Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મનમોહન સિંહ

જ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪

વિદ્વાન અર્થશાસ્ત્રી, ભારતના પૂર્વનાણામંત્રી, પૂર્વવડાપ્રધાન અને આર્થિક ઉદારીકરણની નીતિના પ્રખર પુરસ્કર્તા મનમોહન સિંહનો જન્મ ગાહ, પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૧૯૪૭માં દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારતમાં આવ્યો. અમૃતસરની હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમણે ૧૯૫૭માં કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારબાદ ૧૯૬૨માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી. ભારત પાછા આવીને પંજાબ યુનિવર્સિટીમાં સિનિયર લેક્ચરર, ત્યારબાદ રીડર અને પ્રોફેસર તરીકે કામ કર્યું. તે પછી ૧૯૬૬થી ૧૯૬૯ દરમિયાન યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેમને વિદેશી વેપાર મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નીમવામાં આવ્યા. તેઓ નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અને ત્યારબાદ સચિવ બન્યા. ૧૯૮૨માં તેમને ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જૂન, ૧૯૯૧માં તત્કાલીન વડાપ્રધાન નરિંસહરાવે તેમને નાણાપ્રધાન બનાવ્યા. તેમણે ભારતના સમાજવાદી અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્રમાં બદલવા માટે ઘણી નીતિઓ અમલમાં મૂકી. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કર્યું. બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ અપનાવી દેશને નવો વળાંક આપ્યો. ૨૨ મે, ૨૦૦૪ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. તેમણે મહાત્મા ગાંધી નૅશનલ રુલર એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NHRM) અને શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) રજૂ કર્યા હતા. તેમણે ભારતની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા ૨૦૦૬માં અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશ સાથે પરમાણુ સહયોગ સંધિ માટે વાટાઘાટો કરી હતી. ૨૦૦૯માં તેઓએ બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ તેમને અનેક પદવીઓ તથા પુરસ્કારોથી સન્માન્યા હતા. ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

નરકવાસી બનવા માનવી તડપે છે

સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ કે નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ. જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ. પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભાં કરેલાં દુઃખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોય તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યાં? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.

Categories
વાચન સમૃદ્ધિ

દીનદયાળ ઉપાધ્યાય

જ. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા દીનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનું અવસાન ખૂબ નાની વયે થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી ઘણાં બધાં પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી શક્યા હતા. તેમણે કૉલેજશિક્ષણ કાનપુરમાં લીધું હતું. તેમનામાં શિક્ષક બનવાની સંપૂર્ણ લાયકાત હોવા છતાં તેઓ ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. શરૂઆતમાં સંઘની કાર્યવિધિની તાલીમ પ્રાપ્ત કર્યા બાદ સંઘના પૂર્ણકાલીન કાર્યકર થયા અને તેના પ્રમુખ પ્રચારક પણ બન્યા હતા. સંગઠનોનું ઘડતર કરવાની અપાર ક્ષમતા ધરાવનાર દીનદયાળે ક્રમશ: માસિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક ‘પાંચજન્ય’ અને દૈનિક ‘સ્વદેશ’નો પ્રારંભ કર્યો હતો. ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થતાં તેઓ ઉત્તરપ્રદેશશાખાના પ્રથમ મહામંત્રી નિમાયા. એ પછી પક્ષના અખિલ ભારતીય મહામંત્રીપદે ૧૫ વરસ સુધી સેવારત રહી પક્ષમાં આદર્શ-પ્રેરિત કાર્યકર્તાઓ તૈયાર કર્યા અને પક્ષનો વૈચારિક ઢાંચો ઘડ્યો. તેઓ એકાત્મ માનવવાદના હિમાયતી હતા. તેમણે વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિની ભલામણ કરી હતી. આ આર્થિક નીતિઓમાં આપણી જરૂરિયાત મુજબ આધુનિક ટૅકનૉલૉજીનો સ્વીકાર કરવાનો મત તેઓ ધરાવતા હતા. ગ્રામીણ ભારતના વિકાસ સંદર્ભે તેમનો દૃષ્ટિકોણ રચનાત્મક હતો. અપ્રતિમ સફળતાને વરેલું ૧૯૬૭નું પક્ષનું કાલિકટ અધિવેશન તેમની દૂરંદેશી અને રાજકીય નેતૃત્વશક્તિનું દ્યોતક હતું. દીનદયાળ ઉપાધ્યાય પાસેથી ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ અને ‘જગદગુરુ શંકરાચાર્ય’ તેમજ તેમના ચિંતનના પરિપાક રૂપે ‘ધ ટુ પ્લાન્સ – પ્રૉમિસિસ ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ’ જેવા ગ્રંથો મળે છે. લખનઉથી પટના પ્રવાસ દરમિયાન ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલવેયાર્ડમાં મળી આવ્યો હતો. તેમની સ્મૃતિમાં ટપાલખાતાએ ૨૫ પૈસાની, પાંચ રૂપિયાની, દસ રૂપિયાની અને ૨૫ રૂપિયાની ટપાલટિકિટો બહાર પાડી છે.