Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દુલાલ યાજ્ઞિક

જ. 22 ફેબ્રુઆરી, 1892 અ. 17 જુલાઈ, 1972

વિવિધ પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિઃસ્પૃહી રાજકીય નેતા. મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદમાં સૌપ્રથમ ક્રમે આવ્યા અને બી.એ.ની પરીક્ષામાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી પ્રથમ ક્રમે આવ્યા. અભ્યાસમાં તેજસ્વી એવા ઇન્દુલાલ 1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. થોડો સમય વકીલાત પણ કરી, પણ તે છોડી 1915માં સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન અને સત્ય’ માસિકો શરૂ કર્યાં. 1922માં ‘યુગ ધર્મ’ની શરૂઆત કરી. વળી થોડો સમય દેશસેવાનું કામ છોડી ફિલ્મક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. ઇંગ્લૅન્ડમાં આયર્લૅન્ડની સ્વતંત્રતાના પ્રચંડ સમર્થક દ વેલેરા સાથે કામ કર્યું અને 1936માં ભારત પાછા આવ્યા. 1941-42માં ‘નૂતન ગુજરાત’ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. 1944માં નેનપુર આશ્રમ શરૂ કરી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, હોમરૂલ ચળવળમાં ભાગ લીધો અને રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. રાષ્ટ્રીય કેળવણીનો આગ્રહ રાખી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં બી રોપ્યાં. સવિનય કાનૂનભંગની લડતમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી મૉસ્કો અને વિયેનાનો પ્રવાસ કર્યો અને સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના સમયે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું. ‘જનતા પરિષદ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી ગુજરાતના લાડીલા ‘ઇન્દુ ચાચા’ બન્યા. 1957થી 1972 સુધી લોકસભાના સાંસદ રહ્યા. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું. તેમણે છ ભાગમાં આત્મકથા લખી. નર્મદ સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. રાજકીય વિષયવસ્તુવાળાં ભાવનલક્ષી અને પ્રચારલક્ષી નાટકો આપવા ઉપરાંત ‘માયા’ નવલકથા, ‘વરઘોડો’, ‘આશા-નિરાશા’, ‘રણસંગ્રામ’, ‘શોભારામની સરદારી’ જેવાં નાટકો પણ લખ્યાં. ગાંધીજી સાથેનાં સંસ્મરણો આલેખતી ‘ગાંધીજીના સહવાસમાં’, ‘સત્યાગ્રહ : નિષ્ફળ અને નકામું શસ્ત્ર’ જેવાં પુસ્તકો પણ આપ્યાં. અંગ્રેજીમાં ‘મિ. ગાંધી એઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો પણ આપ્યાં. આમ એક નીડર, નિખાલસ, સ્વમાની અને પુરુષાર્થી વ્યક્તિ તરીકે લોકો તેમને સદા યાદ રાખશે.

Categories
વાચન સમૃદ્ધિ

કપરી પરિસ્થિતિમાં

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. ચાર્લ્સ શ્વાબ પાસે એક આગવી આવડત હતી. એ પોતે સ્ટીલ ઉત્પાદનના આ વ્યવસાયના ઊંડા જાણકાર નહોતા. વ્યવસાય માટેની અદ્ભુત કુનેહ ધરાવનાર કોઈ મેધાવી વ્યક્તિ પણ નહોતા. હકીકતમાં તો એમના હાથ નીચે કામ કરતા કેટલાય લોકો ચાર્લ્સ શ્વાબ કરતાં સ્ટીલ ઉત્પાદન અંગે વધુ જાણકારી ધરાવતા હતા, પરંતુ ચાર્લ્સ શ્વાબની ખૂબી એવી હતી કે એ પોતાના સાથી કર્મચારીઓને બરાબર ઓળખીને એમને એમના કામમાં પ્રોત્સાહિત કરતા હતા. વળી એ કર્મચારીઓને એમના કાર્ય માટે અભિનંદન આપતા હતા. એની આ આવડત જ ચાર્લ્સ શ્વાબની એક મહત્ત્વની શક્તિ બની રહી. એમાં પણ એની સ્ટીલ મિલમાં કામ કરતા એક આધેડ વયના જર્મન કામદારને પોતાના સાથી કામદારો સાથે ઝઘડો થયો. સામસામી દલીલબાજી થઈ. એમાંથી ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને બધાએ ભેગા થઈને પેલા જર્મન કર્મચારીને ઊંચકીને નદીમાં ફેંકી દીધો. પેલો જર્મન કર્મચારી પાછો ઑફિસમાં આવ્યો, ત્યારે એનાં કપડાં કાદવ-કીચડવાળાં હતાં. ચાર્લ્સ શ્વાબે એને પૂછ્યું કે, ‘તારા સાથી કર્મચારીઓએ તને ઊંચકીને નદીમાં ફેંકી દીધો, ત્યારે તેં એમને કેટલા ગુસ્સાભર્યા અપશબ્દો કહ્યા હતા ?’ એના ઉત્તરમાં આધેડ વયના જર્મન કર્મચારીએ કહ્યું, ‘સાહેબ, એ સમયે હું માત્ર હસતો હતો’ અને ચાર્લ્સ શ્વાબે એ પ્રૌઢ જર્મન પાસેથી ‘કપરી પરિસ્થિતિમાં પણ સદા હસતા રહેવું’ એ સૂત્રને જીવનમંત્ર તરીકે અપનાવી લીધું.

Categories
વાચન સમૃદ્ધિ

શાંતિસ્વરૂપ ભટનાગર

જ. 21 ફેબ્રુઆરી, 1894 અ. 1 જાન્યુઆરી, 1955

ખ્યાતનામ વૈજ્ઞાનિક અને ઉર્દૂ કવિ શાંતિસ્વરૂપ ભટનાગરનો જન્મ ભેરા ગામમાં થયો હતો. તેમણે આઠ મહિનાની ઉંમરે પિતા પરમેશ્વરી સહાયની છત્રછાયા ગુમાવી. તેમણે પ્રાથમિક શિક્ષણ સિકંદરાબાદની દયાનંદ ઍંગ્લો-વૈદિક હાઈસ્કૂલમાં મેળવ્યું. 1911માં લાહોરની દયાલસિંહ કૉલેજમાં જોડાયા. કૉલેજમાં સરસ્વતી સ્ટેજ સોસાયટીના સભ્ય બન્યા. તેમણે ‘કરામતી’ નામનું ઉર્દૂ નાટક લખ્યું. તેમણે 1916માં ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. અને 1919માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. દયાલસિંહ કૉલેજ ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃત્તિ મળતાં વિદેશમાં ભણવા ગયા. 1921માં ડૉક્ટરેટની પદવી મેળવી ભારત પાછા ફર્યા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જોડાયા. યુનિવર્સિટી ગીત લખ્યું. પછી પંજાબ યુનિવર્સિટીમાં જોડાયા. 1924થી 1940 રાસાયણિક સંશોધન પ્રયોગશાળાના નિયામક તરીકે રહ્યા. 1940માં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન બોર્ડના નિયામક રહ્યા. સ્વતંત્રતાપ્રાપ્તિ પછી શિક્ષણ વિભાગ, પરમાણુ ઊર્જાપંચ અને વૈજ્ઞાનિક સંશોધન વિભાગમાં સચિવ તરીકે કાર્ય કર્યું. 1938માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના રસાયણ વિભાગના અધ્યક્ષ બન્યા અને 1945માં તેના સર્વાધિક પ્રમુખ બન્યા. તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝના સ્થાપક ફેલો હતા અને તેના પ્રમુખ રહ્યા હતા. તેમણે રસાયણશાસ્ત્રમાં ચુંબકત્વના વિનિયોગ ઉપર અને પાયસ (emulsion) ઉપર સંશોધન કર્યું છે. તેમના પ્રયત્નથી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, પુણેમાં રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા, હૈદરાબાદમાં ભૂભૌતિકવિજ્ઞાનની, ગોવામાં સમુદ્રવિજ્ઞાનની, બૅંગાલુરુમાં વૈજ્ઞાનિકીની, જમશેદપુરમાં ધાતુવિદ્યાની અને પિલાણીમાં ઇલેક્ટ્રૉનિક્સની — એમ બાર રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તેમજ કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને 1936માં ઑર્ડર ઑફ બ્રિટિશ અમ્પાયરનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. 1943માં લંડનની રૉયલ સોસાયટીની ફેલોશિપ આપવામાં આવી. 1941માં નાઇટ બેચલર અને 1954માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર અપાય છે. ભારત સરકારના ટપાલખાતાએ 1994માં તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.