Categories
વાચન સમૃદ્ધિ

અલ્જિરિયા

ઉત્તર આફ્રિકાનો ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલો એક આરબ દેશ. ભૌગોલિક સ્થાન : 28° 00´ ઉ. અ. અને 3° 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. (આશરે 24 લાખ ચો.કિમી.) તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે આવે છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યૂનિસિયા અને પૂર્વે લિબિયા તથા દક્ષિણે નાઇજર અને માલી, નૈઋત્યે મોરિટાનિયા અને પશ્ચિમે સહરા તથા મૉરોક્કો આવેલા છે. મોટા ભાગનું અલ્જિરિયા રણ છે, જ્યાં કોઈ રસ્તા કે ગામ વસેલાં નથી. દક્ષિણે આવેલું સહરાનું રણ દેશનો 15 % જેટલો વિસ્તાર ધરાવે છે. ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલાં મેદાનોમાં એટલાસ પર્વતમાળાનો ઉત્તર છેડો છે. અલ્જિરિયા સૂકો પ્રદેશ છે. વરસાદ ઘણો ઓછો પડે છે. ચેલીફ અને હમીઝ અહીંની મુખ્ય નદીઓ છે. ઘઉં, જવ, બીટ, શાકભાજી, ફળો, તમાકુ અહીંના મુખ્ય પાક છે.

અલ્જિરિયામાંથી મળતો કુદરતી વાયુનો ભંડાર

રશિયા, અમેરિકા અને ઈરાન પછી સૌથી વધુ કુદરતી વાયુની અનામતો અલ્જિરિયામાં છે. વિશ્વનો 15 % જેટલો પારાનો પુરવઠો અલ્જિરિયા પૂરો પાડે છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અહીંનાં સૌથી મહત્ત્વનાં ખનિજો છે. અલ્જિરિયાની કમાણીનો મોટો હિસ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુના વેચાણમાંથી આવે છે. આ ઉપરાંત પારો, લોખંડ, ફૉસ્ફેટ, જસત, સીસું અને તાંબું અહીંનાં અન્ય ખનિજો છે. અહીં ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા, ગધેડાં જેવાં પ્રાણીઓ જોવા મળે છે. બૂચનાં વૃક્ષો અલ્જિરિયામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. વિશ્વમાં લાકડાના ઉત્પાદનમાં અલ્જિરિયાનો ત્રીજો ક્રમ છે. અલ્જિરિયાની કુલ વસ્તી 4.74 કરોડ (2026, આશરે) જેટલી છે. બર્બર જાતિનાં કેટલાંક સ્થાયી તો કેટલાંક ભટકતાં જૂથો આ દેશના અતિપ્રાચીન રહેવાસીઓ હોય તેમ જણાય છે. અરબોમાં કાબિલે અને ઝાબાઇટ જૂથો છે. સહરા પ્રદેશમાં તૌરેગ નામક વિચરતી જાતિ વસે છે. વળી સુદાનની નિગ્રો પ્રજાની વંશજ ગણાતી હારાતીન પ્રજા દેશભરમાં છૂટીછવાઈ વસે છે. તેઓ અરબી, ફ્રેન્ચ અને બર્બર ભાષા બોલે છે. તેઓ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અલ્જિરિયા, પૃ. 67)

Categories
વાચન સમૃદ્ધિ

એસ. એફ. નાડેલ

જ. 24 એપ્રિલ, 1903 અ. 14 જાન્યુઆરી, 1956

પ્રસિદ્ધ માનવશાસ્ત્રી એસ. એફ. નાડેલનો જન્મ તેમજ ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમણે વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી, પરંતુ તેમને શરૂઆતમાં સંગીત પ્રત્યે ઊંડી રુચિ હતી. તેમણે ઑપેરા સંગીત મંડળી પણ સ્થાપી હતી. નાડેલે સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક લખ્યું છે. તેમણે સંગીતના કેટલાક કાર્યક્રમો પણ આપ્યા હતા. 1930માં આફ્રિકામાં વાસ્તવિક રીતે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય દ્વારા પ્રવેશ કર્યો હતો. તેમણે Nupe જાતિ અને અન્ય આદિવાસી જાતિઓ વિશે નાઇજીરિયામાં અને ઍંગ્લો-ઇજિપ્શિયન સુદાનમાં ન્યુબા જાતિ પર સંશોધનકાર્ય કર્યું હતું. 1954માં આદિવાસી જાતિના ધાર્મિક જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું છે. સમાજની સંરચનાના પૃથક્કરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું ગણાય છે. આ ગ્રંથે તેમને ઍથ્નોગ્રાફર ઉપરાંત માનવશાસ્ત્રના સૈદ્ધાંતિક અભ્યાસની કક્ષામાં પ્રવેશ આપ્યો હતો. તેમના વિચારો પર અનેક ખ્યાતનામ સમાજશાસ્ત્રીઓની છાયા હતી છતાં તેમનાં લખાણો કોઈ વિચારશાખાના બીબામાં ગોઠવાયેલાં ન હતાં. તેમણે વર્ણનાત્મક રજૂઆત કરવાને બદલે સૈદ્ધાંતિક પૃથક્કરણ પર વધુ ભાર મૂક્યો છે. તેમના લખેલ ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ સોશિયલ સ્ટ્રક્ચર’માં વ્યક્તિની ક્રિયાઓ અને દિશાઓ પ્રત્યે સંરચનાત્મક વિશ્લેષણની રજૂઆત કરી છે. સામાજિક સંરચનાને દર્શાવવા તેઓ ત્રણ પ્રકારનાં ભૂમિકા સ્વરૂપોની સમજણ આપે છે. આમ સામાજિક સંરચના વિશેના માનવશાસ્ત્રમાં તેમના વિચારો માર્ગદર્શક ભૂમિકારૂપ બન્યા છે. આ રીતે સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રમાંના સામાજિક સંરચના વિશેના તેમના વિચારો ચિંતનમાં મહત્ત્વના બન્યા. માનવશાસ્ત્રીય પૃથક્કરણમાં તેમણે મનોવૈજ્ઞાનિક ભૂમિકાને સ્થાન આપવા પર ભાર મૂક્યો તથા સહસંબંધ બાંધવાના અભિગમને વધુ મહત્ત્વ આપ્યું. આફ્રિકાના વિદ્યાર્થીઓ માટે ઍથ્નોગ્રાફિક લખાણના સંદર્ભમાં નાડેલ આશીર્વાદરૂપ બન્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

દક્ષિણ કન્નડ

કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી ભૂતકાળમાં તુલુનાડુ, તુલુવિષય, તુલુદેશ જેવાં નામો પ્રચલિત થયાં હતાં. આ જિલ્લો 12° 52´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને ચિકમગલુર અને પૂર્વ હસન અને અગ્નિમાં કોડાગુ અને દક્ષિણે કેરલમ્ તથા પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 4,560 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી આશરે 24,00,000 (2026) છે.

જિલ્લાની પૂર્વ દિશાએ પશ્ચિમ ઘાટની ગિરિમાળા છે. તેનાં શિખરો 910થી 1,830 મી. ઊંચાં છે. સૌથી ઊંચાં કુદ્રેમુખનાં ત્રણ શિખરો 1,800 મી.થી વધારે ઊંચાં છે. વચ્ચે ઉચ્ચ પ્રદેશ અને ખીણો છે.

દક્ષિણ કન્નડમાં વિશાળ પાયા પર થતી ડાંગરની ખેતી – એક દૃશ્ય

કિનારાનો મોટો ભાગ સપાટ અને કાંપનો બનેલો છે. જમીન મુખ્યત્વે કાળી છે. મેથી ઑક્ટોબર દરમિયાન નૈઋત્યના મોસમી પવનો સરેરાશ 3,930 મિમી. વરસાદ આપે છે. મે માસમાં મૅંગલોરનું સૌથી વધુ તાપમાન 37°–38° સે. અને ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 16°–17° સે. રહે છે. આ જિલ્લામાં નેત્રવતી, ગુરપુર, ગંગોલ્લી, સીતા અને સ્વર્ણ નદીઓ મુખ્ય છે. તેમાં બારેમાસ પાણી રહે છે. મુખથી થોડા કિમી. સુધી વહાણવટા માટે તે ઉપયોગી છે. ચોમાસામાં કાંપ ઘસડી લાવી જમીનની ફળદ્રૂપતામાં તે વધારો કરે છે. ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમના થરો આર્કિયન, ધારવાડ અને ક્રિટેસિયસ યુગના છે. ક્વાર્ટઝાઇટ, શિસ્ટ, હૉર્નબ્લૅન્ડ, નાઇસ અને લાવાના ખવાણથી બનેલા લેટરાઇટ ખડકો અહીં જોવા મળે છે. આ જિલ્લામાંથી બૉક્સાઇટ, ગ્રૅનાઇટ, લેટરાઇટ વગેરે પથ્થરો, કોરંડમ, ગાર્નેટ, લોખંડ, કાયનાઇટ, સિલિકા, છીપો, ટાઇલ્સ માટેની માટી  વગેરે ખનિજો મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દક્ષિણ કન્નડ, પૃ. 186 અથવા જુઓ https://gujarativishwakosh.org/દક્ષિણ કન્નડ/)