઓ કલકત્તા આકાશવાણીના નિયમિત ગાયક હતા. બંગાળી ભક્તિસંગીત ‘બાઉલ’ ગાયન એમની એક આગવી વિશેષતા હતી. તેનો અદભુત ઉપયોગ એમણે અનેક ફિલ્મગીતોના નિર્દેશનમાં કર્યો. ૧૯૪૬માં હિન્દી ફિલ્મ ‘શિકારી’માં એમના નિર્દેશનમાં બનેલાં ગીતો અતિ લોકપ્રિય બન્યાં અને એક અનોખા સંગીતકાર તરીકે એમની ઓળખ ઊભી થઈ. ‘જાલ’, ‘પ્યાસા’, ‘આરાધના’, ‘મેરી સૂરત તેરી આંખે’, ‘સુજાતા’, ‘ગાઇડ’, ‘અભિમાન’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપીને તેઓ એક ગુણવત્તાસભર સંગીતકારની હરોળમાં સ્થાન પામ્યા. એમના ગાયેલા ‘સૂનો મેરે બંધૂ રે’, ‘સફલ હોગી તેરી આરાધના’, ‘ઝીંદગી ઐ ઝીંદગી’ જેવાં અનેક હૃયસ્પર્શી ગીતો સંગીતપ્રેમીઓ માટે ઈશ્વરના પ્રસાદરૂપ ગણાય છે. શ્રેષ્ઠ સંગીતનિર્દેશક માટે ફિલ્મફેર ઍવૉર્ડ, રાષ્ટ્રીય પુરસ્કારો, સંગીત નાટક અકાદમી જેવા અનેક પુરસ્કારોથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.