Categories
વાચન સમૃદ્ધિ

આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સન

જ. 19 ડિસેમ્બર, 1852 અ. 9 મે, 1931

વિજ્ઞાન નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રથમ અમેરિકન વિજ્ઞાની આલ્બર્ટ અબ્રાહમ માઇકલ્સનનો જન્મ પોલૅન્ડના સ્ટ્રજેલ્નોમાં થયો હતો. 1855માં માતાપિતા સાથે અમેરિકા ગયા. તેઓ કૅલિફૉર્નિયાના મર્ફી કૅમ્પ અને વર્જિનિયામાં મોટા થયા હતા. તેમનું હાઈસ્કૂલનું શિક્ષણ સાનફ્રાન્સિસ્કોમાં થયું. ઉચ્ચશિક્ષણ માટે યુ.એસ. નેવલ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. 1873માં સ્નાતક થયા. 1880માં તેમણે વ્યતિકરણમાપક (Interferometer) નામનું ઉપકરણ તૈયાર કર્યું. જેના વડે તેઓ કાલ્પનિક માધ્યમ ઈથરમાં પ્રકાશનો વેગ માપવા માગતા હતા. આ પ્રકાશીય ઉપકરણ આજે માઇકલ્સન ઇન્ટરફેરૉમીટર તરીકે ઓળખાય છે. 1883માં ક્લેવલૅન્ડમાં કેસ સ્કૂલ ઑફ ઍપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. 1889માં મૅસેચૂસેટ્સમાં ક્લાર્ક યુનિવર્સિટીમાં જોડાયા. 1892માં શિકાગોની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા બન્યા હતા. તેમણે અમેરિકન વિજ્ઞાની એડવર્ડ મૉર્લે સાથે મળીને પ્રયોગો કર્યા જે માઇકલ્સન-મૉર્લે પ્રયોગ તરીકે જાણીતો છે. પ્રકાશની ગતિ પરના તેમના પ્રયોગોએ ભૌતિકશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. 1920માં તેમણે અને ફ્રાન્સિસ જી. પીસે સૂર્ય સિવાયના તારાના વ્યાસનું પ્રથમ માપન કર્યું. માઇકલ્સને ખગોળશાસ્ત્રીય ઇન્ટરફેરૉમીટરની પણ શોધ કરી. તેમણે વિજ્ઞાનક્ષેત્રે આપેલા યોગદાન બદલ 1907માં તેમને નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રમફૉર્ડ પુરસ્કાર, મેટ્યુચી મેડલ, કોપ્લી મેડલ, એલિયર ક્રેસન મેડલ, હેનરી ડ્રેપર મેડલ, ડુડેલ મેડલ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને પ્રાપ્ત થયાં હતાં. ચંદ્ર પરના એક ખાડાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

વિશ્વા

વિષય : જ્ઞાન, ભક્તિ અને કર્મ સંદર્ભે શ્રી હનુમાનજીનું દર્શન |

વક્તા : અનિતા તન્ના |

સહુભાઈ-બહેનોને હાર્દિક નિમંત્રણ |

23 ડિસેમ્બર  2025 |

મંગળવાર, સાંજના 5-00

Categories
વાચન સમૃદ્ધિ

સહિષ્ણુતા અને સ્વપ્નસિદ્ધિ

આજના યુગમાં માનવીની સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે અને એની અધીરાઈ સતત વધતી જાય છે. એની સમક્ષ કોઈ પ્રશ્ન આવે કે એ ક્ષણનાય વિલંબ વિના તત્કાળ એનો પ્રતિભાવ આપતો હોય છે. સહેજે અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, તો એની સામે એના ગુસ્સાના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. આવી અધીરાઈને કારણે વ્યક્તિ પોતાની જિંદગીના સવાલો વિશે સ્વસ્થપણે વિચારી શકતી નથી. પોતાના જીવનમાં જાણે કોઈ ઝડપી દોડની સ્પર્ધામાં ઊતર્યો હોય એ રીતે તત્કાળ ઉત્તર આપતો રહે છે. એ સાચું છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે એ અથાગ પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આવો પ્રયત્ન કરનારે સતત રાત-દિવસ ધૈર્ય ધારણ કરીને પ્રયોગશાળામાં પ્રયોગ કરનાર થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનો વિચાર કરવો જોઈએ, જેઓ નિષ્ફળ પ્રયોગોની હારમાળા વચ્ચેય ક્યાંય અકળાયા નથી કે અટક્યા નથી.  વ્યક્તિનું સ્વાસ્થ્ય સુદૃઢ હોય તો એ સતત કામ કરી શકે છે, પરંતુ કોઈક દિવસ અણધારી બીમારી આવી જાય, સંસારની પરિસ્થિતિમાં એકાએક પલટો આવે અથવા તો સ્વપ્નસિદ્ધિ માટેની મહેનતમાં થોડી વાર અટકી જવું પડે તેમ હોય, તો એવા સમયે શાંતિથી થોભી જવાની સહિષ્ણુતા વ્યક્તિમાં હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ ઉત્સાહથી કેટલાંય કામો કરી શકતી હોય છે અને ક્યારેક એ કશુંક ન કરી શકતાં હતોત્સાહ બની જતી હોય છે. વ્યક્તિ પાસે ધૈર્ય હોય તો આવી હતોત્સાહની વિપરીત પરિસ્થિતિને પાર કરી શકે છે. જો એનામાં સહિષ્ણુતાનો અભાવ હશે, તો એ ક્યાં તો પરિસ્થિતિ સામે ગુસ્સો ઠાલવીને બેચેન કે ઉદાસ બની જાય છે અથવા તો એની અસહિષ્ણુતા જ એના કાર્યમાં અવરોધરૂપ બને છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એને પાર પાડવા માટે ધૈર્યની જરૂર છે. ધીરજથી વિચારનાર પોતાની ભૂલ સમજી શકે છે. ચોપાસની પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવી શકે છે અને એથી જ એ અણગમતા સંજોગો કે નિષ્ફળતાને અળગી કરીને આત્મવિશ્વાસથી આગળ ડગ ભરે છે અને વિચારે છે કે એનું આ એક પગલું ભવિષ્યમાં એને સફળતાની મંજિલે પહોંચાડશે.