Categories
વાચન સમૃદ્ધિ

વી. કે. કૃષ્ણ મેનન

જ. 3 મે, 1896 અ. 6 ઑક્ટોબર, 1974

ભારતની આઝાદીના પુરસ્કર્તા, રાજકારણી અને વકીલ વી. કે. કૃષ્ણ મેનનનો જન્મ થિરુવાંગડમાં થયો હતો. તેમનું નામ વેંગલીલ કૃષ્ણન કૃષ્ણ મેનન હતું. પ્રારંભિક શિક્ષણ આયનચેરી અને થાલાસ્સેરીમાં થયું. 1818માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા, પછી અધ્યાપન કર્યું. તેઓ થિયૉસૉફીમાં જોડાયા અને એની બેસન્ટ દ્વારા સ્થાપિત ‘બ્રધર્સ ઑવ્ સર્વિસ’ના સભ્ય બન્યા હતા. તેમણે ઇંગ્લૅન્ડ જઈ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એ.ની અને પછી બી.એસસી. ઑનર્સ તથા એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1934માં બૅરિસ્ટર બન્યા. તેઓ વિદેશમાં પણ ભારતની આઝાદી માટે સક્રિય રહ્યા હતા. તેમણે ઇન્ડિયા લીગની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ તેના મંત્રી પણ હતા. તેઓ લંડનના સેન્ટ પાર્કન્સમાંથી કાઉન્સિલર અને આર્ટસ કાઉન્સિલના પ્રમુખ હતા. તેઓ પેલિકન બુક્સના પ્રારંભથી સંપાદક હતા. આઝાદી પછી ઇંગ્લૅન્ડમાં ભારતના પ્રથમ ઉચ્ચાયુક્ત બન્યા. તેમણે 1949થી 1962 સુધી રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું હતું. તેમણે કાશ્મીર મુદ્દા પર રાષ્ટ્રસંઘમાં સતત ચાર દિવસ ભાષણ આપ્યું હતું. આ ભાષણ રાષ્ટ્રસંઘમાં આપવામાં આવેલ સૌથી લાંબું ભાષણ હતું. ‘ધ ગિનિસ બુક ઑવ્ રેકૉર્ડઝ’માં આ ભાષણનો સમાવેશ થયો છે. તેઓ 1956માં કેન્દ્રીય મંત્રીમંડળમાં ખાતા વિનાના પ્રધાન, 1957-61 દરમિયાન વિદેશપ્રધાન અને 1961-62માં સંરક્ષણ પ્રધાન હતા. તેઓ સેનામાં યોગ્યતા આધારિત પ્રમોશનના હિમાયતી હતા. સંરક્ષણપ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી પણ તેઓ નહેરુના સલાહકાર હતા. તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સિનિયર કાઉન્સેલર હતા. તેમણે લખેલાં પુસ્તકોમાં ‘બ્રિટન્સ પ્રિઝનર’, ‘અગેન્સ્ટ ફાસિઝમ’, ‘બ્રિટન ઍન્ડ ફ્રીડમ’ ઉલ્લેખનીય છે. તેમને પદ્મવિભૂષણ, સીરિયન ઑર્ડર ઑવ્ મેરિટ તેમજ બાંગ્લાદેશ લિબરેશન વૉર ઑનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1997માં તેમની સ્મૃતિમાં બે રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દતિયા

મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25° 50´ ઉ. અ. અને 78° 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને બેટવા નદીઓ વચ્ચેના સપાટ ફળદ્રૂપ મેદાની વિસ્તારમાં આ જિલ્લો આવેલો છે. આ જિલ્લાની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધીય પ્રકારની કહી શકાય. ઉનાળામાં તાપમાન 26°થી 42° સે. જ્યારે શિયાળાનું તાપમાન 13°થી 29° સે. જેટલું રહે છે. અહીં વરસાદની માત્રા આશરે 500 મિમી.થી 1000 મિમી. રહે છે. વરસાદ મોટે ભાગે જૂનથી સપ્ટેમ્બર માસમાં પડે છે. આ જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે. જિલ્લાનાં કૃષિ ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, જવ તેમજ બરછટ અનાજની ખેતી થાય છે.

પીતાંબરા પીઠ (શક્તિપીઠ), દતિયા

આ જિલ્લાનો વિસ્તાર 2,902 ચો.કિમી. અને વસ્તી 9,50,000 (2026 મુજબ, આશરે) છે. સાક્ષરતાનું પ્રમાણ 72.63% છે. અહીં મોટે ભાગે લોકો હિન્દી ભાષા બોલે છે. આ જિલ્લામાં 445 ગામડાં અને પાંચ શહેરો આવેલાં છે. આ જિલ્લાના છ તાલુકા છે જેમાં દતિયા, બડોની, સેઓન્ધા, ભાંડેર અને ઇન્ડેરગઢ છે. આ જિલ્લામાં પીતાંબરા પીઠ, રતનગઢ માતાનું મંદિર, સોનાગિરિ, ઉનાઓ બાલાજી સૂર્યમંદિર, દતિયા મહેલ અને દતિયા બોટ ક્લબ જોવાલાયક સ્થળો છે. દતિયા (શહેર) : આ શહેર ‘દતિયાવકરા’ તરીકે ઓળખાય છે. દતિયા જિલ્લાનું મુખ્ય મથક છે. સમુદ્રની સપાટીથી તે 302 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેરની વસ્તી (2026 મુજબ, આશરે) 1,50,000 છે. ગ્વાલિયર અને નાગપુરને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું મુખ્ય જંકશન છે. આ શહેરથી ગ્વાલિયર 78 કિમી. દૂર અને ઝાંસીથી 28 કિમી. દૂર છે. દતિયા શહેરમાં પ્રવેશતાં જ પીતાંબરા પીઠ આવેલું છે. જે શક્તિપીઠ તરીકે જાણીતું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દતિયા, પૃ. 193 અથવા જુઓ https://gujarativishwakosh.org/દતિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ દેશપાંડે

જ. 2 મે, 1920 અ. 30 જુલાઈ, 1983

ભારતીય શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના કલાકાર. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઠૂમરી, અભંગ, નાટ્યસંગીત જેવા વિવિધ પ્રકારોમાં પારંગત વસંતરાવ દેશપાંડે નખશિખ કલાકાર હતા. માત્ર આઠ વર્ષની વયે તેઓ ફિલ્મસર્જક ભાલાજી પેઢરકરના ધ્યાનમાં આવ્યા અને ફિલ્મ ‘કાલિયા મર્દન’માં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક મળી. સાથે સાથે ગાયન તથા અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. મરાઠી રંગભૂમિમાં શાસ્ત્રીય સંગીતનું પ્રાધાન્ય હોવાને કારણે અભિનય સાથે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. પંડિત શંકરરાવ સપ્રે પાસે કિરાના ઘરાનાની તાલીમ શરૂ કરી. વિવિધ કલાગુરુઓ પાસે શાસ્ત્રીય સંગીતની વિદ્યા પ્રાપ્ત કરી. જેના કારણે કિરાના સાથે પતિયાલા, ભીંડીબજાર જેવા ઘરાનાની વિશિષ્ટતા વસંતરાવને પ્રાપ્ત થઈ. એમણે ‘કાલિયા મર્દન’ બાદ ‘દૂધ-ભાત’, ‘અષ્ટવિનાયક’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ મુખ્યત્વે રંગમંચ ઉપર મરાઠી રંગભૂમિ એમનું કાર્યક્ષેત્ર રહ્યું. કટિયાર કાલજાત ઘૂસલી સંગીત રૂપક એમના જીવનનું ઐતિહાસિક નાટક બની રહ્યું, જેણે વસંતરાવને અમર ઓળખ આપી. પોતે રંગકર્મી હોવાને કારણે ઠૂમરી, અભંગ, ભજન જેવા પ્રકારોમાં અભિનયનું અંગ ઉમેરીને તેઓ પ્રસ્તુતિને વધુ અસરદાર તેમજ જીવંત બનાવતા. રાગ યમનમાંથી પંચમ વર્જિત કરીને એમણે રાગ ‘રાજ કલ્યાણ’ની રચના કરી હતી. વિશિષ્ટ ચંચલ શૈલીમાં નાટકીય ગાયન શૈલી એ વસંતરાવની એક નોખી ઓળખ છે. ‘કાનડા રાજા પંઢરિચા’, ‘તુ સુખકર્તા, તુ દુઃખહર્તા’, ‘તાલ બોલે’, ‘સૂરત પિયા કી’, ‘મધુમિલના તલ્પા’ જેવાં અનેક મરાઠી નાટ્ય ગીતો સંગીતરસિકો માટે સદાય યાદગાર રહ્યાં છે. વસંતરાવ દેશપાંડેએ અનેક શિષ્યો સંગીતજગતને આપ્યા છે. એમના પૌત્ર રાહુલ દેશપાંડેએ વસંતરાવના સંગીતના વારસાને જીવંત રાખ્યો છે. એમને 1982માં સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુણેમાં ડૉ. વસંતરાવ દેશપાંડે પ્રતિષ્ઠાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ત્રણ દિવસનો વસંતોત્સવ વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે તથા ઉત્તમ યુવાન ગાયકોને વસંતોત્સવ યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. એમના જીવન તથા કાર્યને અંજલિ આપવા ‘મી વસંતરાવ’ શીર્ષક સાથે ફિલ્મનું નિર્માણ થયું છે. નાગપુરમાં સરકાર દ્વારા પ્રતિવર્ષ ‘દેશપાંડે મેમરી’ શીર્ષક હેઠળ ત્રિદિવસીય સંગીતમહોત્સવનું આયોજન થાય છે.