Categories
વાચન સમૃદ્ધિ

બધા દિવસો સુંદર

પશ્ચિમ ઓન્ટારિયોની બાળકોની હૉસ્પિટલમાં દુ:ખી પેટી મેરિટ પોતાની છ વર્ષની પુત્રી કેલીની હાર્ટસર્જરી માટે પુનઃ આવી હતી. એની નાનકડી પુત્રી પર અગાઉ એક વાર તો ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં બીજી વાર આવી ઓપન હાર્ટ સર્જરી કરી હતી. છ વર્ષની કેલીને ઇન્સેન્ટિવ કેર યુનિટમાંથી બહાર લાવવામાં આવી અને બાજુના ભાગની મરામત ચાલતી હોવાથી એને કૅન્સરના દર્દીઓ માટે આરક્ષિત એવા વિભાગમાં રાખવામાં આવી. છ વર્ષની કેલીની બાજુની જ રૂમમાં છ વર્ષનો એડમ હતો. આ એડમ લ્યુકેમિયા સામે જંગ ખેલતો હતો. એડમ કેમોથૅરપીની સારવાર લેતો હતો. આ સારવાર અત્યંત પીડાકારી હોવા છતાં એડમનો આનંદ સહેજે ઓછો થતો નહીં. રોજ કૅન્સરનો દર્દી એડમ કેલીના રૂમમાં આવતો. એની સાથે એની કેમોથૅરપી લેવા માટેની બૅગ પણ હોય. પારાવાર વેદના થતી હોવા છતાં એડમ હંમેશાં હસતો અને આનંદ કરતો જોવા મળતો. કેલીના રૂમમાં આવીને એડમ કલાકો સુધી જાતજાતની વાતો કરતો, મસ્તી-મજાક કરતો. પેટી મેરિટ અને એમની પુત્રી કેલી એમાં સામેલ થતાં. લાંબા વખતથી પુત્રીની સારવાર માટે રહેતી હોવાથી પેટી મેરિટને એક દિવસ ખૂબ કંટાળો આવ્યો હતો. બહારનું કાળું વાદળછાયું વરસાદી આકાશ એની ગમગીનીમાં ઉમેરો કરતું હતું. બારીએ ઊભી રહી દુ:ખી અને ઉદાસ મેરિટ આકાશમાં વાદળોને જોતી હતી, એવામાં રોજના નિયમ મુજબ એડમ આવ્યો. પેટી મેરિટે કહ્યું, ‘‘એડમ ! કેવો ગમગીન દિવસ છે ! આજે હું ખૂબ દુ:ખી મૂડમાં છું. વળી આવું વાતાવરણ મારા દુ:ખમાં વધારો કરે છે.’’ એડમે પેટી મેરિટને કહ્યું, ‘મારે માટે તો બધા જ દિવસ સુંદર હોય છે.’ છ વર્ષના એડમના હિંમતવાન એ શબ્દોએ પેટી મેરિટની નિરાશા દૂર કરી. આજે અત્યંત ગમગીનીભર્યો દિવસ હોય, ત્યારે પણ લ્યુકેમિયાના દર્દી એડમના એ શબ્દો પેટી મેરિટને દુ:ખનો ભાર ખંખેરીને ઉત્સાહભેર જીવવાનું બળ આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હુંદરાજ દુઃખાયલ

જ. 16 જાન્યુઆરી, 1910 અ. 21 નવેમ્બર, 2003

સિંધી અને હિન્દી સાહિત્યકાર અને સ્વાતંત્ર્યસેનાની હુંદરાજ દુઃખાયલનો જન્મ સિંધના લાડકાણામાં થયો હતો. પિતા લીલારામ માણેક અને માતા હિરલબાઈ. શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. આઠ-દસ વર્ષની વયે ગીતો લખવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉંમરે ભજનસંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. એ પછી ‘આર્ય ભજનાવલિ’ સંગ્રહ પ્રગટ થયો.

1921માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. સરકારી શાળા છોડી લાડકાણાની કોમી શાળામાં દાખલ થયા. ફરી શાળા છોડી અને આઝાદીની લડતમાં જોડાયા. શાળા છોડી દવાઓ બનાવી તેમજ સોના-ચાંદીની દુકાન કરી. પછી સ્ટૅમ્પવેન્ડર બન્યા, પરંતુ આઝાદીની લડતમાં જોડાવાથી સરકારે લાઇસન્સ રદ કર્યું. તેમને છ વખત જેલવાસ થયો હતો. તેઓ ખંજરી લઈને આઝાદીનાં ગીતો ગાતા. તેમણે ‘હનુમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમના ‘ફાંસી ગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકને અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેઓ 1949માં ભારત આવ્યા. ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ-આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ની સ્થાપના કરી. વિનોબા ભાવે સાથે 12 વર્ષમાં 30,000 માઈલની પદયાત્રા કરી. તેમણે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મશ્રી, સાધુવાણી ઍવૉર્ડ, સિંધુરતન ઍવૉર્ડ, રામ પંજવાણી ઍવૉર્ડ, સહયોગ ઍવૉર્ડ, સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ જેવા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિલેનિયમ ઍવૉર્ડના 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ ઇનામ-ઍવૉર્ડની રકમ તથા તમામ સંપત્તિ શિક્ષણસંસ્થાઓને દાનમાં આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હાર્વર્ડ યુનિવર્સિટી

અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે ૧૦ ઑક્ટોબર, ૧૬૩૬માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. ૧૭૮૦માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. ૧૬૩૮માં તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં, તેમની અર્ધી મિલક્ત અને ૪૦૦ પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં.

હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકા

આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં છે. વળી કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી ૪,૯૩૮ એકરના વિસ્તારમાં આવેલી છે. તેમાં કુલ ૨૦૦ મકાનો છે. તેનું પ્રથમ મકાન ૧૬૩૭માં બન્યું હતું. તે પછી ઉત્તરોત્તર તેમાં વધારો થતો ગયો. આ યુનિવર્સિટીના પૂર્વસ્નાતક-કક્ષાએ બે મુખ્ય વિભાગો છે, જેમાં હાર્વર્ડ કૉલેજ યુવકો માટે અને રેડક્લિફ (Radcliffe) કૉલેજ યુવતીઓ માટે છે. ત્યારબાદ સ્નાતક અને વ્યવસાયલક્ષી વિદ્યાશાખાઓમાં સહઅધ્યયન (co-education) છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નીચેની વિદ્યાશાખાઓ અને સંસ્થાઓ કાર્યરત છે : ૧. આર્ટ્સ અને વિજ્ઞાનની શાખા, ૨. તબીબી શાખા, ૩. વ્યાપાર-ઉદ્યોગ-સંચાલન શાખા, ૪. સ્થાપત્ય, લૅન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગ, ૫. વિશ્વના ધર્મોના અભ્યાસ માટેની શાખા, ૬. શિક્ષણલક્ષી અને માનવ-સંસાધન-વિકાસ શાખા, ૭. જ્હૉન એફ. કૅનેડી સ્કૂલ ઑવ્ ગવર્નમેન્ટ, ૮. કાયદાશાસ્ત્રની શાખા, ૯. જાહેર સ્વાસ્થ્યની શિક્ષણશાખા. આ ઉપરાંત પણ ઘણીબધી વિદ્યાપ્રવૃત્તિને લગતી આનુષંગિક શાખાઓમાં બૉટેનિકલ ગાર્ડન (વનસ્પતિ-ઉદ્યાન), ગ્રે હર્બૅરિયમ (સૂકવેલી ઔષધિ-વનસ્પતિઓનો સંગ્રહ), ઍસ્ટ્રૉનૉમિકલ ઑબ્ઝર્વેટરી અને હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસનો સમાવેશ થાય છે. છેલ્લી બે શતાબ્દીઓ દરમિયાન આ યુનિવર્સિટીના સ્નાતકો અને અધ્યાપકોએ અમેરિકાના બૌદ્ધિક અને રાજકીય વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હાર્વર્ડ યુનિવર્સિટી, પૃ. 158)